You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીર : આઈટી ઍક્ટની ગેરબંધારણીય કલમનો ઉપયોગ કેમ?
- લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત પ્રશાસિત કાશ્મીરમાં પોલીસે સોશિયલ મીડિયાના કથિત ગેરકાયદેસર વપરાશ માટે જે આઈ.ટી. ઍક્ટ વાપર્યો છે, સુપ્રીમ કોર્ટે તેને પાંચ વર્ષ પહેલાંજ સમાપ્ત કર્યો હતો.
2015માં સુપ્રીમ કોર્ટે આઈ.ટી. (ઇન્ફર્મેશન ટેકનૉલૉજી) ઍક્ટ 2000ના કલમ 66-એને અભિવ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ અને ગેરબંધારણીય ઠેરવ્યો હતો.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે 66-એ હેઠળનો પ્રતિબંધ અનુચ્છેદ 19(2)ના વ્યાપમાં નથી આવતો.
યૂએપીએ અને બાજા ધારા
શ્રીનગર સાયબર પોલીસે 'સોશિયલ મીડિયાના દુરુપયોગ' માટે કેટલાક લોકો વિરુદ્ધ અનલૉફુલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન ઍક્ટ (યૂએપીએ), ભારતીય દંડ સંહિતાની જુદી-જુદી કલમ અને આઈટી ઍક્ટ 66-એ (બી) હેઠળ કેસ દાખલ કર્યા છે.
સોમવારે પોલીસ તરફથી જાહેર પાડવામાં આવેલ પ્રેસનોટ પ્રમાણે આ કેસ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટને ધ્યાને લઈને દાખલ કરવામાં આવ્યો છે જેનો આશય આતંકવાદી પ્રવૃત્તિઓ અને આંતકવાદીઓના વખાણ કરવાનો હતો.
એમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઉપદ્રવી તત્વો દ્વારા આ પોસ્ટ વી.પી.એન. મારફતે સોશિયલ મીડિયા પર નાખવામાં આવી હતી અને તે પૃથકતાવાદી વિચારધારાને પ્રોત્સાહન આપે છે.
પોલીસનું કહેવું છે કે તેને આ બાબતની કેટલીક સામગ્રી મળી આવી છે.
સાયબર બાબતોના જાણકાર અને સુપ્રીમ કોર્ટના વકીલ પવન દુગ્ગલ પ્રમાણે કાશ્મીર પોલીસ દ્વારા 66- (આઈટી ઍક્ટ) હેઠળ કેસ દાખલ કરવો એ એક રીતે 'કાયદાની અપૂર્ણ જાણકારી' અને 'સુપ્રીમ કોર્ટના નિર્ણયની અવગણના' છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પવન દુગ્ગલે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે શ્રેયા સિંઘલ વિરુદ્ધ ભારત સરકાર મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી 66-એ અને તેમાંથી બે બીજા સૅક્શન બી, સી આઈટી ઍક્ટ 2000, નો ભાગ છે જ નહીં.
સુપ્રીમ કોર્ટે આ બાબતે નારાજી જાહેર કરી હતી કે કોર્ટ તરફથી ગેરબંધારણીય ઠેરવ્યા અને સમાપ્ત કર્યા બાદ પણ આઈટી ઍક્ટ 66-એ વાપરવામાં આવી રહ્યો છે અને કોર્ટે આ બાબતે ગત વર્ષે સરકાર પાસેથી જવાબ પણ માગ્યો હતો.
આઈટી નીતિનો અભાવ
કર્ણાટક હાઈકોર્ટે વર્ષની શરૂઆતમાં એક વ્યક્તિ વિરુદ્ધ આ કલમ હેઠળ કેસ દાખલ કરવા બદલ બે પોલીસ અધિકારીઓને દસ-દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
પવન દુગ્ગલ માને છે કે કાશ્મીરમાં આ કેસને લઈને ઊભી થયેલી પરિસ્થિતિ માટે ઇન્ફર્મેશન ટેકનૉલૉજી ક્ષેત્રે વ્યાપકનીતિનો અભાવ જવાબદાર છે.
શ્રીનગરમાં જે કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમાં વી.પી.એન.નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
VPN એટલે કે વર્ચૂઅલ પ્રાઇવેટ નેટવર્ક એ સિસ્ટમ છે, જેનો વપરાશ કરવાથી ઑનલાઇન હોવા છતાં તમારી આઇડેન્ટિટી જાહેર ન થાય.
આ સિસ્ટમ મારફતે તમે એક પ્રાઇવેટ નેટવર્કને પબ્લિક નેટવર્કની જેમ વાપરી શકો અને તેને કોઈ રિમોટ સાઇટ સાથે જોડી શકો છો. VPN મારફતે કેટલાક બીજા યૂઝર્સને પણ આની સાથે જોડી શકાય છે.
VPNને જોડવા માટે ઇન્ટરનેટ એક માધ્યમ છે.
આજના સાયબર યુગમાં VPNનો વપરાશ કેટલીક પ્રાઇવેટ ઑફિસો જેમ કે ભારતના હજારો BPOs (બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ) અને વ્યક્તિગત રીતે પણ થઈ રહ્યો છે.
પરંતુ સરકાર હજુ સુધી ઇન્ક્રિપશનને લઈને કોઈ નીતિ તૈયાર નથી કરી શકી.
પવન દુગ્ગલ કહે છે કે ઇન્ક્રિપ્શન બાબતે ભારતે નિર્ણય કરવાની જરૂર છે. ઇન્ક્રિપ્શન એટલે એવી વ્યસ્થામાં જેમાં માત્ર મોકલનાર અને મેળવનાર જ સંદેશ વાંચી શકે છે અને તેને વચ્ચેથી આંતરી નથી શકાતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો