You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC Top News : ગીરના સિંહોને ખસેડવામાં વાંધો શું છે? - સુપ્રીમ
'ડીએનએ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે, સોમવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ગીરના સિંહોને અન્ય સ્થળે ખસેડવા અંગેની અનિચ્છાનું કારણ પૂછ્યું હતું.
પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પ્રમાણે, સિંહોનાં મૃત્યુનાં કારણમાં અંદરો અંદરની લડાઈ, અંદરો અંદરની લડાઈના કારણે ઈજા, શ્વાચ્છોશ્વાસની લગતાં કારણ મહદઅંશે જોવાં મળ્યાં હતાં. આ રીતે 11 સિંહોના મૃત્યુ થયા હતા.
અહેવાલમાં નોંધ્યું છે કે સુનાવણી દરમિયાન જસ્ટિસ મદન લોકુર, એસ અબ્દુલ નઝીર અને દીપક ગુપ્તાની બેન્ચે ગુજરાત સરકારને પ્રશ્ન કર્યો હતો:
"દરેક જંગલની વન્યપ્રાણીઓ રાખવાની ક્ષમતા હોય છે. મોટી સમસ્યા એ છે કે અહીં અંદરો અંદરની લડાઈમાં સિંહો મરી રહ્યા છે. સિંહોને અન્ય સ્થળે ખસેડવા અંગે તમારી અનિચ્છા કેમ છે?"
'પ્રદૂષણના કારણે સૌથી વધારે બાળકોનાં મૃત્યુ ભારતમાં'
'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે, ભારતમાં ટૉક્સિક ઍર અને એક લાખ 10 હજાર જેટલાં પાંચ વર્ષથી નાની વયનાં બાળકોનાં મૃત્યુ વચ્ચે સંબંધ છે.
વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ના અહેવાલ પ્રમાણે, પર્ટિકલ્યુલેટ મેટર(PM) 2.5ના કારણે પાંચ વર્ષથી નાની વયનાં બાળકોનાં મૃત્યુ સૌથી વધારે ભારતમાં થાય છે.
'હવાનું પ્રદૂષણ અને આરોગ્ય' વિષય પર યોજાયેલી સૌપ્રથમ કૉન્ફરન્સના રિપોર્ટમાં આ તારણો બહાર આવ્યા છે.
ભારતમાં પાંચથી વર્ષથી નાની વયના 60,987 બાળકોનાં મૃત્યુ પીએમ 2.5ના કારણે થયાં હતાં, જ્યારે નાઇજીરિયામાં આ સંખ્યા 47,674 છે અને પાકિસ્તાનમાં આ સંખ્યા 21,136 છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રિપોર્ટમાં 2016માં મૃત્યુ પામેલાં બાળકો પૈકી 32,889 છોકરીઓ હતી અને 28,097 છોકરાઓ હતો.
આ અહેવાલમાં નોંધ્યું છે કે ઓછી કે મધ્યમ આવક ધરાવતા દેશમાં 98 ટકા બાળકોને પીએમ 2.5ની અસર થતી હોય છે. જ્યારે વધુ આવક ધરાવતા દેશમાં આ સંખ્યા 52 ટકા છે.
'સરદારને ક્યારેય વડા પ્રધાન નહોતું બનવું'
'ડીએનએ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે, ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે ભાજપ દુષ્પ્રચાર કરે છે કે સરદાર પટેલને વડા પ્રધાન ન બનાવવામાં આવ્યા.
વાઘેલાએ કહ્યું, "સરદાર પટેલ સાથે કોઈ અન્યાય થયો નથી, કારણ કે વડા પ્રધાન બનવાની તેમની ઇચ્છા જ નહોતી. જ્યારે વડા પ્રધાનની નિમણૂક થઈ રહી હતી, ત્યારે સરદારની તબિયત લથડી રહી હતી. તેઓ પોતે જ વડા પ્રધાન બનવા તૈયાર નહોતા."
શંકરસિંહે ઉમેર્યું હતું, "ભૂતકાળમાં હું મણિબહેનનો મળ્યો છું, તેમણે પણ કહ્યું હતું કે સરદાર પટેલને વડા પ્રધાન નહોતું બનવું."
વાઘેલા એવું પણ કહ્યું હતું કે 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'થી સરદાર ક્યારેય ખુશ ન થયા હોત.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો