શિવસેના હવે કોની, ઉદ્ધવ ઠાકરેની કે એકનાથ શિંદેની?
- લેેખક, હર્ષલ અકુડે
- પદ, બીબીસી મરાઠી
સુપ્રીમ કોર્ટે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને સહેજ રાહત આપી છે અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરની ગેરલાયક ઠેરવવાની અંગેની નોટિસનો જવાબ આપવા માટે 12 જુલાઈ સુધીનો સમય આપ્યો છે.
એક પછી એક દિવસો પસાર થઈ રહ્યાં છે અને મહારાષ્ટ્રનો રાજકીય ઘટનાક્રમ દરરોજ નવી જ સંભાવના તરફ જઈ રહ્યો છે.
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ અલગ રસ્તો પસંદ કર્યા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. શિવસેનાના કુલ 55 ધારાસભ્યોમાંથી 39 એકનાથ શિંદેની સાથે છે.
બે તૃતીયાંશ ધારાસભ્યોના સમર્થનથી એકનાથ શિંદે મહાવિકાસ અઘાડીમાંથી બહાર નીકળવા માટે અલગ પાર્ટી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમ કરવું સંપૂર્ણપણે કાયદેસર ગણાશે એવો દાવો શિંદે દ્વારા કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ શિવસેનાએ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે આગળનું પગલું ભર્યું છે. બંને જૂથ પોતપોતાના દાવાઓ કરી રહ્યા છે.
આવી સ્થિતિમાં આગળ શું થઈ શકે?

શિવસેનાના વકીલ દેવદત્ત કામતે રવિવારે એક પત્રકારપરિષદમાં કહ્યું હતું કે, "હું રાજકીય નહીં પણ કાયદાકીય વાત કરવા માગુ છું. શિવસેનાએ ધારાસભ્યોને બેઠકમાં બોલાવ્યા હતા પરંતુ તેઓ આવ્યા ન હતા. તેઓ મહારાષ્ટ્રની બહાર જતા રહ્યા હતા. ભાજપના નેતાને મળ્યા. જે પોતાની પાર્ટીનો વિરોધ છે. બળવાખોર ધારાસભ્યોએ સરકાર તોડવાનો પ્રયાસ કર્યો છે."
"બે-તૃતીયાંશનો નિયમ ફક્ત પાર્ટીઓના વિલીનીકરણના કિસ્સામાં જ લાગુ પડે છે. તેથી તેઓએ વિલય જ કરવો પડશે. અત્યાર સુધી તેઓ કોઈ પક્ષમાં વિલય નથી કરી શક્યાં, તેથી તેમને ગેરલાયક ઠેરવી શકાય છે. અનધિકૃત ઇમેલ આઈડી પરથી ઇમેલ દ્વારા વિધાનસભાના વિરોધમાં અવિશ્વાસ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ગેરલાયક ઠેરવવાનું ઉપાધ્યક્ષના કાર્યક્ષેત્રમાં આવતું નથી એવું કહેવામાં આવે છે, પરંતુ તેમની પાસે તમામ અધિકારો છે. આવતીકાલ સુધીમાં, બળવાખોર ધારાસભ્યોએ નોટિસનો જવાબ આપવો પડશે. તેઓએ નિયમ વિરુદ્ધ વર્તન કર્યું છે, તેથી તેઓ ગેરલાયક ઠરે છે. એની અમને પાક્કી ખાતરી છે."

ઇમેજ સ્રોત, ANI
આ પહેલાં વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોરહેએ આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું હતું, "જો શિંદે જૂથનું અન્ય પક્ષ સાથે વિલીનીકરણ ન થાય, તો કોઈ ગેરલાયક ઠરવાથી બાકાત રહેશે નહીં. વિલીનીકરણ સમયે, તેઓએ અધિકૃત પક્ષમાં પ્રવેશ કરવો પડશે. તેથી જો તેમણે વિલીનીકરણ કરવું હોય, તો તેઓએ ભાજપ અથવા અન્ય કોઈ પણ પક્ષની પસંદગી કરવી પડશે."

એકનાથ શિંદે જૂથ શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
એકનાથ શિંદે જૂથ વતી ધારાસભ્ય દીપક કેસરકરને બળવાખોર ધારાસભ્યોની ભૂમિકા સ્પષ્ટ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. કેસરકરે શનિવારે ઝૂમ એપ પર પ્રેસ કૉન્ફરન્સ કરી હતી, આ સિવાય તેમણે બીબીસી મરાઠી સાથે વિશેષ વાતચીત પણ કરી હતી.
કાયદાકીય મુદ્દા પર બોલતાં તેમણે કહ્યું કે, "અમે હજુ પણ શિવસેનામાં છીએ, ભાજપ કે અન્ય કોઈ પક્ષમાં જવાનો સવાલ જ ઊભો થતો નથી. અમારે શિવસેનામાં રહીને અલગ જૂથ સ્થાપિત કરવું છે, તે અમારો બંધારણીય અધિકાર છે. "
"અમારા વિશે ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે. અમારી વાત કરવા માટે જ હું તમારી સામે આવ્યો છું."
એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની દરખાસ્ત મોકલવામાં આવી છે. પરંતુ આ દરખાસ્ત કાયદેસર નથી એવો દાવો કેસરકરે કર્યો હતો. સોમવારે આ જ દાવો સુપ્રીમ કોર્ટમાં પણ કરવામાં આવ્યો અને ધારાસભ્યોને જીવનું જોખમ હોવા સહિતની દલીલ કરવામાં આવી. જે પછી સુપ્રીમ કોર્ટે તેમને 12 જુલાઈ સુધી નોટિસનો જવાબ પાઠવવા કહ્યું છે.
સંક્ષિપ્તમાં: શિવસેના કોની, ઉદ્ધવ ઠાકરેની કે એકનાથ શિંદેની?

- બે તૃતીયાંશ ધારાસભ્યોના સમર્થનથી એકનાથ શિંદે મહાવિકાસ અઘાડીમાંથી બહાર નીકળવા માટે અલગ પાર્ટી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે
- બીજી તરફ શિવસેનાએ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવા માટે આગળનું પગલું ભર્યું છે
- શિવસેનાના વકીલ દેવદત્ત કામતે કહ્યું, "બે-તૃતીયાંશનો નિયમ ફક્ત પાર્ટીઓના વિલીનીકરણના કિસ્સામાં જ લાગુ પડે છે. તેથી તેઓએ વિલય જ કરવો પડશે. અત્યાર સુધી તેઓ કોઈ પક્ષમાં વિલય નથી કરી શક્યા, તેથી તેમને ગેરલાયક ઠેરવી શકાય છે"
- બળવાખોર ધારાસભ્યો વતી દીપક કેસરકરે કહ્યું કે, "અમે હજુ પણ શિવસેનામાં છીએ, ભાજપ કે અન્ય કોઈ પક્ષમાં જવાનો સવાલ જ ઊભો થતો નથી. અમારે શિવસેનામાં રહીને અલગ જૂથ સ્થાપિત કરવું છે"
- એડવોકેટ ઉદય વારુંજીકરે જણાવ્યું હતું કે, "એડવોકેટ દેવદત્ત કામતે રવિ નાયક અને શરદ યાદવ કેસનું ઉદાહરણ આપ્યું છે પરંતુ એ કેસ એકનાથ શિંદેના કેસને લાગુ પડતો નથી"
- આ સિવાય ઉપાધ્યક્ષ સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવવા સામે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં આવી બે અરજી દાખલ કરી છે
- સુપ્રીમ કોર્ટે તેના વચગાળાના આદેશમાં એકનાથ શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યોને ઉપાધ્યક્ષની ગેરલાયકાતની નોટિસનો જવાબ આપવા માટે 12 જુલાઈ સુધીનો સમય આપ્યો
- સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને શિવસેનાના 39 બળવાખોર ધારાસભ્યો અને તેમના પરિવારજનોની સુરક્ષાના નિર્દેશ આપ્યા છે
- સુપ્રીમ કોર્ટે ઉપાધ્યક્ષ વિરુદ્ધ બળવાખોર ધારાસભ્યો દ્વારા લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પર પણ તેમને એફિડેવિટ દાખલ કરવા કહ્યું છે
- સુપ્રીમ કોર્ટે ઉપાધ્યક્ષને 16 બળવાખોર ધારાસભ્યો સામે જાહેર કરવામાં આવેલી ગેરલાયકાતની નોટિસ પર જવાબ દાખલ કરવા કહ્યું છે
- એકનાથ શિંદેને 39 ધારાસભ્યોનું સમર્થન છે, તેમને ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરવા માટે 37 ધારાસભ્યોની જરૂર છે હવે જો એકનાથ શિંદેને ફ્લોર ટેસ્ટમાં એથી ઓછાં ધારાસભ્યોનું સમર્થન મળે તો તે બધાને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થઈ શકે છે.
- જો આમ થાય તો વિધાનસભાની સ્થિતિ વધુ રસપ્રદ બની જશે. 35 ધારાસભ્યો ગેરલાયક ઠરવાના કારણે, મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ સંખ્યા 253 થશે, આ સ્થિતિમાં બહુમતીનો આંકડો 127 થશે
- વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાસે 53 અને કૉંગ્રેસ પાસે 44 ધારાસભ્યો છે. શિવસેના પાસે બાકી બચેલા 20 ધારાસભ્યો હશે. એટલે કે, મહાવિકાસ અઘાડીની સંખ્યા માત્ર 117 સુધી સીમિત થઈ જશે
- બીજી તરફ ભાજપ પાસે 106 ધારાસભ્યો છે, આ સિવાય ભાજપને કેટલાક અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. જો આવી સ્થિતિ સર્જાશે તો અપક્ષ ધારાસભ્યોની ભૂમિકા મહત્ત્વની બની જશે


એકનાથ શિંદે જૂથ શું કરી શકે?

ઇમેજ સ્રોત, ANI
બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા મામલે આગામી 11 જુલાઈએ સુનાવણી છે અને 12 જુલાઈ સુધી તેમણે વિધાનસભા ઉપાધ્યક્ષની નોટિસનો જવાબ આપવાનો છે.
આ સિવાય ઉપાધ્યક્ષ સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવવા સામે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં આવી બે અરજી દાખલ કરી છે.
આ અંગે એડવોકેટ ઉદય વારુંજીકરે એબીપી માંઝાને જણાવ્યું હતું કે, "એડવોકેટ દેવદત્ત કામતે રવિ નાયક અને શરદ યાદવ કેસનું ઉદાહરણ આપ્યું છે પરંતુ એ કેસ એકનાથ શિંદેના કેસને લાગુ પડતો નથી. રવિ નાયકના આદેશમાં તેઓ પક્ષ છોડવા માટે સંમત થયા હતા. પરંતુ એકનાથ શિંદે પક્ષ છોડવા માટે સંમત થયા નથી. એકનાથ શિંદે દાવો કરે છે કે તેઓ હજુ પણ શિવસેનામાં જ છે. તેથી 2(1) હેઠળ તેમની અયોગ્યતા સ્થાપિત કરી શકાતી નથી."
"શરદ યાદવના કેસની વાત કરીએ તો, તેમણે અન્ય પક્ષના મંચ પર હાજરી દર્શાવી હતી, તેથી આદેશમાં તેમણે પાર્ટી છોડી દીધી એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો. પરંતુ આ આદેશને હજુ અંતિમ સ્વરૂપ નથી મળ્યું. દિલ્હી હાઈકોર્ટમાં આ કેસ હજુ પણ ચાલી રહ્યો છે. એકનાથ શિંદેના કેસમાં આવો ઘટનાક્રમ નથી."

સુપ્રીમ કોર્ટે ગેરલાયકાતની નોટિસનો જવાબ આપવા માટે 11 જુલાઈ સુધીનો સમય આપ્યો

સુપ્રીમ કોર્ટે તેના વચગાળાના આદેશમાં એકનાથ શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યોને ઉપાધ્યક્ષની ગેરલાયક ઠેરવવા અંગેની નોટિસનો જવાબ આપવા માટે 12 જુલાઈ સુધીનો સમય આપ્યો છે.
ઉપાધ્યક્ષે અસંતુષ્ટ શિવસેના ધારાસભ્યોની અયોગ્યતાની નોટિસ પર જવાબ આપવા માટે એક દિવસનો એટલે કે સોમવાર સુધીનો જ સમય આપ્યો હતો.
બળવાખોર ધારાસભ્યો હવે ઉપાધ્યક્ષની અરજી પર 11 જુલાઈએ સાંજે 5:30 વાગ્યા સુધી પોતાનો જવાબ આપી શકશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ સમય સુધી અસંતુષ્ટ ધારાસભ્યો વિરુદ્ધ કોઈ નિર્ણય લઈ શકાશે નહીં.
બળવાખોર ધારાસભ્યોએ તેમના જીવને જોખમ હોવાનું કહ્યું હતું તે સંદર્ભે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને શિવસેનાના 39 બળવાખોર ધારાસભ્યો અને તેમના પરિવારજનોની સુરક્ષાના નિર્દેશ આપ્યો છે.
મહારાષ્ટ્ર સરકારના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અસંતુષ્ટ ધારાસભ્યોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને રાજ્ય સરકાર વધુમાં સુનિશ્ચિત કરશે કે કોઈપણ ધારાસભ્યના જીવન, સ્વતંત્રતા અને સંપત્તિને કોઈ નુકસાન ન પહોંચે.
સુપ્રીમ કોર્ટે ઉપાધ્યક્ષ વિરુદ્ધ બળવાખોર ધારાસભ્યો દ્વારા લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પર પણ તેમને એફિડેવિટ દાખલ કરવા કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે ઉપાધ્યક્ષને 16 બળવાખોર ધારાસભ્યો સામે જાહેર કરવામાં આવેલી ગેરલાયકાતની નોટિસ પર જવાબ દાખલ કરવા કહ્યું છે.

શિંદે જૂથને માન્યતા મળશે કે નહીં?

ઇમેજ સ્રોત, BBC MARATHI
ઉપાધ્યક્ષ નીલમ ગોરહેએ કહ્યું હતું કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો કાં તો ભાજપમાં જશે અથવા પ્રહાર પાર્ટીમાં જશે. નિષ્ણાતોની વાત માનીએ તો આ તકનીકી રીતે સાચું છે.
વરિષ્ઠ બંધારણીય નિષ્ણાત ઉલ્હાસ બાપટના જણાવ્યા અનુસાર, જો એકનાથ શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યોને શિવસેનાને છોડવી પણ ન હોય અને અલગ જૂથ તરીકે માન્યતા પણ જોઈતી હોય તો તેમણે કાયદાનું પાલન કરવું પડશે.
"બળવાખોર ધારાસભ્યોની સંખ્યા બે તૃતીયાંશ કરતાં વધુ છે તેના પર કાયદો શું કહે છે તે સમજાવતા વકીલ ઉદય વરુંજીકરે જણાવ્યું હતું કે 2003માં દસમી અનુસૂચિના સુધારા મુજબ બળવાખોર ધારાસભ્યો પાસે વિલીનીકરણનો એક જ વિકલ્પ છે, અન્યથા તેઓને અયોગ્યતાની કાર્યવાહીનો પણ સામનો કરવો પડી શકે છે."

જો ફ્લોર ટેસ્ટમાં બે તૃતીયાંશ મત ન મળે તો શું થાય?

ઇમેજ સ્રોત, BBC MARATHI
ઉલ્હાસ બાપટે કહ્યું, "જો વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ફ્લોર ટેસ્ટમાં બે તૃતીયાંશ બહુમતી સાબિત ન કરી શકે તો તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી શકાય છે."
જો તેઓ બહુમતી સાબિત ન કરે તો તમામ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી શકાય છે. પરંતુ જો આવું થાય તો ભાજપને ફાયદો થઈ શકે છે. પાર્ટી તરીકે શિવસેનાના ધારાસભ્યોની સંખ્યામાં ઘટાડો થશે.
ઉલ્હાસ બાપટ કહે છે, "એકનાથ શિંદેને 39 ધારાસભ્યોનું સમર્થન છે, તેમને ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરવા માટે 37 ધારાસભ્યોની જરૂર છે. વર્તમાન સ્થિતિને જોતા, તેઓ સરળતાથી બહુમતી સાબિત કરી શકે છે. પરંતુ જો કોઈ કારણસર તેઓ બહુમતી સાબિત ન કરી શકે તો 37થી ઓછા જેટલા પણ હોય તે તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવશે."
ઉદાહરણ તરીકે, જો એકનાથ શિંદેને ફ્લોર ટેસ્ટમાં 35 ધારાસભ્યોનું સમર્થન મળે તો તે બધાને સસ્પેન્ડ કરવામાં આવશે.
જો આમ થાય તો વિધાનસભાની સ્થિતિ વધુ રસપ્રદ બની જશે. 35 ધારાસભ્યો ગેરલાયક ઠરવાના કારણે, મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ સંખ્યા 253 થશે, આ સ્થિતિમાં બહુમતીનો આંકડો 127 થશે.
વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાસે 53 અને કૉંગ્રેસ પાસે 44 ધારાસભ્યો છે. શિવસેના પાસે બાકી બચેલા 20 ધારાસભ્યો હશે. એટલે કે, મહાવિકાસ અઘાડીની સંખ્યા માત્ર 117 સુધી સિમિત થઈ જશે.
બીજી તરફ ભાજપ પાસે 106 ધારાસભ્યો છે, આ સિવાય ભાજપને કેટલાક અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. જો આવી સ્થિતિ સર્જાશે તો અપક્ષ ધારાસભ્યોની ભૂમિકા મહત્ત્વની બની જશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













