You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભા ચૂંટણી ત્રીજો તબક્કો : સાઇન્લસ પિરિયડ, આચારસંહિતા અને NOTA એટલે શું?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
મંગળવારે ગુજરાતભરમાં મતદાન યોજાશે, આ પહેલાં રવિવાર સાંજથી 48 કલાકનો 'સાઇલન્સ પિરિયડ' અમલમાં આવી ગયો.
લોકપ્રતિનિધિ પ્રતિનિધિ ધારાની કલમ 126 હેઠળ લોકસભા, વિધાનસભા કે કોઈપણ પેટાચૂંટણી પૂર્વે તે અમલમાં આવે છે.
આ ગાળામાં કોઈ પક્ષ કે ઉમેદવાર જાહેરસભા ન કરી શકે, અણિના સમયે મતદારને પ્રભાવિત ન કરી શકાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ગાળા દરમિયાન ઉમેદવાર 'ડોર-ટુ-ડોર' પ્રચાર કરી શકે છે.
ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ જેવાં સોશિયલ નેટવર્કિંગ પ્લૅટફૉર્મ્સને કારણે તેની અસરકારકતા ઘટી ગઈ છે.
Electronic Voting Machine
EVM એટલે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (Electronic Voting Machine), દરેક મશીનમાં લગભગ બે હજાર મત નાખી શકાય છે અને બૂથ સ્તરના અધિકારી કંટ્રોલ યુનિટ પરથી બટન દબાવે, તે પછી જ મતદાન થઈ શકે છે.
બેટરીથી ચાલતા ઈવીએમને આપાતકાલીન સંજોગોમાં તે મતદાનને અટકાવવા માટે 'લૉક' પણ કરી શકે છે.
કુલ 64 ઉમેદવારોનાં નામ (અને તસવીર)ને સમાવિષ્ટ કરી શકાય છે. ભારત ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ (બેંગ્લુરુ) અને ઇલેક્ટ્રૉનિક્સ કૉર્પોરેશન ઑફ ઇંડિયા (હૈદરાબાદ) દ્વારા તેનું નિર્માણ કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનને હેક કરી શકાય છે તથા તેની સાથે ચેડાં થઈ શકે છે, તેવા આરોપ સમયાંતરે લાગતા રહ્યા છે, જેને ચૂંટણી પંચે હંમેશા નકાર્યાં છે.
ચૂંટણી પંચના નિર્દેશ મુજબ ઈવીએમનો ડેટા બહારની વ્યક્તિ સાથે શૅર ન થઈ શકે.
અગાઉ બૅલેટ પેપરથી મત ગણતરી કરવામાં 40 કલાક જેટલો સમય લાગતો, પરંતુ ઈવીએમની મદદથ આ કામગીરી લગભગ ત્રણથી પાંચ કલાકમાં પૂર્ણ થઈ જાય છે.
કાગળનો ઉપયોગ ન થતો હોવાથી તેને 'ઇકો-ફ્રેન્ડલી' વિકલ્પ માનવામાં આવે છે.
આ વિશે વધુ વાંચો
Voter Verifiable Paper Audit Trail
VVPAT એટલે વોટર વૅરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ (Voter Verifiable Paper Audit Trail). મતદાતા મત આપે તે પછી કાગળની ચિઠ્ઠી નીકળે છે.
એક રીતે તેને 'રસિદ કે પહોંચ' ગણી શકાય. જેના આધારે મતદાતાને માલૂમ પડે છે કે તેણે કોને મત આપ્યો. ઉમેદવારનું નામ તથા તેનું ચૂંટણી ચિહ્ન તેની ઉપર છપાયેલાં હોય છે.
ઈવીએમ સાથે લાગેલી સ્ક્રિન ઉપર લગભગ સાત સેકંડ સુધી આ કાપલી જોઈ શકાય છે.
17મી લોકસભા ચૂંટણી વખતે તમામ બેઠકો ઉપર VVPATનો ઉપયોગ થશે. આ અંગે જૂન-2014માં જ ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી હતી.
દરેક વિધાનસભા બેઠકમાંથી એક મશીનમાંથી આવેલાં પરિણામ અને VVPATને સરખાવવામાં આવશે.
ભારત ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ (બેંગ્લુરુ) અને ઇલેક્ટ્રૉનિક્સ કૉર્પોરેશન ઑફ ઇંડિયા (હૈદરાબાદ) દ્વારા તેને ડિઝાઇન કરવામાં આવ્યાં છે.
ગત વખતે ગુજરાતમાં માત્ર ગાંધીનગરની એકમાત્ર લોકસભા બેઠકમાં VVPATનો ઉપયોગ થયો હતો. વર્ષ 2013માં નાગાલૅન્ડ વિધાનસભા ચૂંટણી દરમિયાન તેનો ઉપયોગ થયો હતો.
None Of The Above
સપ્ટેમ્બર-2013માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે મતદાતાને 'તમામ ઉમેદવારો'ને નકારવાનો અધિકાર મળવો જોઈએ.
જેના પગલે NOTA (None Of The Above)નો વિકલ્પ આપવામાં આવ્યો હતો.
બૅલેટ પેપર દ્વારા મતદાન વખતે મતદાતા પ્રિસાઇડિંગ ઑફિસર પાસેથી ફૉર્મ 17-અ ભરીને 'કોઈ નહીં'નો વિકલ્પ વાપરી શકતો.
NOTAનો લોગો અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. ઈવીએમના નિશાનની ઉપર 'X'નું નિશાન એ તેનો સિમ્બૉલ છે.
ફિનલૅન્ડ, સ્પેન, સ્વીડન, ચીલી, બૅલ્જિયમ, ગ્રીસ અને ફ્રાન્સ જેવા રષ્ટ્રોમાં મતદાતાને NOTAનો વિકલ્પ મળેલો છે.
ઉમેદવાર માટે આદર્શ આચારસંહિતા
ચૂંટણી કાર્યક્રમની જાહેરાતની સાથે આદર્શ આચારસંહિતા એટલે કે Model Code of Conduct અમલમાં આવી જાય છે.
ઉમેદવાર જ્ઞાતિ-જાતિ કે કોમની લાગણીઓને ઉશ્કેરે તેવી ભાષા ન વાપરી શકે અને તેના આધારે મતદાતાને આકર્ષવાનો પ્રયાસ ન કરી શકે.
મંદિર, મસ્જિદ કે ચર્ચ જેવા ધાર્મિક સ્થળોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે ન કરી શકે.
મતદાતાને મત આપવા માટે 'પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ' રીતે 'નાણાકીય કે અન્ય કોઈ રીતે' મત આપવા માટે લાલચ ન આપી શકે.
મતદાન સમાપ્ત થાય તેના 48 કલાક પૂર્વ ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જાય છે, આ ગાળા દરમિયાન ઉમેદવાર 'ડોર-ટુ-ડોર' પ્રચાર કરી શકે છે, પરંતુ સામૂહિક પ્રસાર-પ્રસારના માધ્યમો ઉપર જાહેરાત ન આપી શકે.
જોકે, ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ જેવા સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ્સને કારણે તેની અસરકારકતા ઘટી ગઈ છે.
સરકાર માટે MCC
કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર મતદારોને 'આકર્ષિત' કે 'પ્રભાવિત' કરી શકે તેવી જાહેરાત ન કરી શકે.
આ સિવાય લોકહિતની કોઈ યોજનાનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કે ઉદ્ઘાટન ન કરી શકે.
સરકારી પદાધિકારીઓની જાહેરખબરો અને તેની યોજનાઓની પ્રચાર સામગ્રી જાહેરમાંથી હટાવી દેવામાં આવે છે.
સત્તામાં રહેલો પક્ષ સરકારી સંશાધનોનો ઉપયોગ પક્ષના ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન ન કરી શકે. 'સરકારી અને પ્રચારના કામ' એકસાથે ન કરી શકે.
જો સરકાર દ્વારા પ્રજાના પૈસે જાહેરાત આવામાં આવે તો તેને આદર્શ આચારસંહિતાના ભંગ સમાન ગણવામાં આવે છે.
ત્યારબાદ તમામ સરકારી સંસાધનો (જાહેર મેદાન, હેલિપેડ, સરકારી પ્રસાર માધ્યમો ઉપર પ્રચાર સમય) વગેરે ઉપર તમામ માન્યતા પ્રાપ્ત પક્ષોનો અધિકાર સમાનપણે રહે છે.
તમામ તબક્કાનું મતદાન પૂર્ણ ન થઈ જાય, ત્યારસુધી ઈવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ને સીસીટીવી, કેન્દ્રીય સુરક્ષાબળ અને બહુસ્તરીય સુરક્ષાની વચ્ચે સીલબંધ રૂમમાં સુરક્ષિત રીતે સાચવી રાખવામાં આવે છે.
કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ પ્રમાણે, અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થાય, તે પછી જ ઍક્ઝિટ પોલ્સ બહાર પાડી શકાય છે.
અંતિમ તબક્કાના બેથી ત્રણ દિવસની અંદર મતગણતરી હાથ ધરવામાં આવે છે.
સ્ટાર પ્રચારક એટલે શું?
જ્યારે કોઈ રાજકીય પક્ષ ચૂંટણી પ્રચાર દરમિયાન ચોક્કસ નેતા કે હસ્તી ઉપર મોટો દાવ લગાવા માગતો હોય ત્યારે તેનું નામ 'સ્ટાર પ્રચારક' તરીકે આપવામાં આવે છે.
ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડે, તેના સાત દિવસની અંદર સ્ટાર પ્રચારકોની યાદી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને સુપ્રત કરવાની હોય છે અને તેઓ જ યાદી ઉપર મંજૂરીની મહોર મારતા હોય છે.
સ્ટાર પ્રચારકોની યાદી અલગ-અલગ રાજ્ય માટે અલગ-અલગ હોય શકે છે.
રાષ્ટ્રીય પક્ષો મહત્તમ 40, જ્યારે પ્રાદેશિક પક્ષો મહત્તમ 20 નેતાઓના નામ સ્ટાર પ્રચારક તરીકે આપી શકે છે.
નહીં નોંધાયેલી સ્થાનિક પાર્ટી પણ મહત્તમ 20 લોકોના નામ સ્ટાર પ્રચારક તરીકે આપી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો