અમદાવાદના 2008 બ્લાસ્ટ કેસમાં દોષિતને ફાંસીની સજાની માગ, 11 ફેબ્રુઆરીએ ફરી સુનાવણી

વર્ષ 2008માં અમદાવાદમાં થયેલ શ્રેણીબદ્ધ બૉમ્બધડાકાના કેસ અંગે વિશેષ અદાલતમાં વર્ષોની સુનાવણી બાદ મંગળવારે ચુકાદો આપવામાં આવ્યો હતો.

મંગળવારે 77માંથી 49ને દોષિત 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા. શુક્રવાર તા. 11મી ફેબ્રુઆરીના આ કેસમાં ફરી સુનાવણી કરશે.

સરકારી વકીલ દ્વારા દોષિતોને ફાંસીની સજા આપવાની માગ કરી રહ્યા છે.

બુધવારે અદાલત દ્વારા દેશની અલગ-અલગ જેલોમાં બંધ દોષિતોના આરોગ્ય વિશેની માહિતી સુપ્રત કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય દોષિતોની શૈક્ષણિક તથા આરોગ્યસંબંધિત વિગતો માગવામાં આવી છે.

બચાવપક્ષ દ્વારા ત્રણ અઠવાડિયાની મુદ્દત માગવામાં આવી હતી.

નોંધનીય છ કે 26 જુલાઈ, 2008ના રોજ 70 મિનિટમાં સમગ્ર અમદાવાદમાં અલગ અલગ સ્થળોએ 21 બૉમ્બધડાકા થયા હતા. જેમાં 56 લોકો મૃત્યુ પામ્યા હતા. તેમજ 200 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા.

આ બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાહિદ્દીન અને હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી નામનાં ઉગ્રવાદી સંગઠનોએ સ્વીકારી હતી.

આ કેસના કેટલાક આરોપીઓને સુનાવણી દરમિયાન અમદાવાદની સલામત મનાતી સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા, જ્યાંથી તેમણે સુરંગ ખોદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાવતરાનો સમયસર પર્દાફાશ થઈ ગયો હતો.

77માંથી 28 આરોપીઓ નિર્દોષ જાહેર કરાયા

સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ વિશેષ અદાલત દ્વારા મંગળવારે વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટના કેસમાં ચુકાદો આપતાં 2008 સીરિયલ બ્લાસ્ટ કેસમાં 77માંથી 28 આરોપીઓ નિર્દોષ જાહેર કરાયા છે.

સરકારી વકીલ અમિત પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે આ અંગે બુધવારે સજાનો ચુકાદો આપવામાં આવશે. સુનાવણી વર્ચ્યુઅલ રીતે હાથ ધરવામાં આવી હતી.

ઇમરાન શેખ, ઇકબાલ શેખ, સમસુદ્દીન શેખ, ગ્યાસુદ્દીન અંસારી, મોહમ્મદ આરીફ, મોહમ્મદ ઉસ્માન, યૂનુસ મંસૂરી, સફદરહુસૈન નાગોરી, હાફીઝ હુસૈન મુલ્લા, મોહમ્મદ સાજિદ, મુફ્તી અબુ બશર, અબ્બાસ સમેજા, જાવેદ શેખ, અતિકુર રહેમાન, મહેંદી હસન, ઉંમર કબીરા, સલીમ સિપાહી, અફઝલ ઉસ્માની, મોહમ્મદ સાદિક, મોહમ્મદ આરિફ, મોહમ્મદ આરિફ, કયામુદ્દીન કાપડિયા, મોહમ્મદ શેખ, જિશાન અહેમદ, ઝિયા ઉલ રહેમાન, મોહમ્મદ શકીલ, મોહમ્મદ અકબર, મોહમ્મદ નૌશાદ, સૈફુર રહેમાન, મોહમ્મદ અંસાર, મોહમ્મદ શકીલ, આમીન ઉર્ફે રાજા, મોહમ્મદ અબરાર સહિતના 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.

આ કેસના જજ એઆર પટેલ તા. 30મી જાન્યુઆરીના કોરોના પૉઝિટિવ આવ્યા હતા અને હૉમ આઇસૉલેશનમાં હોવાથી પહેલી ફેબ્રુઆરીએ તેનો ચુકાદો આવી શક્યો નહોતો થઈ શક્યો.

આ બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાહિદ્દીન અને હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી નામનાં ઉગ્રવાદી સંગઠનોએ સ્વીકારી હતી.

તા. 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં 70 મિનિટના ગાળામાં એક પછી એક 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 200થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.

ગુજરાતમાં વિસ્ફોટો

અમદાવાદ બ્લાસ્ટ કેસને લઈને મોટાપાયે એવું માનવમાં આવતું હતું કે ગુજરાતના 2002ના કોમી રમખાણોને પગલે આ બ્લાસ્ટની કાવતરું રચવામાં આવ્યું હતું. સિમીના સભ્યોને લાગતું હતું કે વર્ષ 2002ના ગોધરાકાંડને પગલે ગુજરાતભરમાં ફાટી નીકળેલાં હુલ્લડોમાં લઘુમતી સમુદાયે ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આથી, વેર લેવાના હેતુથી તેમણે અલગ સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનની સ્થાપના કરી હતી.

તા. 25મી જુલાઈ 2008ના દિવસે દેશના 'આઈટી સિટી' બેંગલુરુમાં એક પછી એક આઠ બૉમ્બવિસ્ફોટ થયા હતા, જેના બીજા દિવસે ગુજરાતની 'આર્થિક રાજધાની' અમદાવાદના રહેણાક, વ્યાવસાયિક વિસ્તારો, જાહેર પરિવહન વ્યવસ્થા અને હૉસ્પિટલોમાં 70 મિનિટના ગાળામાં એક પછી એક 21 વિસ્ફૉટ થયા હતા.

આ વિસ્ફોટ મણિનગર, હાટકેશ્વર સર્કલ, એલજી હૉસ્પિટલ અને સિવિલ હૉસ્પિટલના ટ્રૉમા સેન્ટર સહિતના વિસ્તારોમાં થયા હતા. અનેક વિસ્ફોટસ્થળ મણિનગર બેઠક હેઠળ આવતા વિસ્તારોમાં થયા હતા. વિધાનસભામાં નરેન્દ્ર મોદી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા.

કાવતરાંખોરો દ્વારા વિસ્ફોટનો સમય એવી રીતે ગોઠવવામાં આવ્યો હતો કે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં થયેલા વિસ્ફોટોના પીડિતોને જ્યારે નજીકની હૉસ્પિટલોમાં લાવવામાં આવે, ત્યારે વિસ્ફોટ ફાટી નીકળે. જેથી કરીને બચાવ કામગીરી કરનારાઓ તથા સેવાભાવીઓમાં ફફડાટ ફેલાઈ જાય અને મોટા પ્રમાણમાં ખુવારી થાય.

એ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા તથા વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હતા.

'કામ હો ગયા હૈ'નો એ કોલ

બીબીસી પ્રતિનિધિ ભાર્ગવ પરીખે બ્લાસ્ટ તથા તેના તપાસ વિશે વાત કરતા જણાવ્યું હતું, "અમદાવાદ બ્લાસ્ટના બીજા દિવસે ખોખરા તથા બાપુનગર ખાતે બે-બે બૉમ્બ મળી આવ્યા હતા. ખોખરામાં મળેલા બૉમ્બને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે બાપુનગરમાંથી મળેલા બૉમ્બને કારણે પોલીસને તપાસની મહત્ત્વપૂર્ણ કડી મળી હતી."

તેમના જમાવ્યા અનુસાર, અમદાવાદ બાદ સુરતમાં પણ બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. બીજા દિવસે સુરતના હીરાબજાર અને રહેણાક વિસ્તારોમાંથી કારમાંથી બૉમ્બ મળી આવ્યા હતા.

જોકે બાપુનગરમાંથી જે બૉમ્બ મળી આવ્યો, તે વડોદરામાંથી પ્રકાશિત થતા અખબારમાં વિંટળાયેલો હતો, જેના કારણે તપાસના તાર વડોદરામાં પણ જોડાયા હતા. આથી, તપાસનીશ અધિકારીઓને શંકા ગઈ હતી કે બૉમ્બ વડોદરા લાવવા આવ્યા હશે અને ત્યાંથી સુરત તથા અમદાવાદ મોકલવામાં આવ્યા હશે, કારણ કે ભૌગોલિક રીતે વડોદરા અમદાવાદ અને સુરતની વચ્ચે પડે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેના સીસીટીવીની (ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન કૅમેરા) તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે એક વેગન-આર ગાડીએ પાંચ-છ વખત અમદાવાદ અને વડોદરાની વચ્ચે ખેપ કરી હતી, જેને મુંબઈ ખાતેથી ચોરવામાં આવી હતી.

એફએસએલ અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું હતું કે દરેક બૉમ્બ બનાવવા માટે લગભગ 700 ગ્રામ ઍમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કાવતરાખોરો દ્વારા બ્લાસ્ટને અંજામ આપવા માટે ખોટા નામે પાંચ પ્રિ-પેઇડ સીમકાર્ડ ખરીદવામાં આવ્યા હતા તથા તેની મદદથી સંકલનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના એક ડૉક્ટરે એક શખ્સને ફોન ઉપર 'કામ હો ગયા હૈ' કહેતા સાંભળ્યો હતો, જેના આધારે મોબાઇલ કાર્ડ તથા સીમકાર્ડની તાપસ હાથ ધરવામાં આવી હતી.

ટેલિકોમ ઑપરેટરો પાસેથી મળેલા ડેટા તથા મોબાઇલ ટાવરોના ડેટાની વિસ્તૃત છણાવટ કરતા બ્લાસ્ટના વિસ્તારોમાં ઍક્ટિવ હોય, પરંતુ તે પછી બંધ થઈ ગયેલા પાંચ મોબાઇલ નંબર મળી આવ્યા હતા.

બાદમાં એક પછી એક કડીઓ જોડાતી ગઈ હતી અને અમદાવાદ બ્લાસ્ટના તાર ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ તથા બિહાર સુધી જોડાયા હતા અને 19 દિવસમાં કેસ પરથી પડદો ઊંચકાયો હતો.

કેસની વિગતો

અમદાવાદ બાદ ગુજરાત પોલીસને સુરતને ટાર્ગેટ બનાવીને મૂકવામાં આવેલા બૉમ્બ કેટલાંક સ્થળોએથી મળી આવ્યા હતા. શ્રેણીબદ્ધ વિસ્ફોટો તથા તેના પ્રયાસના કાવતરા બદલ અમદાવાદમાં 20 તથા સુરતમાં 15 એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરવામાં આવી હતી.

અદાલત દ્વારા તમામ 35 એફઆઈઆરને મર્જ કરીને ખટલો હાથ ધરવામાં આવ્યો હતો. આરોપીઓ સામે આઈપીસી (ઇન્ડિયન પીનલ કોડ, ભારતીય દંડસંહિતા), વિસ્ફોટક ધારા, યુએપીએ (અનલૉફૂલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ)ની અલગ-અલગ જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

આ કેસમાં કુલ 78 શખ્સોને આરોપી બનાવવામાં આવ્યા હતા, પાછળથી એક શખ્સ તાજનો સાક્ષી બની ગયો હતો. આથી આરોપીઓની સંખ્યા ઘટીને 77 થઈ જવા પામી હતી.

સુનાવણી દરમિયાન અદાલત દ્વારા 1100 કરતાં વધુ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. આ કેસના કેટલાક આરોપીઓ હજુ નાસતા ફરે છે અથવા તો કેટલાક આરોપીઓ મોડેથી ઝડપાયા હતા, જેમની સામે કેસ ચાલવાનો બાકી છે.

અમદાવાદ બ્લાસ્ટના મુખ્ય આરોપી મનાતા અબ્દુલ સુભાન કુરૈશીની વર્ષ 2018ની શરૂઆતમાં નવી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી હતી.

'ટેકી બૉમ્બર તરીકે ઓળખાતા કુરૈશી કેટલીક આઈટી કંપનીઓમાં કામ કરી ચૂક્યા હતા. અને તેઓ આઈએમની નાણાકીય બાબતોની જવાબદારી સ્વીકારી હતી. તેમને અમદાવાદ બ્લાસ્ટ કેસના 'માસ્ટરમાઇન્ડ' માનવામાં આવે છે.

વિસ્ફોટકોની હેરફેર માટે વપરાયેલી કાર ચોરવાના તથા વિસ્ફોટકો ગોઠવવાના આરોપી અફઝલ ઉસ્માની સપ્ટેમ્બર-2013માં પોલીસના જાપ્તામાંથી નાસી છૂટ્યા હતા, પરંતુ એક મહિના બાદ તેમને ફરી ઝડપી લેવામાં આવ્યા હતા.

સાબરમતી જેલ સુરંગકાંડ

આ કેસમાં ઝડપાયેલા આરોપીઓને અમદાવાદની બહુસલામત મનાતી સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા છે. સુનાવણીના પ્રારંભિક તબક્કે વિશેષ અદાલત સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ બેસતી હતી.

આ કેસની સુનાવણી વર્ષ 2009થી શરૂ થઈ હતી. પાછળથી મોટાભાગની સુનાવણી વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી પૂર્ણ કરવામાં આવી હતી.

બ્લાસ્ટકેસના આરોપીઓ દ્વારા કથિત રીતે સાબરમતી જેલમાં 200 ફૂટ કરતાં લાંબી ટનલ ખોદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. એ મુદ્દે અલગથી આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે, જેની સુનાવણી હજુ બાકી છે.

ઇન્ડિયન મુજાહિદ્દીન એટલે...

સ્ટુડન્ટ્સ ઑફ ઇસ્લામિક મુવમેન્ટ ઑફ ઇન્ડિયાના ઉદ્દામવાદીઓએ આ ઉગ્રવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનની સ્થાપના કરી હતી. જેણે ભારતના અનેક શહેરોમાં 'સૉફ્ટ ટાર્ગેટ'ને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટ કર્યા હતા. આમ છતાં તે લૉ-પ્રોફાઇલ રહેવામાં સફળ રહ્યું હતું.

2006માં મુંબઈમાં લોકલ ટ્રેનોમાં થયેલા બૉમ્બબ્લાસ્ટમાં 185 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને તેમાં આઈએમની સંડોવણી બહાર આવી હતી. એ પછી પણ કેટલાક વિસ્ફોટોને અંજામ આપવામાં આવ્યો હતો.

2010માં પુણેની જર્મન બેકરી ખાતે વિસ્ફોટ થયોએ પછી ભારત સરકારે તેની ઉપર પ્રતિબંધ લાદ્યો હતો. 2011માં યુએસ તથા 2012માં યુકેએ તેની ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

ઇન્ડિયન મુજાહિદ્દીનની મૉડસ ઑપરેન્ડી પ્રમાણે, જે-તે શહેરમાં વિસ્ફોટો પહેલાં 'રોક શકો તો રોક લો...' દ્વારા પોલીસ, મીડિયા તથા ઉચ્ચ અધિકારીઓને ઈમેઈલ મોકલવામાં આવતા હતા. જે મોટા ભાગે ઓપન વાઈ-ફાઈ દ્વારા મોકલવામાં આવતા. ઈમેલમાં 'કાફરો'ને ધમકી આપવામાં આવતી અને તેમને ઇસ્લામનો અંગીકાર કરવા અથવા તો મરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવતું.

કેટલાક ગુપ્તચર સૂત્રોના મતે, ઇન્ડિયન મુજાહિદ્દીનએ પાકિસ્તાનસ્થિત ઉગ્રવાદી સંગઠનોનોનો 'ચહેરો' હતું. ભારતસ્થિત સંગઠનના ભારતીય સભ્યો દ્વારા જ ભારતમાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવે છે, તે માટે પાકિસ્તાનસ્થિત સંગઠનો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો.

આ સિવાય તેના બૉમ્બની રચના ખૂબ જ સામાન્ય હતી. વિસ્ફોટકોને કોઈ ટાઇમિંગ ડિવાઇસ સાથે બૉલ-બૅરિંગ મૂકવામાં આવતાં, જેથી કરીને મોટા પ્રમાણમાં ઈજાઓ થાય.

યાસીન ભટકલને ભારત-નેપાળ સરહદ પરથી બિહારના મોતીહારીમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. (હૈદરાબાદની કોર્ટે તેને વિસ્ફોટો માટે ફાંસીની સજા ફરમાવી છે એટલે તેના માટે એક વચનનો ઉપયોગ કર્યો છે.)

મૂળતઃ કર્ણાટકના ભટકલ શહેરના યાસીનના ભાઈઓ રિયાઝ તથા ઇકબાલ પણ આ સંગઠન સાથે જોડાયેલા છે, પરંતુ તેઓ કાયદાની પહોંચથી દૂર છે.

યાસીન ભટકલને ઝડપી લેવા માટે ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા હાથ ધરવામાં આવેલા ઑપરેશન ઉપરથી 'ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ' નામની ફિલ્મ બની હતી. જેમાં અર્જુન કપૂરે આઈબી ઑફિસરની ભૂમિકા ભજવી હતી.

ઇન્ડિયન મુજાહિદ્દીની ઉપર અમદાવાદ (56 મૃત્યુ), સુરત (નિષ્ફળ પ્રયાસ) ઉપરાંત પુણે (17 મૃત્યુ), હૈદરાબાદ (42 મૃત્યુ), મુંબઈ (186 અને 27 મૃત્યુ), દિલ્હી (18 મૃત્યુ), બેંગ્લુરુ (બે મૃત્યુ) અને જયપુર (63 મૃત્યુ)માં પણ બૉમ્બ વિસ્ફોટોને અંજામ આપવાનો આરોપ છે.

2008 બાદ તેના અનેક મોટા ઑપરેટિવ સિક્યૉરિટી એજન્સીઓના હાથે ઝડપાઈ ગયા હતા અથવા તો અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. જેના કારણે તેની કમર તૂટી ગઈ. અબ્દુલ સુભાન કુરૈશીએ તેને ઍક્ટિવેટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ પણ ઝડપાઈ ગયા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો