કોરોના વાઇરસ ; ઘરની બહાર નીકળીને કામ કરતાં સફાઈકામદારો શું કહે છે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

"આ કોરોનાને લીધે સમાજમાં જબરું પરિવર્તન આવી ગયું છે. જે લોકો સફાઈકામદારો સાથે સારી રીતે વાત નહોતા કરતાં, તેઓ હવે ચા માટે આગ્રહ કરવા માંડ્યા છે."

આ શબ્દો અમદાવાદમાં રહેતા સાગર પરમારના છે.

ગુજરાતમાં કોરોના વાઇરસની ભીતિને પગલે લૉકડાઉન છે, પોલીસ પણ લૉકડાઉનનો સખત રીતે અમલ કરાવી રહી છે.

આરોગ્ય સચિવ જયંતી રવિ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં મૃતકાંક છ થઈ ગયો છે.

કોરોનાના કપરા કાળમાં લોકો ઘર પકડીને બેસી ગયા છે ત્યારે એવા પણ લોકો છે જે ઘર છોડીને કામ કરી રહ્યા છે.

આમાં ડૉક્ટરો તો ખરા જ, પણ સફાઈકર્મીઓ પણ આ સમયે પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે.

સફાઈકર્મીઓ એવા મૂક કર્મચારી છે જે ઝટ યાદ ન આવે પણ રાજ્યભરમાં સફાઈકર્મચારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

'લોકોનો અભિગમ બદલાયો છે'

આ કસોટીકાળમાં તેઓ કેવી રીતે કામ કરી રહ્યા છે એ વિશે બીબીસીએ અમદાવાદ કોર્પૉરેશનમાં કરાર હેઠળ કામ કરતાં સફાઈ ઑપરેશનલ સુપરવાઇઝર સાગર પરમાર સાથે વાત કરી.

સાગર પરમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "અત્યાર સુધી એવું થતું કે સફાઈકર્મીઓને સોસાયટીઓમાંથી મોટે ભાગે સાંભળવાનું જ આવતું કે તમારી ગાડી મોડી આવે છે. તમારું કામ બરાબર નથી. પરંતુ કોરોનાનો કેર જ્યારથી શરૂ થયો છે ત્યારથી લોકો સફાઈકામદારોને આદર આપવા માંડ્યા છે. "

સાગર ઉમેરે છે, "સફાઈકામદારો કચરો લેવા વિવિધ સોસાયટીમાં જાય છે ત્યારે લોકો પ્રેમથી ચા માટે આગ્રહ કરે છે. આવું અગાઉ થતું નહોતું. જે લોકો સરખી રીતે વાતો પણ નહોતા કરતાં એ હવે ચા માટે આગ્રહ કરે છે. અગાઉ સફાઈની ગાડી મોડી પડતી તો લોકો રાડારાડ કરી મૂકતા હતા, હવે કહે છે કે કંઈ વાંધો નહીં, બે દિવસ પછી પણ તમે ગાડી મોકલશો તો ચાલશે."

સાગરની વાત ઉપરથી લાગે છે કે આ કપરા સમયમાં લોકોનો તેમના પ્રત્યેનો અભિગમ બદલાયો છે.

લૉકડાઉનને પગલે કયા પ્રકારની સમસ્યા સર્જાઈ છે? એ વિશે જણાવતાં સાગર કહે છે કે "હું અમદાવાદના ઘાટલોડિયા વૉર્ડની સફાઈનું કામ જોઉં છું. વૉર્ડમાં કોઈ પણ જગ્યાએ કચરાની સમસ્યા હોય તો મારે એ ઉકેલવામાં મદદરૂપ થવાનું હોય છે. મારી દેખરેખ હેઠળ 13 ગાડી છે, લૉકડાઉન જાહેર થયા પછી સ્થિતિ એ ઊભી થઈ છે કે મારી પાસે જે કામદારો હતા એમાંના મોટા ભાગના ચાલ્યા ગયા છે."

'બીક તો અમને પણ લાગે છે...'

આ લૉકડાઉનમાં સફાઈકામમાં લાગેલા ઘણા લોકો પોતાના વતન કે રાજ્યમાં ચાલ્યા ગયા છે.

સાગર કહે છે, "રાજસ્થાન અને દાહોદ વગેરેના જે કામદારો હતા એ ચાલતાં-ચાલતાં પોતાના વતન નીકળી ગયા છે. અમે તેમને કહ્યું હતું કે તમને જે કરિયાણું - સામાન વગેરેની જરૂર હોય તે કહો, તમને ભરી આપશું. તેમણે કહ્યું કે એ તો અમે ખરીદી લઈશું, તમે અમને પૈસા આપો. અમે પૈસા આપ્યા પછી હતા એમાંના ઘણા ચાલ્યા ગયા."

"લૉકડાઉનને કારણે એવા પણ લોકો છે જે નવરા પડી ગયા છે અને પૈસાની જરૂર છે, તેથી મને કેટલાક લોકલ કામદારો મળી ગયા છે. સફાઈની ગાડી ચલાવવા માટે મારી પાસે સ્કૂલ બસ ચલાવતા એક ડ્રાઇવર આવ્યા હતા અને મને કહ્યું હતું કે મને પૈસાની જરૂર છે હું ગાડી ચલાવીશ, કામ આપો. આથી કામદારોની જે અછત પડી હતી તે ઘણે અંશે ઉકેલાઈ ગઈ છે."

રોજના કામના કલાકો કરતાં હાલ કામના કલાકો વધી ગયા છે. એ વિશે જણાવતાં સાગર કહે છે કે "મારી જ વાત કરું તો સવારે સાત વાગ્યે કામ શરૂ કરી દઉં છું અને સાંજે ક્યારે પાછો ઘરે ફરીશ તે જ નક્કી નથી હોતું."

કોરોના સામે લોકો ઘર પકડીને બેસી ગયા છે. તમને ડર નથી લાગતો? તમારા પરિવારજનો તમને શું કહે છે?

સાગર કહે છે કે "આવા સમયમાં ડર કોને ન લાગે! મારા ઘરમાં પણ મને કહે છે કે તું બહાર જઈને કામ કરવાનું રહેવા દે, તારા કારણે અમે મરીશું."

અમદાવાદના અન્ય એક સફાઈકામદારે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે "એટલું તો ખરું કે લોકોનો વ્યવહાર ખૂબ સારો થઈ ગયો છે. કામ અત્યારે મશ્કેલી વધારે હોવાથી મોડા પહોંચીએ તો સોસાયટીવાળા કહે છે કે તમે લોકો આવો છો એ જ ખૂબ મોટી વાત છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો