You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રજાસત્તાક દિવસ ઊજવવાની પરંપરા કોણે શરૂ કરી?
પ્રજાસત્તાક દિવસ શું છે અને કેમ ઊજવવામાં આવે છે?
15 ઑગસ્ટ, 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું અને 26 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણને આત્મસાત કરવામાં આવ્યું, જે અંતર્ગત ભારતને લોકશાહી, સર્વભૌમ અને પ્રજાસત્તાક દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો. માટે દર વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
પ્રજાસત્તાકદિવસ ઊજવવાની પરંપરા કોણે શરૂ કરી?
દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 26 જાન્યુઆરી, 1950ના રોજ 21 તોપની સલામી આપીને ધ્વજારોહણ કરીને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું. ત્યારથી સમગ્ર દેશમાં આ દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર દેશમાં જાહેર રજા હોય છે.
ભારતે પોતાનું બંધારણ ક્યારે સ્વીકાર્યું?
ભારત રાજ્યોનું એક સંઘ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળું એક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના બંધારણ મુજબ શાસન કરે છે, જેને બંધારણસભાએ 26 નવેમ્બર, 1949ના દિવસે સ્વીકાર્યું અને 26 જાન્યુઆરી, 1950માં લાગુ કરવામાં આવ્યું.
ભારતીય બંધારણમાં પંચવર્ષીય યોજનાની અવધારણા કયા બંધારણથી લેવામાં આવી?
ભારતીય બંધારણમાં પંચવર્ષીય યોજનાની અવધારણા સોવિયત સંઘ (યુએસએસઆર)માંથી લેવામાં આવી હતી.
પ્રજાસત્તાકદિવસે ધ્વજ કોણ ફરકાવે છે?
દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસે કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે અને રાષ્ટ્રીયધ્વજ ફરકાવતા હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યોનાં પાટનગરમાં પ્રજાસત્તાકદિવસે કોણ ધ્વજ ફરકાવે છે?
રાજ્યોમાં રાજ્યપાલ પાટનગરમાં પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રીયધ્વજ ફરકાવે છે.
ભારતમાં બે રાષ્ટ્રીયધ્વજ કાર્યક્રમ થાય છે. એક સ્વતંત્રતાદિવસે અને બીજો પ્રજાસત્તાક દિવસે.
સ્વતંત્રતા દિવસે વડા પ્રધાન ભારતના પાટનગર નવી દિલ્હીમાં રાષ્ટ્રીયધ્વજ ફરકાવે છે અને રાજ્યોના પાટનગરમાં મુખ્ય મંત્રીઓ ધ્વજ ફરકાવે છે.
નવી દિલ્હીમાં યોજાતા પ્રજાસત્તાકદિવસની ભવ્ય પરેડની સલામી કોણ ઝીલે છે?
ભારતના રાષ્ટ્રપતિ ભવ્ય પરેડની સલામી ઝીલે છે. તેઓ ભારતીય સશસ્ત્ર દળોના કમાન્ડર-ઇન-ચીફ પણ છે.
આ પરેડમાં ભારતીય સૈન્ય પોતાની નવી ટેન્કો, મિસાઇલો, રડાર વગેરેનું પ્રદર્શન પણ કરે છે.
'બીટિંગ રિટ્રીટ' નામનો સમારોહ ક્યાં થાય છે?
બીટિંગ રિટ્રીટનું આયોજન રાયસીના હિલ્સ પર રાષ્ટ્રપતિભવનની સામે કરવામાં આવે છે, જેમાં મુખ્ય અતિથિ રાષ્ટ્રપતિ હોય છે.
બીટિંગ ધ રિટ્રીટ કાર્યક્રમને પ્રજાસત્તાક દિવસનો સમાપન સમારોહ પણ કહેવામાં આવે છે.
બીટિંગ રિટ્રીટ પ્રજાસત્તાક દિવસના ત્રીજા દિવસે એટલે કે 29 જાન્યુઆરીની સાંજે કરવામાં આવે છે.
બીટિંગ રિટ્રીટમાં ભૂમિદળ, વાયુદળ અને નૌકાદળનાં બૅન્ડ પારંપરિક ધૂન વગાડતાં માર્ચ કરે છે.
ભારતીય ધ્વજ કોણે ડિઝાઇન કર્યો હતો?
ભારતીય રાષ્ટ્રીયધ્વજની ડિઝાઇન પિંગલી વેંકૈયા દ્વારા કરવામાં આવી હતી.
પિંગલીએ શરૂઆતમાં જે ધ્વજ ડિઝાઇન કર્યો હતો, તેમાં માત્ર બે રંગો હતા- લાલ અને લીલો.
તેઓએ રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષના બેઝવાડા અધિવેશનમાં આ ધ્વજ ગાંધીજી સમક્ષ રજૂ કર્યો હતો.
પાછળથી ગાંધીજીના સૂચન પર તેમાં સફેદ પટ્ટી ઉમેરવામાં આવી હતી. આગળ જતા ચરખાની જગ્યાએ રાષ્ટ્રીય પ્રતીક અશોક ચક્રને જગ્યા આપવામાં આવી.
ભારતીય ધ્વજને તેના વર્તમાન સ્વરૂપમાં 22 જુલાઈ, 1947ના રોજ યોજાયેલી બંધારણસભાની બેઠકમાં સ્વીકારવામાં આવ્યો હતો.
ભારતમાં 'તિરંગા'નો અર્થ ભારતીય રાષ્ટ્રીયધ્વજ થાય છે.
રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર ક્યારે આપવામાં આવે છે?
ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીની આગલી સાંજે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર બહાદુર બાળકોને આપવામાં આવે છે.
આ પુરસ્કાર આપવાની શરૂઆત 1957થી થઈ હતી. પુરસ્કાર સ્વરૂપે એક મેડલ, સર્ટિફિકેટ અને રોકડ રકમ આપવામાં આવે છે.
દરેક બાળકને શાળાનો અભ્યાસ પૂર્ણ કરવા સુધીની નાણાકીય સહાય પણ કરવામાં આવે છે.
પ્રજાસત્તાકદિવસની પરેડ ક્યાંથી શરૂ થાય છે?
પ્રજાસત્તાક દિવસની પરેડ રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થાય છે અને ઇન્ડિયા ગેટ પર સમાપ્ત થાય છે.
પ્રથમ પ્રજાસત્તાકદિવસે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા?
પ્રથમ પ્રજાસત્તાક દિવસે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતના રાષ્ટ્રપતિ હતા.
બંધારણ અમલમાં આવ્યા બાદ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે અત્યારના સંસદભવનના દરબાર હૉલમાં રાષ્ટ્રપતિપદના શપથ લીધા હતા અને ત્યારબાદ પાંચ માઇલ લાંબા પરેડ સમારોહ બાદ ઇરવિન સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
ભારતીય બંધારણ કેટલા દિવસમાં તૈયાર થયું છે?
બંધારણસભાએ લગભગ ત્રણ વર્ષ (2 વર્ષ, 11 મહિના અને 17 દિવસ સચોટ)માં ભારતનું બંધારણ તૈયાર કર્યું હતું.
આ સમયગાળા દરમિયાન 165 દિવસમાં 11 સત્ર યોજાવામાં આવ્યાં હતાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો