You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દ્રષ્ટિકોણ: 'વાડ્રા અને જય શાહ, એક સિક્કાની બે બાજુ'
- લેેખક, હરતોષ સિંહ બલ
- પદ, બીબીસી હિંદી
ન્યૂઝ વેબસાઈટ 'ધ વાયર' ની સ્ટોરીમાં દાવો કરવામાં આવ્યો છે કે અમિત શાહના પુત્ર જય શાહની કંપનીનો વ્યવસાય 2014-15માં 50 હજાર રૂપિયાનો હતો.
એ એક જ વર્ષમાં વધીને 80 કરોડ સુધી પહોંચી ગયો.
આ એ વર્ષ છે જ્યારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.
'ધ વાયર'ના દાવા પ્રમાણે ભાજપના વરિષ્ઠ નેતા અને પાર્ટી અધ્યક્ષના પુત્રના વ્યવસાયમાં ધરખમ નફો નોંધાયો છે અને એ વિશે ચર્ચા થવી જ જોઈએ.
તમને આ વાંચવું પણ ગમશે:
આ બાબતે ભાજપે પણ મામલા સાથે જોડાયેલા તથ્યો રજૂ કરી દેવા જોઈએ. જેણે લોન આપી એ બધાનો પક્ષ-રજૂઆત પણ આવવી જોઈએ.
મીડિયા કેટલું દબાણમાં?
જો કે ઘણા મીડિયા હાઉસ આ સમાચાર પર કોઈ અહેવાલ નથી આપી રહ્યા તે નવાઈ પમાડે એવી અને ઘણે અંશે વિચિત્ર લાગે તેવી બાબત છે.
છેલ્લા ત્રણ ચાર વર્ષમાં જોવા મળ્યું છે કે ઘણા મીડિયા હાઉસની સરકાર સાથે સાઠગાંઠ થઈ ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉર્પોરેટ હિતની બાબતો થકી, મીડિયાની માલિકી થકી, સરકાર મીડિયાનું કન્ટેન્ટ નિયંત્રિત કરે છે.
આ માત્ર કોઈ ઉડતી વાત કે ગપ્પું નથી. ઘણી વિશાળ મીડિયા સંસ્થાઓને દબાણમાં કામ કરવું પડે છે.
બીજી તરફ નાના મીડિયા હાઉસ પોતાના મર્યાદિત સાધનો દ્વારા સરકાર અને કૉર્પોરેટની સામે રિપોર્ટિંગ કરવાનું સાહસ ખેડી રહ્યા છે.
એમના પર ક્રિમિનલ ડિફેમેશનની - બદનક્ષીની ફરિયાદ દાખલ થવાની તલવાર લટકી રહી છે.
પત્રકારોને દબાવી દેવાની કોશિશ
કોશીશ એવી થઈ રહી છે કે પત્રકારો અને મીડિયા સંસ્થાઓને ડરાવી ધમકાવીને ચૂપ કરી દેવા.
હવે જુઓ જય અમિત શાહના પુત્રના બચાવમાં કેંદ્ર સરકારના મંત્રી પ્રેસ કૉન્ફરન્સ કરી રહ્યા છે.
કોંગ્રેસના સમયમાં પણ મીડિયાએ લખ્યું હતું પણ...
આવું કૉંગ્રેસના શાસન સમયે પણ થયું હતું. ત્યારે કેંદ્રિય મંત્રીઓને રૉબર્ટ વાડ્રાના બચાવમાં ઉતરવું પડ્યું હતું. એ વખતે કૉંગ્રેસે જે રીતે વાડ્રાનો બચાવ કર્યો હતો તે બેશરમપણું હતું.
કૉંગ્રેસે જેની શરૂઆત કરી હતી તે હવે જાણે પરંપરા બનીને આગળ વધી ચુકી છે. શરમની તમામ હદો પાર થઈ ચુકી છે. એનો અર્થ એવો પણ નહીં કે એ સમયે જે થયું હતું એ સાચું અને આજે જે થઈ રહ્યું છે એ ખોટું છે.
આ વિવાદની સરખામણી રૉબર્ટ વાડ્રાના વિવાદ સાથે થઈ રહી છે. જેવી રીતે સરકારની કામગીરીની સરખામણી 1984 અને 2002ના તોફાનો સાથે કરવામાં આવે છે.
અત્યારે તૂ-તૂ...મૈં-મૈં વાળી સ્થિતિ છે. પરંતુ એ સમયે મીડિયાએ રૉબર્ટ વાડ્રા પર ઘણા અહેવાલો આપ્યા હતા. આજે એ જ મીડિયા બેવડું વલણ - ધોરણો અપનાવી રહી છે.
કૉંગ્રેસના શાસન સમયે પ્રેસ કૉન્ફરન્સ કરવામાં આવી હતી. ત્યારે ભ્રષ્ટાચારની કુંડળી કાઢવામાં આવી હતી.
એના પર મીડિયામાં ખુલીને ચર્ચા કરવામાં આવી હતી. આજે મીડિયાને પ્રેસ્ટિટ્યુટ કહેવામાં આવે છે.
આજે મીડિયા ભાજપની વિરુધ્ધ લખે છે તો એનું - અહેવાલ લખનારાનું વ્યક્તિગત ટ્રોલિંગ કરવામાં આવે છે. એના પર જાહેર - વ્યક્તિગત આરોપો લગાવવામાં આવે છે.
સતત વધતો ભય
અલબત્ત હાલમાં એ સમયે છે, જેમાં મીડિયા અને અભિવ્યક્તિની આઝાદી પર ભય દિવસે દિવસે વધી રહ્યો છે, અને આ બહું ચિંતાનજક છે.
એવું પણ નથી કે આ ભય માત્ર 2014માં શરૂ થયો હતો. આ ભય એના પહેલાથી છે અને તે ગંભીર છે.
જે લોકો મીડિયાનું સંચાલન કરે છે, જેમના માટે મીડિયા એક વેપાર છે એ સરકાર સાથે મળીને કામ કરી શકે છે.
જે મીડિયા હાઉસ અને કૉર્પોરેટની સાઠગાંઠ છેલ્લા 25-30 વર્ષમાં આગળ વધી છે, વધીને ગાઢ સંબંધમાં ફેરવાઈ છે તેનો હાલની સરકારે ભૂતકાળની સરકારોની સરખામણીએ સારો એવો ઉપયોગ કર્યો છે.
આની અસર દેશની લોકશાહી પર જોવા મળી રહી છે. આ અસર પહેલા પણ જોવા મળતી હતી. હવે વધારે સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો