You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑમિક્રોન વૅરિયન્ટ : ગુજરાતમાં કોરોનાના ઍક્ટિવ કેસ એક લાખને પાર, નવા 24 હજારથી વધુ કેસ
ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થયો છે. ગુરુવારે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં રેકૉર્ડ 24 હજાર 485 નવા કેસ નોંધાયા છે.
હજુ બે દિવસ પહેલાં (17મી જાન્યુઆરીના) 12 હજાર 735 નવા કેસ નોંધાયા હતા.
સતત બે દિવસથી બીજી લહેરની ટોચ (અંદાજે 14 હજાર 600 નવા કેસ) કરતાં પણ વધારે કેસ નોંધાયા છે. એપ્રિલ મહિનાના અંત ભાગમાં આ પીક આવી હતી.
આ સાથે રાજ્યમાં ઍક્ટિવ કેસની સંખ્યા એક લાખને પાર કરીને એક લાખ ચાર હજાર 888 પર પહોંચી ગઈ છે, જેમાંથી 156 દરદીને વૅન્ટિલેટર પર છે.
ગત 24 કલાક દરમિયાન વધુ 13 મૃત્યુ થયાં છે, આ સાથે કુલ મરણાંક 10 હજાર 199 પર પહોંચી ગયો છે.
ગત 24 કલાક દરમિયાન પૉઝિટિવિટી રેટમાં આંશિક વધારો થયો છે અને 88.51 ટકા પર પહોંચ્યો છે.
રાજ્યમાં કોરોનાનો કેર
રાજ્યના ટોચના પાંચ વિસ્તારોમાંથી ચાર રાજ્યના મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિસ્તારો છે.
24 કલાક દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં (નવ હજાર 837 અને ત્રણ હજાર 664 ડિસ્ચાર્જ), સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારમાં (બે હજાર 981 અને બે હજાર 42 ડિસ્ચાર્જ), વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં (બે હજાર 823 કેસ, 991 ડિસ્ચાર્જ), રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં (એક હજાર 333 કેસ અને 440 ડિસ્ચાર્જ) નોંધાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાંચમા ક્રમે સુરતનો વિસ્તાર રહ્યો હતો, જ્યાં 728 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 271ને રજા આપવામાં આવી હતી.
રાજ્યમાં અત્યાર સુધી કુલ આઠ લાખ 86 હજાર 476 દરદીઓએ કોરોનાને માત આપી છે અને ગુરુવારે 10 હજાર 310 દરદી સાજા થયા હતા. આ ગાળા દરમિયાન બે લાખ 47 હજાર 111 દરદીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
નિષ્ણાતોનું માનવું છે કે તાજેતરના કેસમાં મોટી સંખ્યા ઑમિક્રૉનના કેસ છે, જેના કારણે દરદીઓને હૉસ્પિટલાઇઝેશન કે ઓક્સિજનની ઓછી જરૂર પડી રહી છે.
કોરોનાનો કપરો કાળ કેટલો?
વધતા જતા કેસો મુદ્દે બુધવારે કોવિડ ટાસ્કફોર્સના નિષ્ણાતોએ પત્રકારપરિષદ ભરીને કેટલીક માહિતી આપી હતી.
ડૉ. સુધીર શાહે કૉમોર્બિડ (સહબીમારી) ધરાવતા દર્દીઓ તથા વયસ્ક દર્દીઓને વિશેષ કાળજી રાખવા માટે કહ્યું હતું અને રસીકરણ તથા બૂસ્ટર ડોઝ લેવા પણ અપીલ કરી હતી.
ડૉ. અતુલ પટેલના કહેવા પ્રમાણે, ઓમિક્રૉન વૅરિયન્ટ ડેલ્ટા વૅરિયન્ટ જેટલો ઘાતક નથી. વળી, ડેલ્ટા વૅરિયન્ટ સમયે વૅક્સિનેશનનું પ્રમાણ ઓછું હતું. સઘન રસીકરણને કારણે હૉસ્પિટલાઇઝેશનનું પ્રમાણ ઘટીને માત્ર એક-બે ટકા જેટલું જ રહેવા પામ્યું છે. તેમણે પ્રારંભિક તબક્કેથી જ સારવારમાં સ્ટિરૉઇડ નહીં આપીને મ્યુકરમાઇકૉસિસની સંભાવનાને ટાળવા માટે અનુરોધ કર્યો હતો.
ડૉ. દિલીપ માવળંકરે દાવો કર્યો હતો કે વૈશ્વિક તારણોના આધારે કોરોનાની ત્રીજી લહેર બાદ આપણે કોરોના મહામારીના અંત તરફ આગળ વધીશું. જ્યારે કોઈ મહામારી તેના અંત તરફ આગળ વધે ત્યારે તેને ઍન્ડેમિક તરીકે ઓળખવામાં આવે છે.
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નાગરિકોને કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરવા આહ્વાન કર્યું હતું અને દાવો કર્યો હતો કે રાજ્ય સરકાર ઑમિક્રૉન વૅરિયન્ટને ફેલાતો અઠકાવવા માટે શક્ય તમામ પગલા લઈ રહી છે અને લોકો કોવિડની ગાઇડલાઇનનું પાલન કરે તે જરૂરી છે.
પટેલે કહ્યું હતું કે નિષ્ણાતો દ્વારા જે સલાહ આપવામાં આવી રહી છે, તેના પર રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક કામ કરી રહી છે અને નાગરિકો પણ સાવચેતી માટે જરૂરી પગલાં લે તે જરૂરી છે.
- 'મફત વૅક્સિન, ધન્યવાદ મોદીજી', કોરોનાની એ જાહેરાતો પાછળ સરકારે કેટલા કરોડ ખર્ચ્યા?
- ભાજપ યુપીની ચૂંટણી જીતવા ગુજરાતના હિંદી ભાષીઓનો ઉપયોગ કઈ રીતે કરે છે?
- પાકિસ્તાનમાં જન્મેલા એ ગુજરાતી કવિ, જેમણે મોરારજી દેસાઈને રોકડું પરખાવી દીધું
- એ ગુજરાતી, જેમણે માત્ર ઘઉંની જાત વિકસાવવા જિંદગીનાં 30 વર્ષ ખર્ચી નાખ્યાં
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો