You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના યુવાનો 'ચૂંટણીના બહિષ્કાર'ની વાતો કેમ કરી રહ્યા છે?
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
પાછલા કેટલાક સમયથી કોરોનાના પડકારનો સામનો કરી રહેલી ગુજરાત સરકાર સામે ફરી એક વાર વિદ્યાર્થીઆંદોલનની સ્થિતિ સર્જાઈ શકે એમ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિદ્યાર્થીઓ પરીક્ષાના આયોજનની માગને લઈને આંદોલન કરી રહ્યા છે.
હવે ફરીથી આ વિદ્યાર્થીઓ દ્વારા ટ્વિટર પર 'પહેલાં રોજગારી પછી ચૂંટણી' એવું સોશિયલ મીડિયા કૅમ્પેઇન શરૂ કરી દેવાયું છે.
આ કૅમ્પેઇનના સમર્થનમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા ટ્વીટ કરાઈ રહ્યાં છે.
નોંધનીય છે કે કોરોનાની મહામારીને પગલે ગુજરાત સરકાર દ્વારા હાલ તમામ ભરતીપ્રક્રિયાઓ મોકૂફ રખાઈ છે.
તેમજ સમયાંતરે વિદ્યાર્થીઓની માગણીઓને કારણે સરકારે વિદ્યાર્થી નેતાઓ સાથે બેઠકો પણ કરી છે, પરંતુ આ બેઠકોનાં કોઈ નક્કર પરિણામ નહોતાં આવી શક્યાં. તેથી યુવાનો ફરી એક વાર રોષે ભરાયા હતા.
આ સાથે જ રાજ્ય સરકાર વહેલી તકે સ્પર્ધાત્મક પરીક્ષાઓના આયોજન અંગે કોઈ સ્પષ્ટતા નહીં કરે તો આગામી સમયમાં રાજ્યમાં યોજાનાર જાહેર ચૂંટણીઓના બહિષ્કારની ચીમકી પણ યુવાનો ઉચ્ચારી રહ્યા છે.
ઑનલાઇન પરીક્ષા યોજવાની માગ
વર્ગ-૩ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મુકેશ માળી જણાવે છે કે, "સમયાંતરે સરકારી નોકરીઓની ભરતીમાં છબરડા થવાના કારણે પરીક્ષાર્થીઓ નિરાશ થઈ ગયા છે."
"હવે યુવાનોની માગ છે કે સરકાર વહેલી તકે તમામ અટકી પડેલી ભરતીપ્રક્રિયાઓ ફરીથી શરૂ કરે, જેથી સરકારી તંત્રમાં રોજગારી મેળવવા ઉત્સુક યુવાનો સાથે ન્યાય થાય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોરોનાકાળ દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટેનો ઉપાય સૂચવતાં તેઓ જણાવે છે કે, "કોરોનાની પરિસ્થિતિને જોતાં સરકાર ઑનલાઇન માધ્યમ થકી પરીક્ષાનું આયોજન કરે એ સમયની જરૂરિયાત છે."
"સમય સુધરે એની રાહ જોવા કરતાં યોગ્ય વૈકલ્પિક સુવિધા થકી તમામ અટકી પડેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પ્રક્રિયા ફરીથી શરૂ થવી જોઈએ."
'ચૂંટણી યોજાઈ શકે તો પરીક્ષા કેમ નહીં?'
આ સિવાય ગુજરાત સરકારની વર્ગ-ત્રણની પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવાર ભાવિકા શ્રીમાળી રાજ્ય સરકારને માત્ર ચૂંટણી યોજવામાં રસ છે તેવું જણાવે છે.
તેઓ વાત કરતાં કહે છે કે, "હું પાછલાં 2.5 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છું. છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર અવારનવાર કોઈને કોઈ કારણ આગળ ધરીને પરીક્ષા નથી યોજી રહી કાં તો પરીક્ષાનું આયોજન યોગ્ય રીતે કરવામાં અસફળ નીવડી રહી છે."
તેઓ ચૂંટણી અને પરીક્ષા મામલે કહે છે કે, "આગામી સમયમાં વિધાનસભાની પેટાચૂંટણી, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની પૂરેપૂરી શક્યતા છે."
"આ ચૂંટણી પાછી ઠેલાશે એવું હાલ તબક્કે નથી લાગી રહ્યું. જો રાજ્ય સરકાર કોરોનાની કપરી પરિસ્થિતિમાં ચૂંટણી યોજી શકતી હોય તો વિદ્યાર્થીઓની માગને ધ્યાને રાખીને વહેલી તકે સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટેનું સમયપત્રક કેમ ન જાહેર કરી શકે."
'લગભગ 30થી 35 હજાર જગ્યા ખાલી'
રાજ્યમાં વકરતી જતી બેરોજગારીની સમસ્યા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને પડી રહેલી મુશ્કેલી વિશે વાત કરતાં વિદ્યાર્થીનેતા પ્રવીણ રામ જણાવે છે કે, "ગુજરાતમાં જુદી-જુદી 23 સરકારી ભરતીઓ છેલ્લા કેટલાક સમયથી અટકી પડી છે."
"રાજ્ય સરકારના જુદા સરકારી વિભાગોમાં લગભગ 30થી 35 હજાર જગ્યાઓ ખાલી પડી છે. વિદ્યાર્થીઓની માગ છે કે સરકાર બને એટલું જલદી સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી અંગે નિર્ણય લે."
તેઓ વધુમાં કહે છે, "જો આવું નહીં થાય તો ગુજરાતના બેરોજગાર યુવાનો આવનારા સમયમાં યોજાનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરતા પણ નહીં ખચકાય."
આમ, વિદ્યાર્થી અને વિદ્યાર્થી આગેવાનો માગ કરી રહ્યા છે કે ગુજરાત સરકાર શક્ય એટલી વધુ ઝડપે ફરીથી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન શરૂ કરે.
આ મામલે બીબીસીએ ગુજરાત સરકાર તરફથી શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી દિલીપ ઠાકોરની પ્રતિક્રિયા લેવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી તેમનો સંપર્ક થઈ શક્યો નથી.
પ્રતિક્રિયા મળ્યે અહેવાલ અપડેટ કરવામાં આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો