You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત હાઈકોર્ટે વિજય રૂપાણી સરકારને કોરોનાની સ્થિતિ અંગે શું કહ્યું?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
રાજ્યમાં કોરોના મુદ્દે પ્રવર્તમાન સ્થિતિ અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ, એ પહેલાં રૂપાણી સરકારે સંખ્યાબંધ પગલાંની જાહેરાત કરી હતી.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીના કહેવા પ્રમાણે, રાજ્યમાં 15 હજાર નવા ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય 'દેશમાં સૌથી વધુ' રેમડિસિવિયરના ઇંજેક્ષન ગુજરાતની જનતાને ઉપલબ્ધ કરાવ્યાં હોવાનો દાવો સરકારે કર્યો છે.
આ પહેલાં સોમવારની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે 'જનતાને લાગે છે કે તે ભગવાનને ભરોસે' છે.
હાઈકોર્ટની ટિપ્પણી બાદ રાજ્ય સરકારે સંખ્યાબંધ પગલાં અને નિષેધાત્મક આદેશોની જાહેરાત કરી હતી.
બુધવારે સાંજની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં સાત હજાર 470 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના 39 હજાર 250 ઍક્ટિવ કેસ છે. જેમાંથી 254 વૅન્ટિલેટર પર છે. ગત 24 કલાક દરમિયાન વધુ 73 દરદીનાં મૃત્યુ થયાં હતાં. આ સાથે મરણાંક 4 હજાર 995 ઉપર પહોંચ્યો છે.
હાઈકોર્ટે વિજય રૂપાણી સરકારને શું કહ્યું?
- આરટીપીસીઆર ટેસ્ટનાં ઝડપી પરિણામો મેળવી શકાય, એ માટે સરકાર નવી મશીનરી ખરીદે.
- 108 ઍમ્બ્યુલન્સની લાઇનો ન લાગે, એ માટે સરકાર પગલાં લે.
- સિટીસ્કૅનની સુવિધાઓ શું છે, એ અંગે પણ હાઈકોર્ટે સવાલો પૂછ્યા હતા અને આ અંગે શક્ય સુવિધા વધારવા પણ વિનંતી કરી હતી.
- રાજ્યના તમામ જિલ્લા અને તાલુકાસ્તર પર કોવિડ ટેસ્ટિંગની સુવિધા છે કે નહીં? એ અંગે હાઈકોર્ટે સરકારને સવાલો પૂછ્યા હતા.
- ઑક્સિજનની જરૂર છે એવા લોકોને દાખલ ન કરાતા હોવાની વાત અમારા ધ્યાને આવી છે, તો સરકારે એ અંગે તપાસ કરવી જોઈએ.
- તેમણે એવું પણ કહ્યું કે કોરોના સંક્રમિત જે દર્દીઓને ઑક્સિજનની જરૂર છે, તેમના સુધી પહોંચે એ માટે પ્રયાસો થવા જોઈએ.
તંત્ર પર તવાઈ
બુધવારે મુખ્ય મંત્રી વિજય રૂપાણી રાજ્યના આરોગ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે પાટણ જિલ્લામાં પહોંચ્યા હતા. પ્રથમ લહેરમાં આ જિલ્લાને પ્રમાણમાં ઓછી અસર થઈ હતી, જ્યારે બીજી લહેરમાં ત્યાં 938 ઍક્ટિવ કેસ છે.
મુખ્ય મંત્રી રૂપાણીએ કહ્યું હતું, "દેશભરમાં કોરોનાની બીજી લહેર ઊંચા આંક સાથે વધી છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી રહ્યું. ગુજરાતે 'ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રિટમેન્ટ' દ્વારા રોગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો છે."
"પહેલી એપ્રિલથી 10મી એપ્રિલ દરમિયાન સરકારી હૉસ્પિટલો મારફત એક લાખ પાંચ હજાર તથા ખાનગી સ્ટૉકિસ્ટો મારફત એક લાખ 80 હજાર ઇન્જેકશન ઉપલબ્ધ કરાવ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"રાજ્ય સરકારે ત્રણ લાખ ઇંજેક્ષનોનો ઑર્ડર આપ્યો છે તથા દેશમાં સૌથી વધુ ઇંજેક્ષન ઉપલબ્ધ કરાવનારું રાજ્ય બન્યું છે."
રૂપાણીએ દાવો કર્યો હતો કે 10 દિવસ દરમિયાન રાજ્યમાં કોવિડ-19ના 15 હજાર નવા બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના ઇંજેક્ષન તથા ઑક્સિજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
બુધવારે મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, મુખ્ય મંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય સચિવ ડૉ. જયંતી રવિ, ખાસ ફરજ પરના અધિકારી મમતા વર્મા સહિતનાં અધિકારીઓ મુખ્ય મંત્રી સાથે પહોંચ્યાં હતાં.
સુનાવણી પહેલાં જાહેરાતો
- 11 સરકારી હૉસ્પિટલ, 151 ખાનગી હૉસ્પિટલ,103 નર્સિંગ હોમ તથા 21 કોવિડ કેર સેન્ટર મારફત 13 હજારથી વધુ બેડ ઉપલબ્ધ બ.
- અમદાવાદમાં 50 હજારથી વધુ જ્યારે રાજકોટ, વડોદરા અને સુરત માટે 25-25 હજારથી વધુ ઇન્જેકશનની વ્યવસ્થા કરવામાં આવી છે.
- પાટણમાં ટેસ્ટિંગ માટે નવું મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. છ કલાકમાં પરિણામ મળશે.
- અમદાવાદમાં 'ડ્રાઇવ-ઇન આરટી-પીસીઆર' ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા.
- અમદાવાદમાં કોવિડ માટે ડેઝિગ્નેટ થયેલી હૉસ્પિટલોમાં 20 ટકા બેડ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન માટે અનામત રાખવાની જાહેરાત.
- પાટણમાં 500 બેડની કોવિડ વ્યવસ્થા ઊભી કરાશે અને પ્રાથમિક આરોગ્યકેન્દ્રમાં પણ કોવિડની સારવાર મળે તેવી વ્યવસ્થા કરાશે.
- પાનના ગલ્લા બંધ થયાં.
- ચાની લારીઓ સવારે છ વાગ્યા પહેલાં ખુલ્લે નથી તથા રાત્રિ કર્ફ્યુનો અસરકારક અમલ થાય તે માટે આદેશ.
હાઈકોર્ટની ટકોર પછીની કામગીરી
રવિવારે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથે રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિ અંગે સ્વતઃ નોંધ લીધી હતી અને ગુજરાત તથા કેન્દ્ર સરકારને નોટિસ કાઢી હતી. તેમની સાથે બેન્ચમાં જસ્ટિસ ભાર્ગવ કારિયા બેઠા હતા.
સોમવારની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે 'તમે રજૂ કરો છો એટલી સારી સ્થિતિ અને જનતાને લાગે છે કે તે ભગવાન ભરોસે છે.' આ પછી ગુજરાત સરકારની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી.
સોમવારની બેઠકમાં રાજ્ય સરકારે એપ્રિલ અને મે મહિના દરમિયાન જાહેરમાં તહેવાર ઉજવવા ઉપર પ્રતિબંધ જાહેર કર્યો હતો. તા. 30મી એપ્રિલ સુધી તમામ ધાર્મિકસ્થાનોને બંધ રાખવા તથા પૂજારી સહિત મર્યાદિત સંખ્યામાં દૈનિક પૂજાપાઠ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.
હાઈકોર્ટની બેન્ચના સૂચન બાદ તા. 14મી એપ્રિલથી યોજાનારા લગ્નસમારંભમાં માત્ર 50 સભ્ય હાજર રહી શકશે તથા રાત્રિ કર્ફ્યુના સમય દરમિયાન કોઈ કાર્યક્રમ આયોજિત નહીં કરી શકાય. અંતિમયાત્રામાં પણ 50 લોકોની ટોચમર્યાદા નક્કી કરવામાં આવી છે.
આ સિવાય તાત્કાલિક અસરથી સામાજિક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. રાજ્યના અનેક મંદિરોએ સ્વયંભૂ રીતે ભકતોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
આ સિવાય આવશ્યક ન હોય તેવી સરકારી તથા ખાનગી કચેરીઓમાં 50 ટકા બેઠકક્ષમતા સાથે કામ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
હાઈકોર્ટે પોતાની સુઓ-મોટો પિટિશનમાં નોંધ્યું હતું કે ગુજરાતમાં 'મેડિકલ ઇમર્જન્સી'ની સ્થિતિ પ્રવર્તમાન હોય તેમ લાગે છે. જનતાને 'પેરાસિટેમોલની જેમ' રેમડેસિવિયરના ઇંજેક્ષન મળે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી અને જરૂર પડ્યે કાળાબજારી તથા સંગ્રહખોરી કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
રૂપાણીનું કહેવું છે કે 'કોરોનાની પરિસ્થિતિ આવી ત્યારથી સરકાર તથા સરકારી કર્મચારીઓએ દિવસરાત જોયા વગર 24 કલાક જનતાને રાહત મળે તે માટે કામગીરી કરી છે. કામ કરતા લોકોએ જીવ ગુમાવ્યો છે. '
'લૉકડાઉન લાદો'ના સૂચન પછી
એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયા દરમિયાન એક સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે જરૂર પડ્યે ત્રણ-ચાર દિવસનું લૉકડાઉન લાદવામાં આવે, પરંતુ સરકાર દ્વારા કોરોનાની ચેઇનને તોડવા માટે પ્રયાસ થવા જોઈએ.
એ પછી રાજ્ય સરકારે રાજ્યના 20 શહેરોમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે નવ વાગ્યા સુધીનો કર્ફ્યુ લાદ્યો હતો. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, મહેસાણા, મોરબી, આણંદ, દાહોદ, ભરૂચ, ગાંધીધામ, ભૂજ જેવા શહેરોનો સમાવેશ થતો હતો. આ નિષેધાત્મક આદેશ તા. 30મી એપ્રિલ સુધી લાગુ રહેશે.
મોરવાહડફની પેટાચૂંટણી તથા ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી સિવાય રાજકીય મીટિંગો ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો અને લગ્નસમારંભમાં સામેલ થનારાઓની સંખ્યા માટે 100ની ટોચમર્યાદા નક્કી કરવામાં આવી હતી.
એ પહેલાં રાજ્યમાં માત્ર ચાર મહાનગરો (અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત)માં રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો કર્ફ્યુ અમલમાં હતો.
સરકારનું કહેવું છે કે તે લૉકડાઉનને કારણે રોજમદાર તથા રોજેરોજનું પેટિયું રળી ખાનારાઓને અસર થાય તેમ હોવાથી તે લૉકડાઉનની પક્ષધર નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો