કોરોના : પીએમ મોદીએ સમિક્ષા બેઠક યોજી કયા મુદ્દે ચર્ચા કરી? TOP NEWS

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને લઈને આજે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં મુખ્યત્વે ઓક્સિજિન અને દવાઓની ઉપલબ્ધતાની સમિક્ષા કરાઈ હતી. આ સમીક્ષા બેઠકમાં કેટલાય વિશેષજ્ઞો હાજર રહ્યા હતા.

આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહામારીના આ સમયમાં જરૂરી માનવસંસાધનની વર્તમાન સ્થિતિની પણ માહિતી મેળવી.

આંધ્ર પ્રદેશમાં 21 કોરોના દર્દીઓનાં મોત, સગાનો આરોપ ઓક્સિજન ન હોવાથી મોત, તંત્રનો ઇન્કાર

આંધ્ર પ્રદેશના અનંતપુરમ જિલ્લાની સરકારી હૉસ્પિટલમાં 21 લોકોનાં મોત થયાં છે, સંબંધીઓનું કહેવું છે કે ઓક્સિજન ન હોવાને કારણે આ મોત થયાં છે.

જ્યારે અધિકારીઓનું કહેવું છે કે ઓક્સિજનની કોઈ અછત નથી પરંતુ કોરોના સાથે સંકળાયેલાં વિવિધ કારણોસર આ લોકોનાં મોત થયાં છે.

શનિવારે એક જ દિવસમાં અહીં 1,880 કોરોનાના કેસ આવ્યા હતા અને અહીં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેના કારણે સરકારી હૉસ્પિટલમાં પથારીઓ ઓછી પડી રહી છે.

અનેક દર્દીઓ અહીં પથારી મળવાની રાહ જોતાં ઍમ્બુલન્સમાં જ બેસી રહ્યા હતા. દર્દીઓનાં સગાઓનું કહેવું છે કે પથારીઓ અને ઓક્સિજન ન હોવાને કારણે 21 લોકોનાં મોત થયાં છે.

કેટલાક લોકોનું કહેવું છે કે એક મહિલાના મૃતદેહને હૉસ્પિટલના સ્ટાફે રોડ પર રઝડતો મૂકી દીધો હતો અને કલાકો સુધી તે બીજા દર્દીઓની વચ્ચે પડ્યો રહ્યો હતો.

અનંતપુરના ધારાસભ્ય અનંથા વેંકટરામરેડ્ડીનું કહેવું છે કે તેમના ધ્યાને આવ્યું છે કે છેલ્લા ત્રણ દિવસથી સરકારી હૉસ્પિટલમાં ઓક્સિજનની પૂરતી સપ્લાય નથી અને હવે આ દુખદ ઘટના બની છે.

'કોરોનાને રોકવા લૉકડાઉન જરૂરી'- ભારત સરકારની કોરોના ટાસ્ક ફોર્સનું સૂચન

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ભારત સરકારની કોરોના વાઇરસની ટાસ્ક ફોર્સના, ટૅક્નિકલ એક્સપર્ટ ગ્રૂપે કોરોના વાઇરસના કેસ વધવાને કારણે કેન્દ્ર સરકારને ‘દેશભરમાં લૉકડાઉન’ લાગુ કરવાની આકરી રજૂઆત કરી હતી.

દેશની મહત્ત્વની આરોગ્ય સંસ્થા એઇમ્સ અને આઈસીએમઆરના અનેક નિષ્ણાંતો આ ટાસ્ક ફોર્સમાં સામેલ છે, તેમણે હાલમાં વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણની વચ્ચે અનેક વખત મીટિંગ કરી હતી.

આ સભ્યો વચ્ચે થયેલી ચર્ચા એટલા માટે મહત્ત્વની બને છે કારણ કે ટાસ્ક ફોર્સના ચૅરપર્સન વી.કે. પૌલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રિપોર્ટ કરે છે.

ટાસ્ક ફોર્સના એક સભ્યએ કહ્યું, “કોરોના વાઇરસની ટાસ્ક ફોર્સે ખૂબ જ આકરી રીતે છેલ્લાં અઠવાડિયાંમાં આ કહેવાનો પ્રયત્ન કર્યો છે કે આપણે લોકોને કહી દેવું જોઈએ કે આપણે લૉકડાઉન જોઈએ છે.”

દેશનાં ઘણાં રાજ્યોમાં પ્રતિબંધો છે, તેના પર એક સભ્ય કહ્યું, “હાલ આપણે જે વિવિધ રાજ્યોમાં ભાગલા પાડીને કરી રહ્યા છીએ, તેના કરતાં રાષ્ટ્રીય લૉકડાઉન જોઈએ. કારણ કે એક સાદું તથ્ય છે કે વાઇરસ આખા દેશમાં ફેલાઈ રહ્યો છે.”

ભારતમાં શનિવારે એક જ દિવસમાં કોરોના વાઇરસના ચાર લાખ કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં 200 ટન ઓક્સિજનની રોજ અછત સર્જાઈ રહી છે

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાતને રોજ એક હજાર મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનની મળી રહ્યો છે. જ્યારે ઓક્સિજનની માગ વધીને 1150 થી 1200 મેટ્રિક ટને પહોંચી છે.

ગુજરાતમાં રોજની 200 ટન ઓક્સિજનની અછત સર્જાય છે.

સરકારના એક અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં દરરોજની મેડિકલ ઓક્સિજનની માગ 1150 થી 1200 મેટ્રિક ટનની છે. એનો અર્થ એ થાય કે 150 થી 200 મેટ્રિક ટનની અછત છે.

ઓક્સિજન વેસ્ટ ન જાય તે માટે સરકારે આકરી ઓડિટ પૉલિસી બનાવી છે. ઓક્સિજનના પરિવહન દરમિયાન ઘટ ન સર્જાય તે માટે પગલાં ભરાઈ રહ્યાં છે. સ્થાનિક ઉત્પાદન સાથે પણ ઉત્પાદન વધારવા ભાર મૂકાઈ રહ્યો છે

રિપોર્ટ મુજબ હાલ ઓક્સિજનની માગ સ્ટેબલ થઈ ગઈ છે. વધી રહી નથી. જો માગમાં વધારો થશે તો અમારે એક પ્રેઝન્ટેશન બનાવું પડે અને કેન્દ્ર સરકાર સામે મૂકવું પડશે પરંતુ અમને લાગે છે કે તે આગામી દિવસમાં ઓક્સિજનની માગ ઘટી જશે.

સુપ્રીમ કોર્ટ રાજદ્રોહના કાયદાની કાયદેસરતાની ફેર તપાસ કરશે

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ભારતીય દંડ સંહિતાની રાજદ્રોહની કલમ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાની સુપ્રીમ કોર્ટ ફેર તપાસ કરશે.

દેશના બે પત્રકારોએ તેમની સામે રાજદ્રોહનો કેસ લાગતા રાજદ્રોહના કાયદાના પેનલ પ્રોવિઝનના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

આ બંને પત્રકારોએ રાજકીય નેતાઓની સામે અવાજ ઉઠાવતા તેમની સામે રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો અને તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા.

તેમણે કોર્ટમાં અપીલ કરી, "કાયદાની ઉપયોગિતા વધારે છે અને તેનો સત્તામાં રહેલા પાવરફૂલ લોકોની ટીકા કરનારની સામે વપરાય છે."

રાજદ્રોહના કાયદાના ખોટી રીતે વપરાશનાં અનેક ઉદ્દાહરણો તેમણે સુપ્રીમ કોર્ટમાં મૂક્યાં હતાં.

કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો