You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાન કૉંગ્રેસના નવા મંત્રીઓએ લીધા શપથ, ચાર દલિત ચહેરા સામેલ
રાજસ્થાનના નાયબ મુખ્ય મંત્રી સચીન પાઇલટે રવિવારે સવારે પત્રકારપરિષદ યોજીને માહિતી આપી હતી કે આજે નવા મંત્રીઓ શપથ લેશે.
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે, સચીન પાઇલટે પત્રકારપરિષદમાં કહ્યું હતું કે રાજ્યમાં સુશાસનનો સકારાત્મક સંદેશો પ્રસરાવવા માટે પાર્ટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ નવા મંત્રીઓ આજે વિધિવત્ શપથ લેશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે નવા મંત્રીમંડળમાં દલિતો તેમજ આદિવાસીઓના પ્રતિનિધિત્વનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે એક જરૂરી પગલું હતું. નવા મંત્રીમંડળમાં ચાર દલિત મંત્રીનો સમાવેશ કરાયો છે.
એએનઆઈએ સચીન પાઇલટને ટાંકીને કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સરકારમાં દલિતો, પછાત અને ગરીબ લોકોનું પ્રતિનિધિત્વ કરી શકે તેવા કોઈ લોકો ન હતા. ત્યારે ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી દ્વારા લેવામાં આવેલો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે.
સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, રાજસ્થાનના નવા 15 મંત્રીઓ રવિવારે સાંજે 4 વાગ્યે શપથ લેશે. આ પહેલાં બપોરે બે વાગ્યે રાજસ્થાન પ્રદેશ કૉંગ્રેસ કમિટી બેઠક યોજાશે.
રાજસ્થાન કૉંગ્રેસ પ્રમુખ ગોવિંદસિંહ દોતસરાએ શનિવારે રાત્રે ટ્વિટરના માધ્યમથી કૅબિનેટ તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓની યાદી જાહેર કરી હતી. તેમાં 11 કૅબિનેટ મંત્રીઓ તેમજ 4 રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે.
રાજસ્થાન પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખે જાહેર કરેલી મંત્રીઓની યાદીમાં માત્ર ત્રણ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી બે મહિલા કૅબિનેટમાં અને એક મહિલા રાજ્યકક્ષાનો હોદ્દો સંભાળશે.
શનિવારે શું થયું હતું?
રાજસ્થાનમાં શનિવારે સાંજે મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીપરિષદની બેઠકમાં તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં 'એક વ્યક્તિ, એક પદ' અંતર્ગત ત્રણ મંત્રીઓએ રાજીનામાં આપ્યાં હતાં, જે સ્વીકારી લેવામાં આવ્યાં હતાં.
રાજીનામું આપી ચૂકેલા પરિવહનમંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે બીબીસીને ફોન પર માહિતી આપતાં કહ્યું કે, "મંત્રીપરિષદની બેઠકમાં પ્રદેશાધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરાના પ્રસ્તાવ પર તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યાં છે."
તેમણે કહ્યું કે આ બેઠકમાં રાજ્યના પ્રભારી અજય માકન પણ ઉપસ્થિત રહ્યા હતા.
નવા મંત્રી કોણ હોઈ શકે?
નવા મંત્રીમંડળમાં સરકારને સમર્થન આપનારા 13 અપક્ષ ધારાસભ્યોને સ્થાન મળી શકે છે, સાથે જ બીએસપી છોડીને કૉંગ્રેસમાં આવેલા છ ધારાસભ્યોને મંત્રી બનાવી શકે છે.
એ સિવાય રઘુ શર્માના સ્થાને કોઈ બ્રાહ્મણ ચહેરાને અને હરીશ ચૌધરીના સ્થાને કોઈ જાટ ચહેરાને નવા મંત્રીમંડળમાં જગ્યા મળશે, એવી પણ શક્યતા છે.
સચીન પાઇલટના જૂથના પણ ત્રણથી ચાર ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાની સંભાવના છે.
મંત્રીમંડળમાં ખાલી પડેલા નવ પદો ભરવા અંગે પણ લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી.
હવે તમામ મંત્રીઓનાં રાજીનામાં બાદ એવું ચર્ચાઈ રહ્યું છે કે આ 2023ની વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસની રણનીતિ છે.
કૉંગ્રેસ ગુજરાત ભાજપના રસ્તે?
તાજેતરમાં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત આખા મંત્રીમંડળે રાજીનામાં આપી દીધાં હતાં.
જે બાદ નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર રચવામાં આવી હતી અને જૂના એક પણ મંત્રીને નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું.
જેને 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની ભાજપની રણનીતિ તરીકે જોવામાં આવે છે.
વિશ્લેષકોના મતાનુસાર ભાજપ ઍન્ટિ-ઇન્કમ્બન્સીને ખાળવા માટે આ ચાલ ચાલ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો