You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિમાચલ પ્રદેશ : કિન્નૌરમાં ભૂસ્ખલન, 13 મૃતદેહો મળ્યા, બચાવ કામગીરી ચાલુ
હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં એક હાઈવે પર ભૂસ્ખલન થયું છે જેમાં અનેક લોકો દબાયા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
રિકાંગ પિયો-શિમલા હાઈવે પર થયેલા ભૂસ્ખલનમાં એક બસ, એક ટ્રક તથા કેટલીક નાની ગાડીઓ દબાઈ ગયા હોવાની આશંકા છે.
નુગલુસારી વિસ્તારમાં દુર્ઘટનાસ્થળથી અત્યાર સુધી 13 મૃતદેહો મળ્યા છે અને 14 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
અર્ધસૈનિકદળ આઈટીબીપીએ જણાવ્યું છે કે તેમની ટીમ બચાવકાર્ય માટે ઘટનાસ્થળ પહોંચી છે.
હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે કહ્યું, " ભૂસ્ખલનમાં દબાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયત્નો ચાલુ છે. પ્રભાવિત લોકોને શક્ય એટલી મદદ આપવામાં આવશે."
હિમાચલ રોડવેઝની બસ મુંરગથી હરિદ્વાર જઈ રહી હતી. ઘટનાસ્થળ પર જિલ્લા પ્રશાસનની ટીમ પહોંચેલી છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ જ્યારે આ ઘટના બની ત્યારે કેટલાક લોકો વાહનોમાં સવાર હતા.
25-30 લોકોના દબાયેલા હોવાની આશંકા
રાજયના આપાત ઑપરેશન સેન્ટરે જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 25-30 લોકોના દબાયેલા હોવાની આશંકા છે.
સ્થાનિક પ્રશાસન મુજબ આ ઘટના લગભગ બપોરે 12થી 12.30 ની વચ્ચે બની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રશાસને જણાવ્યું કે દુર્ઘટનાની સૂચના મળતાની સાથે જ રાહત અને બચાવકાર્ય માટે એક ટીમ રવાના કરવામાં આવી હતી.
સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે અત્યાર સુધી ઘટનાસ્થળ પર પથ્થર સતત પડી રહ્યા છે જેનાથી રાહત અને બચાવકાર્ય શરૂ કરવામાં પોલીસ અને પ્રશાસનને ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.
સમાચાર એજન્સી એએનઆઈ મુજબ ગૃહમંત્રી અમિત શાહે કિન્નૌર જિલ્લામાં રિકાંગ પિયો-શિમલા રાજમાર્ગ પર ભૂસ્ખલન બાબતે હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી જયરામ ઠાકુર સાથે વાત કરી હતી અને તેમને શક્ય એટલી મદદનું આશ્વાસન આપ્યું છે.
વડા પ્રધાન કાર્યાલયને ટાંકતા એએનઆઈએ જણાવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી જયરામ ઠાકુર સાથે વાત કરીને પરિસ્થિતિની માહિતી મેળવી છે.
ભૂસ્ખલનની ઘણી ઘટનાઓ
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગત દિવસોમાં ભૂસ્ખલનની અનેક ઘટનાઓ બની હતી.
ગત અઠવાડિયે હિમાચલ પ્રદેશના સિરમોરમાં ભૂસ્ખલનના કારણે નાહન-શ્રીરેણુકાજી-હરિપુરધાન માર્ગ બંધ થઈ ગયો હતો.
વરસાદ પછી ભૂસ્ખલનને કારણે અહીં પહાડોમાં આવેલી તીરાડોને લીધે પથ્થર તૂટીને પડવા લાગ્યા હતા. રસ્તો પણ તૂટી ગયો અને સંખ્યાબંધ લોકો ફસાઈ ગયા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો