કોરોના વાઇરસ : ભારતનાં આ શહેરોમાં ફરીથી લૉકડાઉન કરવાની નોબત કેમ આવી?

    • લેેખક, અપૂર્વ કૃષ્ણ
    • પદ, બીબીસી સંવાદદાતા

22 માર્ચનો દિવસ હતો, જ્યારે ભારતની જનતાએ દેશહિતમાં પોતે જ પોતાના પર કર્ફ્યૂ લગાવ્યો હતો. આનાથી બહુ ઓછા લોકોનાં જીવનમાં ખલેલ પડી કારણકે તે દિવસે રવિવાર એટલે કે રજાનો દિવસ હતો.

વડા પ્રધાને બે દિવસ પહેલાં એટલે કે 19મી માર્ચે આ વિશે રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું હતું, "સાથીઓ, 22 માર્ચનો આપણો આ પ્રયાસ આત્મસંયમ અને દેશહિતમાં કર્તવ્યપાલનના સંકલ્પનું મજબૂત પ્રતીક છે."

બે દિવસ પછી 24 માર્ચની સાંજે આઠ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી દેશને સંબોધિત કરવા આવ્યા અને 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું, "આવનારા 21 દિવસ દરેક નાગરિક માટે, પરિવાર માટે મહત્ત્વપૂર્ણ છે, આરોગ્યના તજજ્ઞોની વાત માનીએ તો કોરોના વાઇરસની સાઇકલ તોડવા માટે 21 દિવસનો સમય બહુ મહત્ત્વપૂર્ણ છે. જો આ 21 દિવસ નહીં સંભાળીએ તો દેશ અને તમારો પરિવાર 21 વર્ષ પાછળ ધકેલાઈ જશે."

એ 24 માર્ચની રાત હતી, હવે 17 જુલાઈ થઈ ગઈ છે. દેશના કેટલાક ભાગોમાં લૉકડાઉન ફરી લાગુ કરવું પડ્યું છે. આવું કેમ?

આનો જવાબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં જ છે, 'કોરોના વાઇરસની સાઇકલ તૂટી નથી. 21 દિવસમાં પરિસ્થિતિ સંભાળી શકાઈ નથી.'

શું લૉકડાઉન સફળ ન થયું?

આ પ્રશ્ન તો લૉકડાઉન દરમિયાન જ ઊઠવા લાગ્યો હતો અને જાણકારોને ગરબડનો અંદાજ પણ આવી ગયો હતો.

પ્રથમ લૉકડાઉનનો સમયગાળો ખતમ થયો તેના થોડા દિવસ પહેલાં, ભારત સરકારનાં પૂર્વ આરોગ્યસચિવ સુજાતા રાવે આઉટલુક પત્રિકાને કહ્યું, "મને ચિંતા છે, હું આશા રાખું છું કે મહામારી નિયંત્રણની બહાર ન જતી રહે. મને લાગે છે કે ભારતે લૉકડાઉનના નિર્ણયનું સારી રીતે પાલન કર્યું છે."

"રાજ્યોએ પણ આ બાબતે સારું કામ કર્યું છે. સરકારી ડેટા જોઈને લાગે છે કે સંક્રમણને નિયંત્રણમાં લેવાયું છે અને આ સમુદાયમાં નથી ફેલાયું. નિયંત્રિત પરિસ્થિતિની સાથે-સાથે આખા દેશમાં લૉકડાઉન છે, તો ગ્રાફ સપાટ હોવો જોઈએ. પરંતુ એવું નથી થયું, એ ચિંતાની બાબત છે."

સુજાતા રાવે એપ્રિલ મહિનામાં આ ચિંતા વ્યક્ત કરી હતી અને હવે જુલાઈમાં પણ કંઈક આવી જ વાતો થઈ રહી છે. ચિંતા ઘટવાને બદલે વધી રહી છે.

આ કારણે જ લૉકડાઉન લગાવવું પડી રહ્યું છે, વધારવું પડ્યું છે કે પછી કડક કરવું પડી રહ્યું છે. સંક્રમણની સાઇકલ તૂટી નથી અને પરિસ્થિતિ નિયંત્રણમાં નથી.

ચક્ર તોડવામાં નિષ્ફળ?

માર્ચથી એપ્રિલ સુધી, એપ્રિલથી મે, મેથી જૂન અને હવે જુલાઈ.

શરૂઆતના 21 દિવસ તો યાદ રહ્યા. પછી દિવસ, અઠવાડિયાં, મહિના અને તારીખો, આ બધું મગજમાં ફિટ બેસાડવું મુશ્કલે થતું ગયું અને લોકોએ આના પ્રયત્ન પણ છોડી દીધા.

લોકોની જીભે લૉકડાઉન શબ્દ ચડેલો હતો ત્યારે 68 દિવસ પછી 31 મેના રોજ નવો શબ્દ આવ્યો, એ હતો અનલૉક-1.

ગૃહ મંત્રાલયે કન્ટેનમૅન્ટ ઝોનને છોડીને બાકી જગ્યાએથી લગભગ બધી પાબંદી હઠાવી લીધી હતી. લૉકડાઉન પછી અનલૉકના પણ વધુ સંસ્કરણ આવી ગયાં છે.

આ પ્રશ્ન સતત ઊભો રહ્યો અને સમાચારનો ભાગ બન્યો. જેમકે પાંચ જૂને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ટ્વીટ કર્યું જેમાં સ્પેન, જર્મની, ઇટાલી અને બ્રિટનના ગ્રાફ સાથે ભારતની સરખામણી હતી.

તેમણે લખ્યું, "એક નિષ્ફળ લૉકડાઉન કંઈક આવું દેખાય છે."

આ જુલાઈ મહિનો છે. હવે ના તો વડા પ્રધાન પહેલાંની જેમ ભાષણ કરે છે, ના તો રાહુલ ગાંધી પહેલાંની જેમ ટ્વીટ કરે છે.

ના તો કેન્દ્રીય આરોગ્યમંત્રાલયના વરિષ્ઠ અધિકારી લવ અગ્રવાલ અને પુણ્ય સલીના શ્રીવાસ્તવની બ્રીફિંગની રાહ જુએ છે અને કેરળના મુખ્ય મંત્રીના ટ્વીટની પણ ચર્ચા નથી થતી.

જોરદાર હેડલાઇન લખવાવાળા પત્રકારોએ પણ હથિયારો મૂકી દીધાં છે.

હવે તેઓ રોજ લખે છે, "આજે રેકર્ડ સંખ્યામાં સંક્રમણના આંકડા આવ્યા, પછીના દિવસે આ જ વાક્ય, એના પછીના દિવસે પણ આ જ લાઇન. રેકર્ડ તૂટી રહ્યા છે, પણ સાઇકલ નથી તૂટી રહી.

તો પ્રશ્ન એ છે કે આવું કેમ થઈ રહ્યું છે?

સંકટ બદથી બદતર

નિષ્ણાતોનો મત છે કે આના મૂળમાં ભારતનું નબળું આરોગ્યતંત્ર છે.

ભારત સરકારના પૂર્વ આરોગ્યસચિવ કેશવ દેસિરાજુએ બીબીસીને કહ્યું, "જો તમારી પાસે મજબૂત અને મૂળભૂત તંત્ર ન હોય તો ઇમર્જન્સીનો સામનો કરવો મુશ્કેલ છે."

"જો ભારતના મૂળભત આરોગ્યતંત્ર પર ધ્યાન આપવામાં આવ્યું હોત, જો તે સાધનસંપન્ન હોત, તો સંકટની પરસ્થિતિમાં તે સારી રીતે કામ કરતું હોત. જો એ સિસ્ટમ નથી તો સંકટ બદથી બદતર થતું જશે."

જેમ-જેમ સમય વીત્યો, સંકટ બદથી બદતર થતું રહ્યું. આંકડા આના પુરાવા આપે છે.

24મી માર્ચે જ્યારે વડા પ્રધાને લૉકડાઉનની જાહેરાત કરી ત્યારે કોરોના સંક્રમિત રોગીઓની સંખ્યા લગભગ 560 હતી અને મરણાંક 10 હતો. એ પછી લૉકડાઉન લાગુ થયું.

21 દિવસનું લૉકડાઉન ખતમ થવાના દિવસે 14 એપ્રિલ સુધી આ સંખ્યા 10,815 થઈ ગઈ. ત્યાર પછી એક મે સુધી 35,365.

એક જૂન સુધી 1,90,535 અને એક જુલાઈ સુધી 5,85,493 અને 16 જુલાઈ સુધી 10,04,652 થઈ ગઈ.

એટલે લૉકડાઉન શરૂ થતાં પહેલાં જે સંખ્યા સાડા પાંચસોની આસપાસ હતી, તે ચાર મહિનામાં દસ લાખને પાર થઈ ગઈ. 24 માર્ચની સંખ્યા કરતાં 1800 ગણી. જોકે સંખ્યા વધવી એ કોઈ આશ્ચર્યની વાત નથી.

નિષ્ણાતો માને છે કે ટેસ્ટિંગ વધવાથી અને લૉકડાઉન ખોલવાથી આ થવાનું જ હતું.

ગુજરાતના ગાંધીનગરસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના નિદેશક અને અમેરિકાની જ્હૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી પ્રોફેસર દિલીપ માવળંકર કહે છે કે લૉકડાઉનની અસર થઈ છે.

પ્રોફેસર માવળંકરે બીબીસીને કહ્યું, "ઘણા દિવસો સુધી સંખ્યા નિયંત્રિત રહી, બીજા દેશોને જુઓ તો ત્યાં લૉકડાઉન સુધી સંખ્યા ધણી ઓછી હતી. હવે લૉકડાઉન ખૂલ્યા પછી ત્યાં પણ સંખ્યા વધી રહી છે, તો એ તો સ્વાભાવિક છે."

પરંતુ તેમણે એમ પણ કહ્યું કે લૉકડાઉન દરમિયાન જે તૈયારી થવી જોઈતી હતી તે નથી થઈ.

તેઓ કહે છે, "લૉકડાઉનનો હેતુ સ્પષ્ટ હતો કે આપણે આ સમયગાળામાં તૈયારી કરી લઈએ. જ્યાં-જ્યાં અત્યારે હૉસ્પિટલો બની રહી છે, ત્યાં પહેલાં બની શકી હોત."

"ટેસ્ટિંગ, કૉન્ટૅક્ટ ટ્રેસિંગની વ્યવસ્થા કેટલી સારી હોઈ શકે, એ જોવાની જરૂર હતી. જે તૈયારી આપણે અત્યારે કરી રહ્યા છીએ એ પહેલાં કરી હોત તો આવું ન થાત."

જોકે, પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાના મહામારીનિષ્ણાત ડૉ. ગિરિધર બાબુએ બીબીસીના સહયોગી ઇમરાન કુરૈશીને કહ્યું, "લૉકડાઉન વાઇરસને ફેલાતો રોકવાનો સૌથી જરૂરી ઉપાય છે. સરકાર આ દરમિયાન પથારીઓ, ઑક્સિજન, વૅન્ટિલેટર જેવી વ્યવસ્થા કરે છે."

"આ કેટલી હદ સુધી થયું છે એની ખબર ત્યારે પડશે, જ્યારે લૉકડાઉન પૂરી રીતે ખૂલશે."

નિષ્ણાતો માને છે કે લૉકડાઉન લાગુ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે અસરકારક હોય.

તેના માટે 28 દિવસ નહીં તો 14 દિવસ સુધી લગાવવું જોઈએ.

ડૉક્ટર ગિરિધર બાબુ કહે છે, "વાઇરસની સાઇકલ 14 દિવસની હોય છે, તો એવું કરવું બરાબર રહેશે."

ગુજરાતમાં હાલમાં આવેલા ભૂકંપના આંચકા શું સૂચવે છે?

હવે શું?

આગળ શું થશે, એ કોઈને ખબર નથી. લોકો લૉકડાઉનથી કંટાળી ગયા છે.

લાખો લોકોની રાજીરોટી પર સંકટ આવી ગયું છે, તેઓ જલદી સામાન્ય જીવન તરફ પાછા આવવા માગે છે. જોકે તેઓ અસમંજસમાં છે કારણકે સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો