RSSના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે લિંચિંગના નામે ષડયંત્ર ચાલી રહ્યું છે, સંઘને લેવાદેવા નથી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે દેશમાં લિંચિંગની ઘટનાઓની આડમાં ષડયંત્ર ચાલી રહ્યું છે.

વિજ્યાદશમી પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે મૉબ લિંચિંગ સાથે સંઘને કોઈ લેવાદેવા નથી. મૉબ લિંચિંગ પર કડક કાયદા બનવા જોઈએ.

દશેરાના દિવસે આરએસએસના સ્થાપના દિવસના પ્રસંગે મોહન ભાગવતે નાગપુરમાં આરએસએસના મુખ્યાલયમાં પોતાના ભાષણમાં આ વાત કહી હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઇતિહાસકાર રામચંદ્ર ગુહા, ફિલ્મકાર મણિરતન્મ અને અનુરાગ કશ્યપ સહિત 49 જાણીતા લોકો પર મૉબ લિંચિંગ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લા પત્ર લખવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી દેશના કેટલાક ભાગોમાં ટોળા દ્વારા હત્યાની ઘટનાઓ બની છે જેને મૉબ લિંચિંગ કહેવાય છે.

આ મામલે મોહન ભાગવતે કહ્યું કે આવા મામલાઓને જાણીજોઈને વધારીને રજૂ કરવામાં આવે છે.

તેમણે કહ્યું, "એવા પણ સમાચાર આવ્યા છે કે એક સમુદાયની વ્યક્તિ બીજા સમુદાયની એકલદોકલ વ્યક્તિને પકડીને માર માર્યો, મારી નાખી, હુમલો કર્યો."

"એવું પણ ધ્યાનમાં આવે છે કે કોઈ એક સમુદાય તરફથી બીજા સમુદાયને રોકવામાં આવ્યો છે. ઊલટું પણ થયું છે."

"એવું પણ થયું છે કે કંઈ ના પણ થયું હોય, તો પણ ઘટના બનાવી દેવામાં આવી હોય. બીજું કંઈ થયું હોય કે ના પણ થયું હોય તો પણ તેને આ રંગમાં રંગવામાં આવ્યું છે."

"100 ઘટનાઓ એવી હોય છે તો બે-ચારમાં એવું થયું પણ હોય છે. પરંતુ જે સ્વાર્થી શક્તિઓ છે તે આને વધારે પ્રકાશમાં લાવે છે. તેઓ કોઈના પક્ષમાં નથી. સમાજના બે સમુદાયો વચ્ચે ઝઘડો જ તેમનો હેતુ છે."

મોહન ભાગવતે કહ્યું કે આરએસએસના સભ્યો આવા ઝઘડાઓમાં પડતા નથી પરંતુ તેને રોકવાનો પ્રયાસ કરે છે.

તેમણે કહ્યું, "એક ષડયંત્ર ચાલી રહ્યું છે. અમારા બંધારણમાં એવા કોઈ શબ્દો નથી. આજે પણ નથી. અહીં એવી વાત પણ થઈ નથી, જે દેશોમાં થઈ ત્યાં તેમના માટે એક શબ્દ છે. જેવી રીતે ગયા વર્ષે એક શબ્દ ચાલ્યો - લિંચિંગ. આ શબ્દ ક્યાંથી આવ્યો?"

"એક સમુદાયના ધર્મગ્રંથમાં છે આવું કે એક મહિલાને જ્યારે બધા પથ્થર મારવા લાગ્યા તો ઈસુ ખ્રિસ્તે કહ્યું કે પ્રથમ પથ્થર એ મારે જે પાપીના હોય."

"આપણે ત્યાં આવું કંઈ થયું નથી. આ છુટીછવાઈ બનતી ઘટનાઓ છે. જેના સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ."

"બીજા દેશની પરંપરામાંથી આવેલા શબ્દને ભારત પર થોપવાની કોશિશ થઈ રહી છે."

પોતાના ભાષણમાં આરએસસના પ્રમુખે કલમ 370માં ફેરફાર કરવાના મામલાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે મોદી સરકારના નિર્ણયના વખાણ કરતા કહ્યું કે સરકારે અનેક અઘરા નિર્ણયો લઈને દર્શાવ્યું છે કે તેમને જનભાવનની સમજ છે.

મોહન ભાગવતે કહ્યું, "ઘણા દિવસો બાદ દેશમાં કંઈક થઈ રહ્યું છે તેઓ અહેસાસ થાય છે. જનભાવના અને વિશ્વાસને ધ્યાનમાં લઈને સાહસભર્યા અને કઠોર નિર્ણય લેવાની તાકાત આ સરકારની છે અને 370માં ફેરફાર કરતાની સાથે જ સિદ્ધ થયું."

મોહન ભાગવતે ગુજરાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ગુજરાતના પશુપાલકો મોટાપાયે દૂધ આપતી ગીર ગાયનો ઉછેર કરે છે, પરંતુ હવે તેનું સીમેન બ્રાઝિલથી લાવવાની વાત, થઈ રહી છે. આપણી પાસે જો ગાયો ઉપલબ્ધ છે, તો વિદેશથી લાવાની શું જરૂર છે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો