Gujarat Election Result : સરકાર ભલે બહુમતથી બને, દેશ સર્વમતથી ચાલે : નરેન્દ્ર મોદી

લોકસભા ચૂંટણી 2019નાં પરિણામોમાં ભારતીય જનતા પક્ષે સ્પષ્ટ બહુમતી મેળવી છે.

આ વખતની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ સાથે-સાથે જ ગુજરાત પર પણ સૌની નજર હતી.

ગુજરાતમાં ભાજપ તમામ બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. શરૂઆતનાં વલણોમાં અમુક બેઠકો પર કૉંગ્રેસ આગળ જોવા મળી, જોકે, બાદમાં ભાજપે લીડ હાંસલ કરી લીધી હતી.

20 : 30રાજકારણમાં મહિલાઓની ભૂમિકા અંગે બીબીસી ગુજરાતીનો વિશેષ કાર્યક્રમ

દિવ્યા આર્ય, ગુરમહેર કૌર, અદિતી રાવલ, લીના શાહ, ઝકિયા સોમણ તથા તારા કૃષ્ણસ્વામી સાથે ભારતીય રાજકારણમાં મહિલાઓની ભાગીદારી કેટલી? તે અંગે વિશેષ ચર્ચા.

19 : 35- 17 મોદી અને શાહે શું કહ્યું?

આભાર દર્શન કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે ચંડિગઢ,હિમાચલ પ્રદેશ, કર્ણાટક,ઉત્તરાખંડ સહિત દેશનાં 17 રાજ્યોમાં ભાજપને 50ટકાથી વધુ મત મળ્યા છે. અને દેશનાં 17 રાજ્યમાં કૉંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી છે.

શાહે આ વિજયને, 'ટુકડે ટુકેડ ગૅંગની વિચારધારા વિરુદ્ધ સબ કા સાથ સબ કા વિકાસની વિચારધારાનો વિજય' ગણાવ્યો. અમિત શાહે ગાંધીનગર લોકસભાની બેઠક પર મળેલા વિજય બદલ ગાંધીનગરની જનતાનો આભાર માન્યો હતો.

તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનાદેશ બદલ લોકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું, "દેશના કરોડો લોકોએ આ ફકીરની ઝોળી ભરી દીધી છે."

મોદીએ કહ્યું, "આ વિજય લોકશાહીનો વિજય છે, જનતાનો વિજય છે અને હિંદુસ્તાનનો વિજય છે."

તેમણે કહ્યું કે 40-42 ડિગ્રી ગરમી છતાંય આટલા મોટા પ્રમાણમાં મતદાન થવું એ ભારતની લોકશાહીની સિદ્ધિ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "2014થી 2019 સુધીમાં સેક્યુલરિઝમની જમાતે બોલવાનું બંધ કરી દીધું."

"આ ચૂંટણીમાં એક પણ રાજકીય પક્ષ સેક્યુલરિઝમનું મુખોટું પહેરીને નાગરિકોને ગુમરાહ નથી કરી શક્યો."

19 : 22 અત્યાર સુધીનાં પરિણામ બારડોલી લોકસભાની બેઠક પરથી પરભુભાઈ નાગરભાઈ વસાવાએ કૉંગ્રેસના તુષાર ચૌધરીને હરાવ્યા છે.

ભરૂચ લોકસભાની બેઠક પરથી ભાજપના મનસુખભાઈ ધનજીભાઈ વસાવાએ કૉંગ્રેસના શેરખાન અબ્દુલસકુર પઠાણને હરાવ્યા છે.

રાજકોટમાં ભાજપના મોહનભાઈ કુંડારીયાએ કૉંગ્રેસના કગથરાને પરાજય આપ્યો છે.

આણંદથી ભાજપના મિતેશભાઈ પટેલનો વિજય થયો છે.

ભાવનગર બેઠક પરથી ભાજપનાં ભારતીબહેન શિયાળ વિજયી બન્યાં છે.

ગાંધીનગર બેઠક પરથી ભાજપના વિનોદ ચાવડાનો વિજય થયો છે.

તો સાબરકાંઠા બેઠક પરથી ભાજપના દીપસિંહ રાઠોડ વિજયી બન્યા છે.

અમદાવાદ પૂર્વની બેઠક પરથી ભાજપના હસમુખભાઈ પટેલનો વિજય થયો છે.

છોટા ઉદેપુરથી ગીતાબહેન રાઠવા વિજયી થયાં છે.

18 : 45લોકસભા ચૂંટણીનાં પરિણામોમાં નરેન્દ્ર મોદી જીત નક્કી છે ત્યારે ભાજપના ડૉ. અનિલ પટેલ અને કૉંગ્રેસના ભરત દેસાઈ સાથે વિશ્લેષણ

17 : 30સંજય રાવલ અને નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદ મોદી સાથે વાતચીત

17 : 00ભાજપની 6 બેઠકો પર જીત

ચૂંટણીપંચે અત્યાર સુધી 542 બેઠકોમાંથી સાત બેઠકો પર પરિણામ જાહેર કર્યું છે. જેમાં 14 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જ્યારે એક બેઠક કૉંગ્રેસના ફાળે ગઈ છે.

આ સિવાય ભાજપ 292 બેઠકો પર આગળ છે અને કૉંગ્રેસ 49 બેઠકો પર આગળ છે.

16 :35 રાજકીય સમીક્ષકો ઘનશ્યામ શાહ, મનીષી જાની અને રમેશ ઓઝાની નજરે લોકસભાની ચૂંટણીનાં પરિણામ

શારીક લાલીવાલા, રમેશ ઓઝા અને ભાવના દવે સાથે બીબીસીની વાતચીત

લોકસભાની ચૂંટણીનાં પરિણામો પર રાજકીય વિશ્લેષક રમેશ ઓઝા અને શારીક લાલીવાલા, ભાજપનાં પૂર્વ સાંસદ ભાવનાબહેન દવે તેમજ કૉંગ્રેસનાં પ્રવક્તા કિંજલબહેન પુરોહિત સાથે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે વાતચીત કરી હતી.રાજકીય વિશ્લેષક રમેશ ઓઝાએ કહ્યું, "ભાજપ સરકારનું કામકાજ સરેરાશ કરતાં ઓછું રહ્યું છે. પુલવામા જેવા મુદ્દાના કારણે જનતા પાસેથી ભાજપને ભાવનાત્મક મદદ મળી છે. પણ તેમના કામકાજને કારણે મત મળ્યા છે એવું નથી." શારીક લાલીવાલાએ કહ્યું, "ડિસેમ્બર 2018માં કૉંગ્રેસ 3 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી જીતી અને હવે લોકસભામાં મોટા માર્જિનથી હાર મેળવવી એ દર્શાવે છે કે મતદાતા લોકસભા અને વિધાનસભા ચૂંટણીને અલગઅલગ રીતે જુએ છે."

"હાલ લોકસભા ચૂંટણીમાં લોકોએ ચહેરાને મત આપ્યો છે, પાર્ટીને નહીં."

ભાજપનાં પૂર્વ સાંસદ ભાવનાબહેન દવેએ કહ્યું, "પાંચ વર્ષમાં એ પ્રકારનો વહીવટ કરાયો કે લોકોએ ફરીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ભરોસો કર્યો છે."

"અમે જે સંકલ્પ લીધા તે પાંચ વર્ષમાં નિભાવીને બતાવ્યા. દેશને મજબૂત અને સક્ષમ સરકાર જાઈએ છે, મજબૂર નહીં. કૉંગ્રેસમાં પરિવારવાદ છે. રાહુલ ગાંધીને વડા પ્રધાનના ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ કૉંગ્રેસની પરિવારવાદની જીદ તેમને નડી છે."

"નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતને યૂનોમાં સ્થાન મળ્યું, મસુદ અઝહરને આતંકવાદી જાહેર કરાયો. દુનિયાના મોટામોટા દેશોએ ભારતનો સ્વીકાર કર્યો છે"

તેમણે એવું પણ ઉમેર્યું કે "વડા પ્રધાને જેટલો પરિશ્રમ કર્યો છે તેટલો કોઈ વડા પ્રધાને કર્યો નથી. નરેન્દ્ર મોદીનું નેતૃત્વ, NDAનું ગઠબંધન, અમિત શાહની વ્યૂહરચનાના કારણે ભાજપને સફળતા મળી છે."

તો કૉંગ્રેસનાં પ્રવક્તા કિંજલબહેન પુરોહિતે કહ્યું, "દેશની જનતાએ ભાવનાત્મક રીતે મતદાન કર્યું છે. લોકોને ભટકાવવા માટે આતંકવાદ, પુલવામા જેવા મુદ્દાઓ પર મત માગવામાં આવ્યા. લોકસભાની ચૂંટણી માત્ર વડા પ્રધાનની ચૂંટણી બનીને રહી."

ભાજપના પૂર્વ નગરસેવક જૈનિક વકીલ, કૉંગ્રેસના હેમાંગ રાવલ, વાલજીભાઈ રાઠોડ સાથે બીબીસીની વાતચીત

લોકસભા ચૂંટણીનાં પરિણામો માટે પ્રાથમિક વલણ આવી ગયાં છે અને તેમાં ભાજપની સરકાર બનતી સ્પષ્ટ જોવા મળી રહી છે.

આ પરિણામો વચ્ચે બીબીસી ગુજરાતીની લાઇવ ચર્ચામાં બીબીસી સંવાદદાતા હરીતા કાંડપાલ સાથે જોડાયા ભાજપના પૂર્વ નગરસેવક જૈનિક વકીલ, કૉંગ્રેસના સોશિયલ મીડિયા સંયોજક હેમાંગ રાવલ અને અમિત શાહ સામે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર વાલજીભાઈ રાઠોડ.ભાજપના પૂર્વ નગરસેવક જૈનિક વકીલે કહ્યું, "દિશામાંથી ભારતની જનતાએ NDA અને ભાજપને ખોબે ને ખોબે મત આપ્યા છે. જૂની સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં જે કામ થયું છે તેમાં અંતર સ્પષ્ટ દેખાય છે."

"જૂની સરકાર કૌભાંડની સરકાર હતી. કૉંગ્રેસ નકારાત્મક પ્રચાર કરે છે. ચોકીદાર ચોર હૈ જેવા નારા આપે છે પણ જનતા જાણે છે કે ચોકીદાર પ્યૉર છે. ચૂંટણી પંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કોઈ નિવેદન પર વાંધો નથી ઉઠાવ્યો."

"તેમની કોઈ રેલી રોકી નથી. પાંચ વર્ષમાં વડા પ્રધાને જે કામ કર્યું છે તેને દેશની જનતાએ ચૂકાદો આપ્યો છે. ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાના વખાણ થાય છે. આરોપીને સજા હંમેશાં થાય જ છે. કૉંગ્રેસે પુલવામા હુમલા દરમિયાન સેનાની ક્ષમતા પર સવાલ ઊભા કર્યા."

કૉંગ્રેસના સોશિયલ મીડિયા સંયોજક હેમાંગ રાવલે કહ્યુ, "પ્રજાના મુદ્દા જે માધ્યમથી પ્રજા સુધી પહોંચાડવાના હતા તેમાં કદાચ અમે નિષ્ફળ રહ્યા છીએ. પણ આ પરિણામ જોઈને અમે જરા પણ વિચલિત થયા નથી. પ્રજાનો આક્રોશ હતો તે મતપેટી સુધી કેમ ન પહોંચી શક્યો તે એક વિચારવાનો વિષય છે."

તેમણે ઉમેર્યું, "ચોકીદાર પ્યૉર છે તે હજુ સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યુ નથી અને કેસ ફીથી ઓપન કરાયો છે. દેશમાં છેલ્લાં 45 વર્ષમાં બેરોજગારી વધી છે, 10 કરોડ લોકોને રોજગાર આપવાની વાત કરી હતી તે લક્ષ્યાંક ક્યાંય સિદ્ધ થતો નથી."

"હવે એ અપેક્ષા છે કે પેટ્રોલના ભાવ ન વધે, દલિતોને માર ન પડે, ફરી પુલવામા ન થાય, ફરી ગઢચિરૌલી ન થાય."

તેમણે એવું પણ ઉમેર્યું કે પુલવામા હુમલો થયો હતો ત્યારે રાહુલ ગાંધીએ સભાઓ રદ કરી, પ્રિયંકા ગાંધીએ પહેલી પત્રકાર પરિષદે રદ કરી હતી જ્યારે નરેન્દ્ર મોદી પુલવામા હુમલા બાદ ડિસકવરી માટે શૂટિંગ કરી રહ્યા હતા.

અમિત શાહ સામે અપક્ષ ઉમેદવારી નોંધાવનારા વાલજીભાઈ રાઠોડે કહ્યું, "બહુમતીથી જીતવું હોત તો હું મારા જિલ્લામાં લડી શક્યો હોત. પરંતુ અમિત શાહ વિરુદ્ધ લડ્યો કેમ કે હું અમિત શાહના મત તોડવા માગતો હતો."

BJP IT સેલથી પંકજ શુક્લા, કૉંગ્રેસનાં નેતા મેઘના દેસાઈ, ગોપાલ ઈટાલિયા, દર્શિનીમહાદેવીયા સાથે બીબીસીની વાતચીત

ચૂંટણીનાં પરિણામ આવી રહ્યાં છે ત્યારે બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથે લાઇવ વાતચીતમાં ભાજપના આઇટી સેલના હેડ પંકજ શુક્લ, પ્રદેશ કૉંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ મેઘનાબહેન પટેલ, સોશિયલ મીડિયા ઍક્ટિવિસ્ટ ગોપાલ ઈટાલીયા અને દર્શિની મહાદેવીયા જોડાયાં.

પ્રદેશ કૉંગ્રેસ કમિટીનાં ઉપપ્રમુખ મેઘનાબહેન પટેલ જણાવે છે, "આ માત્ર પ્રાથમિક વલણ છે. પરિણામ હજુ જાહેર થયાં નથી. 2014 અને 2019નો ભાજપનો ચૂંટણીઢંઢેરો એકદમ અલગ છે. ઘણા મુદ્દાઓ છે જેના કારણે લોકોમાં ભાજપ પ્રત્યે રોષ છે."

પંકજ શુક્લ કહે છે, "સોશિયલ મીડિયા પ્રચારનું એક માધ્યમ છે જે લોકો દ્વારા ચાલે છે. તેના માટે સંગઠન, વિઝન, મુદ્દાઓની જરૂર છે. અમારી પાસે નરેન્દ્ર મોદીનું નેતૃત્વ છે. પાંચ વર્ષ લોકોએ વિશ્વાસ મૂક્યો અને ફરી પાંચનો વધારો કરાયો છે." "પ્રચારના માધ્યમ તરીકે સોશિયલ મીડિયાએ લોકો સુધી યોજનાઓ પહોંચાડવા મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જે ખોટી અફવાઓ ફેલાવવામાં આવતી હતી, તેના અંગે લોકોને જાગરૂક કરવા માટે સોશિયલ મીડિયાએ મહ્ત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે."

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું, "નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયાથી લોકોને મૂર્ખ બનાવી જાય તેમાં કોઈ નવાઈની વાત નથી. ઘણાં વર્ષોથી સરકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય નથી. ગુજરાતમાં ડિજિટલ ઇન્ડિયાની છબી જોવા મળતી નથી.""એટલે જ કચેરીમાં આજે એક સર્ટિફિકેટ મેળવવા માટે પણ લાઇન લગાવવી પડે છે. તો વિકાસની વાત કહીને નરેન્દ્ર મોદીએ લોકોને મૂર્ખ જ બનાવ્યા છે."

દર્શિનીબહેન મહાદેવીયાએ કહ્યું, "અર્બન વિકાસના મુદ્દા છે તે લાંબા ગાળાના છે. અત્યારે અર્બન હાઉસિંગનો મોટો મુદ્દો છે. યોજના સારી છે પણ તેને અપનાવવાની પ્રક્રિયા ખૂબ જટિલ છે. યોજના કેવી રીતે લાગૂ થાય છે તેના પર ક્યારેય વાત નથી થતી."

નરેન્દ્ર મોદીએ નામ આગળથી 'ચોકીદાર' શબ્દ હટાવ્યો

લોકસભાની ચૂંટણીમાં મળેલા ઐતિહાસિક વિજય બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી 'ચોકીદાર' શબ્દ હટાવી લીધો છે.

નોંધનીય છે રફાલવિવાદ મામલે કૉંગ્રેસે 'ચોકીદાર ચોર હૈ'નો નારો આપ્યો હતો.

જેના વળતા જવાબમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભાજપ દ્વારા 'મેં ભી ચોકીદાર' અભિયાન ચલાવાયું હતું.

ભાજપના આ અભિયાન વિરુદ્ધ કૉંગ્રેસી નેતા હાર્દિક પટેલે પોતાના નામની આગળ 'બેરોજગાર' શબ્દ લગાવ્યો હતો.

જોકે, વિવાદને પગલે હાર્દિકે 'બેરોજગાર' શબ્દ હટાવી દીધો.

16 : 30 એનડીએ અને યુપીએની સ્થિતિ

16 : 26 'ફરી એક વખત બની મોદી સરકાર'

ભાજપના વિજય પર ગુજરાત ભાજપે ટ્વીટ કરીને ફરી એક વખત મોદી સરકાર બની રહી હોવાની વાત કરી હતી.

15 : 45મોદી પર અભિનંદનની વર્ષા

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ પૂર્ણ બહુમત સુધી એકલા હાથે પહોંચી રહ્યો છે. હાલ ભાજપ 293 બેઠકો પર આગળ છે. કૉંગ્રેસ 51 બેઠકો પર આગળ છે.

અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે આ કૉંગ્રેસની નકારાત્મક રાજનીતિ અને ખોટનો પરાજય છે.

ગુજરાતની તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશો દીવ અને દમણ તથા દાદરા અને નગરહવેલીમાં પણ ભાજપ આગળ છે.

15 : 15 અમિત શાહનું ટ્વીટ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું, "આ પરિણામ વિપક્ષ દ્વારા કરાયેલા દુષ્પ્રચાર, ખોટ, અંગત આરોપ અને આધારહીન રાજકારણ વિરુદ્ધ ભારતનો જનાદેશ છે."

"આજનો જનાદેશ એવું પણ દર્શાવે છે કે ભારતની જનતાએ દેશમાંથી જાતિવાદ, પરિવારવાદ અને તૃષ્ટિકરણને પૂર્ણ રૂપે ઉખાડી ફેંકીને વિકાસવાદ અને રાષ્ટ્રવાદને ચૂંટ્યો છે."

15 : 00મોદીએ ભારતનો વિજય ગણાવ્યો

લોકસભાની ચૂંટણીનાં વલણ/પરિણામોમાં ભાજપના વિજય બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે.

મોદીએ આ વિજયને ભારતનો વિજય ગણાવ્યો છે. તેમણે લખ્યું, "સૌનો સાથ + સૌનો વિકાસ + સૌનો વિશ્વાસ = વિજયી ભારત"

01 : 55ગુજરાતમાં કૉંગ્રેસની હાર પાછળ ઠાકોરસેના : અલ્પેશ ઠાકોર

વલણોમાં કૉંગ્રેસની દેખાઈ રહેલી હારને અલ્પેશ ઠાકોરે ગુજરાતની જનતાએ કૉંગ્રેસને આપેલો સજ્જડ જવાબ ગણાવી હતી.

અલ્પેશે કહ્યું, "જે રીતે કૉંગ્રેસ પાર્ટી અને એમના નેતાઓએ અમારી સાથે વહેવાર કર્યો. અમને અપમાનિત કરવામાં આવ્યા, દબાવાવમાં આવ્યા અને અમને ખતમ કરવાનું ષડ્યંત્ર રચાયું અને છતાં જે રીતે અમે હિંમત કરીને બહાર નીકળ્યા એમા મદદરૂપ સૌનો આભાર માનું છું."

અલ્પેશ ઠાકોરે ઉમેર્યું, "કૉંગ્રેસ પાર્ટી ગરીબો સાથે, સામાન્ય જનતા સાથે દ્રોહ કરવાનું ફરી વિચારી ન શકે એ માટે ગુજરાતની ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચે એક સાથે જડબાતોડ જવાબ આપ્યો."

એમણે કહ્યું, "તમે મારું ધારાસભ્યપદ તો નહીં છીનવી શકો પણ ગુજરાતની જનતાએ તમને ખાતું પણ નથી ખોલવા દીધું."

ગુજરાતમાં ભાજપની જીતનો શ્રેય તેમણે ઠાકોરસેના અને ઓબીસી એકતા મંચને આપ્યો હતો અને એમણે ભાજપની જીતને ગરીબો અને રાષ્ટ્રવાદની જીત ગણાવી હતી.

અલપેશ ઠાકોરે કહ્યુ, "ગુજરાતમાં ઠાકોરસેના અને એકતા મંચે નવથી વધારે બેઠકો પર જડબાતોડ જવાબ આપ્યો છે. જે લોકો 5-10 હજારની લીડથી જીતી જવાની વાત કરતા હતા એ લાખ-દોઢ લાખ મતોથી હારી રહ્યા છે."

"રાધનપુરની જનતાને મીડિયા દ્વારા સંદેશ મળ્યો કે અલ્પેશ ઠાકોરનું અપમાન થયું છે એનો જવાબ રાધનપુરની જનતા અને તમામ બેઠકોની જનતાએ આપ્યો છે."

01 : 30 અમિત શાહ સવા ચાર લાખ મતથી આગળ

ભાજપના પ્રમુખ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી સવા ચાર લાખ મતોથી આગળ છે. 

અત્યાર સુધીની ગણતરી મુજબ એમના પ્રતિસ્પર્ધી સી. જે ચાવડાને 2,33,294 મત મળ્યા છે જ્યારે અમિત શાહને 6,60,787 મત મળ્યા છે.

01: 15 દેશમાં દિગ્ગજ નેતાઓની સ્થિતિ

વારાણસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગાંધીનગરમાં અમિત શાહ આગળ

કેન્દ્રીય પ્રધાન અને ભાજપના ઉમેદવાર ગિરિરાજસિંહ (બેગુસરાઈ, બિહાર), અશ્વિનીકુમાર ચૌબે (બક્સર, બિહાર), આર. કે. સિંહ (આરા, બિહાર), સ્મૃતિ ઈરાની (અમેઠી, ઉત્તર પ્રદેશ), કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડ (જયપુર ગ્રામીણ), જનરલ વી. કે. સિંહ (ગાઝિયાબાદ, યૂપી) આગળ ચાલી રહ્યાં છે.

સપાના અખિલેશ યાદવ (આઝમગઢ, યૂપી), કન્નૌજથી તેમનાં પત્ની ડિમ્પલ યાદવ, મૈનપુરીથી મુલાયમસિંહ યાદવ, અને અફઝલ અંસારી (બસપા, યૂપી) આગળ

વાયનાડ બેઠક ઉપરથી કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આગળ, અમેઠીની બેઠક ઉપરથી પાછળ ચાલી રહ્યા છે.

પંજાબમાં શિરોમણિ અકાલીદળના હરસિમરત કૌરા બાદલ (ભટિંડા) અને તેમના પતિ સુખબીરસિંઘ બાદલ (ફિરોઝપુર) બેઠક ઉપર આગળ છે.

ગુરૂદાસપુરની બેઠક ઉપરથી ફિલ્મ અભિનેતા સન્ની દેઓલ (ભાજપ) તથા ચંડીગઢની બેઠક ઉપરથી કિરણ ખેર (ભાજપ) આગળ છે.

01: 00'કૉંગ્રેસ નહીં બેરોજગારી હારી, હિંદુસ્તાનની પ્રજા હારી'

લોકસભાની ચૂંટણીનાં આવી રહેલાં પરિણામો પર કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે ટ્વીટ કહ્યું, "કૉંગ્રેસ નહીં બેરોજગારી હારી છે, શિક્ષણ હાર્યું છે, ખેડૂતો હાર્યા છે, મહિલાઓનું સન્માન હાર્યુ છે અને આમ જનતા સાથે જોડાયેલા દરેક મુદ્દાની હાર થઈ છે, એક આશાની હાર થઈ છે. સાચું કહું તો હિન્દુસ્તાનની જનતા હારી છે."

એમણે કહ્યું, "કૉંગ્રેસના તમામ કાર્યકર્તાઓની લડાઈને સલામ કરું છું. લડીશું અને જીતીશું."

એમણે કહ્યું કે કૉંગ્રેસ અને રાહુલ ગાંધીએ ઇમાનદારીથી ચૂંટણીમાં જનતાની વાત મૂકી.

"અમે પ્રામાણિકતાથી મેદાનમાં હતા. જનતાએ ભાજપને નથી જીતાડી અપ્રમાણિક્તાને જીતાડી છે. તમે મને ગાળો આપી શકો છો પરંતુ સત્ય કહેવું જરૂરી હોય છે. દેશની જનતાના મોં પર ખુશી નથી. ભારત માતા કી જય."

12 : 30 ગુજરાતનો દીકરો, દેશનો નેતા એ ભાવનાથી ગુજરાતે મત આપ્યો - વિજય રૂપાણી

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, "ગુજરાતનો દીકરો, દેશનો નેતા એ ભાવનાથી ગુજરાતે મત આપ્યો છે."

એમણે કહ્યુ કે એક્ઝિટ પોલ બાદ લહેરની ચર્ચા શરૂ થઈ હતી.

એમણે ઉમેર્યું, "આ જીત ભારતવાસીઓની જીત છે. ભારતનો વિજય થયો છે. એક ઈમાનદાર, ચોકીદાર પ્રત્યે ભારતની જનતાએ ભાજપના મત આપ્યો છે. નરેન્દ્ર મોદી દુનિયામાં લોકપ્રિય નેતા તરીકે ઊભર્યા છે. કોના હાથમાં દેશ સલામત છે, મજબૂત સરકાર કોણ આપશે એ મુદ્દે જનતાએ મતદાન કર્યું હતું."

વિજય રૂપાણીએ જીતનો શ્રેય નરેન્દ્ર મોદી અને અમિત શાહને આપ્યો છે.

એમણે કહ્યું, "મોદીજીને કારણે જીત મળી છે. અમિત શાહે સંગઠનશકિતના દર્શન કરાવ્યા છે. જે ચાર મહિના અગાઉ ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર પડી હતી ત્યારે અમિત શાહે એક ચાણક્ય નીતિનો પરિચય કરાવ્યો. એમણે લાખો કાર્યકર્તાઓને પ્રેરણા આપી."

એમણે પશ્ચિમ બંગાળમાં ભાજપના દેખાવનો શ્રેય કાર્યકરોના બલિદાનને આપ્યો.

રુપાણીએ ઉમેર્યું, "ગુજરાતમાં ભાજપ 26 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે. હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું."

12: 00 ગુજરાતમાં ભાજપની લીડમાં સતત વધારો

ગુજરાતના જોવા મળી રહેલાં વલણોમાં ગાંધીનગરમાં સૌથી વધુ લીડ જોવા મળી રહી છે, જ્યારે સૌથી ઓછી લીડ મહેસાણામાં નોંધાઈ રહી છે.

લોકસભાની મતગણતરીમાં ગુજરાતમાં હાલ સુધીનાં વલણોમાં તમામ બેઠકોમા ભાજપ તરફી જઈ રહી છે.

ભાજપે શરૂઆતથી મેળવેલી લીડ સતત વધી રહી છે. પરિણામ હજી આવ્યાં નથી પરંતુ બપોરે 12 વાગ્યા સુધી લીડનું માર્જિન સૌથી વધારે ગાંધીનગરમાં જોવા મળ્યું છે અને તો સૌથી ઓછું મહેસાણામાં નોંધાયું છે.

12 વાગ્યા અનુસાર બેઠક મુજબ ભાજપની લીડનું માર્જિન આ પ્રમાણે છે.

અમદાવાદ (પૂર્વ) : 537727, અમદાવાદ (પશ્ચિમ) : 1,01,589, અમરેલી : 26,777, આણંદ : 93,195, બનાસકાંઠા : 79288, બારડોલી 136105, ભરૂચ : 120894, ભાવનગર : 116880, છોટા ઉદેપુર : 201410, દાહોદ : 36003, ગાંધીનગર : 245806, જામનગર : 115071, જૂનાગઢ : 56513, ક્ચ્છ : 62024, ખેડા : 47912, મહેસાણા : 13960, નવસારી : 134182, પંચમહાલ : 32561, પાટણ : 34806, પોરબંદર : 59800, રાજકોટ : 199889, સાબરકાંઠા : 43361, સુરત : 152033, સુરેન્દ્રનગર : 56261, વડોદરા : 161916, વલસાડ : 128874

11: 36 હીરાબાનું અભિવાદન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાએ ગાંધીનગરમાં તેમના ઘરની બહાર મીડિયાનું અભિવાદન કર્યું હતું.

પ્રારંભિક વલણોમાં ભાજપને મળી રહેલી બહુમતીને જોતાં હીરાબાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

11: 32રાજકોટમાં ઈવીએમ નંબરમાં ગરબડ થઈ, મતગણતરી રોકવી પડી

રાજકોટમાં લોકસભાની મતગણતરીમાં ઈવીએમ બદલાવવાનો પ્રશ્ન ઊભો થયો છે. બીબીસીએ સ્થાનિક પત્રકાર બિપીન ટંકારિયા સાથે કરેલી વાતચીત મુજબ ઈવીએમ ક્રમાંક 73682માં આ પ્રશ્ન સર્જાયો હતો.

રાજકોટ શહેરમાં બૂથ નંબર 44ના ન્યૂ જાગનાથ વોર્ડના ઈવીએમમાં આ ક્રમાંક ફેરબદલની સમસ્યા થઈ હતી. 

ગણતરી દરમિયાન રાજકોટ શહેરના કાર્યકારી પ્રમુખ અશોક ડાંગરે અધિકારીએ આપેલા ઈવીએમ નંબર સામે વાંધો ઉઠાવ્યો હતો. 

એમનો દાવો હતો કે એમને યાદી આપવામાં આવી છે એમાં ઈવીએમ નંબર અલગ છે. આને લીધે મતગણતરી રોકાઈ હતી. ત્યારબાદ સુધારેલી યાદી રજૂ થતાં મત ગણતરી ફરી શરૂ થઈ છે.

11: 15 પ્રારંભિક વલણને પગલે ભાજપના દિલ્હી ખાતેના કાર્યાલય બહાર ઉજવણી ચાલી રહી છે.

11: 10ભાજપને એકલાહાથે બહુમત?

11 વાગ્યાનાં પ્રારંભિક વલણ મુજબ ફરી એક વખત ભાજપ એકલાહાથે પૂર્ણ બહુમત મેળવશે. પાર્ટી 292 બેઠક ઉપર આગળ છે.

કુલ 545 બેઠકવાળા ગૃહમાં બહુમત માટે સરકાર રચવા માટે 272 બેઠકની જરૂર રહે.

સાથી પક્ષ શિવસેના 19, જનતાદળ યુનાઇટેડ 16, લોક જનશક્તિ પાર્ટી છ, શિરોમણિ અકાલીદળ બે, આસામ ગણ પરિષદ બે બેઠક ઉપર આગળ છે.

ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયના કહેવા પ્રમાણે, ભાજપને આપબળે 300થી વધુ બેઠક મળશે અને કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે.

11: 00ગુજરાતમાં ભાજપનો સપાટો

2014ની જેમ જ ભાજપ ગુજરાતની તમામ બેઠકો જીતવા તરફ જઈ રહ્યો છે. શરૂઆતમાં દાહોદ, પાટણ, અમરેલી જેવી બેઠકોમાં પાછળ રહેલો ભાજપ હવે આગળ આવી ગયો છે. 

આમ ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.

ગુજરાતમાં રાજકોટમાં મોહનભાઈ કુંડારિયા દોઢ લાખના માર્જિનથી આગળ છે. ભાજપ પ્રમુખ અમિત શાહ પણ બે લાખ મતોથી આગળ છે. 

આણંદ બેઠકથી પૂર્વ કૉંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી 50 હજારથી વધુ મતોથી પાછળ છે તો અમરેલી બેઠક પર વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી 10 હજારથી વધારે મતોથી પાછળ છે.

10: 45 સેન્સેક્સ 40 અને નિફ્ટી 12 હજારને પાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફરી એક વખત સરકાર બનશે તેવી શક્યતાને શેરબજારે વધાવી લીધું હતું.

લગભગ 900 પૉઇન્ટ્સના ઉછાળે સેન્સેક્સ 40 હજારની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગયો હતો.

એક જ દિવસમાં લગભગ 2.25 ટકાનો પ્રારંભિક ઉછાળો જોવા મળ્યો.

નિફ્ટીએ 12 હજારની સર્વોચ્ચ સપાટી વટાવી હતી. નિફ્ટીએ લગભગ 2.25 ટકાના ઉછાળા સાથે 260 પૉઇન્ટ્સનો ઉછાળો જોવા મળ્યો હતો.

10: 40અમિત શાહ બે લાખ મતથી આગળ

ગાંધીનગર બેઠક ઉપર ભાજપ પ્રમુખ અમિત શાહ બે લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર તેમની સામે કૉંગ્રેસના ડૉ. સી. જે. ચાવડા ઉમેદવાર છે. 

અત્યાર સુધી અમિત શાહને 1,92,697 મત મળ્યા છે જ્યારે તેમની સામે સી. જે. ચાવડાને 67694 મત મળ્યા છે. 

ગત વખતે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પરથી વિજેતા થયા હતા.

2012માં થાનગઢમાં ગોળીબારમાં પુત્ર ગુમાવનારા વાલજીભાઈ રાઠોડ આ બેઠક અપક્ષ ઉમેદવાર છે.

ઉપરાંત 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં હુલ્લડના પીડિત ફિરોઝખાન પઠાણે અપના દેશ પાર્ટીની ટિકિટ પર અમિત શાહ સામે ઝંપલાવ્યું છે.

10: 40એનડીએની સીટો શરૂઆતનાં વલણમાં 300+ પહોંચી છે, ત્યારે ભાજપની દિલ્હી ઑફિસ બહાર હાલ કેવું વાતાવરણ છે?

10: 30બીબીસી ગુજરાતી સાથે જાગૃતિ પંડ્યાની વાતચીત

બીબીસી સાથે લાઇવ ચર્ચામાં ચૂંટણી પરિણામ અંગે બીબીસી સંવાદદાતા તેજ વૈદ્ય સાથે રાજકીય વિશ્લેષક રમેશ ઓઝા, બાળઅધિકાર સંરક્ષણપંચનાં પ્રમુખ તેમજ ભાજપનાં નેતા જાગૃતિબહેન પંડ્યા અને કૉંગ્રેસ પ્રવક્તા નૈષધભાઈ દેસાઈ સાથે ખાસ વાતચીત.ભાજપનાં નેતા જાગૃતિબહેન પંડ્યા પહેલા ક્યારેય મીડિયા સામે બોલ્યાં નથી ત્યારે તેઓ પહેલી વખત બીબીસી ગુજરાતી સાથે વાત કરી રહ્યાં છે.

તેમણે જણાવ્યું, "કૉંગ્રેસના રાજમાં ક્યારેય લોકતંત્ર ન હતું, તેમાં માત્ર પરિવારવાદ જ હતો. આજે ભાજપ લોકતંત્રની જીત ભોગવી રહ્યો છે. જે વ્યક્તિ મજબૂત નેતૃત્વ કરી શકે છે તેને આજે દેશની જનતાએ વડા પ્રધાન તરીકે ચૂંટ્યા છે."

જાગૃતિબહેને કરેલી વાતચીતના મુદ્દા

  • સર્જિકલ સ્ટ્રાઇક મામલે પણ દેશની જનતાને જણાવવામાં આવ્યું કે દેશના નેતાએ કેવી રીતે જવાબ આપ્યો છે.
  • જનતાનો જનાદેશ જણાવે છે કે વડા પ્રધાને જે કર્યું છે તે બ્રાન્ડિંગ નથી.
  • સર્જિકલ સ્ટ્રાઇક મામલે થયેલી ટીકા અંગે જાગૃતિ પંડ્યા જણાવે છે કે જે કામ કરે છે તેની ટીકા થાય છે.

10: 15કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણી પાછળ 

છોટાઉદેપુરથી કૉંગ્રેસના નેતા રણજીતસિંહ રાઠવાની સામે ગીતાબહેન રાઠવા 1,11,782 મતથી આગળ ચાલી રહ્યાં છે. જ્યારે બારડોલીથી તુષાર ચૌધરીની સામે પ્રભુભાઈ વસાવા આગળ ચાલી રહ્યાં છે.

શરૂઆતમાં આગળ રહ્યા બાદ અમરેલી લોકસભા બેઠક પરથી કૉંગ્રેસના પરેશ ધાનાણી પાછળ ચાલી રહ્યા છે. 

અમરેલી બેઠક પર ભાજપે નારણભાઈ કાછડિયાને ફરીથી ટિકિટ આપી છે અને રસાકસીનો જંગ છે.

હાલ પરેશ ધાનાણી 3000થી વધારે મતોથી પાછળ થઈ ગયા છે. 

કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આ વિસ્તારમાં બે જાહેરસભા સંબોધી ચૂક્યા છે.

આ બેઠક હેઠળ ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા અને ગારિયાધાર વિધાનસભા બેઠકો આવે છે.

10: 00 રેશ્મા પટેલને હજુ સુધી મળ્યા માત્ર 246 મત

પાટીદાર અનામત આંદોલન થકી જાણીતાં બનેલાં રેશ્મા પટેલને 246 મત મળ્યા છે.

પોરબંદર બેઠક પર ભાજપના રમેશ ધડૂક 33657 મતોથી આગળ છે.

કૉંગ્રેસના લલિત વસોયા 16428 મતથી બીજા ક્રમે છે. મતગણતરી હજુ ચાલુ છે.

10 : 00 ગુજરાતની તમામ બેઠકો પર ભાજપ આગળ

લોકસભા ચૂંટણી 2019નાં પરિણામો માટે મત ગણતરી ચાલી રહી છે ત્યારે લાગે છે કે ગુજરાતમાં ફરી ભાજપનું કમળ ખીલી શકે છે.

ગુજરાતમાં ભાજપ તમામ બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. રાજકોટથી ભાજપના નેતા મોહન કુંડારિયા સૌથી વધારે મતથી આગળ ચાલી રહ્યા છે.

09: 46 'કૉંગ્રેસના ગઢ' ભરૂચમાં ભાજપ આગળ, છોટુ વસાવા પાછળ

ભરૂચ લોકસભા બેઠક પર બીટીપી નેતા છોટુભાઈ વસાવા પાછળ ચાલી રહ્યા છે. 

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપના મનસુખ વસાવા આગળ ચાલી રહ્યા છે. બીજે ક્રમે કૉંગેસના શેરખાન પઠાણ છે.

કૉંગ્રેસે રાજ્યભરમાંથી જે એકમાત્ર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે અને તે શેરખાન પઠાણ છે.

રાજ્યભરમાં આ બેઠક ઉપર સૌથી વધુ મુસ્લિમ મતદાર ધરાવે છે.

વિધાનસભા ચૂંટણી પૂર્વે છોટુભાઈ વસાવાએ ભારતીય ટ્રાઇબલ પાર્ટીની સ્થાપના કરી હતી, જે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી સમુદાય ઉપર પ્રભુત્વ ધરાવે છે.

9: 35મોહન કુંડારીયા ગુજરાતમાં સૌથી આગળ

રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા હાલમાં ગુજરાતમાં સૌથી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં કૉંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્ર બે દિવસ પહેલાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતા તેઓ મતગણતરીના કેન્દ્ર ખાતે હાજર રહી શક્યા નહોતા.

9 : 30 કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણી આગળ

અમરેલી લોકસભા બેઠક પરથી કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણી આગળ ચાલી રહ્યા છે. 

એમની સામે ભાજપના નારણભાઈ કાછડિયા રિપીટ ઉમેદવાર છે.

કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આ વિસ્તારમાં બે જાહેરસભા સંબોધી ચૂક્યા છે.

આ બેઠક હેઠળ ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા અને ગારિયાધાર વિધાનસભા બેઠકો આવે છે.

09 : 17 ભાજપે 20 હજાર કાર્યકર્તાને બોલાવ્યા

ભાજપે નવી દિલ્હી ખાતે તેના કેન્દ્રીય મુખ્યાલયે 20 હજાર કાર્યકર્તાને બોલાવ્યા છે.

ભાજપને આશા છે કે ફરી એક વખત તેનો વિજય થશે અને સત્તા ઉપર પુનરાગમન થશે.

મુખ્યાલયે નરેન્દ્ર મોદીના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે.

09 : 12ફ્લૅશબૅક - EVM વિવાદ

કૉંગ્રેસ સહિત વિપક્ષના 22 પક્ષોએ કેન્દ્રીય ચૂંટણીપંચને રજૂઆત કરી હતી કે EVM વિશ્વાસપાત્ર નથી, તેથી વધુ પગલાં લેવાની જરૂર છે.

ભાજપે કહ્યું હતું કે જ્યારે કૉંગ્રેસ જીતતી હતી, ત્યારે કોઈ વાંધો ન હતો અને હવે ઍક્ઝિટપોલના આધારે એવું લાગે છે કે ભાજપ વિજયી થઈ રહ્યો છે ત્યારે આવો સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે.

09 : 10 મહેસાણામાં ભાજપનાં શારદાબહેન આગળ

મહેસાણાથી ભાજપનાં શારદાબહેન પટેલ આગળ ચાલી રહ્યાં છે. એમની સામે કૉંગ્રેસના એ. જે. પટેલ ઉમેદવાર છે. 

આ બેઠકની જવાબદારી ભાજપને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને આપી હતી.

1984માં ભાજપનો માત્ર બે બેઠક ઉપર વિજય થયો હતો, જેમાં મહેસાણા પણ સમાવિષ્ટ હતી.

દૂધસાગર ડેરી સાથે સંકળાયેલા પશુપાલક આ બેઠક ઉપર નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

ઊંઝા, વીસનગર, બેચરાજી, કડી (SC), મહેસાણા, વીજાપુર અને માણસા વિધાનસભા બેઠકો આ લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે.

9 : 00ગુજરાતમાં કૉંગ્રેસ 2 બેઠકો પર આગળ

ગુજરાતમાં 11 બેઠકો પર ભાજપના ઉમેદવારો અને 2 બેઠકો પર કૉંગ્રેસના ઉમેદવારો આગળ છે. 

ભાજપ આગળ - અમદાવાદ પૂર્વ, કચ્છ, જામનગર, ખેડા, અને દાહોદ, બનાસકાંઠા, વલસાડ, નવસારી, ગાંધીનગર, સુરત પર આગળ છે.

કૉંગ્રેસ સાબરકાંઠા અને પાટણ પર આગળ છે.

08 : 50 ભાજપ 26 બેઠક જાળવી રાખશે?

બીબીસી સાથે લાઇવ ચર્ચામાં બીબીસી સંવાદદાતા હરિતા કાંડપાલ અને રોક્સી ગાગડેકર છારાએ ભાજપના નેતા અને પૂર્વ કૅબિનેટ મંત્રી જયનારાયણ વ્યાસ સાથે વાત કરી. જયનારાયણ વ્યાસે શું કહ્યું?

  • લોકશાહીમાં સત્તાધારી પક્ષ કારનું એન્જિન છે. તેમાં ખોટ આવશે તો આકાશ પાતાળ એક નહીં થાય.
  • ચર્ચા દરમિયાન જયનારાયણ વ્યાસે જણાવ્યું કે ભાજપ જો 26 સીટ જાળવી રાખે તો તેમાં કંઈ નવાઈ નથી.
  • વિપક્ષના વિરોધ મામલે જયનારાયણ વ્યાસે ઉમેર્યું કે વિપક્ષને વિરોધ કરવાનો હક મળવો જોઈએ અને સહિષ્ણુતા હોવી જોઈએ.
  • સાથે જ જરૂરી છે કે વિરોધપક્ષ મજબૂત રહે. વિરોધપક્ષની વિરોધ કરવાની રીત યોગ્ય રહેવી જરૂરી છે.

08 : 45 ગુજરાતમાં છ બેઠકો પર ભાજપ આગળ

ગુજરાતમાં ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ છે.

અમદાવાદ પૂર્વ, કચ્છ, જામનગર, ખેડા, સુરત અને દાહોદ બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે, અત્યાર સુધીનાં વલણો પ્રમાણે કૉંગ્રેસના ઉમેદવાર એક પણ બેઠક પર આગળ નથી.

08 : 40 ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ આગળ

ગાંધીનગર બેઠક પરથી ભાજપ પ્રમુખ અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. એમની સામે કૉંગ્રેસના સી.કે. ડૉ. સી. જે. ચાવડા ઉમેદવાર છે.

ગત વખતે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પરથી વિજેતા થયા હતા.

આ બેઠક પર 2012માં થાનગઢમાં ગોળીબારમાં પુત્ર ગુમાવનારા વાલજીભાઈ રાઠોડ અપક્ષ ઉમેદવાર છે. એ સમયે અમિત શાહ રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હતા.

આ બેઠક પર2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં હુલ્લડના પીડિત ફિરોઝખાન પઠાણે અપના દેશ પાર્ટીની ટિકિટ પર અમિત શાહ સામે ઝંપલાવ્યું છે.

ગાંધીનગરની લોકસભા બેઠક હેઠળ ગાંધીનગર-પૂર્વ, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભા આવે છે.

08 : 30 દાહોદથી ભાજપના જશવંતસિંહ ભાભોર આગળ

દાહોદની અનુસૂચિત જનજાતિ માટેની અનામત બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોર આગળ ચાલી રહ્યા છે. 

એમની સામે કૉંગ્રેસના બાબુભાઈ કટારા ઉમેદવાર છે.

દાહોદ બેઠક હેઠળ સંતરામપુર (ST), ફતેપુરા (ST), ઝાલોદ (ST), લીમખેડા (ST), દાહોદ, ગરબાડા (ST) અને દેવગઢ બારિયા આ લોકસભા ક્ષેત્ર હેઠળ આવતી વિધાનસભા બેઠકો છે.

08 : 15 બીબીસીના સંવાદદાતા દિવસભર આપતા રહેશે ગુજરાતથી અહેવાલ

08 : 10આણંદમાં કોની આણ વર્તાશે?

આણંદ (નંબર- 16) બેઠક ઉપર ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ડૉ. મનમોહનસિંઘ સરકારમાં પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી ઉમેદવાર છે. (વિસ્તૃત અહેવાલ : કૉંગ્રેસના ભરતસિંહ સોલંકી અને ભાજપના મિતેષ પટેલ વચ્ચે ચૂંટણીજંગ )

સોલંકીની સામે ભાજપે મિતેષ પટેલને ઉતાર્યા છે.

પટેલની પર ગોધરાકાંડ બાદ થયેલાં તોફાનમાં સંડોવણીના આરોપ લાગ્યા હતા.

બાદમાં કોર્ટે તેમને આરોપમુક્ત જાહેર કર્યા હતા, જેની સામે ગુજરાત સરકાર હાઈકોર્ટમાં ગઈ છે.

આ બેઠક પરંપરાગત રીતે કૉંગ્રેસનો ગઢ રહી છે. ભરતસિંહ સોલંકીના નાના ઇશ્વરસિંહ ચાવડા આ બેઠક ઉપરથી કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા હતા.

જોકે, 2014માં મોદીની લહેરમાં કૉંગ્રેસના આ ગઢનું પતન થયું છે.

ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન સોલંકીએ કહ્યું હતું કે 'જો આ બેઠક ઉપરથી કૉંગ્રેસ નહીં જીતે, તો કોઈ બેઠક ઉપરથી નહીં જીતે.'

08 : 00 મતગણતરી શરૂ

લોકસભા ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા દેશભરમાં શરૂ કરી દેવામાં આવી છે.

કૉંગ્રેસ અને ભાજપ બન્ને મુખ્ય રાજકીય પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે.

સૌપ્રથમ પોસ્ટલ બૅલેટની ગણતરી શરૂ થઈ છે.

કઈ બેઠક પર કોણ છે આગળ? સતત અપડેટ્સ માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.

8 : 00અમદાવાદમાં બીબીસી ગુજરાતીનો ખાસ કાર્યક્રમ

બીબીસી ગુજરાતી લોકસભાનાં પરિણામો અંગે અમદાવાદમાં ખાસ કાર્યક્રમ કરી રહી છે.

આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો હાજર રહેશે અને તેઓ પરિણામો અને રાજકીય સ્થિતિ મામલે ચર્ચા કરશે.

આ કાર્યક્રમ તમે અમારાં ફેસબુક પૅજ, ટ્વિટર અને યૂટ્યૂબ પર નિહાળી શકશો.

8 : 50 ટૂંક સમયમાં જ મતગણતરી શરુ થશે. જેમાં 8,040 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.

7 : 40 સુરતમાં શું થશે?

1989થી આ બેઠક ઉપર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. હીરા અને સાડી ઉદ્યોગના હબમાં કાશીરામ રાણાએ ભાજપનો પાયો નાખ્યો હતો, 2009 સુધી તેઓ આ બેઠક ઉપરથી સાંસદ રહ્યા. (વિસ્તૃત અહેવાલ : ભાજપના દર્શનાબહેન જરદોશ સાથે કૉંગ્રેસના અશોક અધવેડાનો મુકાબલો )

સુરત (બેઠક નંબર 24)માં ભાજપનાં દર્શનાબહેન જરદોશ તથા કૉંગ્રેસના અશોક અધવેડાને મેદાનમાં ઉતાર્યા છે.

એક સમયે પૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈ આ બેઠક ઉપરથી ઉમેદવાર રહી ચૂક્યા છે.

ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કરંજ, કતારગામ અને સુરત પશ્ચિમ બેઠક આ લોકસભા વિસ્તાર હેઠળ આવે છે.

7 : 20 AM - રાજકોટની બેઠક કેમ મહત્ત્વની?

સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર ગણાતી રાજકોટની બેઠક ઉપર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો છે. ભાજપે પૂર્વ કેન્દ્રીય પ્રધાન મોહનભાઈ કુંડારિયાને ફરી એક વખત ટિકિટ આપી છે. (વિસ્તૃત અહેવાલ માટે વાંચો : ભાજપના મોહનભાઈ કુંડારિયા તથા કૉંગ્રેસના લલિત કગથરા વચ્ચે ટક્કર)

કૉંગ્રેસે ટંકારાની બેઠક ઉપરથી વર્તમાન ધારાસભ્ય લલિત કગથરાને મેદાનમાં ઉતાર્યા હતા.

પરંપરાગત રીતે આ બેઠક ભાજપનો ગઢ રહી છે. ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી આ બેઠક ઉપરથી પ્રતિનિધિ હોવાને કારણે તેમના માટે આ બેઠક પ્રતિષ્ઠાનો જંગ છે.

કૉંગ્રેસે કગથરા સહિત કુલ આઠ વર્તમાન ધારાસભ્યોને લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપી હતી.

કેશુભાઈ પટેલ તથા હાલમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટમાં ભાજપના ગઢ સ્થાપિત કર્યો.

2009ની ચૂંટણીને બાદ કરતા છેલ્લા લગભગ અઢી દાયકાથી રાજકોટની બેઠક ઉપર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. 2009માં ભાજપ પાસેથી આ બેઠક ઝૂંટવનારા કુંવરજીભાઈ બાવળિયા હવે ભાજપમાં છે અને રાજ્ય સરકારમાં કૅબિનેટ કક્ષાના મંત્રી છે.

7: 00 AM- વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ગૃહ રાજ્ય ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે.

ગત 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો જીતી લીધી હતી, જે આજ સુધીનું તેમનું સૌથી સારું પ્રદર્શન છે.

જોકે, આ વખતે EVM તથા VVPATનાં પરિણામની સરખામણી કરવાની હોવાથી પરિણામો આવવામાં ત્રણથી ચાર કલાકનું મોડું થશે.

ગુજરાતની 26 બેઠકો પર કોણ બાજી મારશે અને કોણ હારશે તે તમે અહીં જોઈ શકશો. અહીં 26 બેઠકોની મતગણતરી તમે એકસાથે લાઇવ જોઈ શકશો.

ગુજરાતની આ પાંચ મહત્ત્વની બેઠકો પર પણ નજર રહેશે.

ગાંધીનગર : અમિત શાહ વિ. ડૉ. સી. જે. ચાવડા

ગાંધીનગર (નંબર- 6) બેઠક ઉપર કૉંગ્રેસના ડૉ. સી. જે. ચાવડા તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહની વચ્ચે મુખ્ય મુકાબલો રહેશે.

ગત વખતે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પરથી વિજેતા થયા હતા.

  • 2012માં થાનગઢમાં ગોળીબારમાં પુત્ર ગુમાવનારા વાલજીભાઈ રાઠોડ અપક્ષ ઉમેદવાર છે. એ સમયે અમિત શાહ રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હતા.
  • 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં હુલ્લડના પીડિત ફિરોઝખાન પઠાણે અપના દેશ પાર્ટીની ટિકિટ પર અમિત શાહ સામે ઝંપલાવ્યું છે.
  • આ સિવાય પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને શંકરસિંહ વાઘેલા (એ સમયે ભાજપમાં) પણ આ બેઠક પરથી સંસદ સુધી પહોંચ્યા હતા.
  • ગાંધીનગરની લોકસભા બેઠક હેઠળ ગાંધીનગર-પૂર્વ, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભા આવે છે.
  • આ બેઠક ઉપર 1003707 પુરુષ, 941395 તથા 47 અન્ય સહિત કુલ 1945149 મતદાતા છે.

અમરેલી : પરેશ ધાનાણી વિ. નારણભાઈ કાછડિયા

અમરેલી (નંબર- 14) પરથી ભાજપે નારણભાઈ કાછડિયાને રિપીટ કર્યા છે.

તેમની સામે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી મેદાનમાં છે.

ગત વખતે વીરજીભાઈ ઠુમ્મરને કૉંગ્રેસે ટિકિટ આપી હતી.

  • કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આ વિસ્તારમાં બે જાહેરસભા સંબોધી ચૂક્યા છે.
  • ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા અને ગારિયાધાર આ લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભાની બેઠકો છે.
  • 843668 પુરુષ, 784291 મહિલા અને 21 અન્ય સહિત આ બેઠક ઉપર કુલ 1627980 મતદાતા છે.

આણંદ: ભરતસિંહ સોલંકી વિ. મિતેષ પટેલ

આણંદ (નંબર- 16) બેઠક ઉપર ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ડૉ. મનમોહનસિંઘ સરકારમાં પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી ઉમેદવાર છે.

સોલંકી ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી તથા પૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે.

માધવસિંહે ગુજરાતમાં KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) સમાજને સાધીને 149 બેઠક ઉપર કૉંગ્રેસને વિજય અપાવ્યો હતો. આ રેકર્ડ હજુ સુધી તૂટ્યો નથી.

સોલંકીની સામે ભાજપે મિતેષ પટેલને ઉતાર્યા છે. પટેલની પર ગોધરાકાંડ બાદ થયેલાં તોફાનમાં સંડોવણીના આરોપ લાગ્યા હતા.

બાદમાં કોર્ટે તેમને આરોપમુક્ત જાહેર કર્યા હતા, જેની સામે ગુજરાત સરકાર હાઈકોર્ટમાં ગઈ છે.

સોલંકીના પિતરાઈ તથા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડા આ મતક્ષેત્ર હેઠળ આવતી અંકલાવ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.

અહીં જ અમૂલ મારફત દેશભરમાં 'શ્વેતક્રાંતિ'નાં મંડાણ થયાં હતાં.

આ બેઠક પરંપરાગત રીતે કૉંગ્રેસનો ગઢ રહી છે. ભરતસિંહ સોલંકીના નાના ઇશ્વરસિંહ ચાવડા આ બેઠક ઉપરથી કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા હતા.

ખંભાત, બોરસદ, અંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજિત્રા એમ સાત વિધાનસભા બેઠક આ લોકસભા મતક્ષેત્ર હેઠળ આવે છે.

આ બેઠક ઉપર 854202 પુરુષ, 801032 મહિલા, 108 અન્ય સહિત કુલ 1655342 મતદાતા છે.

બારડોલી : ડૉ. તુષાર ચૌધરી વિ. પ્રભુભાઈ વસાવા

બારડોલી (નંબર- 23) બેઠક પર ડૉ. મનમોહનસિંઘ સરકારમાં મંત્રી ડૉ. તુષાર ચૌધરી અને ભાજપના પ્રભુભાઈ વસાવા વચ્ચે મુખ્ય સ્પર્ધા છે.

ડૉ. ચૌધરી ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે. આ બેઠક શિડ્યુલ્ડ ટ્રાઇબ માટે અનામત છે.

  • આ બેઠક પરંપરાગત રીતે કૉંગ્રેસનો ગઢ રહી છે અને મહારાષ્ટ્રની નંદુરબાર બેઠક તેની સાથે જોડાયેલી રહી છે.
  • માંગરોળ (ST), માંડવી (ST), કામરેજ, બારડોલી (SC), મહુવા (ST), વ્યારા (ST) અને નિઝર (ST) વિધાનસભા બેઠકો આ બેઠક હેઠળ આવે છે.

જૂનાગઢ : રાજેશ ચૂડાસમા વિ. પૂંજા વંશ

જૂનાગઢની બેઠક ઉપર ભાજપે રાજેશ ચૂડાસમાને રિપીટ કર્યા છે, સામે કૉંગ્રેસે પૂંજા વંશને ટિકિટ આપી છે.

2014માં પણ ચૂડાસમાએ તેમના હરીફ વંશને પરાજય આપ્યો હતો. બંને ઉમેદવાર કોળી સમુદાયના છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતના ચૂંટણીપ્રચારની શરૂઆત જૂનાગઢ ખાતેથી કરી હતી.

  • હિંદુઓનાં 12 પવિત્ર શિવલિંગોમાંનું એક સોમનાથ આ બેઠક હેઠળ આવે છે.
  • કેસર કેરી માટે વિખ્યાત તાલાલા પણ આ લોકસભા બેઠક હેઠળ જ આવે છે.
  • જૂનાગઢ, વીસાવદર, માંગરોળ, સોમનાથ, તાલાલા, કોડીનાર તથા ઊના લોકસભા ક્ષેત્ર હેઠળ આવતી વિધાનસભા બેઠકો છે.
  • 847660 પુરુષ, 793852 મહિલા અન્ય 16 સહિત કુલ 1641528 મતદાતા છે.

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક છે, જેમાં 20 બેઠકો બિનઅનામત છે, ચાર બેઠકો શિડ્યુલ્ડ ટ્રાઇબ તથા બે બેઠકો શિડ્યુલ્ડ કાસ્ટ માટે અનામત રાખવામાં આવી છે, જેથી તમામ વર્ગોને પ્રતિનિધિત્વ મળી રહે.

નવસારી, અમરેલી, પોરબંદર, આણંદ, વડોદરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ ઇસ્ટ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ખેડા, પંચમહાલ, ભરૂચ, સુરત અને નવસારી બિનઅનામત બેઠક છે.

જ્યારે દાહોદ, બારડોલી, વલસાડ અને છોટાઉદેપુર બેઠકો શિડ્યુલ્ડ ટ્રાઇબ (ST) માટે અનામત રાખવામાં આવી છે.

અમદાવાદ વેસ્ટ અને કચ્છ બેઠક શિડ્યુલ્ડ કાસ્ટ (SC) માટે અનામત રાખવામાં આવી છે.

ગુજરાતમાં 51709 મતદાન મથકો ઉપર 4.47 કરોડ મતદાતા મતાધિકારનો ઉપયોગ કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો