You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : ડૉક્ટરોએ નિયમ તોડી કોરોનાની રસી સંબંધીઓને આપી?- BBC TOP NEWS
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને કોરોના વાઇરસની રસી પ્રોટોકોલ પ્રમાણે ન આપતા ગુરુવારે શહેરની બે હૉસ્પિટલ પાસેથી જવાબ માગ્યો છે.
અમદાવાદની સાનિધ્ય મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલ અને ગુજરાત કૅન્સર સોસાયટી(જીસીએસ) હૉસ્પિટલ પર કથિત રીતે આરોપ છે કે તેમણે કોરોના વાઇરસના પ્રોટોકોલને તોડ્યો છે અને પોતાના મિત્રો અને સગા સંબંધીઓને રસી આપી છે.
એએમસીના એક અધિકારીએ જણાવ્યું કે સાનિધ્ય હૉસ્પિટલની વાત કરીએ તો, જે લોકોએ કોરોના વાઇરસની રસી લીધી હતી તેમણે પોતાના ફોટો ફેસબુક પર મૂક્યા હતા. જે હેલ્થવર્કર જેવા લાગતા ન હતા.
'જોકે તેમણે પોતાના ફોટો હઠાવી દીધા પણ તપાસમાં બહાર આવ્યું કે કેટલાક ગાયનેકૉલૉજિસ્ટે તેમના મિત્રો અને હેલ્થ ઇન્શ્યોરન્સ એજન્ટને કોરોનાની રસી આપી. અમે આવા 10 લોકોને શોધ્યા છે.'
જીસીએસ હૉસ્પિટલની વાત કરીએ તો અનેક ડિરેક્ટરને વૅક્સિન અપાઈ છે. ત્યાં પણ 10 લોકોને શોધી કાઢવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને પોતાના નિવેદનમાં કહ્યું છે કે હાલ કોરોના વાઇરસની રસી માત્ર હેલ્થવર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને આપવાની પરવાનગી છે. આ બે હૉસ્પિટલોએ પ્રોટોકલ તોડવા અંગે જવાબ આપવો જોઈએ.
ગુજરાતમાં કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને ટાંક્યા
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર અમદાવાદની સ્પેશિયલ ઍન્ટિ-કરપ્શન કોર્ટે બુધવારે બે વ્યક્તિઓના જામીન રદ કરતી વખતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનના નિવેદનને ટાંક્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સસ્પેન્ડ થયેલા ધોળકાના મામલતદાર હાર્દિક ડામોર અને તેમના સાથી જગદિશ પરમાર પર જમીનના કેસમાં 25 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ હતો.
ગત મહિને ઍન્ટિ-કરપ્શન બ્યૂરોએ આ લોકોની ધરપકડ કરી હતી. બંનેએ જામીન અરજી માટે અરજી કરી હતી ત્યારે સ્પેશિયલ જજ જે.એ.ઠક્કરે કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ આરોપીઓ સામે મજબૂત કેસ છે.
તેમણે લખ્યું કે આ તબક્કે ગુનાની ગંભીરતાને જોઈએ તો તેની અસર સમાજ પર દેખાય છે.
ન્યાયાધીશે જો બાઇડનના નિવેદનને ટાંક્યું છે કે ભ્રષ્ટાચાર કૅન્સર છે અને લોકશાહીમાં રહેલાં નાગરિકોના વિશ્વાસને તે ખાઈ જાય છે. જે નવીનતા અને સર્જનાત્મકતા માટેની વૃત્તિને ઓછી કરે છે.’
જો બાઇડને આ નિવેદન મે 2014માં રોમાનિયમ સિવિલ સોસાયટીના ગ્રુપમાં અને વિદ્યાર્થીઓની વચ્ચે આપ્યું હતું.
જજે વધુમાં લખ્યું છે કે આ નિવેદન આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે આપણે દેશની સૌથી મોટી લોકશાહી છીએ.
ગુજરાતની બે રાજ્યસભાની બેઠક માટે પહેલી માર્ચે ચૂંટણી યોજાશે
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટેની પેટાચૂંટણી આગામી 1 માર્ચ, 2021એ યોજાશે.
ચૂંટણીપંચે ગુરુવારે જાહેરાત કરતા કહ્યું હતું કે આ બંને બેઠકની ચૂંટણી અલગઅલગ યોજાશે.
આ બંને બેઠક પરની ચૂંટણી કૉંગ્રેસ નેતા અહેમદ પટેલ અને ભાજપના નેતા અભય ભાર્દ્વાજનાં મૃત્યુને કારણે ખાલી પડેલી જગ્યા માટેની છે.
હાલ ગુજરાત વિધાનસભામાં ભાજપના 111 અને કૉંગ્રેસના 65 ધારાસભ્ય છે. જો બંનેની પેટાચૂંટણી સાથે યોજાય તો કૉંગ્રેસ અને ભાજપ એક એક બેઠક પર વિજેતા બને. પરંતુ બે ચૂંટણી અલગ યોજાવાથી 91 મત એક ઉમેદવારને જીતવા જોઈશે આમ કૉંગ્રેસને ગેરલાભ થશે.
ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી હશે. ચૂંટણીનું પરિણામ ચૂંટણીની સાંજે આવશે.
યમનમાં યુદ્ધનું સમર્થન નહીં કરે અમેરિકા, બાઇડનનો વિદેશ નીતિમાં ફેરફાર
અમેરિકા યમનમાં પોતાના સહયોગીઓની આક્રમક કાર્યવાહીઓનું સમર્થન હવે નહીં કરે. યમન ગત છ વર્ષથી યુદ્ધનો સામનો કરી રહ્યું છે, જેમાં 1,10,000 લોકોનાં મૃત્યુ થયાની વાત કહેવામાં આવે છે.
અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને વિદેશ નીતિ પર પોતાના પહેલાં ભાષણમાં કહ્યું, "યમનમાં યુદ્ધ પૂર્ણ થવું જોઈએ."
બાઇડન પહેલાંના બે રાષ્ટ્રપ્રમુખના કાર્યકાળમાં અમેરિકાએ યમનમાં વિદ્રોહીઓની સામે સાઉદી અરબના નેતૃત્વવાળા સંગઠનનું સમર્થન કર્યું હતું.
આ સંઘર્ષ યમનના લાખો લોકોને ભૂખમરાની કગાર પર લાવ્યું છે.
આ લડાઈ 2014માં એક નબળી યમન સરકાર અને હૂતી વિદ્રોહી આંદોલનની વચ્ચે શરૂ થઈ હતી. એક વર્ષ પછી આ લડાઈ ત્યારે આખરી બની જ્યારે સાઉદી અરબ અને અન્ય આઠ અરબ દેશોએ હૂતી વિદ્રોહીઓ પર હવાઈ હુમલા કરવાના શરૂ કર્યા.
જેમને અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સનું સમર્થન મળ્યું હતું.
રાષ્ટ્રપ્રમુખ બાઇડને અમેરિકાની વિદેશ નીતિમાં અનેક ફેરફારની જાહેરાત કરી છે જેમાં વધારે શરણાર્થીઓને અમેરિકામાં આવવાની પરવાનગી અપાઈ છે.
બીજા વિશ્વયુદ્ધ પૂર્ણ થયાથી જર્મનીમાં તહેનાત અમેરિકાના સૈન્યને પરત બોલાવવાનો નિર્ણય અમેરિકાએ કર્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો