500 અને 2000 રૂપિયાની નકલીને નોટ કેવી રીતે ઓળખવી?

    • લેેખક, ઋજુતા લુકતુકે
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

ઘણી વાર અજાણતા આપણે પણ આ નકલી નોટોની હેરફેર કરી લઈએ છીએ, કેમકે આપણે નકલી નોટને કેવી રીતે ઓળખવી તે જાણતા નથી.

રિઝર્વ બૅન્કની અધિકૃત વેબસાઇટ પર નકલી નોટને કેવી રીતે ઓળખવી તેની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી છે.

જો તમે 'ફાઇનાન્સિયલ અવેરનેસ' શીર્ષક હેઠળ વેબસાઇટ પર જાઓ છો, તો 'તમારી નોટ્સ ઓળખો' શીર્ષક હેઠળ, 10 રૂપિયાથી લઈને 2000 રૂપિયાની અસલી નોટોની ઓળખના માપદંડ આપવામાં આવ્યા છે.

10, 20 અને 50 રૂપિયા માટે 14 સુરક્ષા માપદંડ છે. 100 રૂપિયાની નોટ માટે 15 માપદંડ છે. જ્યારે રૂ. 200, રૂ. 500 અને રૂ. 2000ની નોટ માટે ઉપરોક્ત પંદર માપદંડો ઉપરાંત વધારાના બે માપદંડો છે.

નકલી નોટ એટલે શું?

નકલી નોટો માટે શાસ્ત્રીય, કાનૂની શબ્દ છે - ફેક ઇન્ડિયન કરન્સી નોટ FICN છે. અને FICNનો અર્થ છે 'સરકારની કાનૂની મંજૂરી વિના બનાવવામાં આવેલી ચલણી નોટો.'

ભારતમાં એકમાત્ર રિઝર્વ બૅન્ક જ નોટ છાપવા માટેનું લાઇસન્સ ધરાવે છે.

સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (સીઆઈડી)ના જણાવ્યા અનુસાર નકલી નોટોનું રૅકેટ બે રીતે ચલાવવામાં આવે છે. એક છે દેશી ગૅંગ દ્વારા છાપવામાં આવતી નકલી નોટો. અને અન્ય એક મહત્ત્વનું રૅકેટ વિદેશના ઉગ્રવાદી જૂથો દ્વારા ચલાવવામાં આવે છે.

દેશી ગૅંગ દ્વારા છાપવામાં આવતી નોટોના રૅકેટને પકડવું તપાસ એજન્સીઓ માટે પ્રમાણમાં સરળ હોય છે. આ નોટો બૅન્કોમાં પણ સરળતાથી ઓળખાઈ જાય છે.

આંતરરાષ્ટ્રીય ગૅંગનો હેતુ દેશના અર્થતંત્રને નબળું પાડવાનો અને આર્થિક ઉગ્રવાદને પ્રોત્સાહન આપવાનો છે.

ભારતમાં આવી નકલી નોટો પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં આવે છે. આવી ગૅંગ દ્વારા બનાવવામાં આવતી નકલી નોટોને ઓળખવી મુશ્કેલ છે.

એટલા માટે આપણે નાગરિકો તરીકે મોટા મૂલ્યની નોટોની લેતીદેતી કરતી વખતે ખાસ તકેદારી લેવી જરૂરી છે.

500 અને 2000 રૂપિયાની નકલી નોટ કેવી રીતે ઓળખવી?

હાલમાં ભારતમાં 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટો ચલણમાં છે. તેમાંથી આરબીઆઈએ થોડાં વર્ષો પહેલાં રૂપિયા 2,000ની નવી નોટો છાપવાનું બંધ કરી દીધું હતું.

રિઝર્વ બૅન્કે દસ રૂપિયાની નોટ બંધ કરીને સિક્કા લાવવાની પણ વાત કરી છે.

હાલમાં ચલણમાં રહેલી તમામ નોટો અગાઉની મહાત્મા ગાંધી શ્રેણીની છે. મતલબ કે આ નોટો પર અશોક ચક્ર સાથે મહાત્મા ગાંધીનો ફોટો છે. તમામ નોટોનાં સુરક્ષાચિહ્નો રિઝર્વ બૅન્ક દ્વારા તેની વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે.

તેમાંથી આપણે 500 અને 2000 રૂપિયાના 17 માપદંડ વિશે જાણીશું.

  • નવી 500 રૂપિયાની નોટોની જાહેરાત કરતા RBIએ કહ્યું, "નવી 500 રૂપિયાની નોટ મહાત્મા ગાંધી સિરીઝની નોટ છે અને તેની સાઇઝ 66 બાય 150 મિલીમીટર છે અને રંગ સ્ટોન ગ્રે છે. આ નોટની પાછળ લાલ કિલ્લો દર્શાવેલો છે."
  • 2,000 રૂપિયાની નોટ વિશે માહિતી આપતા RBIએ કહ્યું, "રૂપિયા 2,000ની નવી ચલણી નોટ એ મહાત્મા ગાંધી સિરીઝની છે જેના પર રિઝર્વ બૅન્કના ગવર્નરની સહી છે અને તેની સાઇઝ 66 બાય 166 મિલીમીટર છે."

ઘણી વાર આટલી માહિતી જ નકલી નોટોને ઓળખવા માટે પૂરતી થઈ પડે છે. આ ઉપરાંત ચાલો 17 અન્ય સલામતી માપદંડો જોઈએ.

  • નોટની આગળની બાજુએ એક એવો નાનકડો ભાગ છે જ્યાંથી પ્રકાશ પસાર થઈ શકે છે. આ પારદર્શક ભાગમાં નોટ અનુસાર 500 અને 2000 આંકડામાં વાંચી શકાય છે. તમે નોટને પ્રકાશમાં રાખીને આ લક્ષણ ચકાસી શકો છો.
  • નોટને આંખોની સામે 45 ડિગ્રીના ખૂણે રાખતા તેના પર નોટની કિંમત જોઈ શકો છો. આ ફીચર નોટના આગળના ભાગમાં છે.
  • નોટના આગળના ભાગમાં તેની કિંમત દેવનાગરી ભાષામાં લખેલી છે.
  • નવી શ્રેણીમાં મહાત્મા ગાંધીની છબીનું સ્થાન અને આકાર બદલાઈ ગયા છે. પરંતુ તે બધી નોટોમાં સરખી સાઇઝના છે.
  • ભારતીય નોટોમાં ચાંદીનો દોરો હોય છે જે દર્શાવે છે કે તે અસલી છે. જો નોટ વળેલી હોય તો તેનો લીલો રંગ બદલાઈને વાદળી થઈ જાય છે.
  • નોટોની નવી શ્રેણીમાં ગવર્નરનો સંદેશ, તેમના હસ્તાક્ષર અને રિઝર્વ બૅન્કનું ચિહ્ન જમણી તરફ ખસેડવામાં આવ્યું છે.
  • નોટના આગળના ભાગમાં ERVના સ્થાને મહાત્મા ગાંધીના પોટ્રેટનો વોટરમાર્ક છે અને ત્યાં ઇલેક્ટ્રોટાઇપ વોટરમાર્ક પણ છે.
  • નોટની નીચે જમણી બાજુએ નોટનો ચોક્કસ નંબર છપાયેલો હોય છે અને તેમાં સંખ્યાઓની સાઇઝ મોટી છે.
  • નોટની નીચે જમણી બાજુએ નોટની કિંમત લખેલી છે. તેનો રંગ પરિવર્તનશીલ છે. નોટ ફેરવતા તે લીલા અને વાદળી બે અલગ-અલગ રંગોમાં દેખાય છે.
  • નોટની નીચે જમણી બાજુએ અશોક ચક્ર છે.
  • અશોક સ્તંભની સાથે મધ્યમાં અંધ લોકો નોટને ઓળખી શકે તે માટેની નિશાની આપેલી છે.
  • અંધ લોકોને મદદ માટે નોટની જમણી અને ડાબી બાજુએ પાંચ નાની રેખાઓ છે.
  • હવે નોટની પાછળની બાજુએ, ડાબી બાજુએ, નોટની પ્રિન્ટિંગ આપવામાં આવ્યું છે.
  • નીચે ડાબી બાજુએ સ્વચ્છ ભારત અભિયાનનો લોગો અને સંદેશ છે.
  • વિવિધ ભારતીય ભાષાઓમાં નોટની લેખિત કિંમત પાછળની બાજુએ કેન્દ્રમાં આપવામાં આવી છે.
  • દરેક નોટની પાછળ ભારતના ઈતિહાસ સાથે જોડાયેલી અલગ તસવીર છે. ઉપર જણાવ્યા મુજબ પાંચસોની નોટ પર લાલ કિલ્લો અને બે હજારની નોટ પર મંગળનું ચિત્ર છે.
  • નોટની કિંમત પાછળના જમણા ખૂણામાં દેવનાગરી ભાષામાં લખેલી છે.

આમાંથી 14 માપદંડ તમામ પ્રકારની નોટો માટે સમાન છે. અન્ય 3 માપદંડો 200 અને તેથી વધુ મૂલ્યની નોટો માટે વધારાના સુરક્ષા માપદંડ તરીકે લાગુ કરવામાં આવ્યા છે.

નકલી નોટો અંગે કાયદો શું કહે છે?

ભારતમાં નકલી નોટો રાખવી અને તેનું વિતરણ કરવું એ ગુનો છે. અલબત્ત, જો અજાણતામાં આવી નોટ લઈ લીધી હોય તો કાયદામાં માફી આપવામાં આવી છે.

આવી વ્યક્તિઓ અને ગેંગ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 489A, 489C, D અને E હેઠળ કાર્યવાહી થઈ શકે છે. અને દંડ અથવા ઓછામાં ઓછી દસ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની કેદની સજા હોઈ શકે છે.

તો ઉગ્રવાદી સંગઠનો દ્વારા નકલી નોટોને ફેલાવવાના ખતરાને જોતા કેન્દ્ર સરકાર જો નકલી નોટોનું મોટું રૅકેટ આચરવામાં આવી રહ્યું હોય તો તેને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ લાવવાનો પ્રયાસ કરી રહી છે. જો તે માટે તેમને સંસદની મંજૂરીની જરૂર પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો