વલ્લભભાઈ પટેલથી સરદાર પટેલ બનવા સુધીની કહાણી

"કર્મ નિસંદેહપણે સાધના છે, પરંતુ હાસ્ય એ જીવન છે." સરદાર પટેલના આ વાક્યમાં જ તેમનો જીવન પ્રત્યેનો મિજાજ અને જિંદાદિલી છલકાય છે.

ગુજરાતના નડિયાદ શહેરમાં 31 ઑક્ટોબર 1875માં ઝવેરભાઈ અને લાડબાઈને ત્યાં વલ્લભભાઈ પટેલનો જન્મ થયો. જોકે, આ જન્મતારીખ વલ્લભભાઈએ સ્વીકારેલી છે. તેમની સાચી જન્મતારીખ અંગે કોઈ પુરાવા નથી.

15 ડિસેમ્બર 1950ના દિવસે તેમનું મૃત્યુ થયું હતું.

છ ભાઈ-બહેનોમાં વલ્લભભાઈ ખૂબ જ હોશિયાર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ ભણવામાં પણ ખૂબ હોશિયાર હતા.

પ્રાથમિક શિક્ષણ નડિયાદમાં લીધું. વિદ્યાર્થીકાળથી જ તેઓ નીતિ અને સત્ય સાથે મક્કમ રહેવાનો ગુણ ધરાવતા હતા.

સરદાર પટેલનો પ્રથમ સત્યાગ્રહ

'લાઇફ ઍન્ડ વર્ક ઑફ સરદાર વલ્લભભાઈ પટેલ' પુસ્તકમાં પી. ડી. સાગ્ગી લખે છે કે "તેમની શાળામાં એક શિક્ષક ખોટી રીતે શાળાનાં પુસ્તકો અને પેન્સિલ અન્ય જગ્યાએ વેચી દેતા હતા."

"જ્યારે વલ્લભભાઈને આ અંગે જાણ થઈ ત્યારે તેમણે આ વાતનો વિરોધ કર્યો અને છ દિવસ સુધી ધરણાં પર બેસી ગયા હતા, આખરે શિક્ષકનું આ કૃત્ય જાહેર થઈ ગયું હતું."

ખરા અર્થમાં સરદાર વલ્લભભાઈ પટેલના સત્યાગ્રહની શરૂઆત આ બનાવથી થઈ હતી.

અમદાવાદની અંતિમ મુલાકાત

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે અમદાવાદ શહેરના વિકાસમાં સિંહફાળો આપ્યો હતો.

જેની કદર કરવા અને તેમનું ઋણ ચૂકવવા મ્યુનિસિપાલિટી દ્વારા તેમના જન્મદિને જ તેમનું નાગરિક સન્માન કરવાનું આયોજન કરાયું હતું.

નાદુરસ્ત તબિયત હોવા છતાંય મ્યુનિસિપાલિટીના નિમંત્રણને માન આપી સરદાર તેમની 75મી વર્ષગાંઠના દિવસે 31-10-1950ના રોજ અમદાવાદ આવ્યા હતા.

આ જન્મદિને તેમને સન્માનરૂપે મ્યુનિસિપાલિટી દ્વારા રૂપિયા 15 લાખનો ચેક આપવામાં આવ્યો હતો.

સરદારે આ ચેકને સાદર પરત કરતા કહ્યું હતું કે 'તમારા પૈસા તમારા શહેરના વિકાસ માટે અર્પણ.'

સરદારના નિર્વાણદિને તેમની અમદાવાદની છેલ્લી મુલાકાતની તસવીરી યાદગીરી.15મી ડિસેમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલ નિર્વાણને પામ્યા હતા. એ પહેલાં સરદાર વર્ષ 1950માં 31મી ઑક્ટોબરે તેમના જન્મદિને અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદની તેમની આ છેલ્લી મુલાકાત હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો