અંફન ચક્રવાત : આવતીકાલે પશ્ચિમ બંગાળને ટકરાય તેવી શક્યતા, લાખોનું સ્થળાંતર

ઇમેજ સ્રોત, Getty Images
પહેલાથી જ કોરોના મહામારીનો સામનો કરી રહેલા ભારત માટે અંફન વાવાઝોડું બીજી મુસીબત લઈને આવી રહ્યું છે.
બંગાળની ખાડીમાં પેદા થયેલું વાવાઝોડું અંફન સોમવારે બપોરે સુપર સાયક્લોનમાં પરિવર્તિત થઈ ગયું છે.
ઑક્ટોબર 1999 બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે બંગાળની ખાડીમાં કોઈ સુપર સાઇક્લોન બન્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડાની પવન ગતિ 220-240 કિલોમિટર પ્રતિ કલાકની હોય શકે છે.
220 કિલોમિટર પ્રતિકલાકની ઝડપ હોય તેવા વાવાઝોડાને સુપર સાયક્લોનનો દરજ્જો આપવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Twitter/IMD
આ વાવાઝોડું ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને અસર કરે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશામાં 19 મે સાંજેથી જ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે પવનની ગતિ વધી જશે. ૨૦ મેના રોજ પવનની ગતિ વધારે ઝડપી બની જશે.
ઓડિશાના 12 જિલ્લાને ઍલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને વાવાઝોડાના સંભવિત નુકસાનને જોતાં કુલ 11થી 12 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવે તેવી શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે ભારે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તૈયારીઓ મામલે બેઠક કરી હતી. એનડીઆરએફની 12 ટીમો તથા ઓડીઆરએફની 20 ટીમોને ખડેપગે રાખવામાં આવી છે.
તોફાનને કારણે ઓડિશામાં શ્રમિકોને લઈને આવતી ટ્રેનો પણ રદ કરી દેવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં પણ ઍલર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
ઓડિશાની જેમ પશ્ચિમ બંગાળમાં પણ અંફનને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.
હવામાન વિભાગે ચેતવણી જાહેર કરતા માછીમારોને 20 તારીખ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપી છે.
ઉપરાંત 19 અને ૨૦ મેના રોજ દરિયાકિનારાના વિસ્તારોમાં 120થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.
અંફન એક તાકાતવર વાવાઝોડાના રૂપમાં 20 મેના બપોર અને સાંજની વચ્ચે જમીન પર ત્રાટકવાની સંભાવના છે.
હવામાન વિભાગના કહેવા મુજબ ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારે રહેતા લોકોએ ભારેથી અતિભારે વરસાદનો સામનો કરવો પડશે.

ઇમેજ સ્રોત, IMD
ઝડપથી ફૂંકાતા પવનને કારણે મકાનો, વૃક્ષો, ખેતીમાં ઊભા પાક, વીજળીના થાંભલા તથા અન્ય વસ્તુઓને નુકસાન પહોંચાડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રેલવે નેટવર્કને પણ આ વાવાઝોડાને કારણે અસર પહોંચાડી શકે છે. જોકે, હાલ લૉકડાઉનમાં માત્ર ખાસ ટ્રેનોને જ ચલાવવાની મંજૂરી છે.
બંગાળ અને ઓડિશાનું કહેવાનું છે કે તેઓ વાવાઝોડા સામેની તૈયારીઓ કરી રહ્યાં છે. બંને રાજ્યો આવનારી સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.
આ બંને રાજ્યોમાં વાવાઝોડાની આપત્તિ ત્યારે આવી રહી છે જ્યારે દેશ કોરોના વાઇરસ જેવી મહામારીનો સામનો કરી રહ્યો છે. ગયા વર્ષે ઓડિશામાં આવેલા વાવાઝોડા ફેનીમાં રાજ્યની કામગીરીને વખાણવામાં આવી હતી. જે બાદ આ વર્ષે તેના પર અંફનનો ખતરો તોળાઈ રહ્યો છે.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













