BBC TOP NEWS : રાજ્યની 2500 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ થવાના આરે

આર્થિક રીતે બોજો બનેલી રાજ્યની 2500 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ થવાના આરે છે.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાથ ધરાયેલા સરવેમાં આ વિગતો બહાર આવી છે.

સરવે મુજબ આ શાળાઓમાંથી કેટલીક શાળા એવી પણ છે, જ્યાં માત્ર એક જ વિદ્યાર્થી અભ્યાસ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ સરવેમાં જાણવા મળ્યું છે કે રાજ્યમાં 555 શાળાઓ એવી છે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા સિંગલ ડિજિટમાં છે.

અહેવાલ મુજબ આગામી 27મી નવેમ્બરે મળનારી શિક્ષણ બોર્ડની બેઠકમાં આ શાળાઓનું ભવિષ્ય નક્કી થશે.

અહેવાલ મુજબ જે શાળામાં ઓછા વિદ્યાર્થી હશે તેમને નજીકની શાળામાં ઍડમિશન આપવાનું પણ બોર્ડનું આયોજન છે.

અનુસૂચિત જાતિ માટે પાછલાં 30 વર્ષમાં 5068 કરોડ રૂપિયા ઓછા ખર્ચાયા

રાજ્યમાં અનુસૂચિત જાતિના સબ પ્લાન માટે ફાળવવામાં આવેલા બજેટમાંથી પાછલાં 30 વર્ષમાં રૂપિયા 5068 કરોડનો ખર્ચ નહીં કરાયો હોવાની વિગતો એક અભ્યાસમાં બહાર આવી છે

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, અમદાવાદના 'પાથેય બજેટ સેન્ટર' દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રાજ્યમાં અનુસૂચિત જાતિની વસતિના પ્રમાણમાં પૂરતું બજેટ ફાળવવામાં આવ્યું નથી.

અહેવાલ મુજબ રાજ્યમાં અનુસૂચિત જાતિની વસતિ 7 ટકા છે. રાજ્યના 40.74 લાખના એસસી સમુદાય માટે સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ પૂરતું બજેટ ફાળવવામાં આવ્યું નથી.

ગાજા સાઇક્લોન: 76,000 લોકોનું સ્થળાંતર કરાયું

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટમાં પ્રકાશિત અહેવાલ મુજબ 'ગાજા' ચક્રાવાતની અગમચેતીના ભાગરૂપે તમિલનાડુમાં અત્યાર સુધી 76,000 લોકોનું સ્થળાંતર કરાયું છે.

ચક્રવાત ગાજા શુક્રવારે રાજ્યના પુડ્ડુચેરીના કાંઠે ટકરાવાની શક્યતાના પગલે રાજ્યના અનેક જિલ્લાની શાળા કૉલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

ચક્રવાતના ભારે પવનના લધી અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે

રાજ્યના 6 જિલ્લામાં રાહત કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 76,290 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ચક્રવાતમાં ફસાયેલા લોકોની મદદ માટે રાજ્ય સરકારે 1077 અને 1070 નંબરની વિશેષ હેલ્પલાઇન શરૂ કરી છે.

'દલિત' શબ્દના પ્રયોગ પર પ્રતિબંધ ન હોઈ શકે: પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા

'ધ હિંદુ' ની વેબસાઈટમાં પ્રકાશિત અહેવાલ મુજબ 'પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા'એ જણાવ્યું હતું કે મીડિયામાં 'દલિત' શબ્દના પ્રયોગ પર પ્રતિબંધ ન હોઈ શકે.

પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના નેજા હેઠળ દેશના પ્રિન્ટ મીડિયાનું નિયમન કરવામાં આવે છે.,

તાજેતરમાં જ દેશના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા એક નિર્દેશ બહાર પાડવામાં આવ્યો હતો.

આ નિર્દેશમાં બોમ્બે હાઇકોર્ટના ચુકાદાને ટાંકીને જણાવાયું હતું કે મીડિયામાં 'દલિત' શબ્દના પ્રયોગના સ્થાને શિડ્યૂલ કાસ્ટ શબ્દનો પ્રયોગ કરવો.

અહેવાલ મુજબ પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ સી.કે. પ્રસાદે જણાવ્યું હતું કે બોમ્બે હાઇકોર્ટના ચુકાદાના અભ્યાસ પરથી અમને જાણવા મળ્યું છે કે કોર્ટના ચુકાદામાં દલિત શબ્દના પ્રયોગ પર પ્રતિબંધ મૂકાયો નથી.

મિથાલી રાજે T-20માં વિરાટ, રોહિતનો રેકૉર્ડ તોડ્યો

ભારતીય મહિલા ટીમનાં ખેલાડી મિથાલી રાજે T-20માં સૌથી વધુ રન નોંધવનાર ભારતીય ક્રિકેટર તરીકેની સિદ્ધી હાસલ કરી છે.

'એનડીટીવી'ની વેબસાઇટમાં પ્રકાશિત અહેવાલ મુજબ મિથાલી રાજે 2283 રન નોંધાવીને રોહિત શર્મા અને વિરાટ કોહલીને T-20માં પાછળ છોડી દીધા છે.

T-20 ક્રિકેટમાં રોહિત શર્માએ 2207 રન નોંધાવ્યા છે જયારે વિરાટ કોહલીએ અત્યાર સુધી 2102 રન નોંધાવ્યા છે.

મહિલા ટીમના ખેલાડી હરમપ્રીતે 1827 રન નોંધાવ્યા છે.

આઇસીસી વિમેન્સ વર્લ્ડ T-20માં આયર્લૅન્ડ સામે નોંધાવેલી અડધી સદીની મદદથી મિથાલીએ રોહિત શર્માનો સર્વાધિક રનનો રેકૉર્ડ તોડ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો