કોરોના વાઇરસ : મફત જમીન લેનારી પ્રાઇવેટ હૉસ્પિટલો નિઃશુલ્ક સારવાર કેમ ન કરી શકે?

સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે જે ખાનગી હૉસ્પિટલોને મફતમાં જમીન આપવાં આવી હતી, તેઓ કોરોના વાઇરસના દરદીઓનો મફતમાં કે રાહતદરે ઇલાજ કેમ ન કરી શકે?

સર્વોચ્ચ અદાલતે આ મતલબની નોટિસ કેન્દ્ર સરકારને કાઢી છે અને એક અઠવાડિયાની અંદર જવાબ આપવા માટે જણાવ્યું છે.

સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે નિઃશુલ્ક અથવા રાહતદરે સારવાર કરી શકે તેવી હૉસ્પિટલોની ઓળખ કરવામાં આવે અને સારવારના ખર્ચના સંદર્ભે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે.

સચિન જૈન નામના અરજદારે સર્વોચ્ચ અદાલતમાં આ મતલબની અરજી દાખલ કરી હતી.

ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની અધ્યક્ષતામાં ત્રણ જજોની ખંડપીઠે આ મુદ્દે સુનાવણી કરી અને અને સૉલિસિટર જનરલ તુષાર મહેતા પાસેથી એક અઠવાડિયાની અંદર વિસ્તૃત જવાબ માગ્યો છે.

અદાલતે કેન્દ્રને પૂછ્યું, "જે હૉસ્પિટલોને મફતમાં કે સસ્તી કિંમતે જમીન આપવામાં આવી છે તેવી ચેરિટેબલ હૉસ્પિટલોએ ઇલાજ મફતમાં કે ઓછા ભાવે કરવો જોઇએ."

શ્રમિકની સ્થિતિ પર સવાલ

કોરોના વાઇરસને પગલે દેશમાં લાગુ કરાયેલા લૉકડાઉન દરમિયાન જોવા મળેલી પ્રવાસી શ્રમિકોની 'મુશ્કેલીઓ' અને 'દયનિતા' પર સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન લેતાં નોંધ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી આ મામલે ચૂક થઈ છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલમાં જણાવ્યા અનુસાર જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમ. આર. શાહની પીઠે જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો આ મામલો જોઈ રહી હોવા છતાં, 'સમસ્યાનો ઉકેલ લાવવા માટે અસરકારક અને ઠોસ પ્રયાસો કરવાની જરૂર છે.'

પીઠે જણાવ્યું, 'દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોની મુશ્કેલીઓ અને દયનિયતા પર અમે જાતે જ સંજ્ઞાન લીધું છે. પગપાળા અને સાઇકલો પર જઈ રહેલા પ્રવાસી શ્રમિકોની દુર્ભાગ્યપૂર્ણ અને દયાજનક પરિસ્થિતિ અખબારો અને મીડિયા અહેવાલોમાં સતત જોવા મળી રહી છે.'

સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી શ્રમિકોને સહાય કરવામાં ચૂક થઈ છે. કોર્ટે એવું પણ કહ્યું કે સરકારો દ્વારા પ્રવાસી શ્રમિકોને મફત પ્રવાસન, આશ્રય અને અન્નની સુવિધા પૂરી પાડવા માટે તત્કાલ પગલાં લેવાની પણ જરૂર છે.

સુપ્રીમ કોર્ટે આ મામલે ભારત સરકાર, તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને નોટિસ પાઠવી છે અને જવાબ માગ્યો છે.

ચીને લદ્દાખ પાસે ઍરબૅઝનો વિસ્તાર કર્યો

ચીને લદ્દાખ પાસેના પોતાના ઍરબૅઝનો વિસ્તાર કર્યો છે.

એનડીટીવીના અહેવાલમાં સંબંધિત દાવો કરાયો છે. અહેવાલ અનુસાર ટીવી ચેનલને મળેલી ઍક્સક્લુઝિવ તસવીરોમાં ઍરબૅઝના ટરમૅક પર યુદ્ધવિમાનો સ્પષ્ટ જોવા મળી રહ્યાં છે.

આ ઍરબૅઝ નગારી કુશા ઍરપૉર્ટ પર છે, જે પેંગયોંગ લૅકથી લગભગ 200 કિલોમિટર દૂર તિબેટમાં સ્થિત છે.

અહેવાલમાં કરાયેલા દાવા અનુસાર 6 એપ્રિલ 2020ની સેટેલાઇટ ઇમેજમાં આ ઍરપૉર્ટ પર રનવે જોવા મળી રહ્યો છે. જોકે, 21 મે 2020ની તસવીરોમાં ઘણું બધુ બદલાયેલું જોવા મળે છે. નવી તસવીરોમાં મોટા પ્રમાણમાં ઍરબૅઝના નિર્માણની હિલચાલ જોવા મળી રહી છે.

અન્ય એક તસવીરમાં ઍરબૅઝ પર ચાર યુદ્ધવિમાનો જોવા મળી રહ્યાં છે. ભારતીય સરહદથી માત્ર 200 કિલોમિટર દૂર આ વિમાનોની તહેનાતી ભારત માટે ચિંતાનો વિષય હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી લદ્દાખમાં ભારતીય અને ચાઇનીઝ સૈન્ય વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે.

રાહુલ ગાંધીના મીડિયા પર પ્રહારો

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મીડિયાના એક વર્ગ પર પ્રહાર કરતાં જણાવ્યું કે મહારાષ્ટ્રમાં કોવિડ-19ની સ્થિતિ પર તેમણે કરેલી ટિપ્પણીને તોડીમરોડીને રજૂ કરવામાં આવી છે.

રાહુલે એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં રાજ્યમાં વ્યાપ્ત પરિસ્થિતિ અંગે તેઓ વાત કરી રહ્યા છે. તેમણે આ વીડિયો શૅર કરતાં લખ્યું, "આ વીડિયો જુઓ અને સમજો કે કઈ રીતે વેચાઈ ગયેલું મીડિયા સત્યને તોડીમરોડીને રજૂ કરે છે અને પોતાના માલિકોની સેવા કરવામાં અસલ મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવી દે છે."

આ પહેલાં જ્યારે રાહુલ ગાંધીને મહારાષ્ટ્રમાં કોવિડ-19ના વધી રહેલા મામલાઓ અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે સરકારને ચલાવવામાં અને સરકારનું સમર્થન કરવામાં અંતર હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો