You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુણેની કૅમિકલ ફૅક્ટરીમાં આગ, કમસે કમ 18 મજૂરોનાં મોત, અનેક ફસાયાની આશંકા - Top News
મહારાષ્ટ્રના પુણે શહેરમાં એક કૅમિકલ ફૅક્ટરીમાં આગ લાગવાથી કમસે કમ 18 મજૂરોનાં મોત થયાં છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા કર્મચારીઓના સ્વજનોને બે લાખ રૂપિયા અને ઘાયલો માટે 50 હજાર રૂપિયાની સહાયનું એલાન કર્યું છે.
આ ફૅક્ટરી પુણેના ઘોટાવડે ફાટા ક્ષેત્રમાં આવેલી છે.બીબીસી મરાઠી સેવાના સહયોગી રાહુલ ગાયકવાડે જણાવ્યું કે સોમવારે સાંજે અંદાજે ચાર વાગ્યે જ્યારે ફૅક્ટરીમાં આગ લાગી ત્યારે અહીં કુલ 37 મજૂરો કામ કરતા હતા.
ફાયરબ્રિગેડ વિભાગનું કહેવું છે કે ઘણા મજૂરો હજુ પણ લાપતા છે અને તેમની શોધખોળ ચાલુ છે.ફસાયેલા મુસાફરોને સુરક્ષિત કાઢવા માટે ફૅક્ટરીની દીવાલોને જેસીબીથી તોડાઈ રહી છે.હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
ઇન્કમટૅક્સ રિટર્ન ઇ-ફાઇલિંગની નવી વેબસાઇટ લૉન્ચ થશે
ઇન્કમ ટૅક્સ રિટર્નના ઈ-ફાઇલિંગ માટે નવી વેબસાઇટ 7 જૂનથી શરૂ કરવામાં આવશે. જેમાં પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવી સુવિધાઓ હશે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ એક નિવેદનમાં કહ્યું કે, "નવા ઈ-ફાઇલિંગ પોર્ટલનો હેતુ કરદાતાઓને સુવિધા આપવાનો અને કરદાતાઓને એક આધુનિક, વિક્ષેપ વિનાનો અનુભવ પૂરો પાડવાનો છે."
કરદાતાઓને ઝડપી રિફંડ આપવા માટે નવું પોર્ટલ www.incometax.gov.in આઈટીઆરની તાત્કાલિક પ્રક્રિયા સાથે એકીકૃત કરવામાં આવશે.
નાણાં મંત્રાલય હેઠળ આવતા સીબીડીટીએ એમ પણ કહ્યું હતું કે પોર્ટલના લોન્ચિંગ પછી પોર્ટલની એક મોબાઇલ ઍપ પણ બહાર પાડવામાં આવશે.
સાડા ત્રણ લાખની કેરીઓ નહીં વેચાતા વેપારીનો આપઘાત
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને પગલે કેરીના પાક સહિત ખેતીવાડીને મોટી અસર થઈ છે ત્યારે કેરીના વેપારમાં નુકસાન જવાને પગલે 28 વર્ષના વેપારીઓ આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરી શકો છો.
અમદાવાદમિરરના એક અહેવાલ મુજબ રાજકોટના કિશોર સોલંકી કેરીનો વેપાર કરતા હતા અને તેઓ પોતે ખરીદેલી સાડા ત્રણ લાખની કેરી વેચી ન શક્યા અને તે સડવા માંડી હતી.
પોલીસના કહેવા મુજબ કેરીઓનું વેચાણ થઈ રહ્યું ન હતું. શનિવારે તેમણે પત્નીને પોતે ઝેરી દવા પીધી હોવાનું જણાવ્યું હતું. એમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં એમને મૃત જાહેર કરવામાં આવ્યા.
કિશોર સોલંકી ઘરેથી જ કેરીનો છૂટક વેપાર કરતા હતા અને ટૂ-વિહિલર પર ડિલિવરી કરતા હતા. જોકે, તેમને યોગ્ય ઑર્ડર મળી રહ્યો ન હતો.
ગુજરાતના કેવડિયામાં દેશનું પ્રથમ ઈ-વિહિકલ-ઓન્લી ક્ષેત્ર બનશે
કેવડિયાને ઇલેક્ટ્રિક વિહિકલ સિટી તરીકે વિકસાવાશે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે જાહેરાત કરી હતી.
બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ મુજબ સ્ટૅચ્યુ ઑફ યુનિટી એરિયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઑથોરિટીએ રવિવારે જણાવ્યું હતું કે તે ગુજરાતના કેવડિયામાં દેશનું પ્રથમ ઇવેક્ટ્રિક વિહિકલ-ઓન્લી ક્ષેત્ર વિકસિત કરશે.
ઑથોરિટીએ પોતાના નિવેદનમાં કહ્યું કે ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા નર્મદા જિલ્લાના કેવડિયામાં 182 મીટર ઊંચા સ્ટૅચ્યુ ઑફ યુનિટીની આસપાસના વિસ્તારને તબક્કાવાર રીતે ઇલેક્ટ્રિક-વિહિકલ-ઓન્લી એરિયામાં પરિવર્તિત કરશે.
પ્રવાસીઓ માટે ઉપલબ્ધ બસો પણ ડીઝલની જગ્યાએ બેટરી પાવર પર દોડશે. તે વિસ્તારના સ્થાનિક રહેવાસીઓને ત્રણ પૈડાવાળા ઈ-વાહનો ખરીદવા માટે સહાય પૂરી પાડવામાં આવશે, તેમ નિવેદનમાં જણાવાયું છે.
ઈ-રીક્ષા ચલાવનાર કંપનીઓએ શરૂઆતમાં સત્તા હેઠળના વિસ્તારમાં ઓછામાં ઓછી 50 રીક્ષા ચલાવવાની રહેશે. ઈ-રીક્ષા માટે ચાલકની પસંદગીમાં વિસ્તારના મહિલાઓને તેમજ હાલના રીક્ષાચાલકોને પ્રાધાન્ય આપવામાં આવશે, તેમ જણાવાયું છે.
સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખીને ગુજરાતમાં 75થી વધારે ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે
ગુજરાતમાં કોરોના વાઇરસની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખી 75થી વધારે ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે.
ધ ઇકૉનૉમિક ટાઇમ્સના રિપોર્ટ મુજબ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે રવિવારે કહ્યું કે કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેર દરમિયાન ઓક્સિજનની માગમાં વધારો થાય તો તેને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે વધુ 30 મૅટ્રિક ટન પ્રાણ વાયુનું ઉત્પાદન કરવા 75થી વધારે ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરવા માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
તેમણે કહ્યું કે હાલમાં રાજ્યમાં 800થી 900 મૅટ્રિક ટન મેડિકલ ઓક્સિજન કોઈ પણ સમયે ઉપલબ્ધ છે.
તેમણે જણાવ્યું કે મોટી સરકારી હૉસ્પિટલો, જિલ્લા કક્ષાની હૉસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, મોટી ખાનગી હૉસ્પિટલો, ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હૉસ્પિટલોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
ગુજરાતમાં 9 મીટર ઊંચી ઇમારતોમાં શિક્ષણ સંસ્થાઓ માટે ફાયર એનઓસીની જરૂર નહીં
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે સીએમ કાર્યાલયે નિર્ણય લીધો છે કે રહેણાંક અને વ્યવસાયિક ઇમારતો માટે ફાયર એનઓસી આપવા માટે બિલ્ડિંગ યુઝ (બીયુ) પ્રમાણપત્ર આવશ્યક નથી.
રવિવારે માહિતી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, "મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ફાયર સેફ્ટી એનઓસીને લગતા કેલાક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે."
"જે ઇમારતો 9 મીટરથી ઓછી ઊંચી છે અને ભોંયરા નથી, તેમને શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવા માટે એનઓસી લેવાની જરૂર નથી."
"જો કે નિયમો મુજબ આવી સંસ્થાઓએ એ સુનિશ્ચિત કરવું પડશે કે ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્વ-સત્યાપિત, સ્વ-પ્રમાણિત ફાયર એનઓસી પ્રાપ્ત કરાવી શકે છે."
ભારત અને નેપાળ વચ્ચેની ગેરસમજ ઉકેલાઈ - કે.પી.ઓલી
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ નેપાળના વડાપ્રધાન કે.પી.ઓલીએ ભારત સાથેની ગેરસમજ ઉકેલાઈ હોવાનું જાહેર કર્યું છે.
નેપાળમાં રાજકીય પ્રભાવ હોય શકે તેવા વલણના પરિવર્તનમાં વડાપ્રધાન કે.પી.ઓલીએ જાહેરાત કરી કે તેમને ભારત સાથેની પોતાની સમસ્યાઓનું સમાધાન કરી લીધું છે.
તેમણે બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે "હા, એક સમયે ગેરસમજ હતી, પરંતુ હવે તે ગેરસમજ દૂર થઈ ગઈ છે."
"આપણે પાછળની ગેરસમજમાં ન ફસાવવું જોઈએ પણ ભવિષ્યને જોઈ આગળ વધવું જોઈએ. એક સકારાત્મક સંબંધને આગળ વધારવાનો છે."
ઇન્ટરવ્યુમાં તેમને ટાંકતા જણાવ્યું હતું કે "નેપાળ અને ભારત એક અનન્ય સંબંધનો આનંદ માણ્યો છે."
"પાડોશી પ્રેમ અને સમસ્યા બંનેને વહેંચે છે. શું ચિલી કે અર્જન્ટિનાના લોકોને કોઈ સમસ્યા નથી?" તેમ સ્થાનિક મીડિયા દ્વારા તેમના નિવેદનને ટાંકવામાં આવ્યું હતું.
"હું પીએમ મોદીને વિનંતી કરવા માંગુ છું. આ સમય અને આપણા મૈત્રીપૂર્ણ સંબંધોને ધ્યાનમાં રાખીને ભારતે નેપાળમાં પૂર્ણ સહયોગ આપવો જોઈએ. તેનો અર્થ એ નથી કે મને ભારત તરફથી મદદ મળી નથી. આ સમયે નેપાળને રસીકરણની જરૂર છે, જેના માટે નેપાળ તેના પાડોશીઓ અને તમામ દેશોને વિનંતી કરી રહ્યું છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો