You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એઇમ્સના ડિરેક્ટર ડૉ. ગુલેરિયા : કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે વધારે ભયજનક હશે એના પુરાવા નથી - Top News
દેશમાં કોરોના વાઇરસના પ્રસાર અંગે ભારતીય આરોગ્ય મંત્રાલય દ્વારા આયોજિત દૈનિક પત્રકારપરિષદમાં દરમિયાન સોમવારે AIIMSના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે એ વાતના કોઈ સંકેત નથી મળ્યા કે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક નીવડશે.
નોંધનીય છે કે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર દેશમાં અમુક દિવસથી સતત કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે.
ત્યાં બીજી તરફ એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી હતી કે હવે કોરોનાની ત્રીજી લહેરમાં વાઇરસ બાળકો ઉપર વધુ અસર કરશે.
જોકે, આ શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકતાં ડૉ. ગુલેરિયાએ પ્રેસ બ્રિફિંગ દરમિયાન કહ્યું હતું કે આ અંગે કોઈ સંકેત મળ્યા નથી.
જોકે, હજુ પણ ઘણાનાં મનમાં કોરોના વાઇરસની ત્રીજી લહેરને લઈને વિવિધ ભયજનક અનુમાનો અને તે અંગે પ્રવર્તી રહેલા ભ્રમ યથાવત્ હોવાનુ મનાઈ રહ્યું છે.
દેશમાં બ્લૅક, વ્હાઇટ બાદ હવે યલો ફંગસ, ગાઝિયાબાદમાં પ્રથમ કેસ નોંધાયો
દેશમાં બ્લૅક ફંગસના વધી રહેલા કેસો વચ્ચે યલો ફંગસનો પ્રથમ કેસ નોંધાયો હોવાનું 'ડીએનએ' અખબારનો અહેવાલ જણાવે છે.
અખબારના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં યલો ફંગસનો પ્રથમ કેસ નોંધાયો છે. અખબાર નોંધે છે કે બ્લૅક ફંગસ કે વ્હાઇટ ફંગસ કરતાં યલો ફંગસને વધારે જોખમી માનવામાં આવે છે. યલો ફંગસના દરદીની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અખબારના જણાવ્યા અનુસાર યલો ફંગસનાં લક્ષણોમાં આળસ, ઓછી ભૂખ કે ભૂખ ન લાગવી અને વજનમાં ઘટાડો હોવાનું જાણવા મળ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન ઍમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ પત્રકારપરિષદમાં કહ્યું છે કે એક જ ફંગરને અલગઅલગ નામ આપવાનો કોઈ અર્થ નથી.
તેમણે એવું પણ કહ્યું કે આ બીમારી કોરોનાની માફક નથી ફેલાતી. તેમણે ખુદની સ્વચ્છતા પર ધ્યાન આપવા અને ગરમ પાણી પીવા સલાહ આપી છે.
આ દરમિયાન બ્લેક ફંગસના વધી રહેલા કેસોને પગલે ગુજરાતમાં રૂપાણી સરકારે આને મહામારી ઘોષિત કરી છે.
નોંધનીય છે કે ફૂગજન્ય બીમારી એ કોઈ નવો રોગ નથી, પરંતુ જ્વલ્લે જ જોવા મળતી આ બીમારીએ કોવિડ-19ની બીજી લહેર દરમિયાન વ્યાપકપણે દેખા દીધી છે.
ગુજરાતમાં પણ રાજસ્થાનની જેમ મ્યુકરમાઇકોસિસની સારવાર મફત કરો : હાર્દિક પટેલ
ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે મુખ્ય મંત્રી વિજય રૂપાણીને રાજ્યની તમામ હૉસ્પિટલોમાં મ્યુકરમાઇકોસિસની મફત સારવાર કરવા ભલામણ કરતો પત્ર લખ્યો છે.
નોંધનીય છે કે તાજેતરમાં ગુજરાતે મ્યુકરમાઇકોસિસને મહામારી જાહેર કરી દીધો હતો.
આ રોગ કોરોનામાંથી સાજા થયેલા અન્ય બીમારીઓથી પીડાતા લોકોમાં સારવારની અમુક ઊણપોને કારણે થઈ રહ્યો હોવાનું અનુમાન છે.
આ પત્રમાં હાર્દિક પટેલે લખ્યું છે કે આ રોગની સારવાર ખૂબ જ ખર્ચાળ અને જોખમી હોઈ રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગીય પ્રજાજનોને તેની સારવાર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. હાર્દિકના દાવા પ્રમાણે ખાનગી હૉસ્પિટલમાં આ રોગની સારવાર પર નવથી 12 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે.
તેમણે લખ્યું છે કે, "તાજેતરમાં જ રાજસ્થાન સરકાર દ્વારા રાજ્યની તમામ ખાનગી અને સરકારી હૉસ્પિટલોમાં આ રોગની સારવાર નિ:શુલ્ક કરવાનો નિર્ણય કર્યો છે."
હાર્દિક પટેલે મુખ્ય મંત્રીને પત્રમાં વિનંતી કરતાં આગળ લખ્યું છે કે, "ગુજરાતમાં 27 વર્ષથી આપની સરકાર છે. તેવી પરિસ્થિતિમાં રાજ્યની પ્રજા માટે આ રોગની સારવાર તમામ હૉસ્પિટલોમાં નિ:શુલ્ક જાહેર કરી રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગની પ્રજાની લાગણી અને માગણીને માન આપશો. અને સંવેદનશીલ નિર્ણય લેશો."
નોંધનીય છે કે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખે આ સિવાય ઇન્જેક્શનની કાળા બજારી ઉપર નિયંત્રણ કરવા માટે પણ મુખ્ય મંત્રીને પત્રમાં જણાવ્યું છે.
પત્રમાં હાર્દિક પટેલે આપેલી વિગત અનુસાર રાજ્યમાં અત્યાર સુધી મ્યુકરમાઇકોસિસના 2,281 કેસો નોંધાઈ ચુક્યા છે.
આ રોગના કારણે ઘણા લોકોને પોતાની આંખ અને જડબા જેવાં મહત્ત્વનાં અંગ ગુમાવવાં પડ્યાં હોવાના અહેવાલો સ્થાનિક માધ્યમોમાં જોવા મળ્યા છે.
ગુજરાતમાં હવેથી મ્યુકરમાઇકોસિસની સારવારમાં જરૂરી ઇંજેક્શન ઍમ્ફોટેરિસિન બી હવેથી ઇન્જેક્શન હવેથી અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાંથી મળી રહેશે.
ખાનગી હૉસ્પિટલોમાં સારવાર લઈ રહેલા મ્યુકરમાઇકોસીસ દરદીઓને આ ઇન્જેક્શન સિવિલ હૉસ્પિટલમાંથી મળી રહેશે એવું ગુજરાત સરકારનું માહિતીખાતું જણાવે છે.
સિવિલ હૉસ્પિટલમાંથી આ ઇન્જેક્શન પડકર કિંમતે મળી રહેશે એવું પણ જણાવાયું છે.
અમેરિકાના એક ખુફિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાઈ તે પૂર્વે એક મહિના પહેલાં વુહાનની લૅબના ત્રણ સંશોધનકર્તાઓ બીમાર પડ્યા હતા.
અમેરિકી અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજીનના ત્રણ સંશોધનકર્તા વર્ષ 2019ના નવેમ્બરમાં બીમાર પડ્યા હતા. તેમણે હૉસ્પિટલની મદદ પણ માગી હતી.
અખબારે તેના રિપોર્ટમાં સંશોધનકર્તાની સંખ્યા, બીમાર પડવાનો સમય અને હૉસ્પિટલ જવા વિશેની વિગતવાર માહિતીઓ પણ ટાંકી છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંગઠનની એક મહત્ત્વપૂર્ણ બેઠક જેમાં કોરોના વાઇરસના ઉદભવની તપાસ મામલે ચર્ચા થવાની છે તેના એક દિવસ પહેલાં આ રિપોર્ટ પ્રકાશિત કરાયો છે. જે વુહાન લૅબથી વાઇરસ ફેલાયો કે કેમ તેની તપાસ કરવા પર ભાર મૂકે છે.
રિપોર્ટ મામલે અમેરિકાની સિક્યૉરિટી કાઉન્સિલના પ્રવક્તાએ કોઈ ટિપ્પણી નથી કરી પણ કહ્યું કે, કોરોનાના ઉદભવ મામલેની તપાસ માટે બાઇડન પ્રશાસન ગંભીર છે.
એ પણ નોંધવું કે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાઇરસને ચીની વાઇરસ અથવા વુહાન વાઇરસ કહેતા આવ્યા છે.
જોકે અત્યાર સુધી વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)નું કહેવું છે કે વુહાનની લૅબમાંથી વાઇરસ ફેલાયો એ મામલે કોઈ પુરાવા નથી.
‘ભારતમાં મળેલા B.1.627.2 વૅરિયન્ટ સામે ઍસ્ટ્રાઝેનેકા રસીના બે ડોઝ અસરકારક’
યુકેમાંથી મળેલા નવા ડેટા અનુસાર ભારતમાં પ્રથમ મળી આવેલ B.1.627.2 વૅરિયન્ટ સામે ઍસ્ટ્રાઝેનેકા રસી અસરકારક હોવાનું તારણ આવ્યું છે.
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર બે દિવસ પહેંલા યુકેમાં એક ડેટા પ્રકાશિત થયો હતો. જોકે તેની હજુ સમીક્ષા નથી થઈ. પણ તેમાં ફાઇઝર અને ઍસ્ટ્રાઝેનેકા રસી યુકેના કેન્ટ એટલે કે B.1.1.7 અને ભારતમાં પ્રથમ મળી આવેલા B.1.617.2 વૅરિયન્ટ સામે અસરકારક હોવાની વિગતો આપવામાં આવી છે.
ભારતને આ માહિતીમાં ઘણો રસ છે કેમ કે શક્યતા છે કે ભારતમાં B.1.617 વૅરિયન્ટનું પ્રભુત્ત્વ રહ્યું હોય. જેથી તે દેશમાં ઝડપથી વાઇરસ ફેલાવે છે.
સીબીએસઈની ધોરણ 12ની પરીક્ષા મુખ્ય વિષયો સાથે લેવાની વિચારણા, ઘણા રાજ્યો સંમત
કોરોના વાઇરસને કારણે ગુજરાત સરકારે ગુજરાત બોર્ડના ધોરણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી.
હવે બીજી તરફ કેન્દ્રીય બોર્ડ સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષા મુખ્ય વિષયો સાથે ટૂંકા વર્ઝનમાં લેવા વિચારણા કરી રહ્યું છે અને દરખાસ્ત પણ રજૂ કરી દીધી છે.
‘ઇકૉનૉમિક ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર પહેલી જૂને આ મામલે આખરી નિર્ણય કરવામાં આવશે.
અહેવાલ અનુસાર કેટલાક રાજ્યો કેરળ, આસામ, દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરયાણા અને મેઘાલયે કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો છે કે પરીક્ષા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પ્રાથમિકતા આપીને રસી આપી દેવામાં આવે.
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ મુજબ મોટાભાગના રાજ્યો સીબીએસઈની દરખાસ્ત સાથે સંમત છે. તેઓ જુલાઈ-ઑગસ્ટમાં માત્ર મુખ્ય વિષયોની જ પરીક્ષા લેવાય તેની સાથે સંમત છે.
બાળકો માટે નેઝલ વૅક્સિન ગેમચેન્જર સાબિત થઈ શકે છે – WHOના મુખ્ય વૈજ્ઞાનિક
વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથન અનુસાર બાળકો માટે ઇંન્જેક્શન કરતાં નેઝલ વૅક્સિન ગેમચેન્જર સાબિત થઈ શકે છે.
‘મની કંટ્રોલ’ ન્યૂઝ વેબસાઇટ અનુસાર કોરોનાની ત્રીજી લહેર આવવાની છે, તે યુવાઓ કરતાં બાળકોને વધુ અસર કરે એવી શક્યતા છે.
સૌમ્યા સ્વામીનાથને કહ્યું, “ભારતમાં બાળકો માટે જે રસી તૈયાર થઈ રહી છે તેમાં નૅઝલ વૅક્સિન ગેમચેન્જર સાબિત થઈ શકે છે. કેમ કે તે શ્વાસનળીમાં રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડી શકશે.”
તેમણે એમ પણ ઉમેર્યું કે, કમ્યનિુટી ટ્રાન્સમિશન એટલે કે સામુદાયિક સંક્રમણ નીચું જાય પછી જ શાળાઓ ખોલવા વિશે વિચારી શકાય અને એ માટે શિક્ષકોનું સંપૂર્ણ રસીકરણ કરી દેવું પડે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો