You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુલવામા CRPF હુમલો : કાશ્મીરના ભાગલાવાદી નેતાઓની સુરક્ષા પરત ખેંચી
ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ સરકારે પાંચ ભાગલાવાદી નેતાઓની સુરક્ષા પરત ખેંચી લીધી છે.
ઉલ્લેખનીય છે કે પુલવામા જિલ્લામાં CRPFના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાનોનાં મૃત્યુ થયાં હતાં.
જે ભાગલાવાદીઓની સુરક્ષા પરત લેવામાં આવી છે તેમાં મીરવાઇઝ ઉમર ફારુક, અલ્દુલ ગની બટ, બિલાલ લોન, હાશિમ કુરૈશી અને શબીર શાહનો સમાવેશ થાય છે. આ યાદીમાં સૈયદ અલી શાહ ગિલાનીનો સમાવેશ થતો નથી.
સમાચાર એજન્સી પીટીઆઈએ સુરક્ષા અધિકારીઓના હવાલાથી કહ્યું છે કે સરકાર કોઈ પણ ભાગલાવાદી નેતાઓને સુરક્ષા આપવામાં આવશે નહીં.
રવિવારની સાંજ સુધીમાં આ નેતાઓની સુરક્ષા હટાવી લેવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે શનિવારના રોજ એક ઉચ્ચસ્તરીય બેઠક કર્યા બાદ આ નિર્ણય લીધો હતો.
આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ગૃહસચિવ રાજીવ ગઉબા અને ઇન્ટેલિજન્સ બ્યૂરોના નિદેશક રાજીવ જૈન હાજર હતા.
આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષા અને પાકિસ્તાન વિરુદ્ધ પગલાં લેવાં અંગે ચર્ચા થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજનાથ સિંહે આપ્યા હતા સંકેત
શુક્રવારના રોજ શ્રીનગર ખાતે પત્રકાર પરિષદમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે જેઓ પાકિસ્તાન અને આઈએસઆઈ પાસેથી ફંડ લે છે તેમને મળેલી સરકારી સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે.
રાજનાથ સિંહે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં અમુક એવાં તત્ત્વો છે જેમનો સંબંધ ઉગ્રવાદી સંગઠનો સાથે છે.
જમ્મુ-કાશ્મીર સરકારના ગૃહસચિવે ભાગલાવાદી નેતાઓની સુરક્ષાની સમીક્ષા કરી હતી, જેમાં મોટાભાગના નેતાઓને રાજ્ય પોલીસની સુરક્ષા મળેલી છે.
હુર્રિયત નેતાઓમાં મીરવાઇઝ ઉમર ફારુક, અબ્દુલ ગની બટ અને મૌલાના અબ્બાસ અંસારીને રાજ્ય પોલીસની સુરક્ષા મળેલી છે.
ભાગલાવાદી નેતાઓએ કાશ્મીર સમસ્યાના ઉકેલમાં થઈ રહેલા વિલંબને આ હુમલાનું કારણ ગણાવ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો