You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રતનલાલ, એ હૅડ કૉન્સ્ટેબલ જેમણે દિલ્હીની હિંસામાં જીવ ગુમાવ્યો
- લેેખક, ભૂમિકા રાય
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હી પોલીસના હૅડ કૉન્સ્ટેબલ રતનલાલ માટે 24 ફેબ્રુઆરી, સોમવાર એક સામાન્ય દિવસ હતો.
સોમવારે તેમણે ઉપવાસ રાખ્યો હતો, તેઓ વર્ષોથી સોમવારના દિવસે ઉપવાસ કરતા હતા.
તેઓ સવારે 11 વાગ્યે પોતાના કાર્યાલય ગોકુલપુરી એસીપી ઑફિસે જવા માટે નીકળ્યા હતા.
ઠીક 24 કલાક પછી મંગળવારે સવારે 11 વાગ્યે, બીબીસીની ટીમ રતનલાલના ઘરે પહોંચી હતી.
એક દિવસમાં તેમના પરિવારનું જીવન બદલાઈ ગયું હતું કારણકે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસામાં રતનલાલે જીવ ગુમાવી દીધો છે.
ઉત્તર-પૂર્વ દિલ્હીના ચાંદબાગ, ભજનપુરા, બ્રજપુરી, ગોકુલપુરી અને જાફરાબાદમાં થયેલી હિંસામાં અત્યાર સુધી રતનલાલ સહિત નવ લોકોનાં મૃત્યુ થયાં છે અને હૉસ્પિટલમાં સંખ્યાબંધ લોકોની સારવાર ચાલી રહી છે.
અમે પહોંચ્યાં ત્યાર સુધી તેમનાં પત્નીને રતનલાલના નિધન વિશે કહેવામાં નહોતું આવ્યું.
રતનલાલના ઘરે બીબીસીની ટીમની મુલાકાત તેમના કાકાના દીકરા દિલીપ અને ભાણેજ મનીષ સાથે થઈ હતી. બંનેએ કહ્યું કે રતનલાલનાં પત્ની પૂનમને હજુ સુધી જાણ નથી કરી કે તેમના પતિ આ દુનિયામાં નથી રહ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ઘરની અંદરથી જે રીતે પૂનમના કરગરવાનો અવાજ આવી રહ્યો છે, એનાથી કહી શકાય કે તેમને જે થયું છે એ વાતનો આભાસ થઈ ગયો છે.
ક્યારેક રૉબર્ટ વાડ્રાની સુરક્ષામાં તહેનાત હતા
હજુ શનિવારે જ તેમણે પોતાનાં લગ્નની 16મી વર્ષગાંઠ ઊજવી હતી.
રતનલાલે 1998માં નોકરી શરૂ કરી હતી અને ત્યારે તેમને દિલ્હી પોલીસ તરફથી રૉબર્ટ વાડ્રાની સુરક્ષામાં તહેનાત કરવામાં આવ્યા હતા. બે વર્ષ પછી તેમને બઢતી મળી અને તેઓ હૅડ કૉન્સ્ટેબલ બન્યા હતા.
રતનલાલના ભાઈ દિલીપ સરાય રોહિલા પાસે રહે છે.
તેમણે કહ્યું, "કાલે જ્યારે બાળકો ટ્યુશન માટે જતાં રહ્યાં, ત્યારે પૂનમે ટીવી પર સમાચાર સાંભળ્યા કે રતનલાલને ગોળી વાગી ગઈ છે. ત્યારે ટીવી પર માત્ર સમાચાર આવી રહ્યા હતા, રતનલાલનો ફોટો નહીં."
"પછી કદાચ પાડોશીઓએ ટીવી બંધ કરી દીધું. ત્યારથી ટીવી બંધ છે."
રતનલાલનો ભાણો મનોજ જહાંગીરપુરીમાં રહે છે.
તેઓ કહે છે, "દિલ્હીમાં તોફાન થઈ રહ્યાં હતાં, એ વિશે અમને જાણ હતી. મામાની ડ્યૂટી ત્યાં છે, એ પણ અમને ખબર હતી."
"જ્યારે અમે સાંભળ્યું કે રતનલાલને ગોળી વાગી છે, ત્યારે અમે વિચાર્યું કે દિલ્હી પોલીસમાં એક જ રતનલાલ નથી."
"પરંતુ ફેસબુકમાં જોઈને અમને ખ્યાલ આવી ગયો કે મામાને જ ગોળી વાગી છે. અમે તરત અહીં આવી ગયા પણ મામીને અમે આ બધું કહ્યું નથી."
'પતિ આવશે ત્યારે જમીશ'
મૂળ રાજસ્થાનના સીકરના 44 વર્ષના રતનલાલ ત્રણ ભાઈઓમાં સૌથી મોટા હતા.
તેમના એક ભાઈ દિનેશ ગામમાં ગાડી ચલાવે છે અને નાના ભાઈ મનોજ બેંગલુરુમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. રતનલાલનાં માતા સંતરા દેવી સીકરમાં દિનેશ સાથે રહે છે.
દિલીપે બીબીસને કહ્યું કે રતનલાલનાં માતા હજુ સીકરમાં જ છે અને તેમને આ વિશે કંઈ જાણ કરવામાં નથી આવી.
પૂનમ કહી રહ્યાં છે, "જ્યારે તેઓ આવશે ત્યારે જ જમીશ"
રતનલાલનાં ત્રણ બાળકો
રતનલાલનાં ત્રણ બાળકો છે, મોટી દીકરી 11 વર્ષનાં છે.
નાનાં દીકરી કનક આઠ વર્ષનાં છે અને એક પુત્ર રામ પાંચ વર્ષના છે. ત્રણે કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે.
જેમ જ લોકો ઘરની આજુબાજુ ભેગા થવા લાગ્યા, બાળકોને પાડોશીના ઘરે મોકલી દેવામાં આવ્યાં. આ ત્રણમાંથી માત્ર પરીને જ ખબર છે કે હવે તેમના પિતા ક્યારેય પાછા નહીં આવે.
રતનલાલના સંબંધીઓએ જણાવ્યું, "તેમણે પાંચ વર્ષ પહેલાં લૉન લઈને દિલ્હીના બુરાડી વિસ્તારના અમૃત વિહારમાં એક ઘર બનાવ્યું હતું. સાંકડી ગલીમાં બનેલા આ ઘરમાં હજુ રંગ રોગાન નથી થયું."
આજે ઘરની બહાર ઢગલાબંધ ચંપલ પડ્યા છે. ઘરના દરવાજા પર ભીડ ઊમટી છે.
એક બ્લૅકબોર્ડ દેખાય છે, જેની પર બાળકો ચૉકથી લીટીઓ દોરી રહ્યાં છે. અંદર એક જૂનું કૉમ્પ્યુટર પણ છે.
પૂનમ જે પલંગ પર ઢળી પડ્યાં છે, કેટલાંક મહિલાઓ તેમને સાંત્વના આપી રહ્યાં છે. પૂનમ કરગરી રહ્યાં છે, રડી રહ્યાં છે.
ટીવી પર સમાચાર જોયા પછી તેમણે કંઈ ખાધું નથી. કોઈ ખાવા માટે આગ્રહ કરે તો તેઓ કહે છે, "જ્યારે તેઓ આવશે, ત્યારે તેમની સાથે ખાઈશ."
અમને આ ઘર સુધી પહોંચવામાં માટે કેટલાક લોકોને રસ્તો પૂછવો પડ્યો હતો.
લોકોએ રસ્તો તો બતાવ્યો, સાથે જ રતનલાલ સાથેની પોતાની યાદ પણ અમારી સાથે શૅર કરી હતી.
બધા કહી રહ્યા છે કે રતનલાલ બહુ સારી વ્યક્તિ હતી. બહુ મળતાવડા હતા. જે તેમને તેમના નામથી નહોતા ઓળખતા, તે તેમને મૂંછથી ઓળખતા હતા.
મીડિયાવાળા આવું કેવી રીતે કરી શકે
મનીષ કહે છે, "છેલ્લી વખતે જ્યારે શાહીન બાગ અને સીલમપુરમાં વિરોધપ્રદર્શનો થયાં હતાં, ત્યારે મામા ત્યાં તહેનાત હતા. ત્યારે તેમના હાથમાં ઈજા થઈ હતી. પરંતુ તેઓ માત્ર ડ્યૂટી પર જ પોલીસવાળા તરીકે રહેતા હતા."
"ઘર પાસેના વિસ્તાર આવતા ત્યારે એક સામાન્ય વ્યક્તિ બની જતા. સામાન્ય રીતે પોલીસવાળા દબદબો બતાવે, તેમને જોઈને ડર લાગે, મારા મામા એવા બિલકુલ નહોતા. કામની વાતો ઘરે લઈને નહોતા આવતા."
રતનલાલના પાડોશી તેમને હસમુખ વ્યક્તિ તરીકે યાદ કરે છે.
પાડોશીઓ મીડિયાથી નારાજ છે.
તેમણે કહ્યું કે સોમવાર રાત્રે 11 વાગ્યાની આસપાસ મીડિયાના કેટલાક કર્મીઓ રતનલાલના ઘરે પહોંચી ગયા હતા અને તેમના સૂતેલાં બાળકોને ઉઠાડીને ફોટો લેવા લાગ્યા હતા.
લોકોમાં એ વાતને લઈને પણ ગુસ્સો છે કે દિલ્હી જેવું શહેર પોલીસકર્મીઓ માટે જ સુરક્ષિત નથી, તો સામાન્ય લોકો માટે શું કહેવું?
આ સમાચાર લખવામાં આવ્યા ત્યાં સુધી રતનલાલનો પાર્થીવ દેહ ઘરે નહોતો લાવવામાં આવ્યો.
તેમના ઘરે બે કૉન્સ્ટેબલ તહેનાત કરવામાં આવ્યા છે, તેમણે બીબીસીને કહ્યું, "અમને કંઈ ખબર નથી. અમને જ્યાં જવાનું કહેવામાં આવે ત્યાં અમે પહોંચી જઈએ છીએ."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો