મહાત્મા ગાંધીની હત્યાના એક વાર નહીં છ-છ વાર પ્રયાસો થયા હતા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મધુકર ઉપાધ્યાય
- પદ, બીબીસી હિન્દી માટે
મહાત્મા ગાંધીની જિંદગી ખુલ્લી કિતાબ જેવી હતી. તેમના જીવનની દરેક બાબત લોકોની નજરમાં આવતી રહેતી હતી.
એટલે તેમના માટે કોઈ પણ પ્રવૃત્તિ બીજાથી ખાનગી રાખીને થઈ શકતી નહોતી. તેમના ધ્યાન બહાર પણ કોઈ પ્રવૃત્તિ થાય તેવું શક્ય બનતું નહોતું.
ગાંધીજીની નીતિ પ્રમાણે આવું ખુલ્લુ જીવન બરાબર પણ હતું. તેમની હત્યા માટે છ વાર હુમલા થયા હતા. પહેલો હુમલો 1934માં પૂણેમાં થયો હતો.
એક કાર્યક્રમમાં જવા માટે બે ગાડીઓ આવી હતી. બંને ગાડી એક સરખી દેખાતી હતી. એકમાં આયોજક બેસવાના હતા અને બીજા ગાડી કસ્તુરબા અને મહાત્મા ગાંધી માટે હતી.
બંને કાર નીકળી તેમાં આયોજકની કાર થોડી આગળ નીકળી ગઈ. તેમની કાર એક રેલવે ફાટક પસાર કરીને જતી રહી, ત્યાં જ ફાટક બંધ થઈ ગયું. મહાત્મા ગાંધીની કાર ત્યાં આવીને ઊભી રહી ગઈ.
થોડી વાર પછી એક જોરદાર વિસ્ફોટ થયો અને તેમાં આગળ નીકળી ગયેલી કારના કૂરચેકૂરચા ઊડી ગયા. આ હુમલામાંથી મહાત્મા ગાંધી બચી ગયા, કેમ કે ટ્રેન મોડી હતી અને તેમની કાર ફાટક પાસે જ અટકેલી હતી. આ ઘટના સાલ 1934માં બની હતી.

પંચગની અને મુંબઈમાં હુમલા

ઇમેજ સ્રોત, Dinodia Photos
1944માં આગા ખાનના પૅલેસમાંથી છૂટ્યા પછી ગાંધી પંચગની જઈને રોકાયા હતા. કેટલાક લોકો ત્યાં તેમની વિરુદ્ધ દેખાવો કરવા આવ્યા હતા.
ગાંધીજીએ આ લોકો સાથે વાત કરીને, તેમની નારાજી શું છે તે સમજવાની અને તેમને સમજાવવાની કોશિશ કરવા માગતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ટોળામાંથી કોઈ શાંતિથી વાત કરવા તૈયાર નહોતું. તે પછી એક જણ ટોળામાંથી છરી લઈને દોડ્યો, પણ તેને પકડી લેવામાં આવ્યો.
1944માં જ પંચગનીથી નીકળ્યા પછી ગાંધી અને ઝીણા વચ્ચે મુંબઈમાં વાતચીત થવાની હતી.
આ વાતચીતના મુદ્દે કેટલાક લોકો નારાજ હતા. મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાના લોકો નારાજ હતા. તેમને લાગતું હતું કે ગાંધી ઝીણા વાટાઘાટોથી કોઈ અર્થ સરવાનો નથી અને આ મુલાકાત કરવાની જરૂર નથી.
ત્યાં પણ ગાંધીજી પર હુમલાની કોશિશ થઈ હતી, પણ તે નિષ્ફળ ગઈ હતી.

ચંપારણમાં બે વાર કોશિશ

ઇમેજ સ્રોત, Getty Images
1946માં નેરુલ પાસે ગાંધીજી રેલવેમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેના પાટા ઉખાડી નાખવામાં આવ્યા હતા. તેના કારણે ટ્રેન પલટી ખાઈ ગઈ હતી.
1948માં પણ સૌ જાણે છે તે રીતે બે વાર હુમલો થયો હતો. પહેલો હુમલો થયો હતો કે જ્યારે મદનલાલ બૉમ્બ લઈને આવ્યો હતો. જોકે તે બૉમ્બ ફૂટ્યો નહીં અને તે લોકોને પકડી લેવામાં આવ્યા.
છઠ્ઠી વાર આખરે નાથુરામ ગોડસેએ 30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્મા ગાંધીને ગોળી મારીને તેમની હત્યા કરી.
ચંપારણમાં પણ બે વાર તેમની હત્યાની કોશિશ કરી હતી. 1917માં મહાત્મા ગાંધી મોતીહારીમાં હતા.
મોતીહારીની સૌથી મોટી ગળી કંપનીના મૅનેજર ઇર્વિને ગાંધીજીને વાતચીત માટે બોલાવ્યા હતા. મોતીહારીની ગળી કંપનીઓના બધા મૅનેજરોના નેતા પણ ઇર્વિન હતા.

બત્તખ મિયાંનો કિસ્સો

ઇમેજ સ્રોત, Getty Images
ઇર્વિને વિચાર્યું હતું કે આ માણસે આંદોલનો કરીને પરેશાન કરી દીધા છે. એટલે વાતચીત વખતે ખાણીપીણી આપવામં આવે તેમાં જ ઝેર આપી દેવું જોઈએ.
ઝેરની અસર થોડા વખત પછી થાય તેવું હોય તો પોતાના પર આળ આવશે નહીં અને ગાંધીજીથી છુટકારો મળશે એમ તેમણે માનેલું.
ઇર્વિને પોતાના રસોઇયા બત્તખ મિયાં અન્સારીને આ માટે કહ્યું હતું. બત્તખ મિયાંને કહેવાયું કે તમારે ટ્રે લઈને ગાંધીજીને ભોજન આપવું.
બત્તખ મિયાંના નાના ખેડૂત હતા અને નાનકડો તેમનો પરિવાર હતો. તેઓ નોકરી હતા, તેમાંથી જ ગુજરાન ચાલતું હતું. એટલે તેઓ ના પાડી શક્યા નહીં અને ટ્રે લઈને ગાંધી પાસે ગયા.
જોકે ગાંધીજી પાસે પહોંચ્યા પછી બત્તખ મિયાંની હિંમત તૂટી ગઈ અને તેમની સામે ટ્રે રાખી શક્યા નહીં.

દેશનો ઇતિહાસ કેવો હોત?

ઇમેજ સ્રોત, Getty Images
બત્તખ મિયાં ટ્રે લઇને ઊભા રહી ગયા એટલે ગાંધીજીએ તેમની સામે જોયું. મિયાં રડવા લાગ્યા અને સાચી વાત જણાવી દીધી. મહાત્મા ગાંધીએ આ વાત પોતાની આત્મકથામાં લખી નથી.
ચંપારણનો સૌથી પ્રમાણભૂત કિસ્સો બાબુ રાજેન્દ્ર પ્રસાદના પુસ્તકમાં નથી. અન્ય કોઈ જગ્યાએ પણ તેનો ઉલ્લેખ થયો નથી.
પરંતુ દંતકથામાં બત્તખ મિયાં અન્સારીનો કિસ્સો ચર્ચાતો રહ્યો છે. લોકો એવું કહેતા હોય છે કે તેમણે ઝેર આપી દીધું હોત તો દેશનો ઇતિહાસ જ બદલાઈ ગયો હોત.
બત્તખ મિયાંને મદદ કરનારું કોઈ નહોતું. તેમને જેલ થઈ હતી અને તેમની જમીનોની નીલામી થઈ ગઈ હતી.
1957માં રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ હતા, ત્યારે તેમણે મોતીહારીના નરકટિયાગંજની મુલાકાત લીધી હતી.

રાજેન્દ્ર બાબુએ ઓળખી લીધા

ઇમેજ સ્રોત, Getty Images
મોતીહારીમાં તેમણે એક સભામાં ભાષણ આપ્યું હતું. ભાષણ વખતે જ તેમનું ધ્યાન થોડે દૂર ઊભેલા એક માણસ પર પડ્યું. તેમને એ ચહેરો કંઈક જાણીતો લાગ્યો.
રાજેન્દ્ર બાબુએ મંચ પરથી જ પૂછ્યું કે બત્તખ ભાઈ કૈસૈ હો? તેમણે બત્તખ મિયાંને મંચ પર બોલાવ્યા હતા. રાજેન્દ્ર બાબુએ આ કિસ્સો સૌને જણાવ્યો હતો.
બાદમાં બત્તખ મિયાંના પુત્ર જાન મિયાં અન્સારીને તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવ્યા હતા.
તેમને રાષ્ટ્રપતિ ભવનમાં રાખ્યા હતા અને બાદમાં બિહાર સરકારને પત્ર લખ્યો હતો કે આ પરિવારની જમીન જતી રહી છે એટલે તેમને 35 એકર જમીન આપવી જોઈએ.
આ વાતને 62 વર્ષ થઈ ગયા છે. જોકે બત્તખ મિયાંના પરિવારને ક્યારેય જમીન મળી નહોતી.

અંગ્રેજની નીલ કોઠી પર

ઇમેજ સ્રોત, Getty Images
બીજો પણ એક રોચક કિસ્સો છે, કે પ્રથમ ઝેર આપવાની કોશિશ સફળ થઈ નહોતી તેનાથી ગળીના કારખાનાના એક બીજા માલિકને બહુ ગુસ્સો આવ્યો હતો.
તેમણે કહ્યું કે ગાંધી મને એકલા મળી જશે તો હું તેમને ગોળી મારી દઈશ. આ વાત ગાંધીજી સુધી પહોંચી. બીજા દિવસે સવારે તેઓ તેમના વિસ્તારમાં જ જવાના હતા.
ગાંધી સવારમાં જ પોતાની લાકડી લઈને ગળીના કારખાનાના આ અંગ્રેજ માલિકની હવેલીએ પહોંચી ગયા.
ત્યાં ચોકિદાર હતો તેમને ગાંધીજીએ જણાવ્યું કે તમારા માલિકને જણાવી દો કે હું આવી ગયો છું અને એકલો બેઠો છું. જોકે હવેલીનો દરવાજો ખૂલ્યો જ નહીં અને અંગ્રેજ બહાર જ ના આવ્યો.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












