અનુચ્છેદ 370 નાબૂદી : શ્રીનગરમાં કર્ફ્યુ છતાં ઉગ્ર વિરોધપ્રદર્શન, સરકારે કહ્યું એક પણ ગોળી નથી ચલાવાઈ

    • લેેખક, રિયાઝ મસરૂર
    • પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગરથી

ભારતશાસિત કાશ્મીર ઉપરાંત જમ્મુના પૂંછ, રાજૌરી, ડોડા તથા કિશ્તવાડ જેવા વિસ્તારોમાં સતત છઠ્ઠા દિવસે 144ની કલમ લાગુ રહી હતી.

સરકારનું કહેવું છે કે માત્ર કલમ-144 હેઠળ નિષેધાત્મક આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ અમુક સ્થળોએ કર્ફ્યુ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

સરકારે ઈદના અનુસંધાને અમુક નિયંત્રણો હળવા બનાવ્યાં છે, પરંતુ જે વિસ્તારમાં વારંવાર વિરોધપ્રદર્શન થાય છે, ત્યાં સઘન નાકાબંધી છે.

શ્રીનગરના સૌરા વિસ્તારમાં ભારે વિરોધપ્રદર્શન થયાં હતાં, ભારત સરકારે તેને 'નાનાં-મોટાં' પ્રદર્શન ગણાવ્યાં, પરંતુ જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો જુમાની નમાઝ પછી મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

સૌરાની સૌથી મોટી હૉસ્પિટલ શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાઇન્સિઝથી ઈદગાહ તરફ જતાં રસ્તે અડધા કલાકમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા. આ લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા.

સુરક્ષાબળો દ્વારા ફાયરિંગ

શરૂઆતમાં તો સુરક્ષાબળોએ તેમને જવા દીધા, પરંતુ બાદમાં સુરક્ષાબળોએ બળપ્રયોગ કર્યો હતો.

શરૂઆતમાં પોલીસે હવામાં ફાયરિંગ કર્યું, બાદમાં પેલેટ ગનનો ઉપયોગ કર્યો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.

અમે જોયું કે સૌરા ઇન્સ્ટિટ્યૂટમાં બે મહિલા સહિત આઠ ઘાયલોને લઈ જવાયાં. એક યુવકને પગમાં ગોળી લાગી હતી તથા અન્યોને પેલેટ ગનની ગોળીઓ વાગી હતી.

ઘટનાઓ અંગે સરકારનો ઇન્કાર

અલબત્ત સરકાર આવી ઘટનાઓ બની હોવાનું નકારી છે.

ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કર્યું છે કે રૉયટર્સ અને ડૉનમાં પ્રકાશિત સમાચારોમાં 1000 લોકોએ પ્રદર્શન કર્યું તે ખોટું છે અને વિરોધપ્રદર્શનમાં 20થી વધુ લોકો નહોતાં.

જોકે, જમ્મુ અને કાશ્મીરના પોલીસવડા દિલબાગ સિંહે કહ્યું કે શનિવારે પ્રદેશમાં હિંસાની એક પણ ઘટના નથી ઘટી. શનિવારે મીડિયામાં વિરોધ પ્રદર્શનના અહેવાલ બાદ આ પ્રતિક્રિયા આવી છે.

પોલીસવડા સિંહે જણાવ્યું કે લોકોની અવરજવર અને સંચારમાધ્યમો પર લગાવાયેલો પ્રતિબંધ ધીમેધીમે હઠાવાઈ રહ્યો છે.

શનિવારે વર્લ્ડ મીડિયામાં જમ્મુ-કાશ્મીરમાં હિંસાના સમાચાર આવ્યા બાદ સિંહે જણાવ્યું કે માહોલ શાંત છે અને દક્ષિણ કાશ્મીરમાં હિંસાની એક પણ ઘટના નથી ઘટી.

દિલબાગ સિંહે જણાવ્યું કે રવિવારે પ્રતિબંધ વધુ હળવા કરાશે, જેથી લોકો ઈદની ઉજવણી કરી શકે. નોંધનીય છે કે સોમવારે ઈદ-ઉલ-ઝોહા મનાવવામાં આવશે.

જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વીટ પણ કર્યું, "ગત છ દિવસોમાં પોલીસ તરફથી એક પણ ગોળી નથી ચલાવાઈ. સ્થિતિ સામાન્ય છે. લોકો સહયોગ કરી રહ્યા છે અને પ્રતિબંધ હઠાવી લેવાશે."

ઑલ ઇન્ડિયા રેડિયોએ પણ ટ્વીટ કરીને કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે, દુકાનો ખુલી છે અને કોઈ અઘટિત ઘટના નથી બની.

ઈદની તૈયારીઓ

ઈદ-ઉલ-અજહા આવવાની છે, આ દિવસે ઘેટાં-બકરાંની કુરબાની આપવામાં આવે છે, પરંતુ હાલમાં ઘેટાં કે બકરાં મળવા મુશ્કેલ છે. ઈદગાહની પાસે જ તેમનું મોટું બજાર ભરાય છે.

ઈદ પહેલાં જોવા મળતી રોનક જોવા નથી મળી રહી તથા ખાસ ખરીદદારી પણ નથી થઈ રહી. જે રસ્તા કે વિસ્તારમાં થોડી છૂટછાટ આપવામાં આવે છે, ત્યાં બહાર નીકળે છે.

શોપિયા અને પુલવા જેવા વિસ્તારોમાં કર્ફ્યુ જેવી સ્થિતિ છે. સામાન્ય રીતે આ વિસ્તારોમાં સૌથી વધુ વિરોધપ્રદર્શનો થાય છે.

અમે અમુક લોકોને પૂછ્યું કે 'ઈદની તૈયારીઓ કેવી ચાલી રહી છે?' આ લોકોએ આશ્ચર્યજનક રીતે અમને વળતું પૂછ્યું કે 'ઈદ ક્યારે છે?'

આના પરથી સમજી શકાય છે કે ભારત સરકારના આ નિર્ણય વિરુદ્ધ સ્થાનિકોમાં કેટલી નારાજગી છે.

દૈનિક જરૂરિયાતોનું શું?

ખીણ પ્રદેશમાં રહેતાં લોકો માટે આ પ્રકારની સ્થિતિ કે કર્ફ્યુ કોઈ નવી વાત નથી. તેમને આવી સ્થિતિની આદત પડી ગઈ છે.

અગાઉ પણ અનેક વખત ખીણપ્રદેશમાં કર્ફ્યુ લદાયો છે.

આ વખતે લોકોમાં કર્ફ્યુનાં નિયંત્રણો ઉપરાંત અજબ પ્રકારની લાચારી પણ જોવા મળી રહી છે.

કારણ કે આ વખતે કાશ્મીરના સંપન્ન વર્ગના મહેબૂબા મુફ્તી તથા ઓમર અબ્દુલ્લાહ પણ લાચાર છે.

એવા અહેવાલ છે કે કેટલાક નેતાઓને આગરા મોકલવામાં આવ્યા છે.

સુરક્ષબળોનું વલણ

પ્રારંભિક ચાર દિવસ દરમિયાન અમે જોયું છે કે સુરક્ષાબળોનું વલણ ખૂબ જ નરમ છે. જે જગ્યાએ જવા ઉપર નિયંત્રણ હતા, ત્યાં જવાની સુરક્ષાબળોએ અમને વિવેકપૂર્વક ના પાડી.

સામાન્ય રીતે જમ્મુ-કાશ્મીર પોલીસ તથા સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) સાથે મળીને કામ કરે છે, પરંતુ આ વખતે સીઆરપીએફનું વલણ થોડું અલગ હોય તેવું પોલીસને લાગે છે.

પ્રવર્તમાન સુરક્ષા વ્યવસ્થા મુજબ જમ્મુ-કાશ્મીર પોલીસ સીઆરપીએફનું સંચાલન કરે છે. શ્રીનગરના સૌરામાં પોલીસે ફાયરિંગ કર્યું હતું, પરંતુ સીઆરપીએફે પ્રદર્શનકારીઓને ત્રણ નાકા પાર કરવા દીધા હતા.

(બીબીસી ઉર્દૂ સંવાદદાતા શકીલ અખ્તર સાથે વાતચીતના આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો