You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત બંધ : મોદી સરકાર સામે કરોડો કામદારો હડતાળ પર કેમ ઊતર્યા?
22 માર્ચે ઑલ ઇન્ડિયા બૅન્ક ઍમ્પ્લોઈઝ ઍસોસિયેશન સમર્થિત ટ્રૅડ યુનિયનોની મળેલી એક બેઠક બાદ બે દિવસ માટે ભારત બંધના એલાનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, કામદારો, ખેડૂતો અને સામાન્ય રીતે લોકોને અસર કરતી કેન્દ્ર સરકારની નીતિઓ સામે 28 અને 29 માર્ચના રોજ દેશવ્યાપી હડતાળનું આહ્વાન કરાયું છે.
બૅન્ક યુનિયનો જાહેર ક્ષેત્રની બૅન્કોનું ખાનગીકરણ કરવાની સરકારની યોજના તેમજ બૅન્કિંગ કાયદા સુધારા બિલ 2021 સામે વિરોધ કરવા આ હડતાળમાં ભાગ લઈ રહ્યા છે.
ટ્રૅડ યુનિયનના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રોડવેઝ, ટ્રાન્સપૉર્ટ કામદારો અને વીજળી કામદારોએ પણ હડતાળમાં જોડાવાનો નિર્ણય લીધો છે.
રેલવે અને સંરક્ષણ ઉપરાંત કોલસો, સ્ટીલ, તેલ, ટેલિકૉમ, ટપાલ, આવકવેરો અને વીમા જેવાં અન્ય વિવિધ ક્ષેત્રોના કામદારો હડતાળમાં ભાગ લે તેવી અપેક્ષા છે.
દેશની સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઈ)એ કહ્યું છે કે હડતાળને કારણે બૅન્કિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. એટીએમ સહિતની સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. ખાનગી ક્ષેત્રની બૅન્કોએ પણ હડતાળ દરમિયાન સેવાઓ પ્રભાવિત થઈ શકે છે તેવી જાહેરાત કરી છે.
હિંદુસ્તાન ટાઇસના અહેવાલ અનુસાર, ઑલ ઇન્ડિયા બૅન્ક ઍપ્લોઇઝ ઍસોસિયેશન (એઆઈબીઈએ), બૅન્ક ઍમ્પ્લોઇઝ ફેડરેશન ઑફ ઇન્ડિયા (બીઈએફઆઈ) અને ઑલ ઇન્ડિયા બૅન્ક ઑફિસર્સ ઍસોસિયેશન (એઆઈબીઓએ) દ્વારા જાહેર ક્ષેત્રની બૅન્કો, ખાનગી ક્ષેત્રની બૅન્કો, વિદેશી બૅન્કો, કો-ઑપરેટિવ બન્કો અને પ્રાદેશિક ગ્રામીણ બૅન્કોને હડતાળ અંગે નોટિસ પાઠવવામાં આવી છે.
અત્યાર સુધી શું-શું થયું?
રાષ્ટ્રવ્યાપી ભારત બંધના એલાનમાં વિવિધ રાજ્યોમાં જુદાજુદા પ્રતિસાદ મળી રહ્યાં છે. કેટલાક રાજ્યોમાં લોકો રસ્તા અને રેલવે રોકી રહ્યાં છે. તો કેટલાક સ્થળોએ વિવિધ કામદારો સંગઠનો સિવાય વિરોધમાં એક વ્યક્તિ પણ જોવા મળી રહ્યા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
28 અને 29 માર્ચ દરમિયાન જારી કરવામાં આવેલા આ બંધ દરમિયાન સરકારી કર્મચારીઓને ફરજ પર હાજર રહેવા પશ્ચિમ બંગાળ સરકારે આદેશ કર્યો છે અને ગેરહાજર રહેનારા કર્મચારીઓને કારણદર્શક નોટિસ પાઠવવાની જાહેરાત કરી છે.
પશ્ચિમ બંગાળના હાવડામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. મોટાભાગના રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. જોકે, રસ્તા પર કેટલીક ટૅક્સીઓ ફરતી જોવા મળી હતી. પોલીસે રસ્તા રોકવા બદલ ચાર લોકોની અટકાયત કરી હતી.
રાજ્યસભામાં સીપીઆઈ (એમ)ના સાંસદ બિકાશરંજન ભટ્ટાચાર્યએ ભારત બંધને લઈને બે દિવસ માટે ગૃહની કામગીરી સ્થગિત કરવા માટે નોટિસ આપી હતી.
આંધ્ર પ્રદેશના વિજયવાડા જિલ્લામાં વિવિધ કામદાર સંગઠનો દ્વારા ભારત બંધના પગલે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.
સંસદ બહાર ડીએમકેનાં અને કેટલાક ડાબેરી સાંસદોએ ભારત બંધને સમર્થન આપ્યું હતું.કુલ નવ સાંસદો હાથમાં પ્લેકાર્ડ સાથે સંસદગૃહ પાસે આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે વિરોધ કર્યો હતો.
શું માગણીઓ છે?
બિઝનેસ સ્ટાન્ડર્ડ અનુસાર, લેબર કોડને પડતો મૂકવો, કોઈ પણ સ્વરૂપના ખાનગીકરણ પર રોક, નેશનલ મૉમેટાઇઝેશન પાઇપલાઇન (એનએમપી)ને પડતું મૂકવું, મનરેગા હેઠળ વેતનની ફાળવણીમાં વધારો કરવો અને કામદારોને પણ નિયમિત કરવા સહિતની અન્ય માગણીઓને લઈને વિવિધ સંગઠનો હડતાળમાં જોડાયા છે.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે, બૅન્ક યુનિયનો સરકારની બૅન્કોના ખાનગીકરણની યોજના, જૂની પેન્શન યોજના તેમજ બૅન્ક કાનૂન સુધારા વિધેયકના વિરોધમાં હડતાળમાં જોડાયાં છે.
રેલવે અને સંરક્ષણ ક્ષેત્રનાં સંગઠનોની દેશભરમાં સેંકડો સ્થળે પ્રદર્શનો કરવાની યોજના છે.
કયાં સંગઠનો હડતાળમાં જોડાયા?
કેન્દ્રીય ટ્રૅડ યુનિયનો કે જેઓ હડતાળ માટે બોલાવતા સંયુક્ત ફોરમનો ભાગ છે તેમાં ઇન્ડિયન નેશનલ ટ્રૅડ યુનિયન કૉંગ્રેસ, ઑલ ઈન્ડિયા યુનાઈટેડ ટ્રૅડ યુનિયન સેન્ટર, ટ્રૅડ યુનિયન કો-ઓર્ડિનેશન સેન્ટર, ઑલ ઈન્ડિયા ટ્રૅડ યુનિયન કૉંગ્રેસ, હિંદ મજદૂર સભા, સેન્ટર ઑફ ઇન્ડિયન ટ્રૅડ યુનિયન, સેલ્ફ ઍમ્પ્લોઇડ વુમન્સ ઍસોસિયેશન, ઑલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ટ્રૅડ યુનિયન્સ, લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન અને યુનાઇટૅડ ટ્રૅડ યુનિયન કૉગ્રેસ છે.
બીજી તરફ, કેરળ હાઈકોર્ટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) અને કોચીમાં પાંચ ટ્રૅડ યુનિયનોને દેશવ્યાપી હડતાળમાં ભાગ લેવા પર રોક લગાવી હતી.
હરિયાણા અને ચંદીગઢમાં વીજળી વિભાગ, રોડવેઝ અને ટ્રાન્સપૉર્ટ સેક્ટરમાં કામ કરતા લોકો આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ (ઈએસએમએ)ના તોળાઈ રહેલા ખતરા છતાં હડતાળમાં જોડાશે.
ફાયનાન્સિયલ એક્સપ્રેસ અનુસાર, કોલસા, સ્ટીલ, તેલ, ટેલિકૉમ, પોસ્ટલ, આવકવેરા જેવા અન્ય ક્ષેત્રોમાં કામ કરતા લોકો પણ આંશિક અથવા સંપૂર્ણ રીતે હડતાળમાં જોડાય તેવી શક્યતા છે.
ટ્રૅડ યુનિયનોના જણાવ્યા મુજબ, રેલ્વે અને સંરક્ષણ ક્ષેત્રના તેમના સંગઠનો સેંકડો સ્થળોએ હડતાળના સમર્થનમાં કામદારો સાથે રેલી કાઢશે.
ડીએનએના અહેવાલ અનુસાર, સ્ટૅટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ઇન્ડિયન બૅક્સ ઍસોસિયેશન (આઈબીએ)ને ટાંકીને કહ્યું કે બૅન્ક યુનિયન દ્વારા જાહેર ક્ષેત્રની બૅન્કોના ખાનગીકરણ અને બૅન્ક લો ઍમેન્ડમૅન્ટ બિલ-2021ના વિરોધમાં 28 અને 29 માર્ચે બે દિવસીય હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે.
ઑલ ઇન્ડિયા બૅન્ક ઍમ્પ્લોઇઝ ઍસોસિયેશન (એઆઈબીઈએ), બૅન્ક ઍમ્પ્લોઇઝ ફેડરેશન ઑફ ઈન્ડિયા (બીઈએફઆઈ) અને ઑલ ઇન્ડિયા બૅન્ક ઑફિસર્સ ઍસોસિયેશન (એઆઈબીઓએ)એ દેશવ્યાપી હડતાળ પર જવાના નિર્ણય અંગે નોટિસ આપી છે.
ભાજપ અને ટીએમસીનાં સંગઠનો અળગાં
ફાયનાન્સિલ એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ભાજપ અને ટીએમસી સાથે જોડાયેલાં સંગઠનો ભારત બંધના આહ્વાનથી અળગાં રહ્યાં છે, જ્યારે કૉંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે જોડાયેલાં સંગઠનો હડતાલામં જોડાયાં છે.
રાષ્ટ્રવ્યાપી હડતાળની પશ્ચિમ બંગાળમાં મર્યાદિત અસર પડશે, કારણ કે સરકારે જારી કરેલા આદેશમાં કહ્યું હતું કે "વિવિધ ટ્રૅડ યુનિયનો દ્વારા 28 અને 29 માર્ચે 48 કલાકની દેશવ્યાપી હડતાલ માટે આપવામાં આવેલા આહ્વાનને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારની તમામ કચેરીઓ ખુલ્લી રહેશે અને કર્મચારીઓ તે દિવસોમાં ફરજ માટે જાણ કરશે. રજાઓને કપાત પગારની ગણવામાં આવશે."
પશ્ચિમ બંગાળ સરકારની નોટિસ અનુસાર, દરેક કર્મચારીએ 28 અને 29 માર્ચના રોજ ફરજ પર હાજર રહેવું અને ફરજ પર ગેરહાજર રહેનારા કર્મચારીઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવશે.
પશ્ચિમ બંગાળ સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે આ દિવસોમાં બીમારી કે પરિવારમાં મૃત્યુ સિવાયની કેઝ્યુઅલ રજાને મંજૂર કરવામાં નહીં આવે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો