ડેન્ડ્રફ : માથામાં ખોડો કેમ થાય અને અસરકારક ઇલાજ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડેન્ડ્રફ અથવા ખોડો, એક એવી સમસ્યા છે જે ઘણા લોકોને સતાવી રહી છે. એક એવી સમસ્યા જે વારંવાર પાછી આવી જાય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ડેન્ડ્રફ મોટે ભાગે એક ફૂગના કારણે થાય છે.
સામાન્ય રીતે ડેન્ડ્રફ કે ખોડો લગભગ આપણા બધાની ત્વચા પર કુદરતી રીતે થાય છે, પરંતુ તેમાંથી અડધા લોકોમાં તે સમસ્યા બની જાય છે.
તેમાં પણ એક તૃતીયાંશ લોકો એવા છે જેમને આ સમસ્યા એટલી વધી જાય છે કે તેમના માટે ડેન્ડ્રફની સમસ્યામાંથીમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે.
જોકે ડેન્ડ્રફની સમસ્યા આમ તો બહુ સામાન્ય સમસ્યા છે, પરંતુ કેટલીક વાર તે સામાજિક સ્તરે શરમનું કારણ પણ બની જાય છે.

ડેન્ડ્રફને દૂર કરવાની રીતો
ઘણા લોકોએ સ્વીકાર્યું છે કે તેઓ સામાજિક મેળાવડામાં જવાનું અને લોકો સાથે હળવા-મળવાનું એટલા માટે ઓછું કરી નાખ્યું છે, કારણ કે તેઓ તેમના માથામાં રહેલા ખોડાને કારણે શરમ અનુભવે છે.
પરંતુ ચિંતા કરશો નહીં... ડેન્ડ્રફને દૂર કરવાની કેટલીક અસરકારક રીતો છે.
ડેન્ડ્રફ માટે મુખ્યત્વે જે ફૂગ જવાબદાર છે તેને માલાસેઝિયા ગ્લોબોસા કહે છે. ડેન્ડ્રફ મુખ્યત્વે આ ફૂગના કારણે થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ફૂગ આપણી ત્વચા અને વાળના તેલને શોષી લે છે. પરંતુ જ્યારે તે આવું કરે છે, ત્યારે તે જ સમયે ઓલેઇક એસિડ ઉત્પન્ન કરે છે, જેના કારણે આપણી ત્વચામાં ખંજવાળ આવે છે.
કેટલાક લોકોમાં,તે રોગપ્રતિકારક પ્રતિભાવને દબાવી દે છે જેના કારણે માથાની ત્વચા પરથી સૂકા પડળ નીકળીને ખરવા માંડે છે.
વાયુપ્રદૂષણ પરિસ્થિતિને બદતર બનાવી દે છે જ્યારે સૂર્યનાં યુવી કિરણો આ સ્થિતિને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.
આવી સ્થિતિમાં ખોડો દૂર કરવા માટે માથાની ચામડીમાં તેલ લગાવવું બિલકુલ યોગ્ય વિચાર નથી.
આ માલાસેઝિયા ગ્લોબોસા નામની ફૂગ તમારા વાળ અને ત્વચામાં રહેલા કુદરતી તેલને શોષી લે છે. આવી સ્થિતિમાં આ તેલને ધોવું અથવા સાફ કરવું વધુ મદદરૂપ સાબિત થઈ શકે છે.
જોકે કેટલાંક રસાયણોની મદદથી આ તેલને દૂર કરી શકાય છે. સૌથી અસરકારક એન્ટિ-ફંગલ રસાયણો માઈકોનાઝોલ અને કેટોકોનાઝોલ છે.
કેટોકોનાઝોલનો ઉપયોગ કેટલાક શેમ્પૂમાં થાય છે, પરંતુ હાલમાં માઈકોનાઝોલ માત્ર ત્વચા પર લગાવવાની ક્રીમ તરીકે જ ઉપલબ્ધ છે. જોકે, પશુઓ માટે ઉપલબ્ધ કેટલાક શેમ્પૂમાં માઈકોનાઝોલ રસાયણ હોય છે.

એન્ટિફંગલ શેમ્પૂ

ઇમેજ સ્રોત, Getty Images
જોકે તમને એવું લાગી શકે છે કે એન્ટિફંગલ શેમ્પૂની અસર થોડા સમય પછી રહેતી નથી.
એટલા માટે તમારે સમય સમય પર આ વિકલ્પોનો ફરીથી ઉપયોગ કરવાની જરૂર પડે છે.
કોલ ટાર શેમ્પૂ ત્વચાના બદલવાની પ્રક્રિયાને ધીમી કરી શકે છે. ઉપરાંત સેલિસિલિક એસિડ ધરાવતા શેમ્પૂ ફ્લેક્સથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.
જોકે, ઝીંક અથવા સેલેનિયમ ધરાવતા શેમ્પૂ પણ ફૂગના નિવારણમાં મદદરૂપ થઈ શકે છે. આવી સ્થિતિમાં ડેન્ડ્રફથી રાહત મેળવવા માટે વિવિધ પ્રકારના ઉપાયો અપનાવી શકાય છે.
સંશોધકોએ માલાસેઝિયાના આનુવંશિક કોડને ક્રમબદ્ધ કર્યા છે અને તેની મદદથી આ ફૂગથી છુટકારો મેળવવા માટે વધુ અસરકારક દવાઓ વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે.

તમારી જાતે ડેન્ડ્રફની સારવાર કેવી રીતે કરશો

ઇમેજ સ્રોત, Getty Images
ડેન્ડ્રફ એ ત્વચાની ખૂબ જ સામાન્ય સ્થિતિ છે.
સામાન્ય રીતે ઘેરા રંગના વાળમાં ડેન્ડ્રફના ટુકડા સ્પષ્ટ દેખાય છે અને જ્યારે આ સમસ્યા વધી જાય છે ત્યારે ડેન્ડ્રફ ખભા પર પણ દેખાવા લાગે છે.
આ સ્થિતિમાં તમારી ખોપરી ઉપરની ચામડી શુષ્ક લાગે છે અને તમને ખંજવાળ પણ આવી શકે છે.

શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
કોઈ પણ સારા એન્ટી-ડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ કરવો એ સૌથી સરળ ઉપાય છે. એમાં પણ તમને અનેક પ્રકારની બ્રાન્ડ્સ મળી રહેશે.
જે શેમ્પૂમાં તમને નીચેનાં રસાયણો જોવા મળે તેને તમે ડેન્ડ્રફને અટકાવવા માટે ખરીદી શકો છોઃ
- ઝીંક પાયરિથિઓન
- સેલિસીલિક એસિડ
- સેલેનિયમ સલ્ફાઇડ
- કીટોકોનાઝોલ
- કોલ ટાર
જો ડેન્ડ્રફની સમસ્યા બહુ વધારે હોય તો એક મહિના સુધી એન્ટી-ડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ કરી જુઓ. તમે ઇચ્છો તો તમે એક કરતાં વધુ એન્ટી-ડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો, તેનાથી તમને એ સમજમાં આવી જશે કે તમારા વાળ માટે કયું વધુ સારું છે.

ડેન્ડ્રફનું કારણ
સ્વચ્છતાના અભાવ એ ડેન્ડ્રફ વધવા પાછળનું કારણ નથી પણ હા એ વાત ચોક્કસ છે કે જો તમે તમારા વાળને સાફ નહીં રાખો તો તે વધુ સ્પષ્ટ દેખાવા લાગશે.
તણાવને કારણે અને ઠંડા હવામાનમાં ડેન્ડ્રફ થવાનું જોખમ ઘણું વધી જાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














