ગુજરાતમાં સ્થિર અને બહુમતીવાળી સરકાર છતાં ભાજપે રૂપાણીને કેમ બદલવા પડ્યા?

    • લેેખક, ઋષભ પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી

વિજય રૂપાણીએ મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું છે, જે બાદ રાજકારણમાં અનેક અટકળો વહેતી થઈ છે.

ગુજરાતના સામાન્ય નાગરિક માટે પણ આ સમાચાર આશ્ચર્યજનક છે. તેવામાં એ પણ પ્રશ્નો થઈ રહ્યા છે કે વિજય રૂપાણીનું અચાનક રાજીનામું આપવા પાછળ શું કારણો હોઈ શકે.

આ અંગે રાજકીય વિશ્લેષકોએ અલગઅલગ કારણો અને અલગઅલગ મત જણાવ્યાં હતાં.

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય વિજય રૂપાણીના અચાનક રાજીનામા પાછળનાં શું કારણો હોઈ શકે તે અંગે વાત કરતા જણાવે છે કે "એક બાબત એ છે કે હાઈકમાન્ડને એવું લાગ્યું કે આગામી ચૂંટણી વિજયભાઈના નેતૃત્વમાં જીતી શકાય તેમ નથી."

"જો તેઓ એ નેતા છે તેમનાથી ચૂંટણી જીતી શકાતી હોય તો ભાજપે મુખ્ય મંત્રી બદલવાની જરૂર ન હતી. એટલે એનો અર્થ એવો થયો કે ભાજપને 2022ની ચૂંટણીમાં વિજયભાઈના નેતૃત્વમાં જોખમ દેખાતું હતું."

પાટીદારોના મત અંકે કરવા પરિવર્તન

વિજય રૂપાણીના નેતૃત્વમાં શું જોખમ દેખાતું હતું તે અંગે જગદીશ આચાર્યે જણાવ્યું કે, "વિજયભાઈએ મુખ્ય મંત્રી તરીકે ઘણાં સારા કામ કર્યા. એવું પણ ન કહી શકાય કે બહુ નબળા મુખ્ય મંત્રી હતા."

"મુદ્દો એ હતો કે ગુજરાતના રાજકારણની અંદર પાટીદારો હંમેશાં કેન્દ્ર સ્થાને રહ્યા છે અને રહેવાના છે. પાટીદારોનો ટેકો હશે એ પક્ષ સત્તા ઉપર આવશે."

તેઓ કહે છે કે, "2017ની ચૂંટણીમાં જોયું કે પાટીદારો વિરોધમાં ગયા તો કૉંગ્રેસ સત્તામાં આવતા આવતા રહી ગઈ અને ભાજપની 40-50 બેઠક ઘટી હતી. સૌરાષ્ટ્રમાં ભાજપને 26 બેઠક મળી અને કૉંગ્રેસને 30 બેઠક મળી. એટલે પાટીદાર ફેક્ટર છે એ બહુ મહત્ત્વનું છે."

"અત્યારે વિજયભાઈ મુખ્ય મંત્રી હતા અને સી.આર.પાટીલ પ્રમુખ છે, એટલે બેમાંથી એક પણ મહત્ત્વના હોદ્દા પર પાટીદાર ન હતા. આ સંજોગોમાં પાટીદાર મુખ્ય મંત્રીની નિમણૂક કરવી અને પાટીદારોના મત અંકે કરવા આ એક રાજકીય વ્યૂહ દેખાય છે."

ગુજરાતમાં નેતૃત્વપરિવર્તન અંગે પોતાનું અવલોકન રજૂ કરતાં રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા જણાવે છે કે, "પાછલા ઘણા સમયથી ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં નેતૃત્વ-પરિવર્તનની વાત થઈ રહી હતી, પરંતુ ચૂંટણી પહેલાં આ સમાચાર આવવા એ થોડું આંચકાજનક તો છે."

સત્તાવિરોધી લહેરને ખાળવા માટેની પૂર્વતૈયારી

તેમજ બીજી તરફ વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અજય નાયક જણાવે છે કે, "વિજય રૂપાણીએ મુખ્યત્વે પાટીદારોને ફરી ભાજપ તરફ આકર્ષવા માટે અને થોડા સમય પહેલાં ઊઠેલી પાટીદાર મુખ્ય મંત્રીની માગણી માટે પદત્યાગ કરવો પડ્યો હોઈ શકે છે."

અજય નાયક વિજય રૂપાણીના રાજીનામાને રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાવિરોધી લહેરને ખાળવા માટેની પૂર્વતૈયારી ગણાવે છે.

તેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વર્ચસ્વમાં થઈ રહેલા વધારાને પણ રાજ્યમાં નેતૃત્વ-પરિવર્તન માટેનું એક કારણ ગણાવે છે.

તેઓ કહે છે કે, "રાજ્યના ઘણા પાટીદારો આમ આદમી પાર્ટી તરફ આકર્ષણ અનુભવી રહ્યા છે. તેથી ભાજપે પોતાની મતબૅંકનું સ્થળાંતર ટાળવા માટે આ રણનીતિ અપનાવી હોઈ તેવું બની શકે."

જગદીશ આચાર્યનું કહેવું છે કે કેન્દ્રની અંદર પણ મનસુખ માંડવિયાને અચાનક જ ભારતના આરોગ્યમંત્રીનું ખૂબ મહત્ત્વનું પદ આપવામાં આવ્યું. પરસોતમ રૂપાલાને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો.

"આ બધાં પગલાં પાટીદારોને ખુશ કરવા માટેનાં હતાં. જ્યારે પણ ગુજરાતના કોઈ સારાં પાત્રોને કેન્દ્રમાં વધુ પડતું મહત્ત્વ મળવા લાગે ત્યારે એક સંકેત મળતો હોય કે તેમને ભવિષ્યના ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે તૈયાર કરવામાં આવી રહ્યા છે. હવે ચૂંટણી આવશે અને પાટીદારો વગર ચૂંટણી જીતી શકાય એવું નથી."

આંતરિક ખેંચતાણનો અંત લાવવા પગલું લીધું

રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે જણાવ્યું કે આ આખી ઘટના ભાજપમાં પહેલા ક્યારેય ન દેખાઈ હોય તેવી ખેંચતાણની સાક્ષી પુરાવે છે.

તેમણે જણાવ્યું કે "ભાજપને હવે કૉંગ્રેસ કે 'આપ'થી કોઈ ખતરો નથી, તેમને તેમના જ નેતાઓથી ખતરો છે અને આ પ્રકારની ખેંચતાણનો અંત લાવવા જ આ પગલું ભાજપની હાઇકમાન્ડે લીધું હશે."

તેઓ એ પણ કહે છે કે, "આખી ઘટના પાછળ પાટીદાર ફેક્ટર ખૂબ મોટું કામ કરી ગયું છે, કારણ કે હવે ભાજપને કોઈ પણ સંજોગે પાટીદારોને નારાજ નથી કરવા અને તે માટે આ પગલું લેવાયું હશે."

જગદીશ આચાર્ય કહે છે કે આમ આદમી પાર્ટીની ઍન્ટ્રી થઈ અને પાટીદારોનો એક વર્ગ "આપ"ની તરફ ઢળ્યો એ પણ ભાજપ માટે થોડો ચિંતાનો વિષય ગણાય. ભાજપને કાઉન્ટર કરવું હોય તો ગુજરાતમાં માત્રને માત્ર પાટીદાર મુખ્ય મંત્રી જોઈએ. આ હેતુથી વિજયભાઈને અચાનક જ રવાના કરવામાં આવ્યા હોય તેમ લાગે છે.

કૌશિક મહેતા જણાવે છે કે, "પાટીદાર ફૅક્ટર, કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારની નબળી કામગીરી અને ગુજરાતમાં 'આપ'નું વધતું વર્ચસ્વ આ રાજીનામા માટે કારણભૂત હોઈ શકે છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો