વિજય રૂપાણી સરકારે પાક નુકસાનની જાહેર કરેલી સહાય ખેડૂતો માટે પૂરતી છે?

ઇમેજ સ્રોત, FACEBOOK/VIJAY RUPANI
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
“આ સહાય નહીં, ખેડૂતોની મશ્કરી છે,” ગુજરાત સરકારે તાજેતરમાં અતિવૃષ્ટિને કારણે નુકસાન વેઠનાર ખેડૂતોને રાજ્ય ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફંડ (SDRF) અંતર્ગત જાહેર કરેલી સહાયની રકમ અંગે જાણીને સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના વડાદરા ગામના ખેડૂત જયસુખભાઈના મોઢેથી આ શબ્દો સરી પડ્યા.
તેઓ આગળ કહે છે કે, “સરકારે પાકવીમાનો હક છીનવી લઈ, ખેડૂતોના હાથમાં પાકનુકસાનીના વળતર પેટ સાવ ક્ષુલ્લક રકમ આવે એવી વ્યવસ્થા ગોઠવી હોય એવું લાગે છે.”
“આટલા પૈસા તો પ્રતિ હેક્ટર બિયારણ અને ખાતરની ખરીદી માટે પણ ઓછા પડે. સહાયના નામે અમારી મજાક કરાઈ રહી હોય એવું લાગે છે.”
ખેડૂત જયસુખભાઈએ ખૂબ આશા સાથે પોતાના 20 વીઘાના ખેતરમાં મગફળી અને કપાસ વાવ્યાં હતાં.
જે અતિશય વરસાદને પગલે ધોવાઈ જતાં તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હોવાનું જણાવે છે, ઉપરાંત સમગ્ર પંથકના ખેડૂતોની પણ કંઈક આવી જ હાલત હોવાની વાત જણાવે છે.
નોંધનીય છે કે ખેતી અને ખેડૂતો માટે વરદાન સ્વરૂપ ગણાતા વરસાદને આજકાલ ખેતી નિષ્ણાતો રાજ્યના ખેડૂતો માટે એક મહામુશ્કેલી ગણાવી રહ્યા છે.
ગુજરાતમાં પાછલા અમુક દિવસોમાં અનારાધાર વરસાદનો સિલસિલો ચાલુ હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જે કારણે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં અતિવૃષ્ટિને કારણે ઊભા પાકને નુકસાન થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં પણ મોટા ભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત ભારે વરસાદને પગલે ખેતરોમાંથી પાણી હજુ ઓસર્યાં નથી.
કેટલાક ખેડૂત આગેવાનો દ્વારા તો અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં ભરાયેલાં પાણી અંગે સરકારનું ધ્યાન દોરવા માટે ખેતરોમાં જ તરણસ્પર્ધા યોજી હોવાનું જાણવા મળ્યું છે.
હવે જ્યારે સમગ્ર રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે ખેડૂતોને થયેલા નુકસાન અંગે વળતરની ચૂકવણી બાબતે ગુજરાત સરકારે જાહેરાત કરી છે.
જેમાં ખેડૂતોને રાજ્ય ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફંડના નિયમોને આધારે ચૂકવણી કરવાની જાહેરાત કરાઈ છે.
ત્યારે આ ફંડમાંથી નુકસાની માટેની સહાય ચૂકવવા માટે કઈ પ્રક્રિયા અનુસરાય છે? કેવી રીતે આ નુકસાનીનાં નાણાં ચૂકવાશે? એ પ્રશ્ન સામાન્ય જનતા અને ખેડૂતોનાં મનમાં ઊઠી રહ્યા હોવાનું નિષ્ણાતો જણાવે છે.

વીમાકંપનીઓનહીંસરકારઆપશેવળતર

ઇમેજ સ્રોત, Jaysukhbhai Dudhrejiya
નોંધનીય છે કે તાજેતરમાં જ ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા ઊંચા પ્રિમિયમના દરનું કારણ આગળ ધરી પાકવીમાની રાષ્ટ્રીય યોજના એવી વડા પ્રધાન પાકવીમા યોજનામાંથી અલગ થઈને ખરીફ પાક માટેની ખાસ મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી હતી.
પરંતુ કેટલાક ખેડૂત આગેવાનોને મતે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનામાં નક્કી કરાયેલ સહાયનાં ધોરણો ઘણાં અવાસ્તાવિક હતાં. જેથી અતિવૃષ્ટિને કારણે 100 ટકા નુકસાની ભોગવનાર ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળી શકે એમ નહોતો.
ખેડૂત આગેવાનોના મતે નવી યોજના અંતર્ગત ખેડૂતોને લાભ ન મળતો હોઈ ગુજરાત સરકાર દ્વારા રાજ્ય ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફંડમાંથી ખેડૂતોને સહાય કરવાનું નક્કી કર્યું છે.
જે માટે આગામી 15 દિવસમાં નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરાશે.
જે ખેતરોમાં પાણી ઓસરી ગયાં છે ત્યાં નુકસાનીના સર્વેનું કામ શરૂ થઈ ગયું હોવાનું પણ તંત્રનું કહેવું છે.
ખેડૂતોને નુકસાની માટેની ચૂકવણી માટે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફંડનો ઉપયોગ કરવાની વાત કરાઈ છે. ત્યારે આ ફંડ શું છે તે જાણી લઈએ.
આ ફંડની સાદી ભાષામાં સમજ આપતાં કોડિનારના તાલુકા વિકાસ અધિકારી આર. વી. ઓડેદરા જણાવે છે કે, સરકાર દ્વારા આપત્તિ સમયે સામાન્ય જનને સહાય કરવા માટે ઊભા કરાયેલ ફંડને ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફંડ કહે છે.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના ઠરાવ પ્રમાણે જારી કરાયેલી માર્ગદર્શિક અનુસાર રાજ્યમાં કુદરતી આપત્તિઓ જેમ કે ભારે વરસાદ-પૂર, વાદળ ફાટવું, વાવાઝોડું, દુષ્કાળ, ભૂકંપ, સુનામી, હિમપ્રપાત, કરાવૃષ્ટિ, ઠાર અને શીત લહેર તેમજ જીવાતના આક્રમણ સહિતની કુદરતી આપત્તિઓના કારણે થતાં નુકસાન માટે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફંડ ઊભું કરવામાં આવે છે.

કયાખેડૂતોનેવળતરમળશે?

ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. શહેરોમાં રસ્તા અને ગામડાંમાં ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયાં હતાં. આવી પરિસ્થિતિમાં લણણી માટે તૈયાર એવા ખેડૂતોના ખરીફ પાકને ઘણું નુકસાન થયું હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 27 થી 340 ટકા વધુ વરસાદ પડ્યો છે. જે પૈકી કચ્છમાં 200 ટકા, દેવભૂમિ દ્વારકામાં 340 ટકા, જામનગરમાં 165 ટકા, પોરબંદરમાં 149 ટકા, બોટાદમાં 108 ટકા, જૂનાગઢમાં 96 ટકા અને ગીર સોમનાથમાં સરેરાશ કરતાં 87 ટકા વધુ વરસાદ પડ્યો છે.
ઘણા ખેડૂતો અને ખેડૂત આગેવાનો આવી રીતે પડેલા અનારાધાર વરસાદને કારણે લીલા દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની વાત કરી રહ્યા છે.
નોંધનીય છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં મગફળી, કપાસ, તલ અને બાજરી જેવા પાકો સદંતર નિષ્ફળ નીવડ્યાની ફરિયાદો ખેડૂતો તરફથી ઊઠી રહી હતી.
જેને પગલે આખરે બુધવારે રાજ્યના કૃષિમંત્રી આર. સી. ફળદુએ પત્રકારપરિષદમાં ખેડૂતોને સહાય જાહેરાત કરતાં કહ્યું હતું કે, “સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને પગલે જ્યાં જ્યાં ઊભા પાકને 33 ટકા કરતાં વધુ નુકસાન થયું હોય તેમને SDRFના નિયમો પ્રમાણે આગામી દિવસોમાં સરકાર દ્વારા રાહત ચૂકવવામાં આવશે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીની સૂચનાથી કૅબિનેટની બેઠકમાં કૃષિવિભાગ અને મહેસૂલ વિભાગને આ અંગેના આદેશો અપાઈ ચૂક્યા છે.”

ખેડૂતોને કેટલું વળતર મળશે અને સર્વે કેવી રીતે થાય છે?

કોડિનારના તાલુકા વિકાસ અધિકારી (TDO) આર. વી. ઓડેદરા હાલમાં ગુજરાતમાં થયેલ ઊભા પાકની નુકસાની અંગે ખેડૂતોને મળનાર વળતર અંગેની માહિતી આપતાં કહે છે :
“સરકારની માર્ગદર્શિકા મુજબ બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને થયેલ નુકસાનની ચૂકવણી આ ફંડ હેઠળ કરવામાં આવે છે.”
“જેમાં બિનપિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર 6,800, પિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર 13,500 અને બારમાસી પાકમાં પ્રતિ હેક્ટર 18,000ની સહાય ચૂકવવામાં આવે છે. પરંતુ આ સહાય 33 ટકા કે તેથી વધુ પાકના નુકસાન પેટે જ ચૂકવવામાં આવે છે.”
TDO આર. વી. ઓડેદરા પાકનુકસાની અંગેના સર્વેની રીત જણાવતાં કહે છે કે, “જિલ્લા પ્રશાસન તરફથી હુકમ મળ્યા બાદ તાલુકા કક્ષાએ જુદાં-જુદાં ગામ માટે ગ્રામસેવક, તલાટી અને સરપંચની સમિતિ રચવામાં આવે છે.”
“જે ગામના દરેક ખેતરમાં જઈને પાકનુકસાની અંગે અંદાજ મેળવી તેનો રિપોર્ટ તૈયાર કરે છે. આ સમિતિ પર સુપરવિઝન કરવાનું કામ TDO દ્વારા કરાય છે.”

“આવું જ ચાલતું રહ્યું તો ખેતી જ મૂકી દઈશ”
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
અનરાધાર વરસાદને કારણે ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયાં હોવાને કારણે પોતાનો ખેતરનો બધો પાક ગુમાવનારા ખેડૂત જયસુખભાઈ પોતાને પડી રહેલી મુશ્કેલી અંગે વાત કરતાં જણાવે છે :
“સરકાર માત્ર બે હેક્ટર સુધી જ મદદ કરવાની વાત કરી રહી છે, ખેડૂત નાનો હોય કે મોટો બધાને એકસરખું જ નુકસાન થયું છે.”
સરકાર દ્વારા સહાય માટે કરાયેલી જાહેરાતની રકમને ક્ષુલ્લક ગણાવતાં તેઓ કહે છે કે, “મારા ખેતરમાં વાવણી માટે મેં 85 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે. સરકારની ગણતરી પ્રમાણે મને તો 30 હજાર પણ મળવાપાત્ર નહીં થાય, તો બાકીનો બોજો તો ખેડૂતોને માથે જ પડવાનો છે. આ સહાયનો કોઈ મતલબ બનતો નથી.”
“એક તરફ બે ટકાના વ્યાજે 85 હજાર રૂપિયા લાવીને વાવેલ પાક બગડ્યો છે અને બીજી તરફ સરકાર ખેડૂતોની સમસ્યા તરફ ગંભીર નથી એ જોઈને ખૂબ દુ:ખ થાય છે. હવે તો વ્યાજના પૈસા માથે ચઢવા લાગશે એ ભય તો ઊભો જ છે.”
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
કંઈક આવી જ મુશ્કેલીમાંથી સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના રાયસંગપર ગામના ખેડૂત મુન્નાભાઈ મકવાણા પસાર થઈ રહ્યા છે.
તેઓ વારંવાર ખેતીમાં થતાં નુકસાન અને સરકારની અદેખાઈથી ત્રસ્ત થઈ ગયા હોવાની વાત જણાવતાં કહે છે કે, “જો આવું જ ચાલતું રહેશે તો આવનારાં વર્ષોમાં ખેતી છોડીને કોઈ બીજો વ્યવસાય કરી લઈશ. પાછલાં અમુક વર્ષોમાં તનતોડ મહેનત કરીને ભેગી કરેલી મૂડી છેલ્લાં ત્રણ વર્ષથી કુદરત અને સરકારની અદેખાઈને કારણે ગુમાવવી પડી છે.”
આ વર્ષે અતિવૃષ્ટિને કારણે થયેલ નુકસાન અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “મેં 50 વીઘા જમીનમાં કપાસ, મગફળી અને તલ વાવ્યાં હતાં. જેમાંથી તલનો પાક સાવ નિષ્ફળ નીવડ્યો છે. તેમજ કપાસ અને મગફળીમાં 50 ટકાની નુકસાની આવવાનું અનુમાન છે.”
સરકાર પ્રત્યે કોઈ જ આશા ન હોવાની વાત કરતાં તેઓ કહે છે કે, “આ વખત મારે લગભગ અઢી લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો જેમાંથી મોટા ભાગનો ખર્ચ માથે પડવાનો અંદાજ છે. કમાણી તો ક્યાંથી થવાની? ઉપરથી બૅંક પાસેથી 6 લાખ રૂપિયા અને ખાનગી નાણાંધીરનાર પાસેથી 50 હજાર રૂપિયા બે ટકાના વ્યાજે લીધા છે. એની ચિંતા અલગ છે.”

ખરેખરઆટલુંવળતરપૂરતુંગણાય?

ગુજરાત કિસાન કૉંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયા SDRFના નિયમો પ્રમાણે ખેડૂતોની સહાય માટેની વ્યવસ્થાને અપૂરતી ગણાવે છે.
તેઓ કહે છે કે, “કૃષિમંત્રી દ્વારા આ સહાયની જાહેરાત અંગે સ્પષ્ટતા કરાઈ નથી. બે હૅક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે કે કેમ એ સ્પષ્ટ નથી. તેમજ બે હેક્ટર કરતાં ઓછી જમીનવાળા ખેડૂતોને પણ જો આ સહાય મળે તો તેની રકમ સાવ ક્ષુલ્લક છે, જે ખેડૂતને બિલકુલ મદદરૂપ થવાની નથી.”
આ વાત સાથે અસંમતિ વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિતેન્દ્ર પટેલ જણાવે છે કે, “જૂના નિયમોની સરખામણીએ ખેડૂતો માટેની સહાયમાં સરકારે 8 ગણો વધારો કર્યો છે.”
તેઓ પહેલાંના માપદંડોની સરખામણીએ સહાયના માપદંડોમાં કરેલા ફેરફારો અંગે વાત કરતાં કહે છે કે, “પહેલાંની જોગવાઈઓ મુજબ ખેડૂતોને માત્ર એક હેક્ટર સુધીની સહાય અપાતી હતી. જ્યારે હવે એ મર્યાદા વધારી ને બે હેક્ટર કરી દેવાઈ છે. પહેલાં 50 ટકા કરતાં વધુ નુકસાનની પરિસ્થિતિમાં જ સહાય કરાતી હતી પરંતુ હવે ખેડૂતોને 33 ટકા કરતાં વધારે નુકસાનની પરિસ્થિતિમાં પણ સહાય ચૂકવવામાં આવે છે.”
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
“પહેલાં સહાયનું ધોરણ 4,500 થી 6,500 રૂપિયા પ્રતિ હેક્ટર હતું જ્યારે અત્યારે એ ધોરણમાં વધારો કરીને પ્રતિ હેક્ટર 6,800 થી 13,500 રૂપિયાની સહાય કરવામાં આવે છે.”
આમ, તેઓ સરકાર તરફથી ખેડૂતોને કરાતી સહાય સંપૂર્ણપણે વાજબી અને ન્યાયપૂર્ણ હોવાની વાત કરે છે.
જોકે, તેઓ એ વાત સાથે સંમત હતા કે ખેડૂતોને હજુ વધુ સહાય કરવાની જરૂરિયાત છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “ખેડૂતોનું ઘણું નુકસાન થયું છે, તેમાં કોઈ બેમત નથી."
"હજુ વધુ સહાય કરવાની જરૂરિયાત છે, ખેડૂતોના મનની એ લાગણી યોગ્ય છે અને સરકાર એ દિશામાં ચોક્કસપણે વિચારશે પણ ખરી."
"હજુ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને ખેડૂતોને વધુ સહાય ચૂકવવા માટે સરકાર જરૂર પગલાં ભરશે, પરંતુ હાલ કોરોનાની પરિસ્થિતિને કારણે સરકારની કેટલીક આર્થિક મર્યાદાઓ પણ છે એ બાબત પણ ધ્યાનમાં લેવાની જરૂર છે.”

સરકારકેમવડાપ્રધાનવીમાયોજનામાંથીનીકળીગઈ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
રૂપાણી સરકાર વડા પ્રધાન પાક વીમા યોજનામાંથી અલગ થઈ એ માટેનાં કારણો જણાવતાં પાલભાઈ આંબલીયા જણાવે છે કે, “વડા પ્રધાન પાક વીમા યોજનામાંથી અલગ થઈ ખેડૂતોને પૈસા ન ચૂકવવા પડે એ માટે છટકબારી ગોઠવવા માટે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના લાવવામાં આવી છે.”
“સરકારે અને વીમાકંપનીઓએ પાછલાં ચાર વર્ષમાં ખેડૂતો અને જનતાના પૈસે પાકવીમાના નામે ખૂબ ભ્રષ્ટાચાર કર્યો. યોજના લાગુ કર્યાનાં ચાર વર્ષ બાદ જ્યારે હવે ખેડૂતો જાગૃત થઈ ગયા છે."
"ખેડૂત સંગઠનો દ્વારા સરકાર પાસેથી પાકનુકસાની અને વળતર અંગેના હિસાબો માગવામાં આવી રહ્યા છે અને સરકાર કોઈ પણ રીતે હિસાબ આપવાની સ્થિતિમાં નથી."
"ત્યારે સરકારે ગભરાઈને આ યોજના નાબૂદ કરી નવી ‘લૉલીપૉપ’ યોજના લાવવાની યુક્તિ અજમાવી છે અને તેના માપદંડો એટલા અવાસ્તવિક રાખવામાં આવ્યા છે જેથી કરીને કોઈને પૈસા ચૂકવવા જ ન પડે.”

વડા પ્રધાન પાક વીમા યોજનાને સ્થાને મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના લાવવા પાછળના કારણ અંગે વાત કરતાં હિતેન્દ્ર પટેલ જણાવે છે કે, “વડા પ્રધાન પાક વીમા યોજના એ ખેડૂતોને દરેક તબક્કે સહાયરૂપ થાય એવી બહુહેતુક યોજના હતી.”
“આ યોજનાના અમલીકરણ માટે જ્યારે સરકાર દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે ટેન્ડરની રકમ ગત વર્ષની સરખામણીએ દોઢ ગણી આવી હતી.”
“પાછલાં અમુક વર્ષોમાં કંપનીઓ દ્વારા ખેડૂતોને કરાયેલી ચૂકવણીનો અભ્યાસ કરતાં માલૂમ પડ્યું કે કંપનીઓ દ્વારા ખેડૂતોને પ્રીમિયમની રકમની સરખામણીએ ઓછું વળતર ચૂકવાતું હતું. તેમજ પાછલાં વર્ષના વીમા ચૂકવવામાં વીમાકંપનીઓએ ગલાંતલાં કર્યાં હતાં.”
"પ્રિમિયમની રકમ વધુ આવતાં સરકારે આ વખત ખેડૂતો પાસેથી એક પણ રૂપિયો લીધા વગર વીમો આપવાની યોજના જાહેર કરી. સાથે સાથે આ મુખ્યમંત્રી પાક સહાય યોજનામાં રાજ્યના તમામ ખેડૂતોને આવરી લેવાય છે તથા તમામ પાકો માટે સહાય મળશે."
"જ્યારે વડા પ્રધાન પાકવીમા યોજનામાં જે ખેડૂતોએ વીમો લીધો હોય તેમને જ સહાય મળતી હતી એ પણ 13 જેટલા પાક માટે જ. "
"પરંતુ તેનો અર્થ એ નથી કે ગુજરાત હંમેશાં માટે વડા પ્રધાન પાકવીમા યોજનાથી અલગ થઈ ગયું છે હાલની વ્યવસ્થા કામચલાઉ છે અને ખેડૂતોના હિત માટે લેવાયેલ નિર્ણય છે."
"અગાઉની યોજનામાં સરેરાશ 17થી 18 લાખ ખેડૂતોને લાભ મળતો હતો હવે રાજ્યના તમામ 60 લાખ ખેડૂતોને લાભ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે કોઈ નોંધણી કાવવાની કે પ્રિમિયમ ભરવાની જરૂરિયાત નહીં રહે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












