You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં સરકારને ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ કેમ લંબાવવો પડ્યો?
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રવિવારે અમદાવાદમાં લગાવેલા શનિ-રવિના કર્ફ્યુને હઠાવી લેવાની અને રાત્રી કર્ફ્યૂને યથાવત્ રાખવાની જાહેરાત કરી હતી.
અમદાવાદ ઉપરાંત ગુજરાતનાં મુખ્ય શહેરો સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે સાથે રાત્રી લગ્નોને પણ બંધ રાખવાનું જણાવવામાં આવ્યું છે.
બીજી તરફ સોમવારે સુપ્રીમ કોર્ટે કોરોના વાઇરસની સ્થિતિે લઈને કહ્યું છે કે ગુજરાતમાં સ્થિતિ બેકાબૂ થઈ રહી છે.
દેશમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસ જોતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારને જવાબ દાખલ કરવા કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે ગુજરાત સાથે દિલ્હી, મહારાષ્ટ્ર, અને આસામની રાજ્ય સરકારોને જવાબ દાખલ કરવા કહ્યું છે.
સર્વોચ્ચ અદાલતે રાજ્યો પાસેથી જવાબ માગ્યો છે કે તેઓ મહામારીને રોકવા માટે શું પગલાં લઈ રહી છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ કોરોના વાઇરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને પક્ષના કાર્યકરોને કોઈપણ પ્રકારના કાર્યક્રમનું આયોજન ન કરવાની સૂચના આપી છે.
સરકારનું તંત્ર પણ એક જ દમ ઍક્ટિવ જોવા મળી રહ્યું છે. કોરોના વાઇરસને દાબવા માટે સતત પગલાં લઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદમાં હૉસ્પિટલના બેડની સંખ્યાને વધારવામાં આવી છે. અમદાવાદમાં 108 અને 104ની વાનની સુવિધામાં પણ વાહનોની સંખ્યાને વધારવામાં આવી છે.
ગુજરાત સરકારે અમદાવાદ શહેર માટે વધુ 300 ડૉક્ટર અને 300 મેડિકલ સ્ટુડન્ટની ફાળવણી કરી હતી.
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં વધારો?
ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે રવિવારે 13 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે કોરોના વાઇરસના 1495 કેસ નોંધાયા હતા.
અમદાવાદમાં 140 દિવસ પછી સૌથી વધારે લોકો કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામ્યા છે. અમદાવાદમાં રવિવારે કોરોના વાઇરસના કારણે 8 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.
અમદાવાદમાં રવિવારે કોરોના વાઇરસના 318 કેસ નોંધાયા હતા, જ્યારે શનિવારે કોરોના વાઇરસના 354 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. પહેલી નવેમ્બરે ગુજરાતમાં કુલ 860 કેસ નોંધાયા હતા. 22 નવેમ્બરે આ કેસની સંખ્યા વધીને 1495એ પહોંચી હતી. શનિવારે 21 નવેમ્બરે કુલ કેસની સંખ્યા 1515એ પહોંચી હતી.
પહેલી નવેમ્બરે સુરત કૉર્પોરેશનમાં માં 167 કેસ નોંધાયા હતા, જ્યારે 22 નવેમ્બરે વધીને 211એ પહોંચી હતી. વડોદરા કૉર્પોરેશનમાં 80 કેસ નોંધાયા હતા જેની સંખ્યા 125એ પહોંચી હતી. રાજકોટ કૉર્પોરેશનમાં 49 કેસ પહેલી નવેમ્બરે નોંધાયા હતા તેની સંખ્યા 22 નવેમ્બરે 89 કેસ એ પહોંચી હતી.
અચાનક કર્ફ્યુની જરૂર કેમ પડી?
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કર્ફ્યુ લાદવાના નિર્ણય અંગે કહ્યું, "તહેવારો પછી અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પણ કોરોના કેસનું સંક્રમણ વધ્યું છે તેવા સમયે આપણે કોરોના સંક્રમણ વધે નહીં તે માટે તાત્કાલિક નિર્ણય કરીને અમદાવાદમાં કર્ફ્યુનો અમલ કરાવવો પડ્યો છે."
વિજય રૂપાણીએ યુવાઓને અપીલ કરી છે કે સાંજથી રાત દરમિયાન રેસ્ટોરાં, પાનના ગલ્લા, ચાની લારી વગેરે પર ટોળે વળીને ભીડ એકત્રિત ન કરે. બિનજરૂરી બહાર જવા-આવવાનું ટાળે.
અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનેના પ્રમુખ ડૉ. કિરીટ ગઢવીએ અમદાવાદની સ્થિતિને વિસ્ફોટક ગણાવી હતી. તેમણે કહ્યું, "અમદાવાદની ખાનગી અને સરકારી એમ બંને હૉસ્પિટલોમાં બેડ ભરાઈ જવાની સ્થિતિમાં છે."
અમદાવાદમાં છેલ્લાં 50 વર્ષથી પ્રેક્ટિસ કરતા સિનિયર ફિઝિશિયન ડૉ. સૌમેન્દ્ર દેસાઈ કહે છે, "અમદાવાદમાં કોરોના વાઇરસના કેસ ઘણા વધી રહ્યા છે. સામાન્ય કોરોના વાઇરસના લક્ષણવાળા દર્દીઓની સંખ્યા પણ ઘણી વધી રહી છે."
લોકોએ કરેલી ભીડ અને ઓછા ભયે સ્થિતિ બગાડી?
ડૉ. કિરીટ ગઢવી અમદાવાદમાં આ સ્થિતિ ઊભી થવા અંગે કહ્યું, "તહેવારોમાં અમદાવાદના ભદ્રમાં લોકોએ ભીડ કરી ખરીદી કરી તે વધુ જવાબદાર લાગે છે. આ ઉપરાંત અમદાવાદના બીજા વિસ્તારોમાં તહેવારો દરમિયાન જે પ્રકારની ભીડ થઈ જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સૅનિટાઇઝર વગેરેનો ઉપયોગ ન કરવાના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે."
કિરીટ ગઢવી જેવી જ વાત કરતાં સૌમેન્દ્ર દેસાઈ કહે છે, "સરકારે નિયંત્રણો હઠાવ્યાં. લોકો શિસ્તબદ્ધ રહ્યા નહીં. તહેવારોમાં એકબીજાને ત્યાં, બહારગામ જવાનું વગેરે કારણે કોરોના વાઇરસના કેસમાં વધારો થયો."
ડૉ. કિરીટ ગઢવી કહે છે, "પહેલાં લોકોમાં કોરોનાનો ભય વધારે હતો અને કોરોના ઓછો હતો. આજે જ્યારે કોરોના વધી ગયો છે ત્યારે લોકોમાં કોરોનાનો ભય ઓછો છે."
તેમને પૂછ્યું કે ઠંડીને કારણે શરદી-ખાસી થવાથી લોકો એમ માને છે કે ઠંડીને કારણે છે પણ કોરોનાના કારણે થઈ હોય તો તેનો ખ્યાલ આવતો નથી. જેના કારણે લોકોને સીધા હૉસ્પિટલમાં દાખલ કરવા પડે છે. ડૉક્ટર કહે છે, "હા આ બાબત બની શકે છે."
ડૉક્ટર સૌમેન્દ્ર દેસાઈ કહે છે, "કોરોના વાઇરસનાં લક્ષણ પારખવાં પણ અઘરાં છે. આપણને લાગે કે આ વ્યક્તિને કોરોના વાઇરસ હશે તેનો ટેસ્ટ નેગેટિવ આવે છે અને આપણને લાગે કે આને નેગેટિવ આવશે એનો પૉઝિટિવ આવશે. આમ ઘણું મુશ્કેલ છે."
'વાઇરસની ચેઇન તોડવા લાંબા લૉકડાઉનની જરૂર'
ડૉ. કિરીટ ગઢવી કહે છે, "કોઈપણ વાઇરસની ચેઇનને તોડવા માટે સત્તર દિવસનો સમય લાગતો હોય છે. અઢી દિવસના નાના લૉકડાઉનથી કાંઈ થતું નથી. સરકારે હાલના વાઇરસની ચેઇનને તોડવા પંદર થી સત્તર દિવસનું લૉકડાઉન આપવાની જરૂરિયાત છે."
તેઓ વધુમાં કહે છે, "આ પરિસ્થિતિમાં જો લૉકડાઉન નથી લાગતું તો લોકોએ બહુ જ ચેતવાની જરૂર છે. તેમણે કામ સિવાય બહાર નીકળવું ન જોઈએ. બહાર નીકળે તો માસ્ક, સૅનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ઉપયોગ કરવો જોઈએ. તોજ વ્યક્તિઓ કોરોના વાઇરસથી બચી શકશે."
ડૉક્ટર સૌમેન્દ્ર દેસાઈ કહે છે, "રાત્રી કર્ફ્યૂના કારણે એટલું સારું થશે કે જે લોકો રાત્રે ફરવાનું પસંદ કરે છે તે આનાથી બચશે. કોઈપણ જાતના ડિસિપ્લિન વિના નાની ખાવાની ઇટરી પર લોકો ભેગા થતા તે બંધ થશે. આઠ-આઠ લોકોના ગ્રૂપનાં ગ્રૂપ એકઠા થતાં હતાં જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જેવું કાંઈ ન હોય તે અટકશે. જેના કારણે થોડી રાહત મળી શકશે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો