'કોરોના વાઇરસને ગરીબોએ નહીં, અમીરોએ ફેલાવ્યો' - દૃષ્ટિકોણ

    • લેેખક, પ્રોફેસર બદ્રી નારાયણ
    • પદ, સમાજશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે

કોઈ પણ મહામારીનો માર હંમેશા હાંસિયા પર રહેલો ગરીબ વર્ગ સહન કરે છે. પરંતુ લોકો આ અસહાય વર્ગને મહામારી ફેલાવાનું કારણ માને છે.

સામાન્ય રીતે અમીર અને મધ્યમ વર્ગ માને છે કે મહામારી ગરીબોથી ફેલાતી હોય છે. પરંતુ જો ઇતિહાસ પર નજર નાખીએ તો ખ્યાલ આવે છે કે મહામારી ઉચ્ચ કુળ અને વર્ગના લોકોમાંથી મધ્યમ વર્ગ અને પછી ગરીબો સુધી પહોંચે છે.

હું અલાહાબાદની પાસે એક ગામમાં રહેનારા એક ઉંમરલાયક વ્યક્તિ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો.

વાત કોરોના અને તેનાથી બચવાના ઉપાયો સાથે જોડાયેલી હતી. વાતની વચ્ચે તેમણે મને પૂછ્યું, "કોઈ પણ મહામારી ગરીબોના ખભે ચઢીને આવે છે કે અમીરોના?"

આ મારા માટે એક યક્ષપ્રશ્ન હતો. શહેરના મધ્યમ વર્ગની કોઈ પણ વ્યક્તિ સાથે તમે આ સવાલ કરશો તો તે તરત જ બોલશે, "આ ઝૂંપડપટ્ટીમાં રહેનારા મજૂર, સ્લમમાં રહેતાં લોકો ગંદી રીતે વસે છે અને ગંદકી ફેલાવે છે. આ ગંદકીઓમાંથી મહામારી ફેલાય છે."

ઇતિહાસમાંથી શું સબક લીધો?

જો દુનિયામાં આવેલી હાલ સુધીની મહામારીઓના અનુભવો વિશે વિચારીએ તો આપણને ચોંકાવનારો જવાબ મળે છે.

કદાચ તે વર્ષ 165થી 180ની વચ્ચે ફેલાયેલો ઍન્ટૉનાઇન પ્લેગ હોય અથવા 1520ની આસપાસ દુનિયાભરમાં ફેલાયેલો શીતળા-બળિયા (સ્મૉલ પૉક્સ) અથવા પીળો તાવ (યૅલૉ ફાવર), રશિયન ફ્લૂ, એશિયન ફ્લૂ, કૉલેરા, 1817 દરમિયાન ફેલાયેલો ઇન્ડિયન પ્લેગ હોય-તમામને ફેલાવવાનું મૅપિંગ કરીએ તો ચોક્કસ દેખાય છે કે આ તમામ મહામારીઓના પહેલા કૅરિયર અમીર વર્ગના કેટલાક લોકો અથવા અમીર વર્ગમાં ઍન્ટ્રી કરવાની જદ્દોજહદ કરતા મધ્યમ વર્ગના અમુક લોકો છે.

ક્યો વર્ગ છે જવાબદાર?

આ તમામ મહામારી દુનિયાભરમાં દુનિયાની શોધમાં લાગેલા કેટલાક નાવિકો, અનેક વેપારીઓ, કેટલાક વહાણોના ચાલકો,એમાં કામ કરતા લોકો, યુદ્ધમાં જનાર અને યુદ્ધમાંથી આવતા સૈનિકો, મુસાફરોનો એક હિસ્સો તથા સંસ્થાનવાદના પ્રસાર સમયે સંસ્થાનવાદી શક્તિશાળી દેશોની શક્તિશાળી કંપનીઓના અધિકારીઓ તેમજ કર્મચારીઓ અથવા સંસ્થાનવાદી શાસનના અધિકારીઓ દ્વારા આ બીમારીઓનો ફેલાવો એક દેશમાંથી બીજા દેશમાં ફેલાઈ હતી.

પછી તે દેશો અને સમાજોના 'ઓછા ગતિશીલ મધ્યમ વર્ગ', તેના માધ્યમથી એક 'નિષ્ક્રિય નિર્દોષ ગ્રહણકર્તા'ના રૂપમાં આ મહામારીનો શિકાર થયો અને મહામારીને નિમ્ન વર્ગ તેમજ સમાજના અન્ય વર્ગ સુધી ફેલાવવાનું કારણ બનતો રહ્યો છે.

ઉચ્ચ વર્ગ અને વિદેશમાં અવર-જવર કરનાર લોકોએ ફેલાવ્યો કોરોના વાઇરસ

હાલ કોરોના વાઇરસનો ફેલાવો રોકવા માટે આજે દુનિયાનો દરેક દેશ સંઘર્ષ કરી રહ્યો છે.

કોરોના વાઇરસ પણ કેટલાક પ્રવાસીઓ, દુનિયાના દેશોમાં હવાઈ મુસાફરી કરવાની ક્ષમતા રાખનારા એક સમૂહ, વિદેશોમાં કામ કરતાં લોકોનો એક વર્ગ, વિશ્વના ખ્યાતનામ ગાયકો, કેટલાક આંતરરાષ્ટ્રીયસ્તરના ખેલાડીઓ અને કેટલાક મોટા અધિકારીઓ, ફાઇવ સ્ટાર હોટલમાં પાર્ટીનું આયોજન કરવાની ક્ષમતા રાખનારાઓનો એક વર્ગ અને ગ્રીસ, સ્વિટ્ઝર્લૅન્ડ કે ફ્રાન્સમાં હનીમૂન મનાવનારાઓમાંથી કેટલાકના દેહમાં પ્રવેશ કરીને આપણા સમાજમાં સંક્રમિત થયો.

વાતચીતની વચ્ચે અમારા એક મિત્રે કહ્યું, "ભાઈ! આ કોરોના વાઇરસ પણ ગજબ બીમારી છે, આ પ્લૅનમાં ફરે છે, મોટી હોટલમાં રોકાય છે. આ વૈશ્વિકીકરણ અને નવ-ઉદારવાદી અર્થવ્યવસ્થાનો સર્વાધિક ફાયદો ઉઠાવનારા ગ્લોબલ થયેલા કેટલાક લોકોની સાથે આપણા દેશમાં પ્રસરતો ગયો છે."

વાતચીતની વચ્ચે અમારા એક મિત્રએ કહ્યું, “ભાઈ! આ કોરોના વાઇરસ પણ ગજબ બીમારી છે, આ પ્લૅનમાં ફરે છે, મોટી હોટલમાં રોકાય છે. આ વૈશ્વીકીકરણ અને નવ-ઉદારવાદી અર્થવ્યવસ્થાનો સર્વાધિક ફાયદો ઉઠાવનારા ગ્લોબલ થયેલાં કેટલાક લોકોની સાથે આપણા દેશમાં પ્રસરતો ગયો છે.”

"કોરોના વાઇરસ હવે ટૅક્સી ડ્રાઇવર, હોટલોના વેઇટર, દુકાનદારો, સલૂનવાળા તેમજ દેશની અંદર એક શહેરમાંથી બીજા શહેરમાં કમાનાર લોકોને શિકાર બનાવી રહ્યો છે. જો નિષ્પક્ષ રીતે જોઈએ તો વિભિન્ન સમાજોના પ્રભાવશાળી વર્ગના કેટલાક લોકો થકી આ કોરોનાની મહામારી ગરીબ વર્ગ સુધી પહોંચી રહી છે."

આપણા સમાજનો ગરીબ સમુદાય કે બિહાર-યુપીથી મુંબઈ-પૂણે-દિલ્હી જઈને કામ કરનાર એવા ખુલ્લીમાં ઝૂંપડીઓમાં રહેનારા પ્રવાસી મજૂરો આના પ્રથમ વાહક નથી રહ્યા.

ગરીબ નથી હોતા વાઇરસના પ્રથમ વાહક

જેમનાં જીવનમાં આપણે ગંદકી જોઈએ છીએ, જેમને આપણે ગંદકી અને બીમારીના પ્રસારનું કારણ માનીએ છીએ, તે આ બીમારીના 'પ્રથમ કૅરિયર' નથી.

દુનિયા આખીમાં મહામારીના પ્રસારના આ અનુભવ આપણને 'કૉમન સેન્સ'માં એક જરૂરી પરિવર્તનની માગ કરે છે.

'ગરીબી' અને બીમારીના પ્રસારની સામાન્ય અવધારણાને આપણે દિલ અને દિમાગમાંથી કાઢવી પડશે. નહીં તો આપણાં મહાનગરો અને મેટ્રોનો ઉચ્ચ વર્ગ આ મજૂરો, ગરીબો, ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકોને ઉપેક્ષાની નજરે જોતો જ રહેશે.

આ હકીકત છે કે કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે થયેલા લૉકડાઉનથી સૌથી વધારે હાલાકી રોજિંદી મજૂરી કરીને કમાનાર, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર શ્રમિકો, ગામમાં ખેડૂત ભોગવી રહ્યો છે, જે આ મહામારીનું કોઈ પણ રીતે કારણ નથી.

જોકે, આ સુખદ છે કે આપણી રાજસત્તા અને સરકાર આજે તેમની સમસ્યા પ્રત્યે સંવેદનશીલ થઈને કોરોના કવર હેઠળ આ વર્ગોને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓને લાગુ કરી છે.

આમ જ સંવેદનશીલતા અને યોગ્ય દૃષ્ટિકોણ દ્વારા આપણે મહામારીઓના પ્રસારની ગતિને સમજવી પડશે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો