You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓક્સફામ રીપોર્ટ : ભારતમાં ફકત 9 લોકોની સંપત્તિ 65 કરોડ લોકો જેટલી, આ નવમાં પાંચ ગુજરાતીઓ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કોઈ પણ દેશમાં ધનિકોની વધતી સમૃદ્ધિ અને ગરીબોની વધતી સંખ્યાએ આર્થિક ક્ષેત્રે ચિંતાનો વિષય હોય છે.
આર્થિક અસમાનતા એ કોઈ પણ દેશની નબળી આર્થિક સ્થિતિ દર્શાવે છે.
હાલમાં સ્વિત્ઝરલૅન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકૉનૉમિક ફૉરમની બેઠક યોજાઈ રહી છે, જેમાં દુનિયાના ઉદ્યોગપતિઓ અને નેતાઓ મળી રહ્યા છે.
તે પહેલાં જ ઓક્સફામ ઇન્ટરનેશનલ દ્વારા વાર્ષિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે.
જેમાં જણાવાયું છે કે છેલ્લા એક વર્ષમાં ભારતમાં અબજોપતિની આવકમાં 12 ટકાનો એટલે કે દરેક દિવસે લગભગ 2.5 બિલિયન ડૉલરનો વધારો થયો.
જ્યારે દેશના સૌથી ગરીબ 50 ટકા લોકોની સંપતિમાં 11 ટકાનો ઘટાડો થયો છે.
રિપોર્ટ દેશના નવ લોકો પાસે દેશની વસતિના 50 ટકા મિલકત છે. મતલબ 130 કરોડ વસતિ ગણીએ તો 65 કરોડ પાસે જેટલી સંપત્તિ છે એટલી ફકત 9 લોકો પાસે છે.
આ નવમાં લોકોમાં પાંચ ગુજરાતીઓનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેમાં મુકેશ અંબાણી, અઝિમ પ્રેમજી, દિલીપ સંઘવી, ઉદય કોટક અને ગૌતમ અદાણીનો સમાવેશ થાય છે.
'પબ્લિક ગૂડ ઓર પ્રાઇવેટ વેલ્થ' રીપોર્ટમાં જણાવાયું છે કે દુનિયાની ગરીબી સામેની લડતને ગરીબ અને અબજપતિઓ આ વચ્ચેનું અંતર નબળું પાડી રહ્યું છે.
તેમાં જણાવાયું છે કે એક તરફ સરકાર આરોગ્ય અને શિક્ષણ જેવી જાહેર સેવાઓ પાછળ રોકાણ ઘટાડી રહી છે અને ધનિકોને કરમાં રાહત આપી રહી છે, તે આર્થિક અસમાનતા વધારે છે.
તેમાં એમ પણ જણાવાયું છે કે મહિલાઓ અને છોકરીઓને આ આર્થિક અસમાનતાનો સૌથી વધુ ભોગ બનવું પડે છે.
આ અંગે ઓક્સફામ ઇન્ટરનેશનલના ઍક્ઝિક્યુટીવ ડિરેક્ટર વિન્ની બૅનિમા જણાવે છે, "તમારા બૅન્ક અકાઉન્ટ પરથી તમારાં બાળકો કેટલાં વર્ષ ભણ્યાં અને તમે કેટલાં વર્ષ જીવ્યાં એ ખ્યાલ ન આવે. પણ ઘણા દેશોની આ જ વાસ્તવિકતા છે."
"ઉદ્યોગો અને અબજોપતિઓ કરના નીચા દરોનો લાભ લે છે, સામે અસંખ્ય છોકરીઓ યોગ્ય શિક્ષણ નથી લઈ શકતી અને મહિલાઓ માતૃત્વ દરમિયાન યોગ્ય સારવારના અભાવે મૃત્યુ પામે છે."
આ અહેવાલમાં દર્શાવ્યા પ્રમાણે મંદી બાદ અબજપતિઓની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે.
2017થી 2018 દરમિયાન દર બે દિવસે એક નામ અબજોપતિઓની યાદીમાં ઉમેરાયું છે.
આ અહેવાલમાં સામે આવેલાં તારણો મુજબ જાહેર સેવાઓ દિવસે ને દિવસે વધુ નબળી થઈ રહી છે અથવા ખાનગી કંપનીઓને સોંપાઈ રહી છે, જેમાં ગરીબોની અવગણના કરવામાં આવે છે.
ઘણા દેશોમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ એટલી મોંઘી થઈ ગઈ છે કે ગરીબોને પોસાય એમ જ નથી.
તમે આ વાંચ્યું કે નહીં?
વિન્ની બૅનિમા ઉંમેરે છે, "દુનિયાભરમાં સામાન્ય લોકો ગુસ્સામાં છે અને અકળાયેલા છે."
"આ ધનપતિઓ આરોગ્ય અને શિક્ષણ જેવી જાહેર સેવાઓમાં પોતાની સંપતિનું રોકાણ કરે અને મહિલાઓ તેમજ છોકરીઓની માગને ધ્યાનમાં લેવાય એ દરેક સરકારની જરૂરિયાત બની ગઈ છે."
"માત્ર કેટલાક વૈભવી લોકો ઉપરાંત દરેક માટે સરકાર એક ઉજ્જવળ ભવિષ્યની રચના કરી શકે છે."
ઓક્સફામના આ અહેવાલના આધારે તેમણે આ વૈશ્વિક પડકારનો સામનો કરવા માટે 3 બાબતો સૂચવી છે, જે નોંધવા લાયક છે.
અસામનતાનો પડકાર
આર્થિક સમાનતા એ આજે દુનિયા સામેનો સૌથી મોટો પડકાર છે. વધતી આવક અને આર્થિક અસમાનતા સામાજિક અસ્થિરતા વધારે છે.
આ અહેવાલ મુજબ દુનિયાના અન્ય દેશો બેકારી અને અર્ધ બેકારીને પાંચમી સૌથી જોખમી બાબત માને છે, જ્યારે ભારતીય ઉદ્યોગપતિઓ તેને અઢારમાં ક્રમે મૂકે છે.
તેના માટેનાં બે કારણો દર્શાવાયાં છે. ભારતીય ઉદ્યોગપતિઓ માને છે કે તેઓ આ વૈશ્વિક સમસ્યાઓ સામે લડવા સક્ષમ છે અથવા તેઓને આ બાબત જોખમી નથી લાગતી.
આરોગ્ય ક્ષેત્રનાં જોખમો
જ્યારે અન્ય દેશમાં ખાનગી એકમો વિવિધ રોગો સામે લડતમાં આગળ આવી રહ્યા છે, ત્યારે ભારતીય ઉદ્યોગો ચેપી રોગોને જોખમની યાદીમાં નથી ગણતા.
ભારતીય અર્થતંત્રમાં શહેરીકરણ અને ક્લાઇમેટ ચૅન્જ સૌથી મોટી સમસ્યાઓ છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડા મુજબ એચઆઈવી, ટીબી અને મલેરિયા જેવા રોગો દેશના આરોગ્યક્ષેત્રના ભારમાં સૌથી મોટો વધારો કરે છે.
ભારતીય ઉદ્યોગોની સમૃદ્ધિ તેના ભવિષ્યના ગ્રાહકો અને કર્મચારીઓના આરોગ્યથી જ સંભવ છે.
લિંગભેદ
દુનિયાના દેશોમાં લિંગભેદના ક્રમમાં ભારત 145માંથી 108માં ક્રમે છે.
જ્યારે આર્થિક ક્ષેત્ર તફાવતના આંકડામાં આ ક્રમ 139એ પહોંચ્યો છે.
મહિલાઓ અને પુરુષોના આર્થિક તફાવત બાબતે ભારતે હજુ ઘણું કરવાનું બાકી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો