You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Arvind Kejriwal : એ 'આમ આદમી' જે આ રીતે દેશની રાજનીતિમાં ખાસ બની ગયા
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણ અરવિંદ કેજરીવાલની જીતના પુનરાવર્તનના અણસાર આપી રહ્યા છે.
ભારતીય રાજકારણમાં કેજરીવાલ જેવી સફળ સફર ઘણા ઓછા રાજકારણીઓની રહી છે.
ઘણા ઓછા રાજકારણીઓ કેજરીવાલની જેમ જનતાનો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળ રહ્યા છે.
16 ઑગસ્ટ, 1968ના રોજ હરિયાણાના ભિવાનીમાં એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં અરવિંદ કેજરીવાલનો જન્મ થયો.
અભ્યાસ અને નોકરી
અરવિંદનું મોટા ભાગનું બાળપણ ગાઝિયાબાદ (યુ.પી.), હિસાર અને સોનેપત જેવા નાનાં શહેરોમાં વીત્યું.
વધુ અભ્યાસાર્થે તેઓ IIT ખરગપુરમાં જોડાયા, અને ત્યાંથી મિકૅનિકલ એંજિનિયરની ડિગ્રી મેળવી.
ભણતર પૂરું કર્યાં બાદ તેઓ ટાટા સ્ટીલ કંપનીમાં જોડાયાં.
નોકરી દરમિયાન જ તેમણે ભારતીય સંઘીય લોક સેવા આયોગ એટલે કે UPSC પરીક્ષા આપી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આખરે તેઓ વર્ષ 1992માં UPSC પાસ કરી અને IRS એટલે કે ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં જોડાયા.
તેમણે વર્ષ 2006માં આવકવેરા વિભાગમાં સંયુક્ત કમિશનરના પદેથી રાજીનામું આપ્યું.
રૉમન મૅગ્સેસે પુરસ્કાર
કેજરીવાલ પ્રથમ વખત ત્યારે ચર્ચાનો મુદ્દો બન્યા જ્યારે તેમને વર્ષ 2006માં ઇમર્જન્ટ લીડરશિપ માટે રૉમન મૅગ્સેસે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
કેજરીવાલે જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમ, જાહેર વ્યવસ્થા, સમાજકલ્યાણ, આવકવેરા અને વીજળીસેવાને લગતી નાગરિક સમસ્યાઓના નિવારણ માટે 'પરિવર્તન' નામની સંસ્થા શરૂ કરી હતી.
આ સિવાય તેમણે મનીષ સિસોદિયા, અભિનંદન સેખરી જેવા સાથીઓની મદદથી ડિસેમ્બર, 2006માં પબ્લિક કૉઝ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના પણ કરી.
આ સમય સુધી તેઓ ભ્રષ્ટાચાર વિરોધી સુધારાના પ્રયાસો અને નાગરિકોને માહિતીનો અધિકાર અપાવવામાં મોટી ભૂમિકા ભજવનાર 'સમાજસુધારક' તરીકે ખ્યાતનામ બની ચૂક્યા હતા.
અન્ના આંદોલન અને પોલિટિક્સમાં ઍન્ટ્રી
સમાજસેવાના બહોળા અનુભવ બાદ તેમના રાજકારણમાં પદાર્પણનું કારણ પણ સમાજોપયોગી એક ચળવળ જ બની.
વર્ષ 2011માં તેમને અન્ના હજારે અને કિરણ બેદી સહિત અનેક સમાજસેવકોનો સાથ મળ્યો. આ યુતિએ 'ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન ગ્રૂપ' અસ્તિત્વમાં આવ્યું.
સાથે મળીને આ સંગઠને સંસદમાં જનલોકપાલ બિલ લાગુ કરાવવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ બનાવવા માટે આંદોલનની શરૂઆત કરી.
આંદોલન દરમિયાન એક વર્ગને દૃઢપણે લાગ્યું રાજકારણમાં હાથ અજમાવી પોતાની માગણીઓ માટે લડત આપવી જોઈએ.
અરવિંદ કેજરીવાલ આ વર્ગના આગેવાન તરીકે સામે આવ્યા. તેમને પ્રશાંત ભૂષણ અને તેમના પિતા તથા દેશના પૂર્વ કાયદાપ્રધાન શાંતિ ભૂષણ જેવા લોકોનો ટેકો પણ હાંસલ થયો.
પરંતુ કેજરીવાલના આ નિર્ણયને અન્નાનું સમર્થન હાંસલ નહોતું.
અન્ના હજારે આ આંદોલનને રાજકારણથી મુક્ત રાખવા માગતા હતા.
આખરે અરવિંદ કેજરીવાલે 2 ઑક્ટોબર, 2012ના રોજ 'આમ આદમી પાર્ટી'ના નામે એક નવા પક્ષની સ્થાપનાની જાહેરાત કરી દીધી.
અને આવી રીતે સમાજસેવક અરવિંદ કેજરીવાલ માત્ર સમાજસેવક મટીને રાજકારણમાં સક્રિય ભૂમિકામાં આવી ગયા.
શીલા દીક્ષિતને હરાવી રચી 49 દિવસની સરકાર
4 ડિસેમ્બર, 2013ના રોજ યોજાયેલા દિલ્હી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રથમવાર ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું.
પરંતુ આ ચૂંટણીમાં બહુમતીથી દૂર રહી ગયા.
જોકે, અરવિંદ કેજરીવાલ દિલ્હીનાં ત્રણ વારનાં મુખ્ય મંત્રી શિલા દીક્ષિતને પરાજિત કરવામાં સફળ રહ્યા.
કૉંગ્રેસના ટેકાથી અરવિંદ તેમણે દિલ્હીના અત્યાર સુધીના સૌથી યુવાન મુખ્ય પ્રધાન તરીકે પદભાર સંભાળ્યો.
પરંતુ 49 દિવસ બાદ બંને પક્ષો વચ્ચે મતભેદ સર્જાતાં તેમણે રાજ્યના મુખ્ય પ્રધાનપદ પરથી રાજીનામું આપી દીધું.
રાજીનામાં બાદ તેમણે એ સમયના ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે વારાણસી લોકસભા બેઠક પરથી ટક્કર આપવાની જાહેરાત કરી હતી.
વારાણસી નરેન્દ્ર મોદી સામે હાર પણ દિલ્હી સર કર્યું
પરંતુ તેમને નરેન્દ્ર મોદી સામે કારમી હારનો સામનો કરવો પડ્યો.
લોકસભા ચૂંટણીમાં હાર બાદ ફરી વાર તેમણે વર્ષ 2015માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઊતરવા માટે કમર કસી.
આ ચૂંટણીમાં તેમના પક્ષ 'આપ'ને અભૂતપૂર્વ વિજય હાંસલ થયો.
'આપ'ને આ ચૂંટણીમાં 70માંથી 67 બેઠકો અપાવી દિલ્હીની જનતાએ વધાવી લીધો.
નિષ્ણાતો અને દિલ્હીના સામાન્ય જનને મન તેઓ એક સફળ અને સંવેદનશીલ રાજનેતા તરીકેની છબિ ધરાવે છે.
આ ચૂંટણીમાં પણ દિલ્હીની જનતાએ અરવિંદ કેજરીવાલની આ જ છબિ અને ભૂતકાળનાં કાર્યોને ધ્યાને રાખી તેમની તરફેણમાં મત કર્યા હોવાનું મનાઈ રહ્યું છે.
નિષ્ણાતોના મતે પાછલાં પાંચ વર્ષમાં દિલ્હીના મુખ્ય મંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ રાજ્યમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે કરેલા સુધારાઓને કારણે અભૂતપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરવામાં સફળ રહ્યા છે.
સમાજના સર્વાંગી વિકાસને ધ્યાને રાખી કરાયેલા તેમના સમાજોપયોગી પ્રયોગો, જેમ કે મોહલ્લા ક્લિનિક અને સરકારી સ્કૂલોની કાયાપલટને ભારે લોકચાહના મળી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો