You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના લૉકડાઉન 2.0 :દેશના ખેડૂતો આખરે કોની-કોની સામે લડે?
- લેેખક, સિરાજ હુસૈન
- પદ, ભૂતપૂર્વ કૃષિસચિવ
કોરોના વાઇરસના રોગચાળાના પ્રસાર પહેલાં ભારતમાં ખેડૂતોની આવક બહુ ઓછી હતી.
દેશની ગ્રામ્ય બૅન્કિંગ નિયમનકર્તા એજન્સી નાબાર્ડ દ્વારા 2016-17માં કરાવવામાં આવેલા ઑલ ઇન્ડિયા રૂરલ ફાઇનાન્સેલ ઇન્ક્લુઝન સર્વેમાં જાણવા મળ્યું હતું કે ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક 8931 રૂપિયા છે અને તેનો લગભગ અડધો હિસ્સો મજૂરી અને સરકાર કે બીજા કોઈનું કામ કરવાથી મળે છે.
ખેડૂતોની આવકના એ હિસ્સા પર, કોરોના વાઇરસનો ચેપ પ્રસરતો રોકવા માટે લાદવામાં આવેલા લૉકડાઉનને લીધે માઠી અસર થઈ છે.
દેશમાં વાવેતરની મોસમ હતી ત્યારે લૉકડાઉન લાદવામાં આવ્યું ન હતું એ ખેડૂતોની સદનસીબી છે.
ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં રવી સિઝનની લણણીનું કામ શરૂ જ થયું હતું.
આ રાજ્યોમાં ઘઉં, સરસવ, ચણા અને મસૂરની ખેતી કરતા ખેડૂતો લણણીના કામ માટે સ્થાનિક મજૂરોની મદદ લેતા હોય છે.
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
લૉકડાઉનની અસર
પાકની લણણી પર આ લૉકડાઉનની કોઈ ગંભીર અસર થઈ ન હતી.
જોકે, મધ્ય પ્રદેશમાં લણણીનું કામ કરતા મજૂરોની સંખ્યા સામાન્ય પરિસ્થિતિની તુલનામાં આ વખતે ઓછી જરૂર હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શિયાળો થોડો લાંબો ખેંચાવાને કારણે અને માર્ચમાં થયેલા કમોસમી વરસાદને લીધે આ વખતે પંજાબ, હરિયાણા તથા ઉત્તર પ્રદેશમાં ઘઉંના પાકની લણણી માટે 15 એપ્રિલ સુધી રાહ જોવી પડી છે.
ઉત્તર પ્રદેશમાં શેરડીની કાપણી અને વાવેતર મોટા ભાગે સ્થાનિક મજૂરોના ભરોસે જ હોય છે.
લૉકડાઉનમાં રાહત
સરકારે 28 માર્ચે લૉકડાઉન સંબંધી દિશાનિર્દેશોમાં થોડા ફેરફાર કર્યા હતા અને નીચે મુજબની અનેક ગતિવિધિને તેમાંથી રાહત આપી હતી.
- કૃષિઉત્પાદનની ખરીદી અને ટેકાના લઘુતમ ભાવ સુનિશ્ચિત કરવાનું કામ કરતી એજન્સીઓ.
- કૃષિઉત્પાદન બજાર સમિતિ દ્વારા સંચાલિત માર્કેટ યાર્ડ્ઝ
- ખેડૂતો તથા કૃષિમજૂરો દ્વારા ખેતરમાં કરવામાં આવતું કામકાજ.
- નાના અને સિમાંત ખેડૂતોને કૃષિ માટે ઉપયોગમાં લેવાતાં મશીનો ઉપલબ્ધ કરાવતાં કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ.
- ખાતર, પેસ્ટિસાઇડ્ઝ અને બિયારણના ઉત્પાદન તથા પૅકેજિંગ યુનિટ્સ.
- વાવેતર અને લણણીનાં મશીનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવાં- લઈ જવાની કામગીરી.
- પશુ ચિકિત્સા હૉસ્પિટલ
ખેડૂતો માટે સલાહ
ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઈસીએઆર)એ રવીપાકના સંદર્ભમાં ખેડૂતો માટે 31 માર્ચે એક વિગતવાર ઍડવાઇઝરી બહાર પાડી હતી.
પાકની લણણી અને વેચાણ દરમિયાન ખેડૂતોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કેવી રીતે કરવું જોઈએ તે વિશે ઍડવાઇઝરીમાં વિગતવાર સમજાવવામાં આવ્યું છે.
આઈસીએઆરની ગાઇડલાઇન્સની માહિતી વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચી શકે એટલા માટે રાજ્ય સરકારોએ તેનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરાવીને રેડિયો, એસએમએસ કે અન્ય માધ્યમો મારફત પ્રચાર કરાવ્યો છે કે નહીં તે જાણી શકાયું નથી.
જોકે, કેન્દ્ર સરકારે લૉકડાઉન દરમિયાન ખેડૂતોને જે પ્રકારની છૂટછાટ આપવાની જાહેરાત કરી છે તેનો અમલ રાજ્ય સરકારો પોતપોતાના પ્રદેશમાં વાસ્તવિક રીતે અમલ કરતી નથી.
દિલ્હી, મુંબઈ અને નાસિક કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સંચાલિત યાર્ડ્ઝ કાર્યરત છે.
ભાવમાં ઘટાડો
આ શહેરોમાં કેટરિંગ તથા રેસ્ટોરાં બિઝનેસ હાલ લગભગ બંધ હોવાથી માગમાં ઘટાડો થવા છતાં શહેરમાં રહેતા લોકોને કશું ખૂટતું હોવાનો અહેસાસ થતો નથી.
અલબત્ત, જિલ્લા પોલીસના સ્પષ્ટ આદેશના અભાવે ઘણાં ઠેકાણે માર્કેટ યાર્ડ્ઝને ખોલવા દેવાતાં નથી.
જલદી બગડી જાય તેવાં ખેતઉત્પાદનનો ખેતરમાંથી અન્ય સ્થળે પહોંચાડતાં વાહનોને ફરજ પરના પોલીસ કર્મચારીઓ રોકી રહ્યા છે. એ કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. તેમને વાજબી ભાવ મળતા નથી.
મીડિયા રિપોર્ટ્સમાં એવું જણાવવામાં આવે છે કે મરચાં, કેરી, દ્રાક્ષ અને બીજાં ફળો-શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
પોલ્ટ્રી ઉદ્યોગની હાલત
લૉકડાઉનના ઘણા સમય પહેલાં એવા બનાવટી સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવ્યા હતા કે ચિકન તથા ઈંડાં ખાવાથી કોરોના વાઇરસનો ચેપ લાગે છે.
એ ફેક ન્યૂઝને કારણે પોલ્ટ્રી પ્રોડક્ટ તૈયાર કરતા ખેડૂતોને મોટું નુકસાન થયું હતું અને તેઓ બરબાદ થવાના સ્તરે પહોંચી ગયા હતા.
દિલ્હીની ગાઝીપુર મંડીની હાલત એવી થઈ હતી કે ત્યાં બ્રોયલર ચિકનનો ભાવ ઘટીને કિલોના 45 રૂપિયા થઈ ગયો હતો. એ જ બ્રોયલર ચિકનનો ભાવ ફેબ્રુઆરીમાં 80 રૂપિયે કિલો હતો.
ખેડૂતોને એક કિલોનો મરઘો ઉછેરવામાં 80 રૂપિયાનો ખર્ચ થતો હોય છે ત્યારે ઉપરોક્ત પરિસ્થિતિમાં તેમની હાલતની કલ્પના કરી શકાય.
પોલ્ટ્રી સૅક્ટરમાં કામ કરતા ખેડૂતોએ કોરોના વાઇરસના રોગચાળા બાદ બીજા બિઝનેસ મોડેલ બાબતે વિચારવું પડશે.
ડેરી ઉદ્યોગની તસવીર
પોલ્ટ્રીની માફક દૂધના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે.
ફેબ્રુઆરીમાં દૂધનો ભાવ પ્રતિલિટર 45-50 રૂપિયા હતો, જે હવે ઘટીને 30-35 રૂપિયા થઈ ગયો છે.
વહીવટી તંત્રે લાદેલાં નિયંત્રણોને કારણે અને માગમાં ઘટાડાને લીધે મિલ્ક પ્રોસેસિંગ યુનિટ્સ તેમની સંપૂર્ણ ક્ષમતા અનુસાર કામ કરી શકતાં નથી. તેથી તેમણે ખેડૂતો પાસેથી દૂધની ખરીદીનું પ્રમાણ ઘટાડી નાખ્યું છે.
લૉકડાઉનને કારણે સૌથી માઠી દશા તો ફળો, શાકભાજી તથા જલદી ખરાબ થઈ જતા પાકનું ઉત્પાદન કરતા ખેડૂતોની છે. તેમનાં ઉત્પાદન લાંબા સમય સુધી સ્ટોર કરી શકાતાં નથી.
પાકની ખરીદી
પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ઘઉંના પાકની ખરીદી 15 એપ્રિલથી શરૂ થશે.
આ માટે પંજાબ અને હરિયાણા એકદમ તૈયાર છે. આ રાજ્યોએ ખરીદી કેન્દ્રોની સંખ્યા પહેલાંથી બમણી કરી નાખી છે.
ખેડૂતોને આવવા માટે અલગ-અલગ સમયની ફાળવણી કરી છે. ભીડ એકઠી ન થાય એટલા માટે ટેક્નોલૉજીની મદદ લેવામાં આવી રહી છે.
ખરીદી કેન્દ્રો પર સાફ-સફાઈની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
છેલ્લાં 12 વર્ષથી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાએ પાકની ખરીદી માટે અસરકારક વ્યવસ્થા બનાવી છે.
બિહારે ખાસ પ્રગતિ કરી નથી. તેથી બિહારના ખેડૂતોએ આ વખતે ટેકાના લઘુતમ ભાવથી પણ ઓછી કિંમતે મકાઈ અને ઘઉં વેચવા પડશે.
દાળ અને તેલીબિયાં
નીચા ભાવને કારણે સૌથી મોટો ફટકો દાળ અને તેલીબિયાંના ખેડૂતોને પડી રહ્યો છે.
દાળ અને તેલીબિયાંની ખરીદી કરતી સરકારી એજન્સી નાફેડે પહેલાંથી જ 35 લાખ ટન દાળનો સ્ટોક એકઠો કરીને બેઠી છે. એ સ્ટૉકની ખરીદી પાછલાં વર્ષોમાં કરવામાં આવી હતી. નાફેડ વધુ ખરીદી કરી શકશે કે કેમ એ સ્પષ્ટ થયું નથી.
મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ચણા, મસૂર તથા સરસવનું ઉત્પાદન કરતા ખેડૂતો નાફેડ તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે.
તેનું કારણ એ છે કે લૉકડાઉન અને યાર્ડ્ઝ બંધ હોવાને લીધે ભાવ ઘટી રહ્યા છે તથા ખેડૂતોને નાફેડ પાસેથી ટેકાના લઘુતમ ભાવ મળવાની આશા છે.
પરિસ્થિતિ સારી હોય છે ત્યારે ખેડૂતો અને ગ્રામીણ પરિવારોના ઘરોમાં સારી આવક થતી હોય છે.
આ ખેડૂતો, કોરોના વાઇરસનો રોગચાળો ફેલાવાને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનમાંથી રાહત મળવાની રાહ જોઈ રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો