ડૉ. ભીમરાવ આંબેડકરને ગુજરાત સરકાર 'રાષ્ટ્રીય નેતા' કેમ નથી માનતી? શું વિવાદ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જીગર ભટ્ટ
- પદ, બીબીસી ગુજરાતી માટે
આજે 14 એપ્રિલના રોજ ડૉ. ભીમરાવ આંબેડકરની જંયતી પર શુભેચ્છા આપતા ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયામાં લખ્યું કે, ભારતીય બંધારણના અલૌકિક શિલ્પકાર અને સામાજિક સમરસતાના જનનાયક, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની જંયતી પર એમને કોટિ કોટિ નમન.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
લાંબો સમય ગુજરાતમાં મુખ્ય મંત્રીપદે રહેનાર વર્તમાન વડા પ્રધાને પણ ડૉ. આંબેડકરને વિશેષ યાદ કર્યા. વડા પ્રધાને એમને એક વૈશ્વિક દર્શનની વ્યક્તિ ગણાવ્યા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
જોકે, મુખ્ય મંત્રીની ટ્વિટમાં બંધારણના અલૌકિક શિલ્પકાર અને જનનાયક ગણાવાય અને વડા પ્રધાનની ટ્વિટમાં વૈશ્વિક દર્શનની વ્યક્તિ ગણાવાય છે તે ડૉ. આંબેડકર વડા પ્રધાનના રાજ્યમાં ગુજરાત સરકારના એક પરિપત્ર મુજબ 'રાષ્ટ્રીય નેતા' નથી ગણાતા અને તેને લઈને વિવાદ થઈ રહ્યો છે.
ગુજરાતમાં હાલ ડૉ. આંબેડકરને રાષ્ટ્રીય નેતાઓની સૂચિમાં સમાવવાને લઈને એક વિવાદ ચાલી રહ્યો છે પણ આ વિવાદ કેમ શરૂ થયો છે અને તેનું કારણ શું છે?
ગુજરાત સરકારના એક ઠરાવ પ્રમાણે, 'મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, વિદ્યમાન વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને 'રાષ્ટ્રીય નેતા' ગણીને તેમની તસવીરને શાળાઓ અને સરકારી કચેરીઓમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત શ્યામા પ્રસાદજી, ભારત માતા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય એમ ત્રણ વિશેષ છબીઓને પણ મૂકવાનો ઠરાવ કર્યો છે.'

રાષ્ટ્રીય નેતાઓની તસવીર મૂકવાનો ખર્ચ સરકારી ગ્રાન્ટમાંથી કચેરીએ કરવાનો હોય છે.
ગુજરાતનાં વિવિધ દલિત સંગઠનો છેલ્લાં 22 વર્ષથી ગુજરાત સરકારને રજૂઆત કરતાં આવ્યાં છે કે ભારતના બંધારણના ઘડવૈયા અને 'ભારતરત્ન' બાબાસાહેબ આંબેડકરને 'રાષ્ટ્રીય નેતાઓ'ની યાદીમાં સમાવવામાં આવે અને તેમની તસવીર શાળાઓ-સરકારી કચેરીઓમાં મૂકવામાં આવે.
જોકે ગુજરાત સરકારે જૂના ઠરાવને યથાવત્ રાખવાનું નક્કી કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દલિત સંગઠનોની માગનો હાલના દેશના વડા પ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને હાલના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અસ્વીકાર કર્યો છે.

ગુજરાત સરકારનો ઠરાવ શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકાર દ્વારા 1992માં રાષ્ટ્રીય નેતાઓની જાહેરાત કરતો એક ઠરાવ કર્યો છે.
આ ઠરાવ અનુસાર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, વિદ્યમાન રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની તસવીર સરકારી કચેરીઓમાં તથા રાજ્ય સરકાર સંચાલિત શૈક્ષણિક સંસ્થોમાં પ્રદર્શિત કરવામાં આવે છે.
1996માં ત્રણ વિશેષ છબીઓને પણ સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મૂકવા માટે બીજો એક ઠરાવ કરવામાં આવ્યો.
આ બીજા ઠરાવમાં ભારત માતા, પંડિત દિનદયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદજીની છબીને વિશેષ છબી તરીકે મૂકવાની વાત કરવામાં આવી.
આમ 1996થી ગુજરાતમાં કુલ આઠ લોકો પાંચ રાષ્ટ્રીય નેતાની તસવીર અને ત્રણ વિશેષ છબી મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઠરાવ આજ સુધી ચાલી રહ્યો છે.

ત્રણ વિશેષ નામ કેવી રીતે ઉમેરાયાં?

ઇમેજ સ્રોત, Getty Images
સામાજિક કાર્યકર્તા કિરીટ રાઠોડે ગુજરાત સરકારમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માગેલી માહિતી અનુસાર, વર્ષ 1995માં સિદ્ધપુરના ધારાસભ્ય જયનારાયણ વ્યાસે મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલને કરેલી ભલામણ પછી બીજા ત્રણ વિશેષ નામને પાંચ રાષ્ટ્રીય નેતાઓના નામની યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા.
જય નારાયણ વ્યાસે લખેલા પત્ર પ્રમાણે, તેમણે ભારત માતા, પંડિત દિનદયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદની તસવીરોને પણ મુખ્ય મંત્રી, મંત્રીઓ, સચિવો તેમજ અન્ય ઉચ્ચ હોદ્દો ધરાવતી કચેરીમાં મૂકવામાં આવે તેની ભલામણ કરી હતી.
ત્યારબાદ ભાજપના તે સમયના પ્રદેશ પ્રમુખ કાશીરામ રાણાએ પણ સરકારને ભલામણ કરી હતી.
આ ભલામણ બાદ 1996માં ભાજપની સરકારમાં 'રાષ્ટ્રીય નેતા'ઓની યાદીના ઠરાવમાં વિશેષ છબી તરીકે સમાવેશ કરવામાં આવ્યો.
સામાજિક કાર્યકર્તા કિરીટ રાઠોડના જણાવ્યા અનુસાર, આ બાદ 1998 અને 2012માં પણ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં સામેલ કરવા માટે રજૂઆત કરવામાં આવી. 1998માં પણ રજૂઆતનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો અને જૂની પ્રથા ચાલુ રાખવી એવું નક્કી કરવામાં આવ્યું હતું.
કિરીટ રાઠોડ કહે છે, "હાલના વડા પ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ બાબાસાહેબ આંબેડકરે લખેલા ભારતના બંધારણને હાથીની અંબાડી પર મૂકીને શોભાયાત્રા કાઢી હતી. જે બંધારણના શપથ લેતી વખતે તેમણે બાબાસાહેબના નામનો ઉલ્લેખ કર્યો હતો."
"તેમણે 2012માં ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે પણ રાષ્ટ્રીય નેતાઓના નામમાં ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો હતો."

વિજય રૂપાણી સરકારે શું જવાબ આપ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
સામાજિક કાર્યકર કિરીટ રાઠોડે મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને માગ કરી હતી કે ગુજરાત રાજ્યની તમામ સરકારી અને શૈક્ષણિક કચેરીઓમાં રાષ્ટ્રીય નેતાઓની છબી પ્રદર્શિત કરવા સરકારના ઠરાવમાં જરૂરી સુધારો કરી રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં બંધારણના ઘડવૈયા અને "ભારતરત્ન" બાબાસાહેબ આંબેડકરને સ્થાન આપવામાં આવે.
કિરીટ રાઠોડને ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગના સેક્શન અધિકારી દ્વારા પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે સરકાર દ્વારા સક્રિય વિચારણાના અંતે, સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય નેતાઓની છબીઓ પ્રદર્શિત કરવા અંગેની પ્રવર્તમાન સુચનાઓને યથાવત્ રાખવાનો નિર્ણય આવેલ હોઈ, આપની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવતી નથી.

આમ સરકારે કિરીટ રાઠોડની માગનો અસ્વીકાર કર્યો હતો.
કિરીટ રાઠોડ મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સિચવ કે. કૈલાશનાથન દ્વારા લખાયેલા પત્રને દર્શાવી કહે છે કે મુખ્ય મંત્રી સાથે ચર્ચા કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સામાન્ય વહીવટી વિભાગના આ પત્રમાં લખ્યું છે કે મુખ્ય મંત્રી સાથે ચર્ચા કરી, તત્કાલીન મુખ્ય મંત્રી દ્વારા લેવાયેલા નિર્ણયને અનુલક્ષીને તે નિર્ણય યથાવત રાખવા આજ્ઞાનુસાર વિનંતી છે.

કેમ બાબાસાહેબની તસવીર સરકારી કચેરીમાં મૂકવાની માગ છે?

ઇમેજ સ્રોત, NOAH SEELAM/AFP/GETTY IMAGES
બાબાસાહેબ આંબેડકરની તસવીર કેમ સરકારી કચેરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં મૂકવી છે તેના જવાબમાં કિરીટ રાઠોડ કહે છે, "જો કોઈ શાળામાં બાબાસાહેબની તસવીર મૂકીએ તો બાળકો પૂછશે કે આ વ્યક્તિ કોણ છે. તેમને ખ્યાલ આવશે કે આ મહાન વ્યક્તિ હતી."
"બાબાસાહેબે દેશના તમામ લોકોને સમાનતાનો અધિકાર આપ્યો છે એ વિશે બાળકો સજાગ થાશે પણ બાબાસાહેબનું નામોનિશાન નથી."
તેઓ વધુમાં કહે છે, "હાલ આઠ નામ છે જો તેની સંખ્યા 16 હોય તો પણ અમને વાંધો નથી. કૉંગ્રેસ અને ભાજપ બંને એ પોતપોતાના નેતાઓનાં નામ રાખ્યાં છે."
"તમે બધાનાં નામ રાખો પણ બાબાસાહેબ આંબેડકરના નામનો કેમ સમાવેશ કરતા નથી. અમને વાંધો એ વાતનો વાંધો છે."
કિરીટ રાઠોડ કહે છે, "એક જગ્યાએ સરકારે નોટિંગ કર્યું છે કે આમને રાષ્ટ્રીય નેતા જાહેર કરીશું તો બધા સમાજના લોકો તેમના નેતાઓના નામનો સમાવેશ કરવાનું કહેશે. હકીકતમાં સરકાર બાબાસાહેબને રાષ્ટ્રીય નેતા નહીં પરંતુ એક જ્ઞાતિના નેતા ગણે છે."
"તમામને સમાનતાનો અધિકાર અપાવનાર નેતાને સરકાર દલિત નેતા જ ગણે છે માટે સમાવેશ કરતી નથી." એવો આરોપ તેઓ મૂકે છે.
તેઓ કહે છે, "બાબાસાહેબની 130મી જન્મજયંતી આવી છે. બાબાસાહેબનો ઉપયોગ આ દેશમાં ખાલી દલિતોના મત માટે થાય છે બાકી તેમને બાકાત રખાય છે."
ગુજરાતના કૉંગ્રેસના દલિત ધારાસભ્ય નૌશાદ સોલંકી, શૈલેશ પરમાર અને લાખાભાઈ ભરવાડે પણ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો હતો.

'આંબેડકર રાષ્ટ્રીય નેતા છે'

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GETTY IMAGES
દલિત કર્મશીલ રાજુ સોલંકી કહે છે, "આંબેડકર રાષ્ટ્રીય નેતા છે, એમાં એમને જાહેર કરવાની કોઈ જરૂરિયાત નથી. પહેલાં કૉંગ્રેસના શાસનમાં કૉંગ્રેસે એમના નેતાઓને રાષ્ટ્રીય નેતા તરીકે જાહેર કર્યા હતા. જ્યારે ભાજપે તેમની આઇડોલૉજી પ્રમાણેના નેતાને રાષ્ટ્રીય નેતા જાહેર કર્યા છે."
બીજા દલિત કર્મશીલ ચંદુ મહેરિયા કહે છે, "પહેલી વાત એ છે કે આપણે રાષ્ટ્રીય નેતા કેવી રીતે નક્કી કરીએ છીએ. તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આંબેડકર તો રાષ્ટ્રીય નેતા છે જ."
તેઓ વધુમાં કહે છે, "સરકારે 1996માં જ્યારે ત્રણ નવાં નામ ઉમેર્યાં ત્યારે તે પત્રોનો અભ્યાસ કરવાની જરૂર છે. સિદ્ધપુરના ધારાસભ્ય જય નારાયણ વ્યાસે જે પત્ર લખ્યો છે તેમાં શ્યામા પ્રસાદ મુખરજીનું નામ ખાલી શ્યામા પ્રસાદ લખ્યું છે અને તે જ નામ 1996માં જાહેર કરાયેલા ઠરાવમાં મૂકી દેવામાં આવ્યું છે."
"અધિકારીઓએ નામ પણ સાચું લખ્યું નથી. સાચું નામ તો શ્યામા પ્રસાદ મુખરજી છે. ત્યારે અધિકારીઓને પ્રશ્ન પણ નથી થયો કે આ નામ કેમ ઉમેરવું જોઈએ? રાષ્ટ્રીય નેતા જાહેર કરવાની કોઈ ચોક્કસ નીતિ જ નથી. વહીવટીતંત્ર પણ રાજકીય વિચારધારને સંલગ્ન થઈને કામ કર્યું છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કિરીટ રાઠોડ પણ કહે છે કે "રાષ્ટ્રીય નેતા નક્કી કરવા માટે સરકારે કોઈ ચોક્કસ નીતિ બનાવી નથી. કોઈ એક વ્યક્તિ પત્ર લખે એટલે રાષ્ટ્રીય નેતા જાહેર થાય છે."
તેઓ વધુમાં કહે છે, "માહિતી અધિકારના કાયદા હેઠળ જ્યારે મેં સામાન્ય વહીવટી વિભાગમાં સરકારી દસ્તાવેજોનું નિરીક્ષણ માગ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે સરકારે 1992માં પરિપત્ર કરતાં પહેલાં ત્રણ રાજ્યો રાજસ્થાન, તામિલનાડુ અને મહારાષ્ટ્ર પાસે આ પ્રકારના પરિપત્ર માટે સૂચન માગ્યાં."
"રાજસ્થાને જવાબ ન આપ્યો. તામિલનાડુએ કહ્યું કે અમારે ત્યાં આવી કોઈ પૉલિસી નથી. જ્યારે મહારાષ્ટ્રે 20 નેતાઓને રાષ્ટ્રીય નેતા જાહેર કર્યા હોવાની વાત કરી."
કિરીટ રાઠોડ કહે છે, "મહારાષ્ટ્રના રાષ્ટ્રીય નેતામાં બાબાસાહેબ આંબેડકર અને જ્યોતિબા ફુલેનું નામ છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ચંદુ મહેરિયા એમ પણ કહે છે કે "જય નારાયણ વ્યાસે લખેલાં પત્રમાં ઉલ્લેખ છે કે ઇન્દિરાજી અને નરસિંહરાવની તસવીર મૂકવામાં આવે છે. એનો અર્થ થાય કે ઇન્દિરાજીની તસવીર મુકાતી જેઓ બહુ પહેલાં અવસાન પામ્યાં હશે. આમ કૉંગ્રેસના સમયમાં તેમના નેતાની તસવીર મુકાતી હશે."
તેઓ આગળ કહે છે, "અહીં સવાલ એટલો જ છે કે સરકારે પહેલાં એક જ ધારાસભ્ય જય નારાયણ વ્યાસના પત્રના આધારે શ્યામા પ્રસાદજી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ભારત માતાની વિશેષ છબી મૂકવાનો ઠરાવ કર્યો. આજે ઘણા બધા દલિત સંગઠનો, ધારાસભ્યોએ પત્ર લખ્યા પણ સરકાર તેમની માગને સ્વીકારતી નથી."
આ અંગે વાત કરવા બીબીસીએ કૉંગ્રેસ ધારાસભ્ય શૈલેશ પરમારને સંપર્ક કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમારનો પણ સંપર્ક કરવાની કોશિશ કરી હતી, તેમનો પણ સંપર્ક થઈ શક્યો ન હતો.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













