ભુજ માસિકચક્ર વિવાદ : સ્વામીનારાયણ સંપ્રદાયની માન્યતાનો વિરોધ કરનાર ભૂતપૂર્વ ટ્રસ્ટીને મારી નાંખવાની ધમકી - Top News

છોકરીઓ માસિકમાં છે કે નહીં તે કપડાં ઉતારી તપાસ કરવાની ભુજ સ્વામીનારાયણ મંદિર હૉસ્ટેલની ઘટનાનો વિવાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો.

અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર ભુજ હૉસ્ટેલમાં બનેલી ઘટનામાં સંપ્રદાયની માન્યતાને જવાબદાર ઠેરવનાર મંદિરના ભૂતપૂર્વ ટ્રસ્ટીને ધમકી આપવામાં આવી છે.

ભુજ સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટના ભૂતપૂર્વ ટ્રસ્ટી આર.આર. પટેલે ભુજ એ પોલીસ ડિવિઝનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

હૉસ્ટેલમાં વિદ્યાર્થીનીઓના કપડાં ઉતારીને તેઓ માસિક ચક્રમાં છે કે નહીં તે તપાસવાની ઘટનાનો આર.આર.પટેલે ખુલીને વિરોધ કર્યો હતો.

ટ્રસ્ટમાંથી આઠ વર્ષ અગાઉ રાજીનામું આપનાર ટ્રસ્ટીએ સ્થાનિક અખબારોમાં કહ્યું હતું કે, આ ઘટના માટે રૂઢિટચુસ્ત માન્યતાઓ અને પંથની અમુક વિચારધાર જવાબદાર છે. આ વાત સ્થાનિક અખબારમાં છપાઈ હતી.

ભુજ પોલીસ એ ડિવિઝનના તપાસ અધિકારી પીએસઆઈ કે એચ બારિયાએ જણાવ્યું, "પટેલ પર 18 ફેબ્રુઆરીએ સાંજે 7.15એ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે ખરાઈ કરી હતી કે તે પટેલ બોલે છે અને ત્યારબાદ તેમને અપશબ્દો કહ્યા હતા. જો તેઓ સંતોની વિરુદ્ધમાં બોલશે તો તેમને તેમને મારી નાખવામાં આવશે અને તેમના કટકા કરી નાખવામાં આવશે" એવી ધમકી અપાઈ છે.

ગૅંગસ્ટર રવિ પૂજારીને ભારત લવાયા

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર કર્ણાટક પોલીસે ગૅગસ્ટર રવિ પૂજારીની સેનેગલથી ધરપકડ કરી છે અને ભારત લાવવામાં આવ્યા છે.

પશ્વિમ આફ્રિકાના સેનેગલમાં રવિ પૂજારીની એક વર્ષ પહેલાં ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારબાદ તેમને દેશમાં લાવવાની કામગીરી રવિવારે મોડી રાત્રે કર્ણાટક પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તેઓ રાત્રે બૅંગ્લુરુ ઍરપૉર્ટ પર પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રવિ પૂજારી પર ગુજરાતમાં અનેક નેતાઓ અને વેપારીઓને ધમકી આપવા બદલ કેસ નોંધવામાં આવ્યા છે.

કર્ણાટકમાં પુજારી સામે ખંડણીના 96 કૅસ નોંધાયેલાં છે. જ્યારે 39 બેંગ્લુરુમાં અને 36 કેસ મેંગ્લુરુમાં નોંધાયેલાં છે. આ ઉપરાંત મહારાષ્ટ્રા, ગુજરાત, કેરળ અને બીજા રાજ્યોમાંથી પણ અનેક કેસ રવિ પૂજારી સામે નોંધાયેલાં છે.

દિલ્હીમાં સીએએના સમર્થકો અને વિરોધીઓમાં ઘર્ષણ

દિલ્હીના મૌજપુરમાં રવિવારે નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલાં અને સીએએનું સમર્થન કરી રહેલાં લોકો વચ્ચે પત્થરમારો થયો.

હિંસક થતી સ્થિતિ સામે પોલીસે ટીયરગૅસના સેલ છોડ્યા હતા. પોલીસ અધિકારીઓએ પછી કહ્યું હતું કે સ્થિતિ નિયંત્રણમાં છે.

મૌજપુરમાં સીએએનો વિરોધ ગત વર્ષે ડિસેમ્બર મહિનાથી થઈ રહ્યો છે. પરંતુ શનિવારે પ્રદર્શન કરનાર જાફરાબાદ મેટ્રો સ્ટેશને બેસી ગયા હતા. પ્રદર્શન કરનારમાં મોટા ભાગની મહિલાઓ છે.

આ વિરોધને પગલે ઝાફરાબાદ મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે.

આ કારણે વિસ્તારને જોડતી (સીલમપુર, મૌજપુર અને યમુના વિહારને જોડતા રસ્તા) બંધ છે. અનેક રસ્તાને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો