You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં કોરોનાને લીધે 47 લાખ લોકોનાં મોત- WHO, ભારત સરકારે શું કહ્યું?
- લેેખક, નાઓમી ગ્રિમલી, જેક કોર્નિશ અને નાસોસ સ્ટાઈલિયાનો
- પદ, બીબીસી સંવાદદાતા
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ કહ્યું છે કે ભારતમાં કોરોનાને કારણે 47 લાખ લોકોનાં મોત થયાં છે. આ સંખ્યા સત્તાવાર આંકડા કરતાં લગભગ 10 ગણી વધારે છે.
જોકે, ભારત સરકારે તેમના દાવા પર સવાલ ઉઠાવ્યા છે.
ડબ્લ્યુએચઓનું અનુમાન છે કે કોરોના રોગચાળાને કારણે વિશ્વમાં અત્યાર સુધીમાં લગભગ 1.5 કરોડ લોકો મૃત્યુ પામ્યાં છે. આ આંકડો બે વર્ષમાં કોવિડને કારણે થયેલાં મૃત્યુ કરતાં 13 ટકા વધુ છે.
ડબ્લ્યુએચઓનું માનવું છે કે ઘણા દેશોએ કોવિડ મૃત્યુઆંકને ઓછો આંક્યો છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, સત્તાવાર રીતે માત્ર 54 લાખ મૃત્યુ જાહેર કરવામાં આવ્યાં છે.
ભારત સરકારે પ્રશ્નો ઉઠાવ્યા
ડબ્લ્યુએચઓ દ્વારા ભારતમાં નોંધાયેલાં મૃત્યુની સંખ્યા વિશ્વભરમાં મૃત્યુની સંખ્યાના ત્રીજા ભાગની છે.
પરંતુ ભારત સરકારે ડબ્લ્યુએચઓના મૂલ્યાંકનની પદ્ધતિઓ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ઉપયોગમાં લેવાતા મોડલની માન્યતા પર પણ સવાલ ઉઠાવ્યા છે.
ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે, "આ પ્રક્રિયા, કાર્યપદ્ધતિ અને પરિણામો સામે ભારતનો વાંધો હોવા છતાં ડબ્લ્યુએચઓએ વધારાના મૃત્યુદરનો અંદાજ બહાર પાડ્યો છે."
આ બાબતે અન્ય અભ્યાસોમાં પણ ભારત વિશે આ જ પ્રકારનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના સત્તાવાર આંકડા અનુસાર, દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલાં લોકોની સંખ્યા 5,23,975 છે. ભારતમાં હાલમાં દરરોજ લગભગ ત્રણ હજાર સંક્રમણના કેસ નોંધાઈ રહ્યા છે.
ભારતમાં મોટા ભાગનાં મૃત્યુ બીજી લહેર દરમિયાન થયાં હતાં. ડેલ્ટા વૅરિયન્ટને કારણે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યાં હતાં.
ડબ્લ્યુએચઓએ આ મૂલ્યાંકન માટે 'વધારાની મૃત્યુ' પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. આનો અર્થ એ છે કે મહામારી પહેલા જે તે વિસ્તારનો મૃત્યુદર કેટલો હતો. એટલે કે તે વિસ્તારમાં સામાન્ય રીતે કેટલા લોકો મૃત્યુ પામે છે અને મહામારી પછી તે વિસ્તારમાં કેટલા લોકો મૃત્યુ પામ્યાં હતાં.
આ આંકડાઓમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેઓ સીધા કોવિડને કારણે મૃત્યુ પામ્યાં નથી, પરંતુ કોવિડની અસરને કારણે જેમને સારવાર માટે હૉસ્પિટલ મળી ન હતી અને મૃત્યુ પામ્યાં હતાં. તેમાં કેટલાક વિસ્તારોમાં નબળા રેકોર્ડ રાખવા અને મહામારીની શરૂઆતમાં ઓછાં પરીક્ષણને પણ જવાબદાર ગણાવ્યું છે.
ડબલ્યુએચઓ કહે છે કે 54 લાખ મૃત્યુ નોંધાયાં છે, તે સિવાય મૃત્યુ પામેલા 95 લાખ લોકોમાંથી મોટા ભાગના લોકોનાં મૃત્યુનું કારણ કોવિડ માનવામાં આવે છે.
ડબ્લ્યુએચઓના ડેટા વિભાગના ડૉ. સમીરા અસ્માએ આંકડાઓના માપદંડ વિશે જણાવતા કહ્યું, "તે એક કરુણાંતિકા છે."
તેમણે કહ્યું, "આ આંકડાઓ આશ્ચર્યજનક છે અને અમારા માટે આવશ્યક છે કે એ લોકોનું સન્માન કરવું જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આપણે આ માટે નીતિ નિર્માતાઓને જવાબદાર ઠેરવવા પડશે."
"જો આપણે મૃત્યુઆંકની ગણતરી નહીં કરીએ, તો આપણે આગામી સમય માટે વધુ સારી રીતે તૈયાર રહેવાની તક ગુમાવીશું."
ડબલ્યુએચઓના આંકડા દર્શાવે છે કે વધુ મોતના મામલામાં ભારતની સાથે રશિયા, ઈન્ડોનેશિયા, અમેરિકા, બ્રાઝિલ, મેક્સિકો અને પેરુ જેવા દેશો સામેલ છે. રશિયા માટે આ સંખ્યા દેશમાં નોંધાયેલા મૃત્યુની સંખ્યા કરતાં સાડા ત્રણ ગણી છે.
આ રિપોર્ટમાં દરેક દેશમાં તેની વસ્તીના કદના સંદર્ભમાં ઊંચા મૃત્યુદરને પણ જોવામાં આવ્યો છે. વર્ષ 2020 અને 2021 દરમિયાન બ્રિટનનો 'વધારે મૃત્યુ' દર યુએસ, સ્પેન અને જર્મનીની જેમ વૈશ્વિક સરેરાશ કરતાં વધારે રહ્યો હતો.
ચીન એવા દેશમાં આવે છે જ્યાં મૃત્યુદર ઓછો છે. ચીન હજુ પણ 'ઝીરો કોવિડ'ની નીતિને અનુસરી રહ્યો છે. જેમાં મોટા પાયે ટેસ્ટિંગ અને ક્વૉરેન્ટીન સામેલ છે. ઑસ્ટ્રેલિયા, જાપાન અને નોર્વેએ કોવિડ વાઇરસથી બચવા માટે મુસાફરી પર કડક પ્રતિબંધો લગાવ્યા.
અહેવાલ તૈયાર કરવામાં મદદ કરનાર શિક્ષણવિદોએ સ્વીકાર્યું કે સબ-સહારન આફ્રિકાના દેશો માટેના તેમના આંકડા અંદાજ પર આધારિત છે, કારણ કે આ વિસ્તારમાં મૃત્યુના આંકડા બહુ ઓછા છે. આફ્રિકાના 54 દેશમાંથી 41 દેશમાં વિશ્વસનીય આંકડા નથી.
સંકલન કરવામાં મદદ કરનાર વિદ્વાનો સ્વીકારે છે કે ઉપ-સહારન આફ્રિકાના દેશો માટેના તેમના અંદાજો વધુ અનુમાનિત છે, કારણ કે આ પ્રદેશમાં મૃત્યુ અંગે બહુ ઓછો ડેટા છે.
સિએટલની યુનિવર્સિટી ઓફ વૉશિંગ્ટનના આંકડાશાસ્ત્રી પ્રોફેસર જોન વેકફિલ્ડે ડબલ્યુએચઓને મદદ કરી અને બીબીસીને જણાવ્યું. "આપણે તાકીદે વધુ સારી ડેટા કલેક્શન સિસ્ટમની જરૂર છે."
"તે શરમજનક બાબત ગણાય કે લોકો જન્મે છે અને મરી જાય છે અને આપણી પાસે તેમના મૃત્યુનો કોઈ રેકર્ડ નથી. એટલે આપણે ખરેખર દેશોની નોંધણી પ્રણાલીમાં ધ્યાન આપવાની જરૂર છે, જેથી કરીને આપણે ચોક્કસ અને સમયસર ડેટા મેળવી શકીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો