રાજકોટ આગ : 'ચાર લાખ નહીં ચારસો કરોડથી પણ મારા ભાઈની કિંમત ન થાય'-બહેનની વ્યથા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં પાંચ દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

ફાયર વિભાગના અધિકારીઓ પ્રમાણે અંદાજે 12.20 વાગ્યે કૉલ આવ્યો હતો.

હૉસ્પિટલથી 500 મીટરના અંતરે જ મહુડી ફાયરસ્ટેશન આવેલું છે, જેથી તાત્કાલિક 6 ફાયર ફાઇટર અને 10 ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.

રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં 33 લોકો સારવાર હેઠળ હતા. જે પૈકી 11 લોકો આગ લાગી એ વૉર્ડમાં સારવાર હેઠળ હતા.

હૉસ્પિટલમાં આગ લાગ્યાની જાણ થતાં સારવાર લઈ રહેલા દર્દીઓનાં સગાં મોડી રાતે હૉસ્પિટલ પહોંચ્યાં હતાં અને તેમના સ્વજનોની શોધખોળ કરી હતી.

દર્દીઓના સંબંધીઓએ હૉસ્પિટલ પર બેદરકારીનો આરોપ પણ લગાવ્યો હતો.

આ ઘટના મામલે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે મુખ્ય મંત્રી તરફથી તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે તપાસમાં જે બહાર આવશે એ પ્રમાણે સરકાર આગળની કાર્યવાહી કરશે.

તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ રાજકોટની ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું.

'ચારસો કરોડથી પણ ભાઈની કિંમત ન થઈ શકે'

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં સંજયભાઈ રાઠોડ, રામશીભાઈ લોહા, નીતિનભાઈ ભાદાણી, કેશુભાઈ અકબરી અને રસિકભાઈ અગ્રાવતનો સમાવેશ થાય છે.

આ ઘટના બાદ રાજ્ય સરકાર તરફથી મૃતકોના સ્વજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

હૉસ્પિટલમાં આગ લાગ્યાની જાણ થતાં દર્દીઓના સંબંધીઓ મોડી રાતે હૉસ્પિટલ પહોંચ્યા હતા.

હૉસ્પિટલ પહોંચેલા લોકોએ કહ્યું કે આવી હૉસ્પિટલોને મંજૂરી આપવા જ ન જોઈએ.

હૉસ્પિટલમાં પહોંચેલાં એક મહિલાના ભાઈનું આ દુર્ઘટનામાં કરુણ મૃત્યુ થયું છે.

તેમણે રડતાંરડતાં કહ્યું કે ચાર લાખ નહીં પણ ચારસો કરોડ રૂપિયા આપે તોય ભાઈની કિંમત ન થઈ શકે.

'મને સવારે ચા-નાસ્તો લઈને આવવાનું કહ્યું હતું'

દર્દીઓનાં સગાંઓએ આ ઘટના પાછળ હૉસ્પિટલની બેદરકારીને કારણભૂત ગણાવી હતી.

એક સગાએ કહ્યું કે "આ દુખદ ઘટના છે. આ હૉસ્પિટલની મોટી બેદરકારી છે. દર્દીને રજા આપવાની અને આવા સમયે આ ઘટના બને એ મોટી બેદરકારી છે."

"ગઈકાલે તેમની સાથે વાત થઈ હતી અને તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાના હતા અને આવો બનાવ બન્યો છે. આવી બેદરકારી બદલ હૉસ્પિટલ સામે કડક કાર્યવાહી થવી જોઈએ."

જેમણે આ દુર્ઘટનામાં પોતાના પિતા ગુમાવ્યા છે એમના દીકરાએ કહ્યું કે મને રાતે સાડા ત્રણ વાગ્યે ફોન આવ્યો હતો. મને પ્રાઇવેટ હૉસ્પિટલ પાસે આવી ઘટનાની અપેક્ષા નહોતી, આટલી સુવિધા અને આટલો ખર્ચ કર્યા પછી પણ આવી ઘટના બને એ યોગ્ય નથી.

તેઓએ કહ્યું કે તેમના પપ્પા સાથે તેમની સાથે વાત થઈ હતી અને તેમને ઘણું સારું હતું. તેમના પિતાએ પુત્રને કહ્યું હતું કે કાલે આવજે, ચા-નાસ્તો લઈને.

હૉસ્પિટલમાં આગ કેવી રીતે લાગી?

આ હૉસ્પિટલ ત્રણ માળની હતી અને પ્રથમ માળે આઈસીયુ બોર્ડમાં આગ લાગી હતી.

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "આઈસીયુ બેડમાં આગ લાગી હતી અને તેમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે. આગની જાણ થતાં ફાયરના અધિકારીઓ અને તંત્રના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા."

નીતિન પટેલે કહ્યું કે ત્રણ દર્દીઓના ઘટનાસ્થળે જ દાઝી જવાથી અને બે દર્દીઓ શિફ્ટિંગ દરમિયાન મૃત્યુ પામ્યાં હતાં.

તેમણે કહ્યું કે હૉસ્પિટલમાં જે દર્દીઓ હતા તેમને શિફ્ટ કરી દેવામાં આવ્યા છે અને આખી બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવી છે.

નીતિન પટેલે કહ્યું કે "મુખ્ય મંત્રીએ આગ કેવી રીતે લાગી સહિતની તમામ બાબતો માટે તપાસની સૂચના આપી દીધી છે."

નીતિન પટેલે જણાવ્યું કે આ હૉસ્પિટલ પાસે ફાયરની એનઓજી હતી. થોડા સમય પહેલાં આ બધી કામગીરી કરવામાં આવી હતી. આગ ઓલવવાનાં બધાં સાધનો પણ ત્યાં લગાવેલાં હતાં, એટલે પ્રથમ દૃષ્ટિએ જોઈએ તો કોઈ સાધનોના અભાવે આગ લાગી હોય એવું જણાતું નથી. છતાં તપાસમાં જે બહાર આવે એ પ્રમાણે સરકાર આગળની કાર્યવાહી કરશે."

હૉસ્પિટલમાં આગ કેવી રીતે લાગી એ અંગે પૂછતાં નીતિન પટેલે કહ્યું કે "પ્રથમ દૃષ્ટિએ એવું કહે છે કે વૅન્ટિલેટરમાં શોર્ટસર્કિટ કે ઇલેક્ટ્રૉનિક કરન્ટને કારણે આઈસીયુ બોર્ડમાં આગી લાગી હતી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો