કોરોના વાઇરસ : ઇટાલીમાં એક દિવસમાં 133નાં મૃત્યુ TOP NEWS

ઇટાલીમાં કોરોના વાઇરસને કારણે મરણાંક 366 ઉપર પહોંચી ગયો છે. અધિકારીઓના કહેવા પ્રમાણે, 24 કલાકમાં કોરોનાને કારણે 133 લોકોનાં મૃત્યુ થયાં છે.

ઇટાલીમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે એક કરોડ 60 લાખ લોકોને 'જ્યાં છો, ત્યાં રહો'ના નિર્દેશ આપવામાં આવ્યા છે.

લૉમ્બાર્ડી સહિત 14 અન્ય પ્રાંતના રહેવાસીઓએ પ્રવાસ માટે મંજૂરી લેવી પડશે. આ નિયંત્રણોને કારણે લોકો ન તો લૉમ્બાર્ડીમાં પ્રવેશી શકશે કે ન તો ત્યાંથી બહાર નીકળી શકશે.

ઇટાલીની લગભગ એક-ચતુર્થાંશ વસ્તી ઉપર કોરોના વાઇરસનું જોખમ તોળાઈ રહ્યું છે.

પોલીસ અને અધિકારીઓ સામે ફરિયાદ

નિત્યાનંદ મામલામાં પોલીસ અને કેટલાક અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ મુજબ, નિત્યાનંદ સામે દાખલ થયેલી અરજી બાદ ગત મહિને અમદાવાદની વિશેષ POCSO કોર્ટે બાળકોને અશ્લીલ સામગ્ર દર્શાવવાના આરોપમાં કેટલાક પોલીસ અધિકારી અને બાળકલ્યાણ સમિતિના અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો.

આ આદેશ બાદ વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

તુરલાપતિના જણાવ્યા અનુસાર બાળકીઓ (સગીર સહિત)ને કેટલાક અશ્લીલ વીડિયો અને તસવીરો દર્શાવવામાં આવી હતી.

એવો પણ આરોપ લગાવવામાં આવ્યો કે પોલીસ અને CWC (ચાઇલ્ડ વેલ્ફેર કમિટી)ના અધિકારીઓએ 'તપાસ કરવાની આડ'માં આશ્રમમાં રહેતા બાળકોને આપત્તિજનક સવાલો પૂછ્યા હતા અને બાળકોને માનસિક રીતે હેરાન કરીને આઘાત પહોંચાડવામાં આવ્યો હતો.

રણજી ટ્રૉફીની ફાઇનલ આજથી

સોમવારથી રણજી ટ્રૉફીની ફાઇનલ મૅચ શરૂ થશે. સૌરાષ્ટ્ર તથા બંગાળની ટીમ વચ્ચે ઘરઆંગણાની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ માટે ટક્કર થશે.

સૌરાષ્ટ્રની ટીમ ચાર વખત ફાઇનલમાં પહોંચી છે, પરંતુ એક પણ વખત ટ્રૉફી જીતી નથી શકી.

બીજી બાજુ, બંગાળની ટીમે છેલ્લે 1989-'90 દરમિયાન ટ્રૉફી જીતી હતી. 30 વર્ષ બાદ તે ફરી એક વખત આ ટ્રૉફી મેળવવા ઇચ્છશે.

સૌરાષ્ટ્રની ટીમની કમાન જયદેવ ઉનડકટ પાસે છે, તેમણે ચાલુ સિઝન દરમિયાન રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. જ્યારે બંગાળની કમાન અભિમન્યુ ઇશ્વરનના હાથમાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો