નવ કલાકમાં બે વાર પાર્ટી બદલી અને 'આયારામ-ગયારામ' શબ્દનો જન્મ થયો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સ્નેહલ રાણે
- પદ, બીબીસી મરાઠી
રાજકીય ગપશપની વચ્ચે એક કહાણી સંભળાવવામાં આવે છે. આ કહાણી કંઈક આવી છેઃ એક પત્રકારે સરળતાથી રાજ્યના એક ચાલાક નેતાને પૂછ્યું, 'ટૂ પ્લસ ટૂ કેટલા થાય છે?'
સમય વેડફ્યા વિના નેતાએ પત્રકારને કહ્યું, 'દે યા લે?'
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કૉંગ્રેસના બે નેતા અર્જુન મોઢવાડિયા અને અંબરીષ ડેરે પાર્ટી છોડી દીધી છે અને હવે તેઓ ભાજપમાં જોડાશે તેવી શક્યતા છે.
અર્જુન મોઢવાડિયાની ગણતરી કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં થતી હતી, તો અંબરીષ ડેર પણ અમરેલી પંથકમાં કદાવર નેતા તરીકે જાણીતા છે.
રાજકારણમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવું એ કોઈ નવાઈની વાત નથી. પણ પરંતુ જે રાજકીય ખેલ ચાલી રહ્યો છે એને લોકોની ભાષામાં 'આયારામ-ગયારામ ખેલ' કહેવામાં આવે છે.
આ 'આયારામ-ગયારામ'ની સંસ્કૃતિ આજની નથી. આ સંસ્કૃતિ સ્વતંત્રતા પહેલાંથી જ ભારતીય રાજકારણનો અભિન્ન અંગ રહી છે. રાજકીય ઉછળકૂદની આ સંસ્કૃતિમાં 'આયારામ-ગયારામ' નામ કેવી રીતે આવ્યું?

હરિયાણામાં ઉત્પત્તિ

ઇમેજ સ્રોત, PHOTO DIVISION
'આયારામ-ગયારામ' શબ્દની ઉત્પત્તિ હરિયાણામાં થઈ.
તો આ આયારામ-ગયારામની સંસ્કૃતિના નાયક તત્કાલીન ધારાસભ્ય ગયાલાલ હતા જેમણે ત્રણ વખત પક્ષપલટો કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફેબ્રુઆરી 1967નો મહિનો હતો. ઇંદિરા ગાંધીની કૉંગ્રેસે દેશની 520માંથી 283 સીટ પર જીત મેળવી હતી અને પહેલી વખત ઇંદિરા ગાંધીના નેતૃત્વમાં કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર બનવાની હતી.
1967ની સંસદીય ચૂંટણીની સાથે વિધાનસભાની ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં કૉંગ્રેસને બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને મદ્રાસમાં ફટકો પડ્યો હતો.
1 નવેમ્બર, 1966એ પંજાબમાંથી હરિયાણા અલગ થયું. આ પહેલાં હરિયાણા અલગ રાજ્ય ન હતું.
1967માં થયેલી વિધાનસભાની ચૂંટણી હરિયાણાની સ્થાપના પછી પહેલી ચૂંટણી હતી. આ ચૂંટણીમાં મુખ્ય મંત્રીપદ માટે રાવ બીરેન્દ્રસિંહ, ભાગવત દયાલ શર્મા અને દેવીલાલનાં નામ ચાલી રહ્યાં હતાં.
રાવ બીરેન્દ્રસિંહ કૉંગ્રેસમાં મુખ્ય મંત્રી પદ માટે પ્રબળ દાવેદાર હતા. તેઓ દક્ષિણ હરિયાણાના અહિરવાલ ક્ષેત્રના એક પ્રભાવશાળી નેતા હતા. તેઓ પણ રાવ તુલારામના વંશમાંથી હતા. સ્વાભાવિક રીતે, ઇંદિરા ગાંધીએ ભાગવત દયાલ શર્માને ચેતવણી આપી કે રાવ બીરેન્દ્રસિંહ મુખ્ય મંત્રીની દોડમાં છે.
પરંતુ રાવ વિધાનસભાના સભ્ય નહોતા. ભાગવત દયાલ શર્માએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
સાથે જ જ્યારે મોટા ભાગના ધારાસભ્યોએ મુખ્ય મંત્રીપદ માટે શર્માના નામનું સમર્થન કર્યું, તો શર્મા ઇંદિરા ગાંધીને સમજાવવામાં સફળ રહ્યા કે રાવ બીરેન્દ્રસિંહને મુખ્ય મંત્રી બનાવવા કેટલું ખોટું હશે.

ઇમેજ સ્રોત, KC YADAV
ચાલાક રાજકારણી ઇંદિરા ગાંધી હવાની દિશા જાણતાં હતાં. જોકે તેમણે શર્માને મુખ્ય મંત્રી બનાવવાનો વિરોધ ન કર્યો.
દેવીલાલ પહેલી વખત ચૂંટણી નહોતા લડ્યા, કારણ કે તેમને હરિયાણાને અલગ રાજ્યનો દરજ્જો અપાવવામાં હંમેશાં કૉંગ્રેસ સરકારવિરોધી વલણ અપનાવ્યું હતું. એટલા માટે તેમણે કૉંગ્રેસની ટિકિટ અથવા કોઈ પદ ન મળ્યું.
જોકે, દેવીલાલના દીકરા પ્રતાપસિંહને કૉંગ્રેસે અલેનાબાદ મતવિસ્તારમાંથી ટિકિટ આપી હતી. સ્વાભાવિક રીતે દેવીલાલ શર્માને પાઠ ભણાવવા માટે સારી તકની શોધમાં હતા.
હરિયાણાની પહેલી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે 81માંથી 48 સીટ જીતી અને અલ્પમતની સરકાર બનાવી. આ ચૂંટણીમાં ભારતીય જનસંઘને 12, સ્વતંત્ર પાર્ટીને 3 અને રિપબ્લિક પાર્ટીને 2 સીટ મળી હતી.
આમાં એક અપક્ષોનો સમૂહ હતો. જેમની પાસે 16 બેઠક હતી. આ સમૂહ બીજા ક્રમે રહ્યો હતો.
ચૂંટણીમાં બહુમત મેળવનારી કૉંગ્રેસ હરિયાણામાં સત્તામાં આવી. 10 માર્ચ 1967એ કૉંગ્રેસ દ્વારા ભાગવત દયાલ શર્માને મુખ્ય મંત્રીપદના શપથ લેવડાવ્યા.

એક અઠવાડિયામાં થયો વિદ્રોહ...

ઇમેજ સ્રોત, CHAUTALA FAMILY
સત્તામાં આવ્યાના એક અઠવાડિયાની અંદર જ વિદ્રોહ થઈ ગયો. શર્માનો વિરોધ કરતા અનેક ધારાસભ્યો પાર્ટીમાં હતા.
વિધાનસભાની કાર્યવાહી શરૂ કરવા માટે એક અધ્યક્ષની નિમણૂક કરવી એ બંધારણીય રીતે જરૂરી હતું. આ ચૂંટણીમાં વિદ્રોહનાં બીજ રોપાયાં હતાં. નવા મુખ્ય મંત્રીએ અધ્યક્ષપદ માટે લાલા દયાકિશનનો પ્રસ્તાવ મૂક્યો.
મુખ્ય મંત્રીના નિર્ણયના વિરોધમાં કૉંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય ચાંદરામે રાવ બીરેન્દ્રસિંહના નામનો પ્રસ્તાવ મૂક્યો.
અંતે રાવ બીરેન્દ્રસિંહે કૉંગ્રેસના અધિકૃત ઉમેદવાર લાલા દયાકિશનને ત્રણ મતથી હરાવીને અધ્યક્ષ બન્યા.
ખરેખર તો આ તમામ ઘટનાઓની પાછળ દેવીલાલનો હાથ હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
યોજના 17 માર્ચના રોજ દેવીલાલ અને રાવ બીરેન્દ્રસિંહ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. પરંતુ મુખ્ય મંત્રી ભાગવત શર્માને આનો અંદાજ ન હતો.
જલદી રાવ બીરેન્દ્રસિંહ જૂથના 12 અસંતુષ્ટ ધારાસભ્યોએ પક્ષ પલટીને હરિયાણા કૉંગ્રેસ નામની એક નવી પાર્ટીનું ગઠન કર્યું.
અન્ય અપક્ષ ધારાસભ્યોમાં હરિયાણા કૉંગ્રેસ, ભારતીય જનસંઘ, સ્વતંત્ર પક્ષ અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના સંયુક્ત મોરચા નામના એક સમૂહનું ગઠન થયું. આના ધારાસભ્યોની સંખ્યા 48 પર પહોંચી ગઈ.
સમૂહે દેવીલાલની અધ્યક્ષતામાં એક સમન્વય સમિતિનું ગઠન કર્યું. શિક્ષણમંત્રી હરદ્વારીલાલે પણ કૅબિનેટમાંથી રાજીનામું આપી દીધું અને અન્ય ત્રણ લોકોની સાથે રાવના જૂથમાં સામેલ થઈ ગયા.
આ પછી ભાગવત શર્મા, જે મુખ્ય મંત્રી હતા તેમને હટાવી દેવામાં આવ્યા અને રાવ બીરેન્દ્રસિંહની 24 માર્ચ, 1967ના રોજ રાજ્યપાલ તરીકે નિમણૂક કરી અને સંયુક્ત મોરચાની સરકાર સત્તામાં આવી.
પરંતુ હરિયાણાના રાજકારણમાં ધારાસભ્યોનો પક્ષપલટો સામાન્ય બાબત બની ગઈ. જેના પરિણામે રાવ બીરેન્દ્રસિંહની સરકાર પણ અમુક મહિનામાં અસ્થિર થઈ ગઈ. વિધાનસભાને ભંગ કરી દેવાઈ અને રાષ્ટ્રપતિશાસન લાગુ કરી દેવાયું.

ઇમેજ સ્રોત, EKNATHSHINDEOFFICE
આ જ રીતે અપક્ષ ગયાલાલ ધારાસભ્ય તરીકે ચૂંટાયા.
ગયાલાલ હસનપુર વિધાનસભા વિસ્તારમાંથી કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. 1967ની ચૂંટણીમાં કૉંગ્રેસના ગયાલાલને ટિકિટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે ગયાલાલે અપક્ષ તરીકે ચૂંટણી લડી. તેમણે કૉંગ્રેસના ઉમેદવારને હરાવીને જીત મેળવી.
ધારાસભ્ય ગયાલાલે મુખ્ય મંત્રીપદ માટે ભાગવત દયાલ શર્માનો ભારે વિરોધ કર્યો હતો. એટલા માટે કૉંગ્રેસ ગયાલાલને એમ કહીને પાર્ટીમાં લાવ્યા હતા કે ચૌધરી ચંદરામને મુખ્ય મંત્રી બનાવવામાં આવશે. પરંતુ કેટલાક જ કલાકોની અંદર કૉંગ્રેસે ભાગવત દયાલની ઉમેદવારીની જાહેરાત કરી. આથી ગયાલાલ કૉંગ્રેસથી નારાજ થયા.
30 ઑક્ટોબરે ગયાલાલ ફરીથી કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા અને નવ કલાકની અંદર સંયુક્ત મોરચામાં જતા રહ્યા.
ભાગવત દયાલ શર્માને બહાર કર્યા પછી ચંદીગઢમાં એક સંવાદદાતા સંમેલનમાં ગયારામનો પરિચય કરાવતા રાવ બીરેન્દ્રસિંહને પહેલીવખત કહ્યું, 'ગયારામ હવે આયારામ છે'
જેના પછી કેન્દ્રીય મંત્રી યશવંતરાવ ચવ્હાણે હરિયાણાના રાજ્યપાલના રિપોર્ટ પર હરિયાણામાં સંબોધન કર્યું. 21 નવેમ્બરે જ્યારે તેમણે પોતાનું ભાષણ આપ્યું, ત્યાં સુધી ગયાલાલે ફરીથી પક્ષ બદલી નાખ્યો હતો અને ચવ્હાણે કહ્યું હતું, "હવે તે પણ લાલ થઈ ગયા છે"
યશવંતરાવ ચવ્હાણના આ વાક્યાંશ પછી, આયા રામ, ગયા રામ શબ્દનો પ્રયોગ પક્ષપરિવર્તન કરતા લોકો માટે કરવામાં આવ્યો.
આ વચ્ચે ગયાલાલનો પક્ષપલટાનો કાર્યક્રમ ચાલુ રહ્યો. સંયુક્ત મોરચા પછી ગયાલાલ આર્યસભામાં ગયા. બે વર્ષ પછી તેમણે ચરણસિંહના નેતૃત્વવાળા લોકદળમાં જગ્યા મળી. પછી તેમણે 1977માં જનતા દળની ટિકિટ પર ચૂંટણી લડી અને જીત મેળવી.
ગયાલાલે છેલ્લી વખત 1982માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને તેઓ ચૂંટણી હારી ગયા હતા.
એટલે રાજકારણમાં આ ગણિતોનો જવાબ એટલો સીધો નથી કે જેટલું લાગે છે. એટલા માટે 'બેમાં બે ઉમેરીએ તો' સવાલનો જવાબ ક્યારેક ત્રણ તો ક્યારેક પાંચ સંભવ રહેશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













