You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કલમ 370 : શ્રીનગરના સૌરામાં થયો હતો પથ્થરમારો, સરકારે વિરોધ પ્રદર્શનની વાત સ્વીકારી
ભારત સરકારે શ્રીનગરના સૌરા વિસ્તારમાં ગયા શુક્રવારે નમાજ બાદ થયેલા પથ્થરમારાની ઘટનાની વાત માની છે.
ગૃહવિભાગના પ્રવક્તા તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે, "મીડિયામાં શ્રીનગરના સૌરા વિસ્તારમાં બનેલી ઘટનાના સમાચારો આવ્યા છે."
"9 ઑગસ્ટના રોજ કેટલાક સ્થાનિક લોકો મસ્જિદમાં નમાજ પઢ્યા બાદ પરત ફરી રહ્યા હતા. તેમની સાથે કેટલાક ઉપદ્રવી પણ સામેલ હતા."
"અશાંતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે આ લોકોએ કોઈ પણ ઉશ્કેરણી વિના સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો."
"જોકે, સુરક્ષાકર્મીઓએ સંયમ દાખવ્યો અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાની કોશિશ કરી હતી."
"અમે ફરીથી કહીએ છીએ કે કલમ 370 નાબૂદ કર્યા બાદ અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં એક પણ ગોળી છોડવામાં આવી નથી."
બીબીસીનો વીડિયો અને વિવાદ
આ પહેલાં બીબીસીએ એક વીડિયો જારી કરીને એ કહ્યું હતું કે શુક્રવારે શ્રીનગરના સૌરા વિસ્તારમાં એક મોટું વિરોધ પ્રદર્શન થયું હતું.
બીબીસીએ કહ્યું હતું કે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે સુરક્ષાદળોએ ટિયરગૅસના સેલ છોડ્યા હતા અને પૅલેટ ગનનો પણ ઉપયોગ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સમયે ભારત સરકારે દાવો કર્યો હતો કે આવું કોઈ પ્રદર્શન થયું ન હતું.
જોકે, બીબીસીના ઍક્સક્લુસિવ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઊતર્યા હતા.
સરકારે પહેલાં સમાચારોનું ખંડન કર્યું હતું
શ્રીનગરના સૌરામાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલા ઘર્ષણમાં કેટલા લોકો ઘાયલ થયા હતા તે અંગે અત્યાર સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી.
જ્યારે બીજી તરફ ભારત સરકારે દાવો કર્યો હતો કે છુટાછવાયાં વિરોધ પ્રદર્શનો થયાં હતાં જેમાં ખૂબ જ ઓછા લોકો સામેલ હતા.
ગૃહવિભાગે એક ટ્વીટ કરીને કહ્યું હતું, "પહેલાં રોઇટર્સ અને પછી ડોન ન્યૂઝમાં એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે શ્રીનગરમાં એક વિરોધપ્રદર્શન થયું હતું."
"આ પ્રદર્શનમાં દસ હજાર લોકોએ ભાગ લીધો હતો."
"આ સંપૂર્ણ રીતે મનઘડંત અને ખોટા સમાચાર છે. શ્રીનગર/બારામુલ્લામાં કેટલાંક નાનાં-મોટાં વિરોધપ્રદર્શનો થયાં છે, પરંતુ તેમાં 20થી વધારે લોકો સામેલ થયા ન હતા."
બીબીસી સંવાદદાતાનો વીડિયો
ભારત પ્રશાસિત કાશ્મીરમાં હાજર બીબીસી સંવાદદાતા આમિર પીરઝાદાએ જણાવ્યું હતું કે શુક્રવારે નમાજ બાદ ખીણમાં પરિસ્થિતિ સામાન્ય જરૂર હતી, પરંતુ કેટલીક જગ્યાએ પથ્થરમારાની ઘટનાઓ બની હતી.
આમિર પીરઝાદાએ જણાવ્યું હતું કે શ્રીનગરના સૌરામાં શુક્રવારે એક મોટું વિરોધ પ્રદર્શન થયું હતું, હજારો લોકો રસ્તા પર ઊતર્યા હતા. આ વિરોધ પ્રદર્શનને નજરે જોનારાએ કહ્યું હતું કે એક શાંતિપૂર્ણ પ્રદર્શન થયું હતું. જેવા જ સુરક્ષાદળો પ્રદર્શનકારીઓ સામે આવ્યા તો તેમની વચ્ચે ઘર્ષણ થયું હતું.
નજરે જોનારા લોકોએ બીબીસી સંવાદદાતાને જણાવ્યું હતું કે સુરક્ષાદળોએ પ્રદર્શનકારીઓ પર ટિયરગૅસ અને પૅલેટ ગનનો ઉપયોગ કર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો