You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : કોરોનાના 12 હજાર કરતાં વધુ નવા કેસ, કુલ મૃતાંક 8 હજાર થયો - BBC TOP NEWS
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિ અંગે આંકડા બહાર પાડવામાં આવ્યા હતા.
જે મુજબ ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના 12 હજાર 545 નવા દરદી નોંધાયા છે, જ્યારે 13 હજાર 21 સાજા થઈ ગયા છે.
આ દરમિયાન વધુ 123 દરદીનાં મૃત્યુ થયાં છે અને સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મૃત્યુ પામનારાઓની સંખ્યા આઠ હજાર 35 પર પહોંચી છે.
હાલમાં રાજ્યમાં કોરોનાના એક લાખ 47 હજાર 525 ઍક્ટિવ કેસ છે, જેમાંથી 786 વૅન્ટિલેટર પર છે.
અત્યારસુધીમાં ચાર લાખ 90 હજાર કરતાં વધુ દરદીએ કોરોનાને માત આપી છે.
યેચુરીએ મોદીને પૂછ્યુ, "લોકો મરી રહ્યા છે, સંસદનું નિર્માણકાર્ય કેમ જરૂરી?"
માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરીએ મોદી સરકાર તરફ ઇશારો કરતા કહ્યું છે કે જો તમે કંઈ શકો એમ ન હોય તો ખુરશી પરથી ઊતરી કેમ નથી જતા?
તેમણે ટ્વિટર પર લખ્યું, "આપ ઓક્સિજન નથી અપાવી શકતા. આપ રસી નથી અપાવી શકતા. આપ દવા અને હૉસ્પિટલોમાં બેડ નથી અપાવી શકતા. આપ કોઈ પ્રકારની મદદ નથી અપાવી શકતા."
"આપ માત્ર ભ્રામક પ્રચાર, બહાનાં અને અસત્ય જ ફેલાવી શકો છો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યેચુરીએ પોતાના ટ્વીટના અંતે ઇરતિઝા નિશાતનો એક શેર પણ લખ્યો, - 'કુર્સી હૈ તુમ્હારા જનાઝા તો નહીં, કુછ કર નહીં સકતે તો ઉતર ક્યોં નહીં જાતે.'
ગત મહિને કોરોનાને લીધે યેચુરીના પુત્રનું મૃત્યુ થયું હતું. તેમણે જાતે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.
અન્ય એક ટ્વીટમાં નવી સંસદની ઇમારતના ખર્ચનો ઉલ્લેખ કરતાં સીતારામ યેચુરીએ ટ્વીટ કર્યું, "આ નિર્માણને અટકાવો અને તમામ ભારતીયોને ઓક્સિજન અને મફત રસી આપવા માટે પૈસાનો ઉપયોગ કરો."
"આ કેટલી ગંદી વાત છે કે મોદીએ પોતાના દંભમાં નિર્માણકાર્ય ચાલુ રાખ્યું છે અને લોકો શ્વાસ વગર મરી રહ્યા છે."
મમતાનો મોદીને સવાલ, 'સંસદ અને મૂર્તિઓ માટે પૈસા છે, રસી માટે કેમ નથી?''
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર સમક્ષ ફરીથી મફત રસીની માગ કરી છે.
તેમણે કહ્યું કે મફત રસીકરણના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ સુધી તેમના પત્રનો જવાબ નથી આપ્યો.
મમતા બેનરજીએ કહ્યું, "તેઓ રસીકરણ માટે 30 હજાર કરોડ રૂપિયા આપતા નથી, જ્યારે સંસદ અને મૂર્તિઓ પર 20 હજાર કરોડ રૂપિયા ખર્ચાઈ રહ્યા છે."
"પીએમ કૅર ફંડ ક્યાં છે? તેઓ યુવાનોનું જીવન જોખમમાં કેમ નાખી રહ્યા છે? તેમના નેતાઓએ જ્યાં-ત્યાં જવાને બદલે કોવિડ હૉસ્પિટલોની મુલાકાત લેવી જોઈએ."
"તેમના નેતા આવી રહ્યા છે અને કોરોના ફેલાવી રહ્યા છે."
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ ચીનની રસી મુકાવ્યા બાદ કેમ કહ્યું કે 'ભૂલ કરી'
અપ્રમાણિક રસી લગાવવાને લીધે ટીકાનો સામનો કરી રહેલા ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રૉડ્રિગો દુતેર્તેએ ચીનને કહ્યું છે કે તે દાન કરેલી પોતાની 1000 સિનોફાર્મ રસી પરત લઈ જાય.
દુતેર્તેનું કહેવું છે કે 'ચીન ભવિષ્યમાં માત્ર સિનોવેક વૅક્સિન જ મોકલે.' ફિલિપાઇન્સમાં હાલમાં આ રસીનો ઉપયોગ કરાઈ રહ્યો છે.
દુતેર્તેએ કહ્યું, "મેં કંપેશનેટ યુઝ ક્લોઝ (જેમાં કેટલાક લોકો બહુ જરૂર પડે ત્યારે અપ્રમાણિત દવા લેતા હોય છે) અંતર્ગત સિનોફાર્મનો ડોઝ લીધો હતો કેમ કે ડૉક્ટરે રસી લેવાની સલાહ આપી હતી."
સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે લોકોને અપીલ કરી હતી કે "જે મેં કર્યું એ ન કરતા. આ જોખમી છે. કેમ કે આને લઈને કોઈ અભ્યાસ હાથ નથી ધરાયો. આ શરીર માટે ઠીક ન હોય એ પણ શક્ય છે. મને જ આ રસી મુકાવનારી એક માત્ર વ્યક્તિ રહેવા દો. આપ ન લો."
ચીનની કોરોના વૅક્સિન સિનોફાર્મ અને સિનોવેકને આ સપ્તાહે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા મંજૂરી મળી શકે એમ છે.
જોકે, સિનોફાર્મને હજુ સુધી મંજૂરી નથી મળી એટલે એવી શક્યતાઓ છે કે આની નકારાત્મક અસર થઈ શકે છે.
ચીનની આ બન્ને રસી વાઇરસના પાર્ટિકલને મારવાની રીત પર કામ કરે છે. જ્યારે મૉર્ડના અને ફાઇઝર રસી શરીરમાં વાઇરલ પ્રોટીન બનાવવાની પ્રક્રિયા પર કામ કરે છે.
બંગાળ : કેન્દ્રી મંત્રીના કાફલા પર હુમલો, મમતાએ લગાવ્યો ઉશ્કેરણીનો આરોપ
કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા વી. મુરલીધરને તૃણમૂલ કૉંગ્રેસ પર તેમના કાફલા પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. વિદેશ રાજ્યમંત્રી મુરલીધરને આ અંગેને એક વીડિયો પર પોસ્ટ કર્યો છે.
તેમણે લખ્યું છે, "પશ્ચિમ મિદનાપુરમાં ટીએમસીના ગુંડોએ મારા કાફલા પર હુમલો કર્યો. હુમલાને કારણે ગાડીની બારીના કાચ તૂટી ગયા. સાથે જ મારા અંગત કર્મચારીઓ પર પણ હુમલો કરાયો."
આ હુમલાને લીધે તેમને તેમનો પ્રવાસ અધવચ્ચે જ રોકવો પડ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રી મંત્રી વી. મુરલીધરનના કાફલા પર થયેલા કથિત હુમલાની ટીકા કરી છે અને બંગાળમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ધ્વસ્ત થઈ ગઈ હોવાનું કહ્યું છે.
બીજી તરફ રાજ્યનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે ભાજપના નેતા ચોતરફ ફરી રહ્યા છે અને લોકોને ઉશ્કેરી રહ્યા છે.
તેમણે કહ્યું કે હજુ નવી સરકારને 24 કલાકનો સમય પણ નથી થયો અને તેઓ પત્ર મોકલી રહ્યા છે, ટીમ મોકલી રહ્યા છે અને નેતાઓ અહીં આવી રહ્યા છે.
મમતાએ એવું પણ કહ્યું કે હકીકતમાં તેઓ જનમત સ્વીકારી નથી શકતા. તેમણે ભાજપના નેતાઓને જનમત સ્વીકારવાની ભલામણ કરી છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી અજિતસિંહનું કોવિડ સંક્રમણ બાદ નિધન
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ ચૌધરી અજિતસિંહનું 82 વર્ષની વયે અવસાન થયું છે.
અજિતસિંહ ગુરુગ્રામની એક હૉસ્પિટલમાં દાખલ હતા અને ઇલાજ દરમિયાન જ ગુરુવારે તેમનું નિધન થયું હતું.
20 એપ્રિલે તેમનો કોવિડ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો, જે બાદ મંગળવારે તેમનાં ફેફસાંમાં ઇન્ફૅક્શન વધી ગયું હતું.
અજિતસિંહના મૃત્યુના સમાચાર તેમના પુત્ર જયંત ચૌધરીએ ટ્વિટરના માધ્યમથી આપ્યા હતા.
તેમણે લખ્યું, "20 એપ્રિલે ચૌધરી અજિતસિંહ કોરોના સંક્રમિત થયા હતા. તેઓ અંતિમ શ્વાસ સુધી કોરોનાથી લડતા રહ્યા અને 6 મેની સવારે અંતિમ શ્વાસ લીધા."
"ચૌધરી સાહેબે તેમના જીવનમાં ખૂબ આદર અને પ્રેમ કમાવ્યા હતા."
ગુજરાતમાં કોરોનાથી સાજા થયેલા અનેક દરદીઓ વધારે ઘાતકી રોગની ઝપેટમાં
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર ગુજરાતમાં કોરોના વાઇરસના દરદીઓમાં મ્યુકોરમાઇકોસિસ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. રાજ્યમાં બ્લૅક ફંગસ ઇન્ફૅક્શન એટલે કે મ્યુકોરમાઇકોસિસથી પીડાતા હોય એવા દરદીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
ડાયાબિટીસ અને સ્ટેરોઇડનો બેફામ ઉપયોગ આ બીમારી પાછળ જવાબદાર છે. મ્યુકોરમાઇકોસિસના દરદીને શરીરમાં સખત દુખાવો થાય છે અને 20-30 ટકા દરદી પોતાની દૃષ્ટિ ગુમાવે છે.
ડૉક્ટરોને ટાંકતાં અહેવાલ લખે છે કે મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થતાં રાજ્યમાં ઍમફોટેરેસીન બી ઇન્જેક્શનની ઘટ થઈ ગઈ છે અને દરદીઓ વધારે પૈસા ચૂકવીને દવા મંગાવી રહ્યા છે.
અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સર્જન ડૉ. દેવાંગ ગુપ્તાને ટાંકતાં અહેવાલ જણાવે છે કે હૉસ્પિટલમાં દરરોજ 6-7 મ્યુકોરમાઇકોસિસના દરદીઓ દાખલ થઈ રહ્યા છે અને પાંચ દરદીઓનું ઑપરેશન કરવામાં આવી રહ્યું છે.
નાકથી પ્રવેશીને આ ફંગસ કફમાં ભળી જાય છે અને નાકની ચામડી સુધી પહોંચી જાય છે. જે બાદ આ બીમારી બહુ ઝડપથી અને બધું બગાડતાં-બગાડતાં મસ્તિષ્ક સુધી પહોંચી જાય છે. આ બીમારીથી સંક્રમિત 50 ટકા લોકોનાં મૃત્યુ થાય છે.
ભારતના નેતાઓને ઓક્સિજન કરતાં પોતાની છબિની વધુ ચિંતા - હ્યુમન રાઇટ્સ વૉચ
હ્યુમન રાઇટ્સ વૉચનાં દક્ષિણ એશિયાનાં ડિરેક્ટર મીનાક્ષી ગાંગુલી અનુસાર ભારત કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે, ત્યારે નેતાઓ ઓક્સિજન અને અન્ય તબીબી અછતના બદલે તેમની ટીકા અને છબિ અંગે ચિંતિત છે.
તેમણે કહ્યું હતું કે ભારતમાં જે લોકો અથવા બિનસરકારી સંસ્થાઓ કોરોના દરદીઓની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તેમની પાસે મદદ માગનાર લોકોની કોઈ અછત નથી.
મીનાક્ષી મુજબ ભારત સરકારે મેડિકલ સપ્લાય વધારવાનો પ્રયાસ જરૂર કર્યો છે, પરંતુ હજુ પણ વસ્તુઓ હૉસ્પિટલોમાં પહોંચી રહી નથી.
તેઓ કહે છે કે જ્યારે આ નિષ્ફળતા માટે સરકારની ટીકા કરવામાં આવે છે, ત્યારે સરકાર નારાજગી વ્યક્ત કરે છે અને આ સંદર્ભે આપવામાં આવેલી કોઈ પણ સલાહનો અધિકારીઓ મજાક ઉડાવે છે.
મીનાક્ષી ગાંગુલીએ કહ્યું હતું કે ભારતમાં દરરોજ આશરે ચાર લાખ લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને ત્રણ હજારથી વધુ લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. બીજી બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની છબિ ન ખરડાય તે માટેના પ્રયાસ કરી રહ્યા છે.
ઘણા લોકો કહી રહ્યા છે કે કોરોના મહામારીને નિયંત્રિત કરવામાં મોદી સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. આ સરકારની પ્રાથમિકતાઓ શું છે તેના પર પણ ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો છે.
મીનાક્ષી કહે છે કે ભારતના રસી ઉત્પાદકોએ વિશ્વને કોરોના રસી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે તેઓ સપ્લાય પૂર્ણ કરી શક્યા નથી.
કળશયાત્રા કાઢવા બદલ પોલીસે 23 લોકો સામે કેસ કર્યો
ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર સાણંદ તાલુકાના નવાપારા ગામમાં મોટી સંખ્યામાં મહિલાઓએ કળશયાત્રા કાઢતાં અમદાવાદ પોલીસે બુધવારે 23 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.
મંગળવારે એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં હજારોની સંખ્યામાં મહિલાઓ માથામાં કળશ લઈને નવાપારા ગામથી નજીકના નિરધ ગામસ્થિત બળિયાદેવ મંદિરે જઈ રહ્યાં છે.
યાત્રામાં મહિલાઓેએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરતા પોલીસે ગામના સરપંચ સહિત 23 લોકો સામે કેસ કર્યો છે.
અમદાવાદ ગ્રામ્યના એસ.પી. વીરેન્દ્ર યાદવને ટાંકતાં અહેવાલ લખે છે કે ઘટનાની જાણ થતાં એક પોલીસ ટીમ નવાપારા મોકલવમાં આવી હતી.
મહિલાઓને કોવિડ પ્રોટોકોલ વિશે માહિતી આપવામાં આવી હતી અને તેમને પરત જવા માટે કહેવામાં આવ્યું હતું. અમે ગામના સરપંચની ધરપકડ કરી છે.
અહેવાલ અનુસાર યાત્રા કાઢવા માટે કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી. ગામ લોકો અનુસાર કોરોના વાઇરસથી મુક્તિ મળે તે માટે આ કળશયાત્રા કાઢવામાં આવી હતી.
લખનૌમાં ઓક્સિજન સિલિન્ડર ફાટતાં ત્રણનાં મોત, 8 ઈજાગ્રસ્ત
લખનૌમાં ઓક્સિજન સિલિન્ડર રિફીલ કરતી વખતે બલાસ્ટ થતાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે અને આઠ લોકોને ઈજા થઈ છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર લખનૌના ચિનહટ વિસ્તારમાં આવેલા કે. ટી. રિફીલિંગ સેન્ટરમાં ઓક્સિજન સિલિન્ડર ભરતી વખતે આ ઘટના ઘટી હતી.
મૃત્યુ પામનાર બે વ્યક્તિઓ રિફીલિંગ સેન્ટરમાં કામ કરતી હતી, જ્યારે ત્રીજી વ્યક્તિ ત્યાં ગૅસ ભરાવવા આવી હતી.
ઈજાગ્રસ્તોની લખનૌની રામમનોહર લોહિયા હૉસ્પિટલ અને અન્ય બે હૉસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે, જેમાં એક દરદીની હાલત ગંભીર છે.
લખનૌના પોલીસ કમિશનર ડી. કે. ઠાકુરે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સિલિન્ડરમાં કોઈ ટેકનિકલ ફોલ્ટ હતો, જેના કારણે આ ઘટના બની છે. અમે આ ઘટનામાં તપાસ કરી રહ્યા છીએ. ઓક્સિજન રિફીલિંગ પ્લાન્ટને નુકસાન થયું નથી.
લખનૌના કલેકટર અભિષેક પ્રકાશે કહ્યું કે ચીફ ફાયર ઑફિસર અને નિષ્ણાતોની એક ટીમે ઘટનાસ્થળ પર જઈને તપાસ કરી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો