અટલ સુરંગ : ભારત-ચીન તણાવ બાદ લેહ-લદ્દાખના લોકો કેટલા ખુશ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રિંચેન એંગમો ચુમિકચન
- પદ, લેહ(લદ્દાખ)થી બીબીસી ગુજરાતી માટે
શેરિંગ દોરજી હાલ 83 વર્ષના છે. તેમને આ ઉંમરે ભલે કંઈ યાદ ન હોય પણ વર્ષ 1998માં ભારતના તત્કાલિન વડા પ્રધાન સાથેની તેમની મુલાકાત સારી રીતે યાદ છે.
હિમાચલ પ્રદેશના લાહૌલમાં રહેતા વિદ્વાન અને ઇતિહાસકાર દોરજે એ ત્રણ સદસ્યવાળા સમૂહનો ભાગ હતા જેઓ એક વિશેષ માગ લઈને પૂર્વ વડા પ્રધાનને મળવા ગયા હતા.
કુલ્લુમાં બેઠાબેઠા દોરજે એ દિવસોને યાદ કરતા ફોન પર જ જણાવે છે કે કઈ રીતે તેમણે વડા પ્રધાનને એક એવી સુરંગ બનાવવાની માગ કરી હતી જે દરેક મોસમમાં કાર્યરત રહી શકે.
તે દિવસોને યાદ કરતા તેઓ કહે છે, "અમારી મુખ્ય માગ આ સુરંગને લઈને હતી. અમે લદ્દાખ વિશે પણ ઉલ્લેખ કર્યો હતો જે આ સુરંગ સાથે જોડાશે અને બીજી માગ બેશક લાહૌલ સંબંધિત હતી જે વર્ષના છ મહિના માટે પૂરી રીતે સંપર્કવિહોણું થઈ જાય છે. અમે આ સુરંગ બની જવાથી આ સમસ્યાનું સમાધાન ઇચ્છતા હતા."
હિમાચલ પ્રદેશની મનમોહક લાહૌલ ખીણ લગભગ દર વર્ષે પાંચથી છ મહિના દેશ-દુનિયાથી એકદમ સંપર્કવિહોણી થઈ જાય છે. કેમ કે રોહતાંગ પાસ બરફવર્ષાના લીધે બંધ થઈ જાય છે.
એ વાત સૌ જાણે છે કે અટલ બિહારી વાડપેયીને મનાલીથી કેટલો પ્રેમ હતો. વર્ષ 2000માં તેમણે એક પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. એ પ્રોજેક્ટ મનાલી અને લેહને જોડવાનો હતો.
પછી વર્ષ 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સુરંગનું નામ પણ તેમના જ નામે રાખ્યું. પહેલાં તેને રોહતાંગ સુરંગના નામથી ઓળખવામાં આવતી હતી.

જ્યારે વાજપેયીએ સકારાત્મક પ્રતિક્રિયા આપી

ઇમેજ સ્રોત, Getty Images
દોરજે કહે છે કે તે ત્રણ વ્યક્તિ તત્કાલીન વડા પ્રધાનને મળવા ગયા હતા. તેમાં એક તાશી દાવા હતા. તેઓ આરએસએસની એક તાલીમ દરમિયાન વાજપેયીના મિત્ર બની ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દોરજેએ બીબીસીને જણાવ્યું, "અમે તાશી દાદાને વડા પ્રધાનને મળવા જનારા દળનું નેતૃત્ત્વ કરવા રાજી કરી લીધા હતા. અમે એક સોસાયટી ' લાહૌલ સંઘી જનજાતિ સેવા કમિટિ'ના માધ્યમથી અટલજીને મળવા દિલ્હી પહોંચ્યા હતા. તેમની પ્રતિક્રિયા ઘણી સકારાત્મક હતી."
તેઓ કહે છે, " અમે તેમને પહેલી વાર 1998માં મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે સુરંગ મહત્ત્વપૂર્ણ છે અને પહેલાં જ બની જવી જોઈતી હતી. વર્ષ 1999માં અમે જ્યારે બીજી વખત મળ્યા ત્યારે કારગીલ યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું. તેમને અહેસાસ થઈ ગયો હતો કે અમે કેમ પહેલી બેઠકમા લદ્દાખનો ઉલ્લેખ કર્યો હતો. તેઓ એ વાતથી ખુશ પણ હતા અને આશ્ચર્યમાં પણ કે અમને કારગીલ વિશે કેવી રીતે ખબર હતી. આના તુરંત બાદ તેમણે સુરંગ માટે હા કહી દીધું હતું."

બરાલાચા પાસ મુખ્ય પડકાર

ઇમેજ સ્રોત, MONEY SHARMA/GETTY IMAGES
લેહના એક ડીલર સી. એસ રાઠોડ કહે છે, "મને વિશ્વાસ છે કે આ સુરંગ ખૂલી જવાથી લદ્દાખનું ભવિષ્ય ઉજ્જ્વળ થશે. બંને તરફથી 96 કિલોમીટરનું અંતર ઘટી જશે. તેનાથી ટ્રાન્સપૉર્ટનો ખર્ચ પણ ઘટી જશે. પહેલાં એક ટ્રકને લેહ જવામાં ત્રણથી ચાર દિવસનો સમય લાગતો હતો. પરંતુ હવે આ સુરંગ બની જવાથી લેહ પહોંચવામાં બે દિવસ જ લાગશે."
બીજી તરફ લેહમાં એક ડીલર સ્ટેંજિન ફંટોક આ સુરંગના ફાયદાને લઈને શંકા વ્યક્ત કરે છે.
તેમણે કહ્યું, "હાલ એ કહેવું મુશ્કેલ છે કે આનાથી અમારો શું ફાયદો થશે કેમ કે સીઝન જતી રહી છે. કદાચ આગામી વર્ષે જ્યારે ફરી સીઝન શરૂ થશે ત્યારે કહી શકીશું કે આનાથી અમને શું ફાયદો થશે."
"જો આ સુરંગ શરૂ પણ થઈ જાય તો ટ્રકો માટે બરાલાચા દર્રા મુખ્ય પડકાર રહેશે. ગત વર્ષે અમારી ટ્રકો બરાલાચા પર અટકી ગઈ હતી. ઘણી વાર તો પાચ-છ મહિના માટે ટ્રકોને ત્યાં છોડી દેવી પડે છે જેનાથી ઘણું નુકસાન થાય છે."

'એક જ સુરંગ પૂરતી નથી'

ઇમેજ સ્રોત, RINCHEN ANGMO/BBC
લેહમાં તેઓ એકલા નથી જેમને લાગે છે કે અટલ સુરંગ લેહ-લદ્દાખની પરેશાનીઓને દૂર કરવા પૂરતી નથી.
'લદ્દાખ સ્વાયત પહાડી વિકાસ પરિષદ-લેહ'ના પૂર્વ મુખ્ય કાર્યકારી કાઉન્સિલર રિગઝિન સ્પાલબરે કહ્યું, "લદ્દાખના લોકોને અટલ સુરંગથી કોઈ ખાસ ફાયદો નહીં થાય. હા, ઊનાળામાં જ્યારે રસ્તા ખુલ્લા હશે ત્યારે અંતર ઘટી જશે. પણ શિયાળામાં કોઈ ફાયદો નહીં થશે કેમ કે બરાલાચા, લાચુંગલા, તાંગલાંગલા,સરચુ પાસ બરફવર્ષાને કારણે આખો શિયાળો બંધ રહે છે."
બરાલાચા, લાચુંગલા, તાંગલાંગલા પાસ લદ્દાખ માટે ઘણો મહત્ત્વપૂર્ણ માર્ગ છે. તેના દ્વારા લદ્દાખ અટલ સુરંગ સાથે જોડાયેલું છે અને ત્યાર બાદ મનાલી સાથે.

ઇમેજ સ્રોત, LOBZANG NEEMA
જ્યારે શિયાળામાં આ પાસ શિયાળામાં બરફવર્ષાના લીધે બંધ હશે, ત્યારે લદ્દાખના લોકો અટલ સુરંગ સુધી નહીં જઈ શકે. ભારતીય સેનાએ પણ કેટલીય વાર કહ્યું છે કે એક એનુરૂપ સુરંગ બનાવવાની જરૂર છે જે લદ્દાખને દેશ સાથે જોડી શકે.
રિટાયર્ડ કર્નલ લોબજંગ નીમાએ બીબીસીને જણાવ્યું કે રોહતાંગ પાસ એક ખતરનાક પાસ માનવામાં આવે છે. આ સુરંગ બનવાથી ઘણી દુર્ઘટનાઓથી બચી શકાય છે. પરંતુ લદ્દાખ માટે રોહતાંગ લાથી વધુ મુશ્કેલીભર્યા તાંગલાંગલા, લાચુંગલા અને બરાલાચા છે."
જોખમી માર્ગો, ઊંચા પાસ, બરફવર્ષા અને હિમસ્ખલનના કારણે થનારા જાનમાલના નુકસાનનું નુકસાન આ સુરંગ બનવાથી ઓછું થઈ શકે છે.
અટલ સુરંગનો દક્ષિણી તરફથી પ્રવેશ-માર્ગ મનાલીથી 25 કિલોમીટર દૂર 3060 મીટરની ઊંચાઈ પર છે અને ઉત્તરનો પ્રવેશ-માર્ગ લાહૌલ ખીણમાં તેલીંગ ગામ પાસે 3071 મીટર ઊંચાઈ પર છે.
લાગૌલના લોકોનું માનવું છે કે સુરંગના બનવાથી અહીં પર્યટકો વધુ આવશે જેથી રોજગાર અને કામના નવીન અવસરો પેદા થશે. નવી હોટેલો પણ આવશે અને નોકરીઓ પેદા થશે તથા લોકોનું પલાયન પણ અટકશે.
'ટ્રાઇબલ ટુડે'ના સંપાદક શામ ચંદ આઝાદે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "કનેક્ટિવિટી સિવાય અટલ સુરંગથી લાહૌલ-સ્પીતિમાં પર્યટન વિકસસે અને રોજગારી પણ સર્જાશે. લાહૌલના લોકો માટે આ 10 મહિનાની રાહત છે. તેમને દરેક મોસમ માટેની સુરંગ તો ન કહી શકીએ કેમ કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં બરફ પડે છે. આ વાતની સંભાવના છે કે આ બે મહિનામાં તે બંધ રહે."

છની જગ્યાએ દસ વર્ષ

ઇમેજ સ્રોત, MONEY SHARMA/GETTY IMAGES
તેમણે કહ્યું, "લાહૌલમાં શિયાળામાં પર્યટન માટે ઘણી સંભાવનાઓ છે અને એમે આશા રાખી રહ્યા છે કે વડા પ્રધાન વિંટર સ્પોર્ટ માટે કોઈક જાહેરાત કરશે કેમ કે માઉન્ટેનિયરિંગ સંસ્થાઓએ આના સંબંધિત પ્રસ્તાવ મોકલ્યો છે.
જોકે આ તમામ આશાઓ વચ્ચે સસ્કૃતિ અને ઓળખને લઈને પણ કેટલીક ચિંતાઓ છે.
આ પ્રોજેક્ટના મુખ્ય ઇજનેર અનુસાર સુરંગને પૂરી કરવા માટે અનુમાનિત સમય છ વર્ષ હતો પરંતુ તેને પૂર્ણ થતાં 10 વર્ષ લાગ્યાં.
લાહૌલના ઇતિહાસકાર શેરિંગ દોરજે કહે છે, "મને થોડી નિરાસા છે કે સુરંગને પૂરી થતાં આટલો સમય લાગ્યો. હવે હું વૃદ્ધત્ત્વના લીધે કંઈ નથી કરી શકતો. નહીં તો એના માટે ભાગદોડ જરૂર કરતો હોત. "


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












