DRDO કોરોના દવા : 2DG દવા લૉન્ચ કરાઈ, કેટલા રૂપિયામાં મળશે અને કઈ રીતે લઈ શકાય?

ભારતમાં કોરોના વાઇરસની મહામારીનો કેર સતત વધી રહ્યો છે ત્યારે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા-ડીસીજીઆઈએ એક ઍન્ટિ-કોરોના વાઇરસ દવાને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.

DRDO દ્વારા તૈયાર કરાયેલી કોરોનાની 2DG દવાને શુક્રવારે લૉન્ચ કરવામાં આવી છે, જેની કિંમત 990 રૂપિયા છે. 2.34 ગ્રામના પાઉચમાં આ દવા મળશે.

સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ સરકારી હૉસ્પિટલોને આ દવા ઓછી કિંમતે આપવમાં આવશે અને આ દવાનું ઉત્પાદન હૈદરાબાદસ્થિત ડૉ. રેડ્ડીસ લૅબોરેટરી દ્વારા કરવામાં આવશે.

કોરોનાના સામાન્ય અને ગંભીર દરદી પર લાગુ પડતી આ દવાને ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટ દ્વારા ડૉ. રેડ્ડી લૅબોરેટરીના સહયોગથી તૈયાર કરવામાં આવી છે.

કોરોનાની DRDO નિર્મિત દવા કઈ રીતે લેવાની હોય છે?

પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોની અખબારી યાદી મુજબ 2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ (2-ડીજી) નામની આ દવા પાવડર સ્વરૂપે છે અને અને પાણી સાથે લેવાની હોય છે. આ દવા સંક્રમિત સેલમાં વાઇરસની વૃદ્ધિને અટકાવે છે.

ડિફેન્સ મંત્રાલયને ટાંકીને પીઆઈબી લખે છે કે, ક્લિનિકલ ટ્રાયલમાં જોવા મળ્યું છે કે ડ્રગ 2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ (2-ડીજી) હૉસ્પિટલાઇઝ્ડ દરદીની રિકવરી ઝડપી બનાવે છે અને સપ્લિમેન્ટલ ઓક્સિજનની જરૂરિયાત ઘટાડે છે.

અખબારી યાદી મુજબ, આ દવાથી જેમની સારવાર થઈ તેમાંથી મોટા ભાગના દરદીઓનો આરટી-પીસીઆર રિપોર્ટ નૅગેટિવ આવ્યો અને આ દવા કોવિડના દરદીઓ માટે ઉપયોગી છે.

DRDOની કોરોના દવાનું ક્યારે થયું પરીક્ષણ?

ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2020માં જ્યારે કોરોના વાઇરસની પ્રથમ લહેર હતી ત્યારે ડીઆરડીઓ વિજ્ઞાનીઓ સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મોલેક્યુલર બાઇલૉજી, હૈદરાબાદની મદદથી લૅપ પરીક્ષણ કર્યાં હતાં, જેમાં આ દવા સાર્સ-કોવિડ-2 વાઇરસ સામે અસરકારક સાબિત થઈ હતી અને તેણે વાઇરસની વૃદ્ધિ ઘટાડી હતી.

આના આધારે મે, 2020માં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગનાઇઝેશને ફેઝ-1ની ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપી હતી.

ડીઆરડીઓ અને તેમના ઔદ્યોગિક સહયોગી ડૉ. રેડ્ડી લૅબોરેટરીએ મેથી ઑક્ટોબર 2020 સુધી ક્લિનિકલ ટ્રાયલ ચલાવી અને તેમાં એમને નોંધપાત્ર રિકવરી જોવા મળી.

બે ક્લિનિકલ ટ્રાયલ બાદ ત્રીજી ટ્રાયલ માટે નવેમ્બર 2020ના રોજ પરવાનગી આપવામાં આવી હતી. ત્રીજી ટ્રાયલમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશની 27 હૉસ્પિટલોમાં 200 દરદીઓ પર આ દવાની ચકાસણી કરવામાં આવી હતી.

ડિફેન્સ મિનિસ્ટ્રીની અખબારી યાદી મુજબ, આ પરીક્ષણોમાં નોંધપાત્ર દરદીઓમાં સુધારો જોવા મળ્યો અને ઓકિસજન પરની આધારિતતામાં નિર્ધારિત સ્વાસ્થ્ય પ્રણાલિથી અલગ 42થી 31 ટકાનો ઘટાડો ત્રીજા દિવસને અંતે જોવા મળ્યો.65 વર્ષથી વધારે વયની વ્યક્તિઓમાં પણ આ ટ્રેન્ડ જોવા મળ્યો.

આના આધારે ડીસીજીઆઈ દ્વારા આ દવાના ઇમરજન્સી ઉપયોગની પરવાનગી આપવામાં આવી છે.

અખબારી યાદી કહે છે કે આ એક જૅનરિક ગ્લુકોઝ એનાલોગ પ્રકારની દવા છે જે દેશમાં જ વિપુલ પ્રમાણમાં સહેલાઈથી ઉપલબ્ધ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો