You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#NationalUnemploymentDay : વડા પ્રધાન મોદીના જન્મ દિવસે કેમ ટ્રૅન્ડ કરી રહ્યો છે રાષ્ટ્રીય બેરોજગાર દિવસ
17 સપ્ટેમ્બર ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ છે આ પ્રસંગે ભારતમાં રાત્રે ૧૨ વાગ્યાથી જ#HappyBdayNaMo, #PrimeMinister #NarendraModiBirthday અને #NarendraModi સોશિયલ મીડિયા પર ટ્રૅન્ડ થવા લાગ્યા છે.
પરંતુ તેની સાથે જ વધુ એક હૅશટૅગ છે જે ટ્વિટર પર ટ્રૅન્ડમાં સામેલ છે એ છે #NationalUnemploymentDay અથવા રાષ્ટ્રીય બેરોજગાર દિવસ. પરંતુ વડા પ્રધાન મોદીના જન્મ દિવસ પર રાષ્ટ્રીય બેરોજગાર દિવસ કેમ ટ્રૅન્ડ થઈ રહ્યો છે?
હકીકતમાં આ ભારતીય યુવાનો ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓના વિરોધ અને તેમની માગણીઓનું પરિણામ છે. કોરોના મહામારી દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા ભારે સંકટનો સામનો કરી રહી છે ત્યારે લોકો બેરોજગારીની વાત કરી રહ્યા છે.
બેરોજગારીનો માર, યુવા બેહાલ
રાષ્ટ્રીય આંકડા કચેરી (એનએસઓ) અનુસાર આ વર્ષે એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં દેશના જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો જે પાછલા 40 વર્ષોમાં સૌથી મોટો ઘટાડો છે.
એટલું જ નહીં સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમીના આંકડા અનુસાર 16 સપ્ટેમ્બરના અઠવાડિયામાં ભારતનો શહેરી બેરોજગારી દર 8.35 ટકાના સ્તરે ઉપર પહોંચી ગયો. લૉકડાઉન અને આર્થિક મંદી ને કારણે લાખો લોકોએ પોતાની નોકરીઓ ગુમાવવી પડી છે અને મોટી સંખ્યામાં લોકોનો રોજગાર ઠપ થઇ ગયો છે.
સેન્ટર ફૉર ઇન્ડિયન ઇકૉનૉમી (સીએમઆઈઈ)ના આંકડા અનુસાર લૉકડાઉન લાગુ થયાના એક મહિના પછી લગભગ 12 કરોડ લોકો પોતાના કામકાજ ગુમાવી ચૂક્યા હતા. મોટાભાગનાં લોકો અસંગઠિત અને ગ્રામીણ વિસ્તારોમાં છે. સીએમઆઈઈના આકલન અનુસાર વેતન પર કામ કરતા અસંગઠિત ક્ષેત્રમાં 1.9 કરોડ લોકોએ પોતાની નોકરીઓ લૉકડાઉન દરમિયાન ગુમાવી છે.
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન અને એશિયન ડેવલપમેન્ટ બૅન્કના એક અન્ય અહેવાલમાં એમ અનુમાન લગાવાયું છે કે 30ની નીચેની ઉંમરના 40 લાખથી વધુ ભારતીયોએ પોતાની નોકરીઓ મહામારીને કારણે ગુમાવી છે. 15થી 24 વર્ષની વયનાં લોકો પર સૌથી વધુ અસર પડી છે.
વિધાર્થીઓની વધતી નારાજગી
આર્થિક મંદી અને બેરોજગારીના ઊંચા દર વચ્ચે ભારતીય યુવાનો સરકાર સામે પોતાની નારાજગી તથા જાહેર કરી રહ્યા છે. આ નારાજગીની અસર ભારતીય સોશિયલ મીડિયામાં ખાસ કરીને ટ્વિટર ઉપર સ્પષ્ટ રૂપે જોવા મળી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાછલા કેટલાક અઠવાડિયામાં ભારતીય વિદ્યાર્થીઓ અને યુવાનોએ સરકાર વિરૂદ્ધ પોતાનું અભિયાન સોશિયલ મીડિયા પર તેજ કરી દીધું છે. બેરોજગારી અને સાથે સાથે વિદ્યાર્થીઓ એસએસસી જેવી પરીક્ષાઓ નિયત સમયે ન થવા અને નોકરીઓ માટે નિયત સમયે નિયુક્તિ ન થવા ને લઈને પણ નારાજ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની માગ છે કે જે નોકરી બહાર પાડવામાં આવે એની પરીક્ષા જલદી થાય અને એના પરિણામ જલદી આવે. આ ઉપરાંત અનેક સંસ્થાઓમાં ભારે ફી વધારાથી પરેશાન વિદ્યાર્થીઓ પણ સરકાર સામે પોતાનો અવાજ પહોંચાડી રહ્યા છે.
આ પહેલા 9 સપ્ટેમ્બરે દેશના અલગ અલગ વિસ્તારોમાં યુવકોએ 9 વાગીને નવ મિનિટ ટૉર્ચ, મોબાઈલ ફ્લૅશ અને દીવા પ્રગટાવી સાંકેતિક રૂપથી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ અભિયાનને આગળ વધારતા હવે અનેક યુવાનો અને વિદ્યાર્થી સંગઠનો 17 સપ્ટેમ્બર એટલે કે વડા પ્રધાન મોદીના જન્મદિવસે #રાષ્ટ્રીય_બેરોજગાર_દિવસ ટ્રૅન્ડ કરાવી સાંકેતિક રૂપે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.
યુવાનોના આ અભિયાનને અનેક વિપક્ષી દળો અને અલગ-અલગ સંગઠનોનું સમર્થન પણ પ્રાપ્ત છે. આ દરમિયાન યુવાન વિદ્યાર્થીઓ #રાષ્ટ્રીય_બેરોજગાર_દિવસ અને #NationalUnemploymentDay સાથે પોતાની માગણી સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આને લઈને અનેક પ્રકારના મીમ્સ અને અલગ અલગ પોસ્ટ પણ શૅર કરવામાં આવી રહી છે.
અનેક વિદ્યાર્થીઓએ ટ્વિટર હૅન્ડલ પર પોતાના નામની આગળ બેરોજગાર શબ્દ પણ જોડી દીધો છે.
હંસરાજ મીણાએ ટ્વિટ કર્યું છે - મોદીજી, યુવાનોના ભવિષ્ય સાથે ન રમો.
એક ટ્વિટર યુઝરે ભોજપુરી માં લખ્યું છે -SSC ભુલાય ગયિલ બા, કી આજ CGL 220 કા નોટિસવા નિકાલે રહા. કોઈ બતાવા ઉનકા, નાહી SSC સોયિતે રહિલ.
આ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાત અને ભાજપના અનેક વિડિયોને યૂટ્યુબ ઉપર મોટી સંખ્યામાં ડિસલાઇક મળવા પાછળ પણ વિદ્યાર્થીઓના ગુસ્સાને કારણ માનવામાં આવ્યું હતું. જોકે પક્ષના આઇટી સેલના પ્રમુખ અમિત માલવિયએ આને માટે કૉંગ્રેસના ષડયંત્ર અને તુર્કીના બોટ્સને જવાબદાર ઠેરવ્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો