You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રૅક્ટર રેલીમાં હિંસા બદલ દિલ્હી પોલીસે અંદાજે 200 લોકોને પકડ્યા
ખેડૂતોની ટ્રૅક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાના કેસમાં પોલીસ અંદાજે 200 કથિત પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે.
મંગળવારે કૃષિકાયદાના વિરોધમાં યોજાયેલી ખેડૂતોની રેલીમાં ઘણી જગ્યાએ હિંસા થઈ હતી.
પહેલાં હજારો ખેડૂતો અને પોલીસકર્મીઓ વચ્ચે દિલ્હીની અલગઅલગ સીમાઓ પર ઘર્ષણ થયું હતું અને બાદમાં ભીડ દિલ્હીમાં આવી પહોંચી હતી.
બાદમાં પોલીસ અને ભીડ વચ્ચે આઈટીઓ, અક્ષરધામ અને લાલ કિલ્લા સમેત કેટલીક જગ્યાએ ઘર્ષણ પણ થયું હતું.
દિલ્હી પોલીસ અનુસાર, આ ઘટનામાં 300થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. સાથે જ એક પ્રદર્શનકારી ખેડૂતનું પણ એક દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.
દિલ્હી પોલીસે કહ્યું કે જે લોકોની ધરપકડ કરાઈ છે, તેમના પર તોફાન કરવાના, સાર્વજનિક સંપત્તિને નુકસાન કરવાના અને પોલીસકર્મીઓ પર હુમલા કરવા જેવા કેસ કરવામાં આવ્યા છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે પોલીસ અધિકારીઓના હવાલાથી લખ્યું કે 'પોલીસ ઓળખને આધારે જ ધરપકડ કરી રહી છે. લાલ કિલ્લા, આઈટીઓ અને નાંગલોઈ સમેત અન્ય જગ્યાએ લાગેલા સીસીટીવી કૅમેરા જોવાઈ રહ્યા છે અને લોકોની ઓળખ કરાઈ રહી છે.'
દિલ્હી હિંસા : લાલ કિલ્લા પર ઝંડો લહેરાવવાની કોઈ યોજના નહોતી - ખેડૂતનેતા
દિલ્હીમાં પ્રજાસત્તાકદિને યોજાયેલી ખેડૂતોની ટ્રૅક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર ઝંડો લહેરાવાની ઘટના પર ખેડૂત આગેવાનો દ્વારા સ્પષ્ટતા કરાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કિસાન-મઝદૂર સંઘર્ષ સમિતિના એસ. એસ. પાંઠેરે સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું કે લાલ કિલ્લા પર ઝંડો લહેરાવાનો ખેડૂત આગોવાનો દ્વારા કોઈ કોલ નહોતો અપાયો.
તેમણે આ મામલે દીપ સિધુ પર પણ આશંકા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે દીપ સિધુ પર પ્રદર્શનકારીઓને લાલ કિલ્લા તરફ વાળવાનો આરોપ લાગ્યો છે.
આ દરમિયાન 'કિસાન એકતા મોરચા'એ ટ્વિટર પર આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલુ રાખવાની વાત કરી છે.
તો બીજી બાજુ, દિલ્હીની હિંસાને પગલે ખેડૂતોનાં પ્રદર્શનસ્થળો પર સુરક્ષાવ્યવસ્થા વધારી દેવાઈ છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ સંબંધિત જાણકારી આપી છે.
અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકોનું પ્રદર્શન
કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિકાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ પ્રજાસત્તાકદિને દિલ્હીમાં ટ્રૅક્ટર પરેડનું આયોજન કર્યું હતું, જેમાં હિંસાની ઘટના ઘટી હતી. ટ્રૅક્ટર રેલી દરમિયાન ખેડૂતોનાં કેટલાંક ટોળાં રાજધાનીમાં પ્રવેશ્યાં હતાં અને તેને પગલે પોલીસ અને ખેડૂતો વચ્ચે કેટલીય જગ્યાએ ઘર્ષણ સર્જાયું હતું.
ટ્રૅક્ટર પરેડ દરમિયાન દિલ્હીની અલગઅલગ સરહદ પરથી જે પ્રકારની હિંસાની તસવીરો આવી એ ગત 60 દિવસથી ચાલી રહેલા શાંતિપૂર્ણ આંદોલનથી એકદમ વિપરીત હતી.
આ ઘટનાને લઈને આવી રહેલી અલગઅલગ પ્રતિક્રિયાઓ વચ્ચે અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારતીય દૂતાવાસની બહાર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સમાચાર સંસ્થા એએનઆઈએ આ અંગે માહિતી આપી છે.
એએનઆઈના જણાવ્યા અનુસાર વૉશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસની બહાર યોજવામાં આવેલા આ પ્રદર્શનમાં ખાલિસ્તાન સમર્થકોએ કૃષિકાયદાઓનો વિરોધ કર્યો હતો.
ખેડૂત સંગઠન દ્વારા રેલી સમાપનની જાહેરાત
મંગળવારે રાત્રે લગભગ 7.30 વાગ્યે સંયુક્ત કિસાન મોરચા દ્વારા ટ્રૅક્ટર પરેડના સમાપનનું એલાન કરાયું હતું.
સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદન જારી કરીને ગણતંત્રદિવસના અવસરે આયોજિત પરેડને તાત્કાલિક પ્રભાવથી ખતમ કરવાનું એલાન કર્યું હતું.
સમાચાર એજન્સી ANI મુજબ મોરચાએ પરેડમાં સામેલ થનારા તમામ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ બધા પરત ફરે. સંયુક્ત મોરચાએ એ પણ જણાવ્યું કે આંદોલન જારી રહેશે.
બીજી તરફ 26 જાન્યુઆરીના રોજ યોજાયેલી ખેડૂતોની ટ્ર્રૅક્ટર પરેડમાં ઠેર ઠેર હિંસાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. જેને પગલે હરિયાણામાં હાઇ ઍલર્ટ જાહેર કરી દેવાયું હતું.
બીજી તરફ દિલ્હી પોલીસના સંયુક્ત કમિશનર આલોક કુમારે ખેડૂતોની રેલી દરમિયાન પોલીસકર્મી સાથે હિંસા આચરનાર લોકો પર કડકર કાર્યવાહી કરવાની વાત કરી હતી.
દિલ્હીના પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવે પણ રેલી દરમિયાન થયેલી હિંસા માટે ખેડૂતોને જવાબદાર ઠેરવ્યા હતા. તેમજ તેમણે માહિતી આપી હતી કે આ હિંસામાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો